વસુધા/કર્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કર્ણ

સરિતા મલકાતી વ્હે ઝીલતી ભાનુભર્ગને,
ઝૂલે છે નીરમાં એનાં અનેરું મનુપદ્મ કો.

વિશ્વનાં સકલ પદ્મનો પિતા
વૃન્તની ચ્યુત બનેલ એક કો
પદ્મને – વિકસિયા નિજાંશુથી,
ત્યાં તણાતું અસહાય જોઈ ર્‌હે.

જગત્પિતાના કમનીય સૂનુને
અંકે ધરી, એ શિશુની ય માતથી
સુભાગી ઝાઝી નિજને ગણી નદી
લજાઈ આછું મરકી વહી રહી.

તાતના વિપુલ તેજવૈભવો
તો ય કાષ્ઠપુટમાં પુરાઈને,
પામી અંધ તમનો શું વારસો
બાળ જીવનપ્રવાહમાં સરે!

અસુત સૂત તણા કરને વિશે
સરિત લેઈ ગઈ નવ બાળને,
પદમ શાં દૃગ ખોલી નિહાળતો
શિશુ શિશૂત્સુક બે દૃગપદ્મને.

ન ભેર વાગી, નહિ બંદીઓ સ્તવ્યા,
પુરોહિતો મંત્ર લઈ ન ઊમટ્યા
વધાવવા એ શિશુજન્મ, માત્ર ત્યાં
હર્ષાશ્રુ રાધા નયનો થકી ખર્યા.

અંધારે આરભી એવું જીવવું સુત સૂર્યનો
પ્રકાશી પૌરુષે ઊઠ્યો ઝાઝેરો શત સૂર્યથી.

(૨)


ભારોભાર ભર્યો વીર્યે સૂર્ય દેવાધિદેવના
કૌન્તેયો મહીં તે શ્રેષ્ઠ જન્મેલા ઇન્દ્ર આદિથી.

વિધિએ તુજ કાજ નિર્મિયું
થઈ પ્યાદું જીવવું ભવાહવે,
પણ તેં વિધિથી વધી જઈ
રચી ગાથા અભિજાત ગૌરવે.

દૈવપ્રાપ્ત અકુલીનતા તણા
શ્યામ તાર મહીં ભાત પૂરીને
પૌરુષે ઝળકતાં સુકાર્યની
શો અપૂર્વ કિનખાબ તેં વણ્યો!

રાજ્ય? રાજપદ તેં ક્ષણેકમાં
પક્વ આમ્રફલશું ચુંટી લીધું,
કૌરવોની અસહાયતા તણા
ચાપમાં પણછ થૈ ચડી ગયો.

અંગના અધિપ! ઉચ્ચ વિક્રમે
રાજમંડળ મહીં વિરાજતો,
રાજલક્ષ્મી વરી, કીર્તિલક્ષ્મીયે,
એક ના વરી તને જ દ્રૌપદી.

દ્રૌપદી સમ કૃપા ગુરુની યે
ના તને વરી પ્રચણ્ડ ક્ષત્રને,
દ્રૌપદી ડરી જ સૂતપુત્રથી
ગુરુકૃપા ય ડરી ક્ષત્રપુત્રથી

કો અધન્ય રહ્યું એ અલગ્નથી
જાણું ના, પણ સુધયનયા સૃષ્ટિ થૈ
જાણી કે, જગતમાંહિ બેજમાં
ક્ષાત્રતેજ વસ્યું કર્ણ-અર્જુને. ૫૦

દ્રૌપદી દૃગ મીંચી વારી ’ર્જુન
વીર્યશ્રી પણ સમાન બેઉમાં
એકનું વારણ ના કરી થકી,
કર્ણ મૃત્યુ લાગી સંશયે ઝુલી

(૩)

કૌરવી કુલકાન્તારે તું યે માતંગ વન્ય શો
વસ્યો, દૌર્જન્યની છાંયે ઢંકાતો મદઝૂલતો.

તિમિરને કદી ના સહનારનો
સુત ઘડી તિમિરે જ રહ્યો ડૂબી,
વસનહીન થતી સતી દ્રૌપદી
નીરખતાં નહિ આંખ તને ડસી. ૬૦

વળી સુદીન સુયોધન સંગમાં
વન વિષે વિજયી ન શક્યો થઈ,
કુટિલ કૌરવનીતિની નીકમાં
પ્રબળ પૌરુષ તારું ગયું વહી.

કુરુસુતોતણી દુર્ગુણતા તણાં
જલથી સિંચિત જીવન તાહરું,
વિમલ પદ્મપિતાતણું બીજ હા
વિકસી કૌચ બની ક્ષણ રે રહ્યું.

સકળ એ લઘુતા કુરુચિત્તની
લઘુક ભૂમિ પરે વધી ગંજ થૈ,
લઘુક એ તણખો ઈરખા તણો
થઈ દાવાનલ ભૂમિ દહી વળ્યો.

(૪)

કૃષ્ણના મુખથી તારા કુલની તેં કથા સુણી,
અગ્નિમાં ઓગળેલાને વ્યર્થ શી વારિની કણી.

કર્ણ! કેશ શિરથી જ પીંખતાં
કૃષ્ણનાં વચન તું સુણી રહ્યો.
‘આજ એહ ઘટના કહો જ કાં,
જાણકાર ધરથી તમે જ જો?

સંભવે કથન સત્ય આપનું,
તો ય કૌરવ શું ભાગ્ય માહરું
જન્મથી જ જકડી દીધું તમે.
જાવ, ના ડગ લીધું હવે ફરે.’

કૃષ્ણ ચૂપ થઈ, રાશ અશ્વની
ખેંચીને શિબિર પાંડવો તણે
પ્હોંચિયા, અફર યુદ્ધની સ્થિતિ
જાણી વ્યૂહરચના વિશે મચ્યા.

કિન્તુ એ વિજયના વિમર્શમાં
કર્ણ એક દુરજેય ટૂંક શો,
તાતદત્ત કવચે ચ કુંડલે
રાજતો નજરમાં રમી રહ્યો. ૯૦

એ અવધ્ય અવિજેય યોધને
વધ્ય-જેય કરનાર વિશ્વમાં
આત્મઘાત વિણ અન્ય કૈં ના ’તું
ચિત્ત કૃષ્ણતણું એમ ચિંતતું.

તાત તતપરા થયો જ પાર્થનો
યાચવા સ્વસુત કેરું રક્ષણ
સ્વર્ગનો પાધિપ દીન ભિક્ષુ થૈ
ટેકાના અધિપ પાસમાં પાળ્યો.

(૫)

દાનની જાહ્નવી તીરે વિરાજ્યો વસુષેણ ત્યાં,
પૃથ્વીમાં યાચકોકેરુ યાચનાતીર્થ પુણ્ય થૈ. ૧૦૦

કાને આવે: ‘દેહિ ભિક્ષાં, વરેણ્ય!’
ધ્યાને ડૂબ્યાં કર્ણનેત્રો ખુલે છે.
‘શું ઇચ્છો છો?’ પ્રશ્ન ત્યાં ઉત્તરાતો:
‘તારાં યાચું કુંડળો ને તનુત્ર.’

‘ના ના દેતો.’ ભાનુની દિવ્ય વાણી
વારે છે ત્યાં: ‘ઇન્દ્ર એ છન્ન રૂપ
યાચે તારું મૃત્યુ ને પાણ્ડવોની
આ સંગ્રામે જીત; ના મૂઢ થાતો!’

‘હો એ ઇન્દ્ર, મૃત્યુ હો વા સ્વયં હિ,
યાચ્યું એ પામશે એનું ધ્રુવં હિ.’ ૧૧૦
‘તો યાચી લે શક્તિ એની અમોઘ.
બેટા, યુદ્ધ જીતવા શું સ્પૃહા ના?’

‘યુદ્ધે ? જીતું જીવને તો ઘણું યે.’
બોલી તેણે અંગથી એ ઉખેડી
તાતે દીધાં રક્ષણો, આપી દીધાં
દૈન્યે ડૂબ્યા ઇન્દ્રના હસ્ત માંહે.

એમ કર્ણ કરી વધ્ય એ ગયો
તો ય એહ કરમાં અમોઘ તે
શક્તિને અફર દેઈ, પાર્થથી
કર્ણને અતિબલી કરી ગયો. ૧૨૦

(૬)

અને ત્યાં યાચવા રક્ષા કુન્તા પુત્રોતણી પળી,
વદને ધારીને ઘેરી દીનતાકેરી વાદળી.

‘કર્ણ!’ ‘કોણ? જનની સુપુત્ર તે
પાંચ પાંડવ તણી?’ ‘હું તે જ હા!’
‘ધન્ય હું, ક્યમ કૃપા લહું જ આ?’
‘પાંડવો છ કરવા હું આવી છું.’

‘એ શું?’ કર્ણ ચમકી વદે અને
કુન્તીના મુખથકી સુણી રહે
જન્મની નિજ કથા પુન:, તથા
કૈં પ્રલોભન સુરમ્ય રાજ્યનાં. ૧૩૦

‘પાટવીપદ ચ પાંચ ભાઈની
ભક્તિ, દ્રૌપદીતણો જ પ્રેમ ને
રાજ્યનું તિલક પામતાં જય,
કીર્તિ જીવન અલભ્ય અક્ષય.’

ફુત્કૃતિ વદનથી સરી જતી
રોકી કર્ણ ધરી ધૈર્ય ઉચ્ચર્યો:
‘વાત આજ, અતિ મોડી તો ય તે
આપના મુખથી જાણી ધન્ય છું.’

જાણું છું કંઈક કાલથી કથા
આ મનુષ્ય-ઉર-ભીરુતા તણી, ૧૪૦
કિન્તુ માત થઈ ધર્મનાં તમે
કાં અધર્મ જ કરાવવા પળ્યાં?

હું હવે શું થઉં પુત્ર પાણ્ડુનો?
હું અમિત્ર થઉં કૌરવો તણો?
વૃક્ષ પૌરુષનું મારું જ્યાં ખીલ્યું,
માહરાં ફળ જશે જ ત્યાં ખરી.

તો ય જાવ નહિ મારું અન્યને;
પાંચ પાણ્ડુસુતમાંથી માત્ર છે
પાર્થ એક બસ લક્ષ્ય માહરું,
એહને હણીશ કે હણાઈશ. ૧૫૦

ને તમે જનની પાંચ પુત્રની
ના કદાપિ મટશો જ; અર્જુન
જો મરે, હું તમ પુત્ર થૈશ; વા
હું મર્યે, તમ અખંડ પાંચ છે.

જાવ માત, અહીં ધર્મક્ષેત્રમાં
ધર્મ કેવળ ના પાણ્ડવો કને:
આ અધર્મ પણ ધર્મની રીતે
આદરી અહીં રહ્યા અમે ગણું.’

ને કઠોર નિજ ધર્મ પાળતો,
તો ય માત-ઉર-વ્યગ્રતા-વ્યથા ૧૬૦
જાણી અંતરવલોણું સંયમી
કર્ણ તત્પર કરી રહ્યો જ જયા.

(૭)

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મંડાયું ત્યાં અપૂર્વ કો
ધર્મને રક્ષવા દુષ્ટો હણવા યુદ્ધ ભારત.

ધર્મને બહુ પિછાણતા છતાં
કૌરવો ન ગ્રહી ધર્મને શક્યા,
માનવીહૃદયમાં વસેલ બે
વૃત્તિઓ જ ઊતરી શું યુદ્ધમાં!

એકએક થકી ઉચ્ચ વિક્રમી
વીર પક્ષ ઉભયે ઝૂઝી રહ્યા, ૧૭૦
એક વૃક્ષ જ તણી શું ડાળી બે
સ્પર્ધતી વિજય જાતી પામવા!

કિન્તુ એ ફળી ફુલેલ ડાળનાં
સૌ ગ્રસી ફળ ગયો કૃતાન્ત ત્યાં,
ને રહ્યું જ અવશેષ માત્ર ત્યાં,
ઠૂંઠું એક નૃ પ વં શ વૃ ક્ષ નું

એ મહાહવ મહીં દિને દિને
ભીષ્મદ્રોણ થકી પૂર્ણ રક્ષિત,
સૈન્ય કૌરવ તણું થતું ગયું
ક્ષીણ, જેમ જલ અબ્ધિ-ઓટનાં. ૧૮૦

તે પિતામહ સુવૃદ્ધ ભીષ્મને
ભક્તિપૂર્વક રચેલ બાણના
તીક્ષ્ણ વીર શયને સુવાડીને
પૌત્રકર્મ કર્યું યોગ્ય અર્જુને.

ને પછી સુગુરુ દ્રોણની મહા
અસ્ત્રવૃષ્ટિ સમરે અનન્ય થૈ,
માત્ર ધર્મ-છળથી જ એમનું
ધૃષ્ટદ્યુમ્ન શિર છેદી હા શક્યો.

એ સુઘોર દિન પૂર્વ રાત્રિએ
કર્ણનું અતુલ શસ્ત્ર – ઇન્દ્રની
શક્તિ કૌશલ થકી ખપાવી ગ્યો
પ્રાણને ખપવીને ઘટોત્કચ.

(૮)

યુદ્ધની ઘોર ભૂમિમાં સોળમો દિન ત્યાં ઉગ્યો.
સારથ્યે શલ્યના કર્ણ વિજિગીષુ રણે ચડ્યો.

કુંડળો કવચ પાસ ના હવે,
ઇન્દ્રશક્તિ પણ હા હરાઈ ’તી,
ને શિરે ભમત શાપ બાજ શા
બે હતા દ્વિજ અને ગુરુ તણા.

સંમુખે વળી રથે જ શલ્યના
મોંથી શલ્ય સમી વૃષ્ટિ શબ્દની ૨૦૦
ક્યારનીય રહી વીંધી મર્મને,
શત્રુના શર થકીય કારમી.

ત્રાણ-અસ્ત્ર-સુ સ હા ય હી ન એ
શાપદગ્ધ, અતીત્રસ્ત સાથીથી.
સારથી-કવચહીનતા સ્વયં
નોતરી અજય નોતર્યો હતો.

તોય વિક્રમ ઉપાસ્યું જન્મથી
કેમ તે રગરગેથી ઓસરે?
મારું અર્જુન મરાઉં વા સ્વયં,
એક માત્ર સ્વર કર્ણ ત્યાં રટે. ૨૧૦

ધર્મ ભીમ સહદેવ આદિ પે
શસ્ત્રપાત તણી વ્યર્થ કાં કૃપા?
ટાળી માર્ગ થકી એ સહુયને
કર્ણ અર્જુન ભણી રહ્યો ધપી.

શ્વેત અશ્વ રથ પાર્થના તહીં
કૃષ્ણ-કૌશલ થકી સુચારિત,
કર્ણના હય સમક્ષ યુદ્ધમાં
ઘેરું ઘોર હહણી તહીં ખડા.

શલ્યના મુખથી શલ્ય: ‘લે અલ્યા
સૂતપુત્ર! અહીં પાણ્ડુપુત્ર આ
તારી આગળ ખડો સુદર્શન
દુઃખજેય, તવ શક્તિ દાખવ!’

તીવ્ર એક કરી પાત દૃષ્ટિનો
શલ્ય પે, વચનથી ન, બાણથી
કર્ણ ઉત્તર દિયે જ કારમો,
દ્યૌધરા નિજ શરોથી ઢાંકતો.

(૯)

યુદ્ધમાં પુત્રનાં કર્મ ઝાઝેરાં ઝળશે હજી,
ચિંતી પોઢેલ ભાનુનાં ચક્ષુ પાછાં ખુલે ત્યહીં.

કર્ણ ક્રુદ્ધ થઈને કૃતાન્ત શો
કૈં અમોઘ શર સાંધતો ગયો, ૨૩૦
પાર્થ ત્યાં ય શર વીર શત્રુના
કૃષ્ણ સ્હાય થકી વારતો ગયો.

અંતે, સુગોપ્યું બહુ પાર્થ મારવા
ને પૂજી સોનારજમાં સુવાડીને
અમોઘ જેને કીધ તેહ કાઢીને,
આકર્ણ જ્યા કર્ષી બલાઢ્ય કર્ણે

વ્હેતું મૂક્યું શર યમકર શું પાર્થ કેરી દિશામાં.
દિશા અને ત્યાં નભ થ્યાં ઝળાંઝળાં.
ઉલ્કા ખરી ઘોર અનેક આભથી;
તે પાર્થના કાતિલ શત્રુ નાગને ૨૪૦
કંઠે ધરી અર્જુન મેર હા ધસ્યું.

અશ્વો ઝુકાવી જ અતીવ કૌશલે
સર્વજ્ઞ કૃષ્ણે શર વ્યર્થ એ કર્યું,
અર્જુનનું શીશ ચહંત બાણ એ
કિરીટ લૈ માત્ર ગયું કિરીટીનો.

ને નાગ ભોંઠો પડી, કર્ણ પાસ જૈ
છતો થઈ, પાર્થ વધેરવાને
સહાય દેવા તલસ્યો, પરંતુ
કર્ણે કહ્યું ‘રે હટ, તારી સ્હાયથી
શું પાર્થને કર્ણ રણે જ મારશે?’ ૨૫૦

ને ઉગ્ર આંખે ગુરુ ’રામથી મળ્યાં
શસ્ત્રો સ્મર્યાં – જે ઘણું યે મથ્યાં હતાં
નક્ષત્રી પૃથ્વી કરવા અનેકશ: –
સંહારવા આ નર ક્ષત્રિયોત્તમ.

ચડાવિયું જ્યા પર બાણને જ્યાં
વિદ્યા સરી સર્વ સ્મૃતિથી બાણની,
ને રે હતૌજસ્ થઈ વીર કર્ણ
સુરિક્ત કો ભાણ્ડ મહાનશો ખડો.

ને શાપ બીજો દ્વિજનો ય ત્યાં ચડ્યો,
અશક્તને જેમ ચડે પ્રજ્વર, ૨૬૦
ધરા ગ્રસી ત્યાં રથચક્રને રહી,
વ્યાલી સમી કો અતિકાય પક્ષીને.

આધાર એ જીવનનો – ધરિત્રી
ગ્રસંત તેનું રથચક્ર – તેહને
આરાધવા કર્ણ અધીર ઊતર્યો,
ત્યાં પાર્થ-ચાપે શર ઉગ્ર રે ચડ્યું!

‘રે રાખ! આ ધર્મ્ય નથી જ યુદ્ધ!’
પોકારતો કર્ણ, ધરાથી ચક્ર
ખેંચી રહે છે બલથી, અને ધરા
ગ્રસ્યે જતી; કૃષ્ણની વાણ એનું ૨૭૦
રહ્યુંસહ્યું ધૈર્ય ગ્રસી ય રે ગઈ!

‘રે ધર્મભક્ત! ક્યહીં ભક્તિ ધર્મની
એકાંતિકા તેં કરી છે કદી ય કે?
ક્‌હે, કૌરવોને સહુ કૂટ કર્મમાં
તું યે હતો શું નહિ પ્રેરનાર?’

બે શત્રુ સામે ત્યહીં કર્ણ ઝૂઝતો
ધરા અને પાર્થની અસ્ત્રવૃષ્ટિ શું:
ધરા ગ્રસંતી હતી ચક્ર, કર્ણની
વિદ્યા ગ્રસી ગૈ શર સર્વ પાર્થના,
કરંતી તેને ક્ષણ સંશયાકુલ. ૨૮૦

‘હવે વિલંબાવ ન મૃત્યુ કર્ણનું,’
કૃષ્ણે કહ્યું; અર્જુનના નિષંગથી
છૂટેલ અસ્ત્રે શિર કર્ણનું ત્યાં
ઉતારી લીધું, જ્યમ પુષ્પ વૃન્તથી.

એવી રીતે પાણ્ડવશત્રુ ઊર્જિત
ધરા ઢળ્યો, સત્તરમા દિને, ને
હજીય આશા જયની કરંતા
તે કૌરવો કાજ બન્યો જ દુર્દિન!

રવિની અરુણા આભા તે દિને અસ્ત પામતાં
પૂર્વે સૌ દિનથી ઝાઝા રડી રક્તાશ્રુના ઝરા ૨૯૦
કર્ણના વધકારુણ્યે પીગળ્યું વ્યોમ, ના ધરા.

(૧૦)

અજાણ્યો જન્મ, ને મૃત્યુ એવું યે અસહય, હા!
શસ્ત્રહીન ગતિહીન દશામાં ધરણી ઢળ્યો.

શ્યામળાં બિન્દુ બે વચ્ચે લીટી શું તીવ્ર તેજની
તારી આયુ:કથા, કર્ણ! દિવ્ય કૈં ભર્ગથી ભરી.

પ્રભાના વ્યોમસંચારે અભ્રો કાળાં ય આથડી
વચમાં આવરે તેની નિર્મળી પાવક દ્યુતિ,

તેમ કૈં તાહરાં કર્મો કૃષ્ણ જે કૃષ્ણ ઉચ્ચર્યાં,
હશે, એ કૂટ કાલે ત્યાં કોને મેશ નથી અડી?

ધર્મને રકસવા કૃષ્ણે અધર્મો યે ના છોડિયા; ૩૦૦
કર્ણ ! તેં ધર્મને કાજે અધર્મે ન તજ્યો ગ્રહ્યો.

એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે
જે અર્થ તેં કૃષ્ણની કાકલૂદી
ઉવેખીને પાણ્ડવ થૈ જવાની
ધારી રહ્યો નામ તું સૂતપુત્રનું?

એવું, કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે ૩૧૦
તું જાણતો ઇન્દ્ર, છતાંય તે દીધાં
ઉતારીને કુંડળ દાનમાં કવચ,
અવધ્યતાને ત્યજી વધ્યતા ગ્રહી?

એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે
કુન્તી તણી આર્જવવંત આરઝૂ
નકારી તેં પાણ્ડવપૂજ્ય થૈ રહી
નૃપાલના યે બનવા નૃપાલની?

એવું કશું, કર્ણ, હતું જ તત્ત્વ કે
બે શાપ માથે ભમતા હતા છતાં,
ને જીતવા પાર્થ સ્પૃહા ઘણી છતાં,
તે નાગને તેં તરછોડી કાઢ્યો,
આવ્યો સ્વયં જે તવ સ્હાય અર્થે?

એ તત્ત્વ તારો જય છે ચિરંતન,
મૃત્યુ રણે તે નહિ મૃત્યુ, જીત ત્યાં ૩૨૦
મળેલ તે નહિ મૃત્યુ, જીત ત્યાં
જે જીતવો જીવનજંગ તે જયી.

તે જન્મથી રે અપમાનની ઝડી !
વિદ્યાગુરુ પાસ કસોટીની ઘડી !
તે દ્રૌપદીબોલ શું મર્મ દાહતા !
ને પાંડાવોની પડછંદ દધિકકૃતિ

ને ત્યાંથી ઊંચા શિખરોનું દર્શન,
નૃપત્વનું ઉજ્જવલ ભાલ અર્ચન,
ને જ્ઞાન તો યે નિજ શત્રુતાને
અર્પી સ્વરક્ષા, યમને નિમંત્રણ. ૩૩૦

આ ઉચ્ચતા, આ કપરી જ તાવણી,
હૈયાતણાં આ ઘમસાણ ઘોર,
કોણે ઝીલ્યાં વજ્જર છાતીએ હા?
કો અર્જુને? ભેમ, યુધિષ્ઠિરે કો ?

અધર્મ-ગર્તે પણ ધર્મ ભાવથી
એવો ટકી કોણ જ અન્ય ત્યાં રહ્યો ?
આવો પ્રચન્ડોપ્રચણ્ડોજ્જવલ મૈત્રીભાવ
વિના તું બીજે ક્યહીંથી કડી વહ્યો ?

વિધિની જગધારણાર્થ એ
પ્રકટેલા કુરુપાણ્ડુ યુદ્ધમાં ૩૪૦
લઘુ તો યે અતિ ઘટ્ટ વજ્રનું
ચણિયારું અનિવારી તું થયો.

૫ જુલાઈ, ૧૯૩૮