વસુધા/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


વસુધા


[‘કાવ્યમંગલા’નો અનુગામી કાવ્યસંગ્રહ]





સુન્દરમ્







હે પૃથ્વીમૈયા! તમ ચરણસંગીત ઝમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી તે ગમ તમે
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુત્‌ને અમ બટુક યાત્રાળુચરણે.


પ્રકાશક
આર. આર. શેઠની કંપની • મુંબાઈ • ૨
વિ. ૧૯૯૫          ઈ. ૧૯૭૯



સર્વ હક્ક કર્તાને સ્વાધીન
આ સંગ્રહમાંના કાવ્યોનો કોઈપણ પ્રકારે ઉપયોગ ક૨તા પહેલાં કર્તાની સંમતિ મેળવવી જરૂરની છે.
બે રૂપિયા
પહેલી આવૃત્તિ ૧૧૫૦ : આસો ૧૯૯૫
મુદ્રક: કસ્તુરચંદ છગનલાલ શાહ : શ્રી લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ
રાવપુરા : વડોદરા, તા. ૧-૧૧-૩૯






શ્રી બચુભાઈ રાવતને
મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદને









याऽर्णवेऽधि सलिलमग्र आसींद्यां मायाभिरन्वचरन् मनीषिणः। यस्याः हृदयं परमे व्योमन्त्सत्येनावृतममृतं पृथिव्याः। सा नो भूमिस्त्विषिं बलं राष्ट्रे दधातूत्तमे ॥ अथर्व-१२-१-4 [અગ્રે હતી અર્ણવે સલિલ જેહ, માયાથી જે અનુસર્યા મનીષિઓ, જે પૃથ્વીનું અમૃતરૂપ હૃદય સત્યે છાયું પરમ વ્યોમમાં છે. દ્યો તેજ બલ તે ભૂમિ, અમને રાષ્ટ્ર ઉત્તમે–‘શેષ’]

त्वज्जातास्त्वयि चरन्ति मर्य्तास्त्वं बिभर्षि द्विपदस्त्वं चतुष्पदः। तवेमे पृथिवि पंच मानवा येभ्यो ज्योतिस्मृ मर्त्येभ्य उद्यन्त्सूर्यो रश्मिभिरातनोति ॥ अथर्व-१२-१-१५ [તૂંથી જન્મી મર્ત્યો તૂંમાં ફરે છે, ધારે છે તું બેપગાં ચોપગાંને. તારા પૃથ્વી પાંચ આ માનવો છે, જે મર્ત્યોને અમૃત એવું જ્યોતિ સૂર્ય ઊગન્તો રશ્મિથી વિસ્તરે છે–‘શેષ']





પ્રાસ્તાવિક

મુખ્યત્વે સને ૧૯૩૩ અને ૧૯૩૮ વચ્ચે લખાયેલાં કાવ્યોમાંથી ઘણાંખરાં આ સંગ્રહમાં મૂક્યાં છે. ૧૯૩૩ પહેલાંનાં કેટલાંક કાવ્યો તે વેળાના રાજકીય વાતાવરણને લીધે ‘કાવ્યમંગલા'માં મૂકી શકાયાં ન હતાં તે અહીં લઈ લીધાં છે. કાવ્યોની ગોઠવણ અમુક અંશે વિષયવાર કરવા પ્રયત્ન કર્યો છે. અને કાવ્યની રચનાતારીખ છંદ વગેરે ગૌણ માહિતી પાછળ ટિપ્પણ અને સમયાનુક્રમમાં મૂકી છે. ટિપ્પણમાં મૂકેલી સમજૂતી, સાર, વગેરે વિદગ્ધ સહૃદયોની ક્ષમાયાચના સાથે જ.

છેવટે મૂકવી પડેલી મુદ્રણશુદ્ધિ પ્રમાણે કાવ્યોને પ્રથમથી સુધારી લેવા વિનંતી છે. પુસ્તક છપાતાં સૂઝેલાં કેટલાંક પાઠાન્તરો પણ ત્યાં મૂક્યાં છે.

‘કાવ્યમંગલા’ માટે અમદાવાદની ગૂજરાત સાહિત્યસભાએ મને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો એ માટે એ સંસ્થા પ્રત્યે મારી ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વળી, જો કે કાવ્યસંગ્રહની નકલો તો બહુ વેચાતી નથી, છતાં જનતા પણ જે રીતે મારાં અને મારા મિત્રકવિઓનાં કાવ્યોમાં જે રસ ધરાવતી થઈ છે તેથી પણ હૃદય આર્દ્ર થાય છે. આજની કવિતા ગુજરાતને હવે બેકદર કહી શકે તેમ નથી. આ કદરને માથે ચડાવી કવિતાએ પ્રતિભાની આરાધના વિશેષ ઊંડી, અને વિનમ્ર છતાં ઉગ્ર કરવી જોઈએ એમ મને લાગે છે. ઉત્કૃષ્ટ કવિતાનું સર્જન થવું એ તો ‘બાજી હરિને હાથ’ જેવું છે.

સંગ્રહના સંપાદનમાં એવા આત્મીય મુરબ્બીઓ અને મિત્રોનો હાથ છે કે તેમનો નામોલ્લેખ કરવો તેમને અવિનય લાગે, છતાં ય પણ તેમના સહકારની અમૂલ્યતા તો મારે સાભાર સ્વીકારવી જ જોઈએ.

એ ફરિયાદ સાચી જ છે કે ગુજરાત બહુ કવિતા ખરીદતું નથી. પણ એ ફરિયાદ કરવાનો કવિને હક છે કે કેમ તેની મને ખબર નથી. ગુજરાત પોતાને ત્યાં જે કવિતા લખાય છે તેને વાંચે, અને સમજે તેટલું જ કવિ માટે પૂરતું ગણાવું ન જોઈએ?

‘કાવ્યમંગલા’ ગૂજરાતના ચરણમાં ધરતાં જે આશા મેં વ્યક્ત કરેલી તે એ પછીનાં છ વર્ષે પણ વ્યકત કરવા મન થાય છે કે આ સંગ્રહનું પ્રકાશન ગૂજરાતની જનતાનાં સમય દ્રવ્ય અને સહાનુભૂતિ ઉપર નિરર્થક આક્રમણ જેવું નહિ ગણાય.

ત્રિભુવનદાસ પુ. લુહાર શરદપૂર્ણિમા, ૧૯૯૫
અમદાવાદ


કૃતિ-પરિચય

વસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા મળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ સળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ જેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત જનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે.



સર્જક-પરિચય
Sundaram.jpg


સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)] : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.

ઈ. સ. 1917માં મંગળાબહેન (અ. 2 સપ્ટેમ્બર 1969) સાથે લગ્ન. 1937માં પુત્રી સુધાનો જન્મ. 1925-1927 દરમિયાન ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. 1926થી કાવ્યલેખનનો પ્રારંભ. ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય આ ‘સાબરમતી’ સામયિકમાં ‘મરીચિ’ ઉપનામથી પ્રગટ થયેલું. 1928-1929માં ‘સાબરમતી’માં ‘બારડોલીને’ – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ‘સાબરમતી’ના તંત્રી તરીકે કામગીરી શરૂ કરી. 1929માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. 1935થી 1945 સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા. 1930થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો પ્રારંભ. ગાંધીયુગના આ બે પ્રમુખ કવિઓ મિત્ર બન્યા અને ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખાયા. દરમિયાન ગાંધીજી-પ્રેરિત સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ ભાવનાને વ્યક્ત કરતું ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવું એમની કાવ્યદીક્ષારૂપ કાવ્યનું સર્જન થયું. 1933નું વર્ષ સુન્દરમ્ માટે મહત્વનું રહ્યું. એ વર્ષે તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. તે જ વર્ષના અંતિમ ગાળામાં તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ પ્રવાસે તેમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો, જેના ફળરૂપે 1941માં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રાપ્ત થયો. આ પ્રવાસ દરમિયાન લીધેલ પુદુચેરી(પોંડિચેરી)ની મુલાકાતે અને શ્રી અરવિંદના પ્રભાવે તેમના ઉત્તર જીવનની દશા-દિશા બદલી નાંખ્યા. 1940માં પ્રથમ વાર, 1943માં બીજી વાર તેમને શ્રી અરવિંદનો દર્શનયોગ થયો. પરિણામે 1945થી સપરિવાર તેઓે શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરી ગયા અને આજીવન આશ્રમને સમર્પિત થઈ રહ્યા. 1945ની સાલ આમ એમના જીવન માટે અતિ મહત્વની બની રહી. 1947થી ‘દક્ષિણા’ના તંત્રી રહ્યા. શ્રી અરવિંદના પ્રભાવને લીધે એ પછીના તેમના કાવ્યસર્જનની ભૂમિકા બદલાતી રહી. કોયા ભગત વાસ્તવિક સમાજદર્શનના દર્શક ને કથક હતા. પુદુચેરી-નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા. આમ કવિ અને સાધકનો સુંદર સમન્વય થયો. સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુન્દરમ્ આજીવન સાચા અર્થમાં ‘કવિ’ અને ‘સત્યશોધક’ રહ્યા હતા. 1983માં માતર પાસે વાત્રક તટે ૐપુરી નગરીનું ખાતમુહૂર્ત કરી ત્યાં તેમણે સાધકો માટેનું સાધનાધામ કર્યું. 1987માં ફ્રાન્સના પૅરિસમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું તેમણે અનાવરણ કરી ત્યાં યોગસાધનાનાં કેન્દ્રોને વધુ સક્રિય કર્યાં. ઉત્તરવયમાં એક સાધક તરીકે તેમની જીવનચર્યા ચાલી અને સાથે જ સર્જનકાર્ય પણ અનવરત ચાલતું રહ્યું. સમાજની, પ્રકૃતિની, પરમતત્વની અનેક ભાવછબીઓ તેમણે કાવ્યના શબ્દમાં ઝીલી બતાવી. એ રીતે સુન્દરમ્ આજીવન કાવ્ય અને અધ્યાત્મના સંનિષ્ઠ ઉપાસક રહ્યા.

ઈ. સ. 1933માં પ્રગટ થયેલ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં સામાજિક વિષમતા અને શોષણનું વેધક વાસ્તવદર્શન છે. ગાંધીજીના આગમન સાથે ગુજરાતીમાં વિષયવસ્તુ અને અભિવ્યક્તિ સંદર્ભે જે પરિવર્તનો આવ્યાં તેનો ઉત્તમ ખ્યાલ સુન્દરમ્-ઉમાશંકરની કવિતા દ્વારા મળી રહે છે. એકદમ સાદી છતાં સૂક્ષ્મ સંવેદનાથી સભર, હૃદયંગમ રજૂઆત દ્વારા કવિએ સમાજના છેવાડાના માણસની વાત કરી છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત આ કવિ સમાજસુધારાની વાત કરે છે તો સાથે સૌંદર્યતત્વની પ્રતિષ્ઠા પણ કરે છે. કોયા ભગત પાત્રના મુખે પરંપરાગત ભજનશૈલીનો ઉપયોગ કરીને કવિએ પોતાની ભાવસૃષ્ટિને નવા પરિમાણમાં રજૂ કરી છે. ‘ભંગડી’ કે ‘ત્રણ પડોશી’ જેવી કૃતિઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. ‘ઊઠો રે’ જેવાં કાવ્યોમાં રાષ્ટ્રીય ભાવસંદર્ભનું ઓજસ્વી આલેખન છે.

એ જ વર્ષે પ્રગટ થયેલ એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’માં કવિની અભિવ્યક્તિની રીતિ બદલાયેલી જોવા મળે છે. એમાં છંદોબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો અને ગીતોનું નોંધપાત્ર પ્રમાણ છે. તેમાં ગાંધીવિચાર અને સમાજવાદી વિચારધારાના સમન્વય દ્વારા કવિ માનવતાના વિકાસની ભૂમિકા પ્રતિ વળે છે. અહીંનાં કાવ્યોમાં દીનદલિતપીડિતો પ્રત્યેની અનુકંપા સાથે સ્વદેશપ્રીતિની ભાવના પણ વ્યક્ત થઈ છે. ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ’ જેવાં કાવ્યો અહીં છે. ઉમાશંકરે જો ‘વિશ્વમાનવી’ની વાત કરી છે તો આ કવિએ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ – એ રીતે માનવીય અસ્મિતાની વાત કરી. આમ બંને સર્જકો પરસ્પરના પૂરક બનીને સર્જનક્ષેત્રે વિકસતા જણાય છે. અહીંનાં મોટાભાગનાં કાવ્યોમાં, કવિનો પ્રેમ અને કરુણાપ્રેરિત માનવતાવાદી અભિગમ જોવા મળે છે. વળી તેમની આધ્યાત્મિક ખોજનો સંકેત ‘ધ્રુવપદ ક્યહીં ?’ દ્વારા મળે છે.

સુન્દરમ્ જેમ 1933માં તેમ 1939માં પણ બે કાવ્યસંગ્રહો આપે છે, જેમાંનો એક ‘વસુધા’ અને બીજો ‘રંગ રંગ વાદળિયાં’. ‘વસુધા’માં કવિની સર્જકતાનો આહલાદક ઉઘાડ જોવા મળે છે. તેમાં કવિની વાસ્તવદર્શનની ખૂબીઓ ‘13-7ની લોકલ’માં સરસ રીતે ચિત્રાંકિત થઈ છે. ‘ઈંટાળા’માં ઈંટાળાના પ્રતીકથી સમાજવ્યવસ્થામાં બાધારૂપ થનારા લોકોની ચિંતા વ્યક્ત થઈ છે. ‘ફૂટપાથ અને તળાઈ’ વચ્ચેનું અંતર આ કવિને વ્યથિત કરે છે. કવિની માનવ તરીકેની ઊર્ધ્વીકરણની ભાવના જ અસુન્દરને ચાહીને સુન્દર બનાવવાના એમના અભિગમમાં પ્રગટ થાય છે. ‘કોણ ?’, ‘એક સવારે’ જેવી રચનાઓે કવિનું અગોચર તત્વ પ્રતિનું આકર્ષણ પ્રગટ કરે છે. કવિ પથ્થરની મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં પ્રતીત થતા શ્રદ્ધાના આસનને નમવાનું પસંદ કરે છે. ‘પુલના થાંભલાઓ’, ‘દ્રૌપદી’ જેવી દીર્ઘ કાવ્યરચનાઓ પણ ઉલ્લેખનીય છે. બીજી બાજુ પ્રણયની તીવ્ર અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત કરતી કવિતા, મુક્તકો, સૉનેટો, ગીતો અને અન્ય અનેક છંદોબદ્ધ સ્વરૂપોમાં મળે છે. સમાજના સંદર્ભમાં તે ‘ઘણ ઉઠાવ’ની વાત કરે છે અને ‘બક્ષિસ’ જેવી રચનામાં કલાકારની કલા પરત્વેની સમર્પિતતા અને આનંદસમાધિ વ્યક્ત થાય છે. ‘રંગ રંગ વાદળિયાં’ તેમનો લોકપ્રિય બાલકાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ તેમને ગુજરાતી બાલકવિતાના અગ્રણી કવિ ઠેરવે છે. ‘રંગ રંગ વાદળિયાં’ પછી તેમના અનેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહાયેલાં બાલકાવ્યો તથા અમુદ્રિત બાલકાવ્યો ‘સુન્દરમની સમગ્ર બાલકવિતા’ (ભાગ 1-5) (ઈ. સ. 2005/2007)માં મળે છે. બાળકોને આસ્વાદ્ય એવી ઘણી બધી ભાવસામગ્રી એમાં અવનવી રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં અંકશિક્ષણ ને અક્ષરશિક્ષણથી માંડીને બાળલીલા, પ્રકૃતિલીલા સાથેના વિવિધ સંબંધોને બાલભોગ્ય રીતે રજૂ કરતાં જોડકણાંથી માંડીને પ્રાર્થનાકાવ્યો સુધીનાં વિવિધ સ્વરૂપોવાળી નાનીમોટી લગભગ ચારસો ઉપરાંત કાવ્યરચનાઓ મળે છે. શ્રી અરવિંદ શ્રી માતાજીને અનુલક્ષતી, નાનાં-મોટાં સૌને આસ્વાદવી ગમે તેવી કવિતા પણ સુન્દરમનું એક ગણનાપાત્ર અર્પણ છે.

સુન્દરમ્ 1945માં પુદુચેરી (પોંડિચેરી) કાયમી નિવાસ અર્થે ગયા. આનો ગાઢ પ્રભાવ તેમના ‘યાત્રા’ (1951) સંગ્રહ પર જોવા મળે છે. ધ્રુવપદની શોધ કરતા આ કવિને અહીં ધ્રુવપદ મળે છે. ‘મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં, મૈં તો ચુપ ચુપ ચાહ રહી’ની ભાવભક્તિની સર્વોચ્ચ ભૂમિકાએ કવિ પહોંચે છે. સુન્દરમની કવિતામાં મુખ્ય બે પાસાં જોઈ શકાય છે : એક, સમાજની વાસ્તવિકતાના અવલોકન-આલેખનવાળું અને બીજું, શ્રી અરવિંદવિચાર-પ્રેરિત પરમતત્વ તરફની ગતિ દાખવતી આધ્યાત્મિક ભૂમિકાના અનુભવદર્શનવાળું. આ સંગ્રહમાં આધ્યાત્મિકતાનો અંશ માતબર માત્રામાં છે. કોયા ભગતના નિમિત્તે જે કવિએ ઈશ્વરને જતાં રહેવાનું કહેલું તે કવિને અહીં શ્રી અરવિંદ માતાજીના મધુમય કોમળ ચરણોમાં ધ્રુવપદ લાધે છે અને સમર્પિત-ભાવે શાંતિનો અનુભવ કરે છે. વાસ્તવસૃષ્ટિમાંથી કવિ ઉત્ક્રાન્તિ પામી આધ્યાત્મિક ભાવસૃષ્ટિમાં સ્થિર થાય છે. હવે – એ અધ્યાત્મસૃષ્ટિ જ એમની વાસ્તવસૃષ્ટિ બને છે અને વ્યક્તિ, જીવન અને જગતને જોવાની તેમની દૃષ્ટિમાં આવેલા પરિવર્તનની પણ પ્રતીતિ થાય છે. ‘નહિ છૂપે’ – જેવી એક પંક્તિની રચના છે તો ઘણી દીર્ઘરચનાઓ પણ છે. (જેમકે, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’.) ભાવ-ભાષાના અનેક સ્તરો અહીં પ્રાપ્ત થાય છે. ધર્માર્થ સ્ફુરતાં જેણે સીતાને ત્યજેલી તેવા ‘રાઘવનું હૃદય’ પોતાને મળે તેવી ઇચ્છા ધરાવતા આ કવિની ‘એક જ રટના’ છે, પરમતત્વ પોતાનામાં એનું ધામ રચી રહે. વળી એમનાં કાવ્યસ્વરૂપોનું ને કાવ્યગ્રંથોનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે : ‘વરદા’ (1990, 1998 બીજી આ.), ‘મુદિતા’ (1996), ‘ઉત્કંઠા’ (1992), ‘અનાગતા’ (1993), ‘લોકલીલા’ (1995, 2000 બીજી આ.), ‘ઈશ’ (1995), ‘પલ્લવિતા’ (1995), ‘મહાનદ’ (1995), ‘પ્રભુપદ’ (1997), ‘અગમનિગમા’ (1997), ‘પ્રિયાંકા’ (1997), ‘નિત્યશ્લોક’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999), ‘દક્ષિણા’ (ભાગ 1-2, 2002), ‘મનની મર્મર’ (2003), ‘ધ્રુવયાત્રા’ (2003), ‘ધ્રુવચિત્ત’ (2004), ‘ધ્રુવપદે’ (2004) શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ : 1, 2 અને 3 (2005, 2006), ‘મંગળા-માંગલિકા’ (2007) વગેરે તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. આમાં કવિની અડધી સદીની કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. ‘પુષ્પ થૈ આવીશ’, ‘કિસ સે પ્યાર’, ‘પ્રભુ દેજો’, ‘મુખ મોહન’, ‘રામ પ્યાલા’, ‘તું’, ‘હરિનાં હાટ’, ‘એક અચંબો’ – જેવી અનેક કૃતિઓમાં પ્રભુ-પ્રેમ, પ્રભુની સર્વવ્યાપકતા, પ્રભુપ્રાપ્તિનો આનંદ – આદિ વ્યક્ત થયાં છે. તો વ્યક્તિલક્ષી એટલે કે ગાંધીજી, શ્રી અરવિંદ, શ્રી માતાજી-વિષયક અને વતનપ્રેમની રચનાઓ પણ અનેક મળે છે. અનેક કાવ્યોમાં કવિની મનુષ્ય અને ભક્ત તરીકેની ખુમારી વ્યક્ત થઈ છે. તેઓ ‘કણ રે આપો’ કહે છે, વધુ માંગતા નથી. તેઓ પરમાત્માના બ્રહ્માંડમાંથી માત્ર એક નાના આંગણા જેટલી જગા જ વાંછે છે. તેમની કવિતામાં તેમની ધરાપ્રીતિ, જીવનપ્રીતિ, મનુષ્યપ્રીતિ સાથે જ આધ્યાત્મિકતાની અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત થઈ છે. એક ગરવા અને નરવા કવિમાં અપેક્ષિત સર્જનગત સચ્ચાઈ, સાત્વિકતા, સજાગતા, સર્જનાત્મક સ્ફૂર્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એમનામાં છે. તેમની કવિતામાં પ્રણયની મસ્તી છે, વેદના છે, ભક્તિની ભીનાશ છે, વાસ્તવની વિષમતાનું દર્દ છે અને ઊર્ધ્વગતિ માટેની મથામણ અને ભાવનાનાં ઉડ્ડયનો છે. કવિની કાવ્યયાત્રા ગુજરાતના નાનકડા ગામમાંથી શરૂ થઈ, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારથી પુષ્ટ થઈ, પુદુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સત્વશીલ અને સમૃદ્ધ બની સમગ્ર ગુજરાતી કવિતાને ને ભાષાને રળિયાત કરે છે. ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ [પુસ્તક 1-2(2005)-3(2007)]માં તેમના સાધક વ્યક્તિત્વનો સુપેરે પરિચય કરાવતી કાવ્યરચનાઓ છે. લૌકિકતામાંથી કવિની લોકોત્તરતા તરફની પ્ર-ગતિ સૌને સ્પર્શે પ્રેરે તે રીતે વ્યક્ત થઈ છે. પ્રારંભમાં કોયા ભગતના નિમિત્તે કટાક્ષ કરતા આ કવિ અંતે આધ્યાત્મિક સંવાદિતામાં પોતાની પરિણતિ સાધે છે. દેશની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માનતા આ કવિ ઉત્તરવયમાં આત્માની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માને છે. કવિની સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ એ રીતે રોમાંચક છે. શંકાનું સ્થાન શ્રદ્ધા લે છે. જીવનસંઘર્ષની વેદનાનું આધ્યાત્મિક સાધના દ્વારા સમાધાન અને શમન થાય છે. કવિની કવિતામાં વિષયવસ્તુ, ભાવ, ભાષા, છંદોલય વગેરેનું ભરપૂર વૈવિધ્ય છે. માત્રામેળ, અક્ષરમેળ અને સંખ્યામેળ આદિ વિવિધ પ્રકારના છંદો અને ઢાળો તેમણે સફળતાથી પ્રયોજી બતાવ્યા છે. મુક્તકથી માંડી દીર્ઘકાવ્યોકથા કાવ્યો સુધી તેમની સર્જકતાનો વ્યાપ રહ્યો છે. આમ કડવા અને આખાબોલા કોયા ભગતની; ‘ધ્રુવપદ’ના સાધક અને મૌનની વાણીના મર્મજ્ઞ કવિ-યોગીની યાત્રા એટલે સુન્દરમની તપોગિરિની આનંદમૂલક કાવ્યયાત્રા. સુન્દરમ્ એક ઉત્તમ ઊર્મિકવિ-ગીતકવિ અને બાલકાવ્યોના કવિ તરીકે સુપ્રતિષ્ઠિત છે.

ઉમાશંકર જોશીની જેમ સુન્દરમ્ સવ્યસાચી સર્જક છે. પદ્યની જેમ ગદ્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન મૂલ્યવાન છે. તે એક સારા વાર્તાકાર અને વિવેચક છે. સુન્દરમની ટૂંકી વાર્તાઓ ગાંધીવિચાર અને પ્રગતિવાદની ભૂમિકા પર રચાઈ છે. 1938માં ‘હીરાકણી અને બીજી વાતો’નું ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રકાશન થયું. આ ઉપરાંત ‘ખોલકી અને નાગરિકા’ (1939), ‘પિયાસી’ (1940), ‘ઉન્નયન’ (1945), ‘તારિણી’ (1977), ‘હુતાશણી અને બીજી વાતો’ અને લઘુ નવલકથા ‘પાવકના પંથે’ (1977) – એ તેમના અન્ય વાર્તાસંગ્રહો છે. જેમ કવિ તેમ વાર્તાકાર તરીકે પણ સુન્દરમ્ ઉચ્ચ સર્જકતા દાખવે છે. સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, 1931માં ‘લૂંટારા’ નામની વાર્તા તેમની પહેલી વાર્તા હતી. તેમની પાસેથી ઉપર્યુક્ત સંગ્રહ ઉપરાંત હજી કેટલીક અપ્રકટ વાર્તાઓ પણ છે. વાર્તાકલાનો કસબ તેમને સહજ છે છતાં તે સતત વાર્તાની અટપટી કલા વિશે સાશંક રહેલા છે. તેઓ સતત વિકસતા વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં પરંપરાનું અનુસંધાન છે તો ભાવસંવેદનાપ્રેરિત નૂતન પ્રયોગો કે અભિગમોનું નાવીન્ય પણ છે. વાસ્તવજીવનથી આરંભી આધ્યાત્મિક વાસ્તવિકતા સુધી તેઓ પહોંચે છે. તેમની સંવેદના અતિ-સૂક્ષ્મ છે, તેથી પાત્રના કે પ્રસંગના હાર્દ સુધી પહોંચી, પાત્રમાનસના અતિસૂક્ષ્મ સંચલનોને પ્રસંગ અને વાતાવરણસહિત સચોટ રીતે નિરૂપી શકે છે. પાત્રની સંકુલ મન:સ્થિતિનું પણ તેઓ તાદૃશ નિરૂપણ કરે છે. ગ્રામીણ હોય કે શહેરી, નારીજીવનના સ્તરોને તેઓ પ્રત્યક્ષ કરાવી શક્યા છે. માનવમનની કે માનવસંબંધોની સંકુલતાનું તેઓ રસપ્રદ આલેખન કરે છે. તેમની પાત્રસૃષ્ટિ પણ વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરીબથી માંડી તવંગર, કામવાળીથી માંડી શેઠાણી, ગ્રામીણ નારીથી માંડી નાગરિકા કે વ્યવસાયવૈવિધ્યને વ્યક્ત કરતાં નાનાથી માંડી વૃદ્ધ સુધીનાં પાત્રોના મનોભાવો, પરિસ્થિતિઓ, પ્રસંગો કે સંવાદોનું ભાતીગળ ચિત્ર તેઓ રંગીન રીતે આંકી શક્યા છે. તેમની ‘પૂનમડી’, ‘ખોલકી’, ‘માને ખોળે’, ‘પની’, ‘નાગરિકા’, ‘માજાવેલાનું મૃત્યુ’, ‘પ્રસાદજીની બેચેની’ જેવી અનેક વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામી છે. તેમની આ વાર્તાઓમાં ‘મીન પિયાસી’ કે ‘ઊછરતાં છોરું’ અલગ ભાત પાડે છે. ‘તારિણી’ એક વિલક્ષણ ભાવસંબંધને વ્યક્ત કરતી વાર્તા છે. એમની વાર્તાઓમાં જાતીયજીવન – દાંપત્યજીવન – ગરીબાઈ છતાં ખાનદાની વગેરેનું કલાત્મક નિરૂપણ થયું છે. આ વાર્તાઓમાં તેમના ગદ્યસામર્થ્યનો પણ પરિચય થાય છે. તેમની વાર્તાઓમાં વાતાવરણ અને વર્ણનો એક વિશેષ રૂપે આવે છે. અલંકારો – કલ્પનાઓમાં તાજગી અનુભવાય છે. તેમની ઘણી વાર્તાઓના કથાનકો નાટ્યરૂપાંતર પામી શકે તેવી ક્ષમતાવાળાં છે. ટૂંકમાં, સુન્દરમ્ જેમ કવિ તરીકે તેમ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રભાવક રહ્યા છે.

જેમ સર્જકનું તેમ બીજું મહત્વનું પાસું સુન્દરમનું વિવેચક તરીકેનું છે. 1931ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની તેમણે બહુ તટસ્થતાપૂર્વક સમીક્ષા કરેલી. 1946માં તેમની પાસેથી ‘અર્વાચીન કવિતા’ નામે ગુજરાતી કવિતાની ઐતિહાસિક સમીક્ષાનો શ્રદ્ધેય ગ્રંથ મળે છે. સુન્દરમની ભાવયિત્રી પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર અહીં જોવા મળે છે. તેમાં તેમણે નર્મદદલપતથી શરૂ કરી, નાના-મોટા મળી લગભગ 350 જેટલા કવિઓની કવિતાકળાનું મૂલ્યાંકન કર્યું છે અને અનેક નોંધપાત્ર મૌલિક અભિપ્રાયો આપ્યા છે. ‘અવલોકના’ (1965) તેમનો બીજો મહત્વનો વિવેચનસંગ્રહ છે. આમાં તેમણે કરેલાં ગ્રંથાવલોકનો સંગૃહીત થયાં છે. એમની અવલોકન માટેની પુસ્તકોની પસંદગીનો વ્યાપ વિસ્તૃત છે. આ અવલોકનો તેમની સૌંદર્યદૃષ્ટિ અને વિવેચનશક્તિનો પરિચય આપી રહે છે. 1978માં તેમની પાસેથી ‘સાહિત્યચિંતન’, ‘સમર્ચના’ અને ‘સા વિદ્યા’ – એ ત્રણ ગ્રંથો મળે છે. તેમાંથી ‘સાહિત્યચિંતન’માં સાહિત્ય અંગેના તેમના ચિંતનલેખો છે, તો ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓના ચરિત્રને પ્રાધાન્ય આપતા લેખો છે. આ લેખોમાં દયારામ, દલપત, કલાપી આદિને તેમણે આપેલ અંજલિઓ છે, જે ઉષ્માસભર હોઈ આસ્વાદ્ય બની છે.

‘વાસંતી પૂર્ણિમા’ (1977) એ તેમનો નાટ્યસંગ્રહ છે. આમાંની મોટાભાગની રચનાઓ સ્ત્રીસંસ્થાઓ માટે લખાયેલ છે. એમાંનું ભાવવૈવિધ્ય ધ્યાનપાત્ર છે.

‘દક્ષિણાયન’ (1941) તેમના દક્ષિણ ભારતના પ્રવાસને વર્ણવતું પુસ્તક છે. તેમાં સ્થળ, સમાજ અને સંસ્કૃતિને લગતી વિપુલ માહિતી પણ તેઓ સાંકળતા ગયા છે. કેટલાક સુંદર વર્ણનાત્મક ગદ્યખંડોને લીધે આ પ્રવાસગ્રંથ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં નોંધપાત્ર રહ્યો છે.

આ ઉપરાંત ‘ચિદંબરા’ (1968) એમનો વિવિધ લેખોનો સંગ્રહ છે. અહીં લેખકનું ચિંતન ધ્યાનપાત્ર છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (1950) એ શ્રી અરવિંદનું નાનકડું પણ રસિક જીવનચરિત્ર છે.

અનુવાદક્ષેત્રે પણ સુન્દરમનું પ્રદાન નોંધપાત્ર છે. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’ (1940), શુદ્રકકૃત ‘મૃચ્છકટિક’ (1940), ‘સાવિત્રી’ (1956), ‘કાયાપલટ’ (1961), ‘પત્રાવલિ’ (1964), ‘સુંદર કથાઓ’ (1964), ‘જનતા અને જન’ (1965), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (1967), ‘ઐસી હૈ જિન્દગી’ (1974) અને અન્ય તેમના અનુવાદો છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (1948, અન્ય સાથે) એમનું સહસંપાદન છે.

વિશાળ સાહિત્યસર્જનની સાથે સાથે તેમણે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિયતા દાખવી છે. 1945થી તેઓ બુધસભા, મિજલસ, લેખકમિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન-સંચાલનમાં કાર્યરત હતા. 1954માં ચિદમ્બરમ્ ખાતે પી.ઇ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્ત થયેલા. 1967માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત; 1974માં વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી અરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અંતર્ગત અને 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સૂરતમાં શ્રી અરવિંદ વિશે તેમણે વ્યાખ્યાનો આપેલાં.

1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના અને 1969માં જૂનાગઢમાં સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ‘કાવ્યમંગલા’ નિમિત્તે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં ‘અર્વાચીન કવિતા’ માટે મહીડા પારિતોષિક, ‘યાત્રા’ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. 1969માં ‘અવલોકના’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળેલું. તા. 16-3-1985ના રોજ તેમને ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત થયેલો. તા. 2511990ના રોજ ગુજરાત સરકારે ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ આપી તેમનું સન્માન કરેલું.

શિશુભોગ્ય શબ્દથી માંડી શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર સુધી તેમની શબ્દલીલા વિસ્તરેલી છે. અનેક વિચારધારાઓને સાંકળતી તેમની કલમ અને તેમનું ચિત્ત છેવટે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણે ઠરે છે તથા સર્વત્ર શિવમ્ અને સુન્દરમ્નું દર્શન પામે છે. સર્જક સુન્દરમ્ જેમ જેમ સાધક સુન્દરમ્ બનતા જાય છે તેમ તેમ તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરીને પણ ઊંચે ઊઠતા જાય છે. સુન્દરમની સર્જક-પ્રતિભા અનેક સ્તરે સક્રિય રહી છે. ગાંધીયુગના જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના, મોટા ગજાના કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.