વિનોદ જોશીનાં કાવ્યો/વિનોદ જોશીની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનોદ જોશીની કવિતા


ઉત્પલ પટેલ

ગીત તો, પ્રાગ્-નરસિંહયુગની કવિતાથી ગુજરાતી કવિતામાં રચાતું ને ગવાતું આવ્યું છે. વિષય ભલે ભક્તિ કે અધ્યાત્મનો હોય, ભલે તે પદ, પ્રભાતિયું, કાફી, ગરબી કે અન્ય નામે સમયે સમયે ઓળખાતું આવ્યું હોય પણ હતું તો તે ગીત જ. મધ્યકાલીન ગુજરાતી પદો અને લોકગીતો વર્ષો સુધી એકબીજાને ઘડતાં ચાલ્યાં ને એમાંથી ગીતનું ભાવમંડિત કલેવર ધડાઈ આવ્યું. અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભથી નવાં બળોને નિરૂપવા દલપત-નર્મદે ગીતના સ્વરૂપને અજમાવ્યું ને એમ ગુજરાતી ગીત વિકસતું ચાલ્યું. ત્યારથી તે આજ સુધી તે માત્ર જીવંત જ નથી રહ્યું, જુવાન રહ્યું છે, એની યૌવનશ્રી ખીલતી રહી છે. પ્રાચીનકાળથી ગુજરાતી સાહિત્ય ગીતથી ધબકી રહ્યું છે. અનેક કંઠો, કવિકલમો દ્વારા ગુજરાતી ગીત શણગારાતું રહ્યું, સંવારાતું રહ્યું, વિધ વિધ રીતે ખૂલતું ને ખીલતું રહ્યું. ગુજરાતીમાં દરેક જમાનાને એનું રસસિદ્ધ ગીત મળતું રહ્યું છે. એટલે ગીતકવિ તરીકે આપણે રમેશ પારેખને વખાણીએ, અનિલ જોશીના ગીતકાર લેખે ગુણ ગાઈએ કે વિનોદ જોશીની ગીતકવિતા પર વારી જઈએ; પણ ખરી વાત એ છે કે એમની પ્રતિભાને પ્રગટાવવા, ઉછેરવા, શણગારવા ને ઉન્નત કરવામાં સદીઓથી રચાતી, ગવાતી અને પ્રસારતી આવતી ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધ વિરાસતની મોટી ભૂમિકા રહી છે. રમેશ પારેખે સોરઠની સમૃદ્ધ લોકકવિતા અને આપણી શિષ્ટ સાહિત્યિક ગીતકવિતાના વારસાને ભલે અભાન રીતે પણ પચાવ્યાં ન હોત તો તેમની કલમે આટલી કળાયેલ ગીતકવિતા ભાગ્યે જ અવતરી હોત! વળી, વિનોદ જોશીને તો રમેશ પારેખની ગીતકવિતાનો વારસો મળ્યો. વધારામાં તેઓ ગુજરાતી સાહિત્યને ભણ્યા ને સમયાંતરે હિન્દના અને વિશ્વના કવિઓની કવિતા વાંચતા થયા. એક અધ્યાપક લેખે તો ગુજરાતી કવિતા એમને ભણાવવાની આવી. એથી ગીતકવિતાના અભ્યાસ-અધ્યયનમાં ઊંડા ઊતરતા ગયા. એ રીતે આપણી ગુજરાતી ગીતકવિતાને તેના વારસાસંદર્ભે તેમણે તોલી-મૂલવી જોઈ હોય. એમાં ગોહિલવાડની ભૂમિ-પ્રકૃતિ, લોકજીવન અને બોલીના સંસ્કારની સમૃદ્ધિ ભળી હશે, પિતૃદત્ત-માતૃદત્ત સંસ્કારો લેખે લાગ્યા હશે, સામ્પ્રત પરિબળોમાંથી ય બળ મળ્યું હશે અને કવિ થવાની ઇચ્છાશક્તિએ પણ ભાગ ભજવ્યો હશે – આ બધાનો ફાળો તેમને ગીતકવિ તરીકે પ્રગટાવવામાં લેખે લાગ્યો છે. ક્યારેક તો અભાનપણે પણ કવિ ઘડાતો જતો હોય છે. આ બધી આપણે શક્યતાઓની વાત કરી, પણ હકીકત એ છે કે વિનોદ જોશી કવિ છે અને ગુજરાતી કવિતામાં ને વિશેષતઃ ગીતકવિતામાં તેમનો સિક્કો બરાબર ચાલ્યો છે. વિનોદ જોશીની પહેલી વિશેષતા, ભાવકપ્રિયતા અને પ્રસિદ્ધિ તે ગીતકવિ લેખેની છે. એ ઉપરાંત તેમની કવિપ્રતિભા ગુજરાતી કવિતામાં વિધ વિધ ક્ષેત્રે પ્રવર્તેલી છે, પ્રવર્તી રહી છે. કવિ વિનોદ જોશીના ગીતોમાંથી પસાર થતાં લાગે છે કે તેઓ એમના સમકાલીન ગીતકવિઓ કરતાં સંકુલ ભાવોના આલેખનમાં એવી રીતે પ્રગટે છે કે ભાવક ભાવને તો પ્રમાણે પણ એની સમજૂતી આપવા એને થોડુંક ઝૂઝવું પડે એમ છે. વળી, બીજી છાપ એમનાં ગીતોની એ પડે છે કે ગુજરાતી ન જાણતો ભાવક પણ ગીતોનું સહી પઠન સાંભળે તો ડોલ્યા વિના એ રહે નહિ. એટલે કે એવા ભાવક પર પણ કવિના ગીતના નાદલયની અસર તો તત્કાળ થઈ રહે છે.

પટેલ-પટલાણી’ ગીતનો ઉપાડ જોઈએ :
પીથલપુરમાં પટેલિયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
ઉગમણું ઘર અવાવરુ આથમણું ઝાકઝમાળ કે માગે માદળિયું
પટેલ કોરો ઓરસિયો પટલાણી ચંદનડાળ કે માગે માદળિયું

ગુજરાતી ભાષાના નાદલયસૌંદર્યની આવી રવાની પ્રમાણમાં ઓછા ગુજરાતી ગીતકવિઓમાં જોવા મળશે. વિનોદ જોશીના ગીતોમાં વિવિધ શબ્દનાદનાં મોજાંની જે મસ્તીલી ૨વાની વરતાય છે તેને ગુજરાતી ગીતકવિતામાં વિરલ કહેવી પડે તેમ છે.

‘ધચ્ચ દઈ’ ગીતનું એક ઉદાહરણ લઈએ :
ઝીણું ઝીણું દળાય જાડું જાડું ચળાય,
ભીનું ભીનું મળાય ઝાંખું ઝાંખું કળાય;
મને ઝાલી લે ઝાલ, મને ઝીલી લે હાલ્ય,
હું તો ઓળઘોળ આજ, હતી ગોળગોળ કાલ્ય.

નાયિકા કપાસના છોડ પર ઘચ્ચ દઈને જેવો દાતરડાનો ઘસરકો કરે છે એવો જ એમાંથી એને પાનેતરનો તાંતણો ફૂટેલો દેખાય છે. જોઈ કવિની કલ્પના!? આ છે નાયિકાનો આભાસ, તેની પરણવાના કોડની અભિવ્યક્તિ. તેના ફાટ ફાટ યૌવનનો અહેસાસ, સાસરિયે જવાનો ઓરિયો અને તે માટેની અધીરતા. આ આનંદમય અધીરતા પ્રગટાવવામાં કવિની શબ્દપસંદગી, પ્રાસયોજના અને ક્રિયાત્મકતા વડે જે નાદલય રચાય છે તેની વિશેષ ભૂમિકા છે.

‘સખી! હું સોળ વરસની થઈ...’ ગીતને જોઈએ :
પોઢણ દીધાં મલમલનાં
ને નીંદર દીધી નંઈ,
સખી! હું સોળ વરસની થઈ.

ગુજરાતી લોકગીતની એક રીતિ સંબોધનની છે. આવી સંબોધનશૈલી મધ્યકાલીન ભક્તિપદોમાં પણ આવે છે. એનો લાભ ઉપરોક્ત પંક્તિઓમાં અભાનપણે લેવાયો છે. મલમલનાં પોઢણ હોય ને તો યે નીંદર માટે તરસવું-તડપવું પડે તે કેવું? સોળ વરસની વયે યૌવનાનુભૂતિની જે મખમલી પીડા ને રંગીન મૂંઝવણ થાય એની અભિવ્યક્તિ અહીં લાઘવથી થઈ છે. ષોડશી યૌવનાની મનઃસ્થિતિ અહીં ખૂબ જ ઓછા શબ્દોમાં લાઘવથી આલેખાઈ છે. ગુજરાતી સુંદરીની જેમ ગુજરાતી ગીત પણ પોષાક-ઘરેણાંની ઝાકઝમાળની તુલનાએ વિશેષે કરીને અંગસૌંદર્ય, ‘ફિટનેસ’ અને અદાને વિકસાવતું જાય છે. તે શરીરની સ્થૂળતાને ઘટાડતું જાય છે ને મોહક મરોડોને વધારતું જાય છે. એના પગમાં કડલાંનો ભાર નથી, ઝીણા ઝાંઝરનો ઝમકાર છે. નારીના માંસલ ભાવોની વિવિધ મુદ્રાઓને આ ગીત ઝીલી બતાવે છે. નારીનું અંગસૌંદર્ય પણ ભાવસૌંદર્યને પોષક બને એ રીતે વર્ણવાય છે. આવાં નાદમસ્ત મધુર ગીતોના કવિ વિનોદ જોશી છે. તેઓ શબ્દો થકી ભાવનકશી કરી આપે છે. ચિત્ર જીવંત તો ત્યારે બને જ્યારે એમાં ‘ઝાંઝરનું ઝીણું તોફાન’ ભળે. કવિ ‘કાચી સોપારીનો કટ્ટકો’માં આલેખે છે તે જુઓ :

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
          એક ઝાંઝરનું ઝીણું તોફાન
          ઝાલજો રે... તમે ઝીલજો રે... એનાં મોંઘાં ગુમાન
          એક કાચી સોપારીનો...
વળી, ‘વચલી ફળીમાં’ –
          લીલા તે સાગનો ઢોલિયો રે!
          ઢોલિયાની પાંગતમાં,
          હેઈ..... ઢોલિયાની પાંગતમાં ટહુકે મઢેલ એક મોરલો રે,
          રંગમોરલો રે! રંગ ધોધમાર ચૂવે.
‘હાથે કરીને’ ગીતની નીચેની પંક્તિઓની પ્રાસભાત જોવા જેવી છે. રંગભીના વાતાવરણને પ્રત્યક્ષ કરવામાં એ લેખે લાગી છે, જુઓ :
મેંદીની ભાત હોય ઘાટી મધરાત હોય
                   અંજળની વાત હોય છાની,
સોનેરી સેજ હોય રૂપેરી ભેજ હોય
                   ભીતરમાં કેદ હોય વાણી.

મોજલડી, ઝાંઝર, સાગનો ઢોલિયો, મોરલો એ તમામ ભાવપ્રતીકોમાં ફેરવાઈ ભાવનું નાજુક આલેખન કરવામાં ભાગ ભજવે છે. કવિ પોતાના કથયિતવ્યને અસરકારકતાથી આલેખવામાં પ્રાસ પાસેથી કેવું કામ લે છે? તેને માટે ‘કારેલું... કારેલું’ ગીતનું ઉદાહરણ બસ થશે. ગીતમાં મૂકાયેલા આ પ્રાસ જુઓ : ‘કારેલું’, ‘વઘારેલું’, ‘ધારેલું’, ‘વારેલું’, ‘હારેલું’, ‘સારેલું’, ‘શણગારેલું’, ‘ભારેલું’ અને ‘ભંડારેલું’. એક જ શબ્દ ‘કારેલા’ સાથે આટલા બધા પ્રાસ! અને તે પ્રાસવૈભવ કેવળ પ્રાસ ખાતર નહિ પણ ભાવ વાસ્તે અભિવ્યક્ત થાય છે. મધ્યકાળમાં બધી વર્ણોને આવરી લેતો ઉત્પાદન-વ્યવસાય ખેતીનો હતો. તે ખેતીનિર્ભર વ્યવસાયને દર્શાવનારી વર્ણો કે જ્ઞાતિઓ તે વાણીડો, લુહાર, સુતાર, દરજી વગેરે. જો કે વાણીડા, પીંજારા, રંગારા મધ્યકાળમાં ખરા પણ તેમનાં હાટ નગરના બારમાં. લોકગીતની આ રીતિનો પોતાની રીતે વિનિયોગ કરીને કવિ ગીત રચે છે – ‘ખડકી ઉઘાડી હું તો’. પ્રસ્તુત ગીતમાં આધુનિક સંવેદનાને વ્યક્ત કરનારી પંક્તિ છે, ‘મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...’. હજી, એમાંની બે પંક્તિઓ જોઈએ :

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર.

આવું જૂના જમાનામાં પણ ચાલતું તો હશે, પણ એ સમયનો વાણીડો જરાક વળાકામાં હશે. પરંતુ એની એ આંખો પેલી વહોરવા આવેલ રૂપવતી જુવાનડીને તોલી તો જોતી હશે! આ ગીતની ખૂબી એ છે કે જૂનામાં રહી ગયેલું તે સૂક્ષ્મ અહીં પકડાયું છે. આમ, વાણીડો અને બજારમાં આવેલી યુવતીનો આપણા સમયનો વ્યવહાર આપણી સમક્ષ કાવ્યાત્મક વાણીમાં પ્રત્યક્ષ થયો છે. ‘કૂંચી આપો, બાઈજી!’માં ‘બાઈજી’ એટલે ગીતનાયિકા એવી નવોઢાની સાસુ. પરણીને આવેલી નવોઢાને એના મહિયરનું પૂર્વજીવન, એની નિર્દોષ મસ્તી, એની બાળરમતો, એનાં સગાં-સખી-સોબતીઓ, ઘર-શેરી-ગામ એવું એવું અંગત વિશ્વ પરણતાંની સાથે બધું લૂંટાઈ, અળપાઈ ગયું લાગે છે, જાણે સાસરીની મર્યાદામાં, લાજમાં. બાઈજીએ પોતાના મહિયરને જાણે ઝૂંટવી લીધું છે, એ પાછું મેળવી લેવાનો એનો ધખારો ‘કૂંચી આપો’, ‘ખડકી ખોલો’ અને ‘મારગ મેલો’ જેવા શબ્દોમાં વ્યક્ત થયો છે. પટારો, કંકુથાપા, મીંઢળ, ઘરચોળું, ઘરવખરી અને વડવાઈ આદિ લોકપ્રતીકો નવોઢાની મર્યાદાને, ગુલામીને દર્શાવી રહે છે. વળી ઉક્તિઓમાં જે નાટ્યાત્મકતા સધાય છે તે ઢાળપ્રાસ વડે બરાબર પ્રગટી છે એને લીધે ગીત બાજી મારી ગયું છે. ‘ઝાલર વાગે જૂઠડી’ એ ગીત લોકકથાનો ટેકો લઈને રચાયું છે. જૂના લોકભજનની ટેકની પંક્તિ જેવો તેનો ઢાળ વરતાય છે. ગીતમાં પીડાનું વહેણ છે. એની ટેકની પંક્તિની પંક્તિ તો કડી દર કડી પીડાના વહેણને વધારતું હોવાનો અહેસાસ આપે છે ને પીડાને ઘૂંટતી જાય છે. પ્રસ્તુત બંને ગીતો કવિનાં રઢિયાળાં ગીતો લેખે વખણાયેલાં-ગવાયેલાં છે. મધ્યકાલીન પદકવિતામાં કથાતત્ત્વ પણ આલેખન પામતું જોઈ શકાય છે. પણ વિનોદ જોશીનો ગીતકવિ લેખેનો વિશેષ એ છે કે તેઓ કથાતત્ત્વને વિનિયોજીને ગીતસ્વરૂપે ભાવની વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે છે ને તેથી ગીતમાં નાટ્યતત્ત્વનો પ્રવેશ પણ થાય છે. ‘ખડકી ઉઘાડી હું તો’, ‘કાચી સોપારીનો કટ્ટકો’, ‘વચલી ફળીમાં’ આદિમાં પણ કથાતત્ત્વ જોવા મળે છે. વિનોદ જોશીએ ભલે સંવેદના આધુનિક ગાઈ પણ એમાં આલેખ્યું છે જૂના જમાનાના જીવનને. દાતરડું, પાણિયારી, સીંચણ, બેડું, તળાવ, કૂવો, વેલો, વાડ, વેલડું, સોગઠાં, સાંબેલું વગેરે જૂના જીવનને સંભારી આપતાં આ સ્થળો અને સાધનો આધુનિક વેદનાને વ્યક્ત કરવા માટેનાં તે ભાવપ્રતીકો બની રહે છે. દા. ત.

સપનાનું સાંબેલુ લઈને ઉજાગરાને ખાંડું
                   (‘કચક્કડાની ચૂડી રે’)
વાદીડે કેમ કર્યાં મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!
                   (‘ઝેરી કાળોતરો’)
અજવાળે ઓઢું રે અમરત ઓરતા,
અંધારે કંઈ ભમ્મરિયા શણગાર,
                   (‘હું તો અડધી જાગું’)
ઓરાં એંધાણ એનાં આઘા મુકામ,
ધોધમાર નીંદરમાં ડૂબેલું ગામ.
                   (‘ઝાટકે રે...’)
સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો,
પાણિયારાં પડ્યાં ખાલી રે!
બેડાં લઈને હું તો હાલી રે...
ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
ભાદરવે ભમરાળી રે!
બેડાં લઈને હું તો હાલી રે...
                   (‘સાત હાથ સીંચણ’)

– અહીં શબ્દના પ્રચલિત અર્થથી જુદા અર્થો છે. તળપદ ભાષા વડે આધુનિક સંવેદના પ્રગટ કરી છે, ક્રિયાતત્ત્વ પણ અનુભવાતું રહે છે. કેટલાંક ગીતોમાં રતિરાગનું નિરૂપણ એવું તો પ્રચ્છન્ન, સાંકેતિક, આલંકારિક, પ્રતીકાત્મક તેમજ આકર્ષક અને હૃદયંગમ રૂપમાં થયું છે. એમાં મત્ત યૌવનાનું મૂર્ત, સુરેખ, રંગીન છતાં સંયત રૂપમાં હૃદ્ય આલેખન થતું પણ જોવા મળે છે. આપણાં લોકગીતોનાં શૃંગારઝંખાને વ્યક્ત કરતાં કલ્પનો કરતાં, સાવ જ નવાં કલ્પનોની તાજગી ધ્યાનાર્હ બની બેસે છે, જુઓ :

તું જરાક જો તો, અલી!
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી
ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી !:: (‘તું જરાક જો તો, અલી!’)

Template:Poem2open વિનોદ જોશીએ ઉપાડની પંક્તિ, ટેકની પંક્તિની કડીઓનું કલેવર અને પ્રાસયોજના બાબતે નવીન સંયોજન કરી ગીતરચના અને તેમાંની શબ્દાવલિને પણ કંઈક સંકુલ ને ક્લિષ્ટ બનાવી છે તે પણ તેમની લાક્ષણિકતા છે. ઢાળસંયોજના, નવી પદાવલિ વગેરેથી ગીતરચનામાં નવી દિશાઓ ખોલી છે એમ જરૂર કહી શકાય એમ છે. ગીતને અનેક ઘાટે ઘડનાર કવિ વિનોદ જોશીએ સૉનેટ અને બીજા કળાને ધોરણે ઊંચાં ઠરે એવા છંદોબદ્ધ કાવ્યોય તેમણે રચ્યાં છે. ગીતમાં જ ન રહેવું, નવું પણ કરવું એવા વિચારથી તેઓ વૃત્તબદ્ધ કાવ્યરચના તરફ પણ વળ્યા છે. પ્રથમ લઈએ સૉનેટ ‘ECSTASY’. એમાં કવિએ આનંદઉછાળ, અત્યાનંદનું પ્રબળ નિરૂપણ કર્યું છે. એ સૉનેટના પૃથ્વી છંદનું બળ જુઓ :

ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.

પૃથ્વીમાં આલેખેલ પ્રસ્તુત સૉનેટમાં ચિત્રાત્મક અને નાદવાહી શબ્દાવલિથી જે Force સર્જ્યો છે તે એવો જ અંત સુધી, ચૌદમી પંક્તિ સુધી ટકે છે. અહીં સુન્દરમ્નો પૃથ્વી પણ યાદ આવશે. ‘એક અનુભૂતિ-કાવ્યસર્જનની’, ‘ભ્રૂણ’, ‘સિસૃક્ષા’, ‘હવા’ અને ‘બપોર’ જેવાં સૉનેટમાં પણ ઠીક ઠીક અંશે એ જ સફળતા જોઈ શકાશે. કવિ વિનોદ જોશીએ આધુનિક અને અનુઆધુનિક સંવેદનાને પણ ગઝલમાં એટલા જ બળથી વ્યક્ત કરી છે. ‘મનાઈ છે’ અને ‘પત્ર’માં ગઝલનો વિનોદાઈ મિજાજ દેખાય છે. ગાવામાં કે કથનમાં ક્યાંય ખાચખૂંચ ન લાગે એવા ધારદાર સોરઠાને કવિએ પ્રયોજી જાણ્યા છે. ભાવની સાથે વ્યંગ્યને સંયોજવામાં કવિને પ્રસ્તુત પદ્યરચના લેખે લાગી છે.

‘પ્રેયસીનું VISION અનુભવ્યાનો સાર’ને જુઓ :
વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ,
રાતે આવ્યો તાવ હૈયું ગણગણગોશલો.

એમાં ‘યાદનો બરો મૂતર્યો’ની સાથે ‘બાપ’ સંબોધન મૂકીને યાદની તીવ્રતાને ધારી અસરકારકતાથી વ્યક્ત કરી છે. સોરઠાની મસ્તીની અનુભૂતિ માટે ‘મરતાં મરતાં આટલું’ કાવ્યની બે પંક્તિઓ લઈએ :

તેં તસતસતાં કાપડે ટાંકી પૂનમરાત,
મારો વજ્જર હાથ ચાંદો ગોતે ચેહમાં.

વાત તો પીડાની છે, તેને આલેખી છે સોરઠા અને મસ્તીભરી શબ્દાવલિના માધ્યમે. વિનોદ જોશીને રહી રહીને થતું હતું કે હવે કંઈ નવું કરવું જોઈએ. કવિના શબ્દોનો આધાર લઈને આપણે કહી શકીએ ‘ભાષામાં કળાનું ઋત પૂર્ણદલ’ પ્રગટી ઊઠે એ દિશામાં મથામણ તો હતી. જો કે એ બાબતે શંકા પણ હતી જ, પણ ઉધામા ન છોડ્યા કવિએ. તેમનાં ગીતો અને વૃત્તબદ્ધ કાવ્યોમાંયે કથનનું તત્ત્વ તો આવતું હતું. પણ જાણે કે કવિને એમાં પૂર્ણતયા પ્રગટવાનો અવકાશ કમ પડતો હતો. એટલે લાંબી મથામણને અંતે તેઓ કથાતત્ત્વવાળાં દીર્ઘકાવ્યો તરફ વળ્યા. એવાં ત્રણ કાવ્યો લખાયાં. આ યશસ્વી કાવ્યોનો રચનાસમયનો ગાળો રહ્યો ૧૯૮૫થી ૨૦૧૮ સુધીનો. બે દાયકા ઉપર સમય તો ગયો. પરંતુ એમાં કવિએ કથાને લઈને માત્રા અને સંસ્કૃત વૃત્તોના પદ્યમાધ્યમે ત્રણ યાદગાર કૃતિઓ આપી. ૧૯૮૫માં ‘શિખંડી’, ૧૯૮૭માં ‘તુણ્ડિલ તુણ્ડિકા’ અને ઠીક સમયના અંતરાલ બાદ ૨૦૧૮માં ‘સૈરન્ધ્રી’. અહીં કવિની કવિતાનું મહત્ત્વનું સ્થિત્યંતર જોવા મળે છે. ‘આ સ્થિત્યંતર લૌકિક ભાવજગતથી પૌરાણિક કથાજગત, ઊર્મિકવિતાથી દીર્ઘ કથનાત્મક કવિતા, તળપદી ભાષાથી તત્સમ અને ગીતલયથી વૃત્તલય એમ ચતુર્વિધ દિશાનું છે.’ ‘તુણ્ડિલ-તણ્ડિકા’ એ પ્રેમકથાને તો કવિએ પદ્યવાર્તા લેખે આલેખી છે. એનું વસ્તુ પદ્યવાર્તાઓમાં, ખાસ કરીને શામળની પદ્યવાર્તાઓમાં હોય છે તેને મળતું છે. પ્રાચીન લોકવાર્તાનું કહી શકાય. તેમ છતાં આ નવી પદ્યવાર્તા જૂની પદ્યવાર્તાની ઠેકડી ઉડાવે છે. રાજા તુણ્ડિકાનો ત્યાગ કરે છે ને પછી તેના વિરહમાં તેની જે સ્થિતિ થાય છે તે કરુણાને બદલે હાસ્ય પેદા કરે છે. આ પદ્યવાર્તાના પદ્યદેહમાં હિન્દી પંક્તિખંડો, ફિલ્મી ગીતના શબ્દો એ રીતે ભેળવવામાં આવ્યા છે કે તેથી છંદની છટા તો રહે ને વળી હાસ્ય ય નીપજે એ લટકામાં. ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’ માટે વસ્તુતત્ત્વ પરત્વે કવિએ મહાભારતનો આધાર લીધો છે. ‘શિખંડી’માં પૂર્વ અવતારે અંબા છે તે શિખંડી અને મહાભારત મહત્ત્વનું પાત્ર ભીષ્મ અને ‘સૈરન્ધ્રી’માં સૈરન્ધ્રી અર્થાત્ દ્રૌપદી – એ પાત્રોની રેખાઓમાં થોડો પણ મહત્ત્વનો ફેરફાર કવિએ કર્યો છે. કવિએ આ પાત્રોને વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂકીને તેમનાં મનોસંચલનોને આલેખ્યાં છે. પાત્રો તો પૌરાણિક છે, તેમ છતાં તેમને કવિએ આધુનિક સંવેદના અને જીવનસત્યનું માધ્યમ બનાવ્યાં છે. કવિએ પોતાની પ્રતિભાબળે આ પાત્રોને જીવંત બનાવ્યાં છે. સ્ત્રીની આપ-ઓળખનો પ્રશ્ન જેમ ‘સૈરન્ધ્રી’ના કેન્દ્રમાં છે, તેમ પૂર્ણ-ઓળખ માટેનો પુરુષનો પ્રશ્ન ભીષ્મના પાત્ર સંદર્ભે ‘શિખંડી’ના કેન્દ્રમાં છે. ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં પાત્રોની મૂળ રેખાઓ મહાભારતમાં રહેલી છે છતાં ‘શિખંડી’ માટે વૃત્તબદ્ધ અને તેમાંયે સંસ્કૃત વૃત્તો લેખે લાગ્યાં અને ‘સૈરન્ધ્રી’ માટે દુહાચોપાઈનો પદ્યદેહ કામ લાગ્યો. ‘શિખંડી’માં તત્સમ શબ્દો થોડા અઘરા લાગે છે, પણ ‘સૈરન્ધ્રી’માં હાથવગા-વ્યાપારવાન તત્સમ શબ્દો નિરૂપાયા છે, એથી તેમાં વિશદતાનું તત્ત્વ ભળ્યું છે. સાત સર્ગના ‘સૈરન્ધ્રી’ કાવ્યમાં સૈરન્ધ્રી વિકસે છે તે મુખ્યત્વે તેના મહાભારત આલેખિત પાત્રત્વને લીધે નહિ, પણ કવિ વિનોદ જોશીની પ્રતિભાને બળે વિકસે છે. સરવાળે કહી શકાય કે પ્રસ્તુત ત્રણે કથાત્મક કૃતિઓ માટે કવિએ પદ્યદેહ ઘડીને જે ભોંય ભાગી છે તે આપણા જમાનાના કવિઓ માટે કવિતાનું નવું ક્ષેત્ર ખોલી આપે છે. વિનોદ જોશીએ આ ત્રણે કૃતિઓના સ્વરૂપલક્ષણો જાળવીને તેમની અભિવ્યક્તિના નિર્વહણ માટેનો ઉચિત પદ્યદેહ ઘડ્યો છે.