વિશ્વપરિચય/પરમાણુલોક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમાણુલોક

આપણે સજીવ દેહ કેટલીક બોધશક્તિ લઈને જન્મેલો છે, જેમ કે જોવાનો બોધ, સાંભળવાનો બોધ, સૂંઘવાનો બોધ, સ્વાદનો બોધ, સ્પર્શ ને બોધ. આ બધાને આપણે અનુભવ કહીએ છીએ. એની સાથે આપણા ગમા અણગમા અને આપણાં સુખદુ:ખ જડાયેલાં છે. આપણી આ બધા અનુભવોની મર્યાદા બહુ મોટી નથી, આપણે જોઈજોઈને કેટલે દૂર જોઈ શકીએ છીએ. સાંભળી સાંભળીને કેટલો અવાજ સાંભળી શકીએ છીએ! બીજા અનુભવો પણ બહુ દૂર જઈ શકતા નથી. એનો અર્થ એ કે આપણે જેટલી અનુભવશક્તિની પૂંજી લઈને આવ્યા છીએ તે કેવળ આ પૃથ્વીમાં જ આપણા પ્રાણ બચાવીને ચાલવા પૂરતી છે. થોડી વધારાની રહે છે. તેને લીધે જ આપણે પશુકોટિમાંથી માનવકોટિમાં પહોંચી શકીએ છીએ, જે તારામાંથી આ પૃથ્વી જન્મેલી છે, જેનો પ્રકાશ એના પ્રાણનું પાલન કરે છે, તે સૂર્ય છે. એ સૂર્યે આપણી ચારે બાજુએ પ્રકાશનો પડદો ટાંગી દીધેલો છે. પૃથ્વી ઉપરાંત જગતમાં બીજુ જે કંઈ છે તે જોવા દેતો નથી. પરંતુ દિવસ પૂરો થાય છે, સૂર્ય આથમી જાય છે, પ્રકાશનું ઢાંકણ ખસી જાય છે, ત્યારે અંધકારને છાઈ દેતા અસંખ્ય તારાઓ પ્રગટી નીકળે છે. ત્યારે આપણને સમજાય છે કે જગતની સીમા પૃથ્વીની પાર ઘણે દૂર સુધી વિસ્તરેલી છે. પણ તે કેટલે દૂર સુધી તે કેવળ અનુભવ દ્વારા જાણી શકાતું નથી. એ અંતરની સાથે આપણો એક માત્ર સંબંધ આંખથી જોવા દ્વારા છે. ત્યાંથી અવાજ આવતો નથી, કારણ અવાજ હવા મારફતે સમજાય છે. એ હવા ચાદરની પેઠે જ પૃથ્વીને વીંટળાઈ રહેલી છે. એ હવા પૃથ્વીમાં જ અવાજ ઉત્પન્ન કરે છે. અને અવાજનાં મોજાં ચાલે છે. પૃથ્વીની બહાર ગંધ અને સ્વાદનો કંઈ અર્થ જ નથી. આપણે સ્પર્શના બોધની સાથે આપણો બીજે એક બોધ રહેલ છે તે ઠંડા અને ગરમના બોધને. પૃથ્વીની બહારની વસ્તુઓ સાથે આપણા એ બોધ કમમાં કમ એક જગ્યાએ તો ખૂબ સંબંધ છે. સૂર્યમાંથી તડકે આવે છે, તડકામાંથી ગરમી આવે છે. એ ગરમીથી આપણા પ્રાણ ટકી રહે છે. સૂર્ય કરતાં લાખેગણા ગરમ તારાઓ છે, તેમનો તાપ આપણા અનુભવ સુધી પહોંચતો નથી. પણ સૂર્યને કંઈ આપણે પરાયો કહી શકીએ એમ નથી. બીજા જે બધા અસંખ્ય તારાઓનું આ વિશ્વબ્રહ્માંડ બનેલું છે, તે બધામાં સૂર્ય આપણી સૌથી વધુ નિકટનો છે. તો પશુ આપણે કબૂલ કરવું જોઈએ કે સૂર્ય પૃથ્વીથી દૂર છે. ઓછો દૂર નથી, લગભગ નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂર છે. સાંભળીને ચમકી ઊઠશો એ નહિ ચાલે. જે બ્રહ્માંડમાં આપણે વસીએ છીએ ત્યાં એટલું અંતર તારાઓમાં સૌથી ઓછામાં ઓછું છે. કેઈ પણ તારે એના કરતાં પૃથ્વીની પાસે નથી. આવાં મોટાં અંતરની વાત સાંભળી આપણું મન ચમકી ઊઠે છે તેનું કારણ એ છે કે જળ અને માટીનો બનેલો આ પિંડો, આ પૃથ્વી, ખૂબ નાની છે. પૃથ્વીની લાંબામાં લાંબી લીટી એટલે કે તેની વિષુવ રેખાનો કંદોરો જો આપણે ફરી આવીએ તો લગભગ પચ્ચીસ હજાર માઈલ માત્ર થાય. વિશ્વને પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ તમે જોઈ શકશો કે જગતના કદ અને અંતરની યાદીમાં આ પચીસ હજારનો આંકડો તદ્દન નજીવો છે. પહેલાં જ મેં કહ્યું છે કે આપણી બોધ શક્તિની સીમા બહુ નાની છે. હંમેશાં જેટલા અંતરથી આપણને કારભાર કરવો પડે છે તે કેટલું ઓછું છે! એ સામાન્ય અંતરની અંદર જ આપણી નજર અને આપણી હેરફેર મર્યાદિત છે. Mind is infinite senses are finite. પરંતુ પડદો જ્યારે ઊપડી જાય છે, ત્યારે આપણા અનુભવની સામાન્ય સીમાની અંદર જ વિશાળ વિશ્વ પોતાને અત્યંત નાનું બનાવી દઈ ને સહેજ આભાસથી પોતાને પ્રગટ કરે છે, તેમ જો ન હોત તો આપણે જાણતા જ નહિ, કારણ મોટું જોવાની આંખ આપણને નથી. બીજા જીવજંતુઓએ એટલું જોવાનું જ કબૂલી લીધું. જેટલું તેમના અનુભવમાં સમાયું તેટલાથી જ તેમણે સંતોષ માન્યો. માણસે ન માન્યો. ઈન્દ્રિયના અનુભવ દ્વારા તો વસ્તુનો સહેજ ઇશારો માત્ર મળ્યો. પરંતુ માણસની બુદ્ધિની પહોંચ તેની બોધશક્તિ કરતાં અનેકગણી વધારે છે, જગતની બધી ગતિઓ સાથે તે હરીફાઈ કરવાની હિંમત કરે છે. તે આ વિશાળજગતના વિશાળ માપનો પત્તો મેળવવા બહાર પડી, અનુભવની બાળભુલામણી વાતને તેણે બાતલ ગણી કાઢી. નવ કરોડ ત્રીસ લાખ માઈલને આપણે કોઈ પણ રીતે અનુભવી શકતા નથી, પરંતુ બુદ્ધિ હારી ન ગઈ. તે હિસાબ ગણવા બેઠી. બહારના વિશ્વની વાત રહેવા દઈ એ, આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, તેના કરતાં પાસે તે બીજું કંઈ છે જ નહિ, તો પણ એને પણ આખે આખી એક–સ્વરૂપે જોવી જો આપણને માટે અસંભવિત છે. પરંતુ એક નાના પૃથ્વીના ગોળા ઉપર જો તેનો નકશો આંકેલો જોઈએ, તે આખી પૃથ્વીને જાણવાની સહેજ શરૂઆત થાય. કદને હિસાબે ગોળો પૃથ્વીના અનેક હજાર ભાગમાંને એક ભાગ માત્ર છે. આપણે બીજા બધા બોલોને જતા કરી કેવળ માત્ર દષ્ટિદ્વારા મળતો પરિચય જ એમાં રહેલો છે. વિસ્તૃત વિવરણ તરીકે એ તદ્દન ખાલી છે. વધારે જોવાની આપણામાં શક્તિ નથી એટલે જ પૃથ્વીને નાની કરીને બતાવવી પડે છે. દરરોજ રાત્રે વિશ્વને જે નાનું કરીને બતાવવામાં આવે છે, તે પણ આપણા માથા ઉપરના આકાશના ગોળામાં. દૃષ્ટિના બોધ સિવાય બીજો કોઈ પણ બોધ એમાં સ્થાન પામતો નથી. જેનો વિચાર કરતાં પણ મન આશ્ચર્યમૂઢ બની જાય છે એવડી મોટી . વસ્તુને દિશાઓની સીમામાં બંધાયેલા આ જરા જેટલા આકાશમાં આપણી આગળ ધરવામાં આવે છે. કેટલું બધું નાનું બનાવીને એ રજૂ કરવામાં આવ્યું છે તેનો સહેજ ખ્યાલ મેળવવો હોય તે સૂર્યનું દૃષ્ટાંત યાદ કરવું. સ્વાભાવિક રીતે જ આપણે જે બધી મોટી વસ્તુઓને જાણીએ છીએ અથવા ક૯પી શકીએ છીએ તેમાં સૌથી મોટી આ પૃથ્વી છે. એને આપણે ટુકડા ટુકડા પાડીને જ જોઈ શકીએ છીએ. એકી સાથે આખી પૃથ્વીનો સાચો ખ્યાલ મેળવવો આપણને માટે અસંભવિત છે. આમ છતાં સૂર્ય એ પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે, આવડો મોટો સૂર્ય આકાશના એક ખૂણામાં આપણને એક સોનાની થાળી જેવો દેખાય છે. સૂર્યની અંદર ચાલતી બધી જબરદસ્ત ઊથલપાથલની જ્યારે આપણને ખબર પડે છે અને ત્યારપછી જ્યારે જોઈએ છીએ કે આપણા આંબાવાડિયાની પાછળથી સોનાનો ગોળો ધીરે ધીરે ઊંચો ચડતો જાય છે, જીવજંતુ, ઝાડ પાને આનંદિત બની જાય છે, ત્યારે આપણા મનમાં વિચાર આવે છે કે આપણને કેવા ભોળવી રાખવામાં આવ્યા છે; આપણને કહી દેવામાં આવ્યું છે કે તમારા જીવનના કામ માટે એથી વધારે જાણવાની કશી જરૂર નથી. આમ ન ભોળવ્યા હોત તો આપણે જીવતા રહેત શી રીતે! એ સૂર્ય પોતાના ખરા વિરાટ સ્વરૂપે જો આપણી અનુભવશક્તિની સહેજ પણ પાસે આવત તો તો આપણે ક્ષણમાં લોપ પામી ગયા હોત. આ થઈ સૂર્યની વાત. એ સૂર્યના કરતાં પણ અનેકગણા મોટા બીજા અનેક તારાઓ છે. તે આપણને પ્રકાશની ટીપકીઓ જેવા દેખાય છે. જે અંતરમાં એ બધા તારાઓ વેરાયલા પડેલા છે તેનો કંઈ થાગ લાગતો નથી. વિશ્વજગતનો માળો જે આકાશમાં છે, તે કેવડુ મોટું છે તે બીજી એક રીતે વિચારી શકાય. આપણી ગરમીના બોધની શક્તિ દ્વારા પૃથ્વીની બહારથી એક ખૂબ મોટી ખબર ખૂબ જોરથી આવ્યા કરે છે, તે તડકાની ગરમી છે. એ ખબર નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂરની છે. પણ એમ તો આકાશમાં કરોડો તારાઓ આવેલા છે. તેમાંના કોઈ કોઈ તો સૂર્ય કરતાં અનેકગણા વધારે ગરમ છે. પરંતુ આપણાં 'નસીબે તેમની એકત્ર ગરમી રસ્તામાં જ એટલી શમી જાય છે કે વિશ્વવ્યાપી અગ્નિકાંડથી આપણું આકાશ દુઃસહ થઈ જતું નથી. એ રસ્તો કેટલો લાંબો છે, એ આકાશ કેવડું વિશાળ છે! ગરમીના અનુભવનો સ્પર્શ કરનાર નવ કરોડ માઈલ તેની આગળ કંઈ વિસાતમાં નથી. મોટા યજ્ઞના રસોડામાં જે ચૂલ બળતી હોય છે તેની પાસે બેસવામાં આરામ નથી હોતો, પરંતુ દશ વાગ્યાની લગભગ શહેરનાં બધાં રસોડામાં જે અગ્નિ બળતો હોય છે તે વિશાળ આકાશમાં ફેલાઈ જાય છે એટલા કારણે જ આપણે શહેરમાં રહી શકીએ છીએ. તારાઓની બાબતમાં પણ એમ જ છે. ત્યાંના અગ્નિની ઘટા ગમે તેટલી પ્રચંડ હોય તો પણ તેની ચારેકોરનું આકાશ તેથી પણ ઘણું વિશાળ છે. આ વિરાટ અંતરેથી તારાઓના અસ્તિત્વની ખબર કોણ આણી આપે છે? એનો સહેલો જવાબ છે—પ્રકાશ. પરંતુ પ્રકાશ ગુપચુપ બેસીને ખબર બોલી જતો નથી, પ્રકાશ તો ટપાલના ખેપિયાની પેઠે ખબર પીઠે લઈને દોડતો જાય છે. એ વિજ્ઞાનની એક મોટી શોધ છે, અને આ પ્રકાશની ચાલ એ કંઈ સામાન્ય ચાલ નથી. એવી ચાલ વિશ્વ બ્રહ્માંડમાં બીજા એકે દૂતની નથી. જરાક જેટલી પૃથ્વીના આપણે માણસ, એટલે અત્યાર સુધી જગતની સૌથી ઝડપી ચાલની વાત જાણવાની તક આપણને મળી નહોતી. એક દહાડો વિજ્ઞાનીઓના અતિ આશ્ચર્યજનક હિસાબના યંત્રમાં પકડાઈ ગયું કે પ્રકાશ સેકંડના એક લાખ ને છ્યાસી હજાર માઈલની ઝડપે ચાલે છે. એ ઝડપ એવી છે કે આંકડામાં લખી શકાય છે, પણ ક૯પી શકાતી નથી. બુદ્ધિથી એની પરીક્ષા થાય છે, અનુભવ દ્વારા થતી નથી. પ્રકાશની આ ચાલનો વેગ અનુભવથી સમજીએ એવડી મોટી જગ્યા આ જરા જેટલી પૃથ્વીમાં કયાં મળવાની હતી! આટલી જગ્યામાં તો આપણે એના ચાલવાને ન ચાલવા જેવું જ જોતા આવ્યા છીએ. એની પરીક્ષા કરવા લાયક સ્થાન તો મહાકાશમાં મળી રહે છે. સૂર્ય એ મહાકાશમાં જેટલા અંતર, ઉપર રહેલો છે, તે ગમે તેટલા કરોડ માઇલ હોય, તોયે તારાઓના અંતરના ગજે માપતાં ઝાઝું ન કહેવાય. આથી કરીને એટલા અમથા અંતરમાં નાના પ્રમાણના માપમાં માણસ પ્રકાશની ગતિ જોવા પામ્યો. તેને ખબર પડી કે એ શૂન્યને વટાવીને સૂર્યમાંથી પૃથ્વી ઉપર પ્રકાશ લગભગ સાડા આઠ મિનિટમાં આવે છે. એટલે કે સૂર્ય જ્યારે આપણી નજરે પડે છે, ત્યાર પહેલાં જ તે ખરું જોતાં ઊગેલું હોય છે. એ એના ઊગવાની ખબર પહોચાડતાં પ્રકાશ-નકીબને આઠેક મિનિટની વાર લાગે છે. એટલા વિલંબથી કંઈ ખાટુંમોળું થઈ જતું નથી. એ તો લગભગ તાજી જ ખબર મળી કહેવાય. પરંતુ સૂર્યમંડળની સૌથી નજીક જે તારો આવેલો છે, એટલે કે જેને તારાઓમાં આપણો પડોશી કહીએ તો ચાલે, તે જ્યારે ખબર આપે છે કે, હું આ રહ્યો છે ત્યારે તે ખબર વહી લાવતાં પ્રકાશને લગભગ ચાર વરસ જેટલો વખત લાગે છે. એટલે કે આ ક્ષણે જે ખબર આપણને મળી તે ચાર વરસની વાસી છે. આટલે લીટી દોરી હોત તે પૂરતું હતું, પરંતુ એથી પણ દૂરના તારાઓ છે જ્યાંથી આવતાં પ્રકાશને અનેક લાખ વરસો થાય છે. આકાશમાં પ્રકાશ ચાલે છે એવી ખબર પડતાં વિજ્ઞાનમાં એક પ્રશ્ન ઊઠ્યો, કે તેની ચાલવાની રીત કેવી છે. એ પણ વળી એક આશ્ચર્યજનક વાત છે. જવાબ મળ્યો કે એની ચાલ અતિ સૂક્ષ્મ મોજાંના જેવી છે. શાનાં મોજાં એ કોઈ કહી શકતું નથી; માત્ર પ્રકાશના આચરણ ઉપરથી એકંદરે એટલું જાણવામાં આવ્યું છે કે એ મોજાં છે ખરાં. પરંતુ માણસના મનને હેરાન કરવાને માટે એની સાથે સાથે બીજી એક ખબરની જોડી પોતાના બધા સાક્ષી પુરાવા લઈને હાજર થઈ તેણે કહ્યું કે પ્રકાશ અસંખ્ય પ્રકાશ-કણોને લીધે સંભવે છે; અતિશય ઝીણા ઝીણા છાંટાની પેઠે તે વરસ્યા કરે છે. આ બંને ઊલટાસૂલટી ખબરોનું મિલન ક્યાં થયું, તે કંઈ સમજાતું નથી. એના કરતાં પણ આશ્ચર્યજનક એક પરસ્પરવિરોધી વાત છે, કે બહાર જે થાય છે તે કંઈક મોજાં અને વરસાદ રૂપે હોય છે; અને અંદર આપણે જે પામીએ છીએ તે આ પણ નથી, તે પણ નથી, તેને આપણે પ્રકાશ કહીએ છીએ; –એનો અર્થ શો છે, એ કોઈ વિદ્વાન કહી શક્તા નથી. જેની કલ્પના થઈ શકતી નથી, જે દૃષ્ટિ અને શ્રવણની બહાર છે, તેની આટલી સૂક્ષ્મ અને આટલી વિરાટ ખબર મેળવાઈ કેવી રીતે, એવો પ્રશ્ન મનમાં જાગે એ સ્વાભાવિક છે. બેશક પુરાવા છે, પણ હાલ તુરત તો એ વાત માની લીધા સિવાય ઉપાય નથી. જેમણે પુરાવા એકઠા કર્યા છે, તેમની જ્ઞાનની તપસ્યા અસાધારણ છે, તેમની શોધનો માર્ગ અત્યંત દુર્ગમ છે. તેમની વાતને કસી જોવા માટે જે વિદ્યાબુદ્ધિની જરૂર પડે છે, તે પણ આપણામાંના ઘણામાં નથી. થોડી વિદ્યાને જોરે અવિશ્વાસ કરવા જઈશું તો છેતરાશો. પુરાવાનો માર્ગ ખુલ્લો જ છે. તે રસ્તે ચાલવાની સાધના જો કરો, એટલી શક્તિ જે હોય તો એક દહાડે એ બધા વિષય સંબંધે સવાલજવાબ સહેલાઈથી થઈ શકશે. અત્યારે આપણે પ્રકાશનાં મોજાની વાત સમજી લઈએ. એ મોજું એક જ મોજાની ધારા નથી. એની સાથે અનેક મોજાંઓ ટોળે વળેલાં છે. કેટલાંક નજરે પડે છે, કેટલાંક નથી પડતાં. અહીં કહી રાખેલું સારું કે જે પ્રકાશ નજરે પડતો નથી, તેને ચાલુ ભાષામાં પ્રકાશ કહેતા નથી. પરંતુ દેખાતો હોય કે ન દેખાતો હોય, કોઈ એક શક્તિના આવી રીતે મોજાં ફેલાવીને ચાલવું એ જ જ્યારે બંનેનો સ્વભાવ છે, ત્યારે વિશ્વતત્ત્વના પુસ્તકમાં તેમને જુદાં નામ આપવા એ અસંગત છે. મોટા ભાઈ પ્રખ્યાત હોય, નાના ભાઈને કાઈ ઓળખતું ન હોય, તો પણ વંશગત એકતાને કારણે બંનેની અટક તો એક જ રહેવાની. આ પણ એવું જ છે. પ્રકાશના મોજાંની પોતાની ટોળીનું બીજું પણ એક મોજું હોય છે, તે નજરે દેખાતું નથી, સ્પર્શથી સમજાય છે. તે તાપનું મોજું. સૃષ્ટિના કાર્યમાં તેને પ્રભાવ ખૂબ છે. એ પ્રમાણે પ્રકાશનાં મોજાંની જાતને વિવિધ પદાર્થમાંના કોઈ દેખી શકાય છે, કોઈ સ્પર્શથી જાણી શકાય છે, કોઈને સ્પષ્ટ પ્રકાશ રૂપે ઓળખીએ છીએ, વળી સાથે સાથે જ તાપરૂપે પણ જાણીએ છીએ, કોઈ દેખાતો પણ નથી, સ્પર્શી પણ શકાતા નથી. આપણી સામે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રકાશનાં મોજાંની ભીડને જો એક નામ આપવું હોય તો તેને તેજ કહી શકાય. વિશ્વસૃષ્ટિના આદિમાં, અંતમાં અને મધ્યમાં પ્રગટ ભાવે કે ગુપ્ત રીતે જુદી જુદી અવસ્થામાં આ તેજનું કંપન રહેલું છે. પથ્થર હોય કે લોઢું હોય, બહારથી જોતાં એમ લાગે છે કે તેની અંદર કંઈ હિલચાલ નથી, તેઓ જાણે સ્થિરતાના આદર્શ ન હોય. પરંતુ એ વાત સાબિત થઈ ગઈ છે કે તેમના અણુ પરમાણુ, એટલે કે અતિ સૂક્ષ્મ પદાર્થ, જેને આપણે જોવા પામતા નથી, એમ છતાં જેમને મેળવી લઈને એ પથ્થર કે લોઢું બનેલાં છે, તેઓ આખો વખત અંદર અંદર કંપ્યા કરે છે, જ્યારે ઠંડા હોય છે ત્યારે પણ કંપતા હોય છે અને જ્યારે કંપન ખૂબ વધી જાય છે ત્યારે ગરમ થઈ જાય છે તેથી બહારથી પણ આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા સમજી શકાય છે. અગ્નિમાં તપાવવાથી લોઢાના પરમાણુ કંપતા કંપતા એટલા બધા અસ્થિર બની જાય છે કે તેનો ઉશ્કેરાટ છૂપે રહેતો નથી. તે વખતે કંપનનાં મોજાં આપણા શરીરની સ્પર્શનાડીને ઘા મારી તેની મારફતે જે ખબર મોલે છે તેને આપણે ગરમી કહીએ છીએ. ખરું જોતાં ગરમી આપણને મારે છે. પ્રકાશ આંખ ઉપર મારે છે, ગરમી શરીર ઉપર મારે છે. નાનપણમાં એક દિવસ જ્યારે માસ્તર સાહેબે બતાવ્યું કે લોઢાનો ટુકડો દેવતામાં તપીને પહેલાં ગરમ થાય છે, ત્યાર પછી લાલચોળ થાય છે, ત્યાર પછી ઝગારા મારતે સફેદ થાય છે, ત્યારે, મને બરાબર યાદ છે કે હું એવા વિચારમાં પડી ગયો હતો કે દેવતા કંઈ એવો પદાર્થ નથી જે લોઢાની સાથે બહારથી ભળી જઈને લોઢા પાસે આવી રીતે રંગબદલે કરાવી શકે. ત્યાર પછી આજે સાંભળવા મળે છે કે વધારે તાપ આપીએ તે એ લોઢું ગૅસ થઈ જાય. આ બધી જાદુગર તાપની જ કરામત છે. સૃષ્ટિના આરંભથી' આજ સુધી ચાલતી આવી છે, સૂર્યનો પ્રકાશ સફેદ છે. એ સફેદ રંગમાં સાત જુદી જુદી રંગના પ્રકાશ મળેલા રહેલા છે: જાણે સાત રંગનાં કિરણોનો પંખો, સંકેલી લઈ એ તો સફેદ દેખાય, ઉઘાડીએ તો સાતરંગો દેખાય. પહેલાંના વખતમાં ઝુમ્મર હતાં, વીજળીની બત્તીએ આવીને તેને દેશપાર કાઢી મૂક્યાં. એ ઝુમ્મરની આસપાસ ત્રણ પાસાવાળા કાચના હીરા લટકતા. એવા ત્રણ પાસાવાળા કાચનો એ ગુણ હોય છે કે, એમાં થઈને તડકો આવે તો તેમાંથી સાત રંગનો પ્રકાશ જુદો પડીને પથરાય. એક પછી એક રંગ ગોઠવાયેલા હોય છે; વેગણિયો (Vioiets), અતિનીલ (Indigos), નીલ (Blue), લીલો (Green), પીળા (Yellow), નારંગી (Orange), અને લાલ (Red) એ સાત રંગ નજરે દેખાય છે પરંતુ એમના બંને છેડાની બહાર તેજનાં બીજાં પણ અનેક નાનાં મોટાં મેજા રહેલાં હોય છે તેને આપણી સહજ શક્તિ ૫કડી શકતી નથી. એવાં જે મોજાં વેગણિયા રંગની પાર હોય છે તેને ultra-violet light કહે છે, સાદી ભાષામાં આપણે તેને વેગણિયા પારનો પ્રકાશ કહીશું. વળી જે પ્રકાશ લાલ પટ્ટામાં આવ્યો નથી હોતો, તેની બહાર જ રહ્યો હોય છે તેને infra-red light કહે છે. આપણે તેને લાલ પારનો પ્રકાશ કહીશું. સર વિલિયમ હર્શલ એક મોટા ખગોળશાસ્ત્રી હતા. ત્રણ પાસાવાળા કાચ દ્વારા પ્રયોગ કરીને તેમણે પ્રકાશની સાત રંગી છટા જોઈ હતી. કાળા રંગવાળું થર્મોમીટર લઈને દરેક રંગ પાસે તેમણે ધરી જોયું, અને જેમ લાલ રંગ તરફ જતા ગયા તેમ તેમ ગરમી વધતી ગઈ. લાલની પાર રંગ વગરના અંધકારમાં થર્મોમીટર લઈ ગયા તોયે ગરમી ઓછી ન થઈ. એટલે સમજાયું કે હજી પણ પ્રકાશ છે ખરો—એ અંધકારમાં સંતાઈ રહેલો. ત્યાર પછી એક જર્મન રસાયણી આવ્યા. એક ફોટોગ્રાફની પ્લૅટ લઈને તેઓ પ્રયોગ કરવા લાગ્યા. એ પ્લૅટમાં લાલથી વેગણિયા સુધીના સાતે રંગે જવાબ દીધો. આખરે વેગણિયાની પાર અંધારામાં ચાલ્યા, તો ત્યાં જે નજરે દેખી શકાતો નહોતો એવો પ્રકાશ પણ પ્લૅટમાં પકડાયો. આ ઉપરથી સમજાયું કે પ્રકાશની ગરમી લાલ રંગ તરફ અને રાસાયણિક ક્રિયા વગણિયાની પારની દિશા તરફ હોય છે. એક સમયે એવું માનવામાં આવતું હતું કે અદૃશ્ય પ્રકાશ પણ રંગીન ટોળીના જ પાર્શ્વચર છે, અંધારામાં પડી ગયા છે. જેમ જેમ ગુપ્ત ‘પ્રકાશની શોધ આગળ વધવા લાગી, તેમ તેમ સાત રંગી પ્રકાશનું મહત્ત્વ જ ઓછું થવા માંડ્યું. વિજ્ઞાનની મોજણીમાં આજે પ્રકાશની સરહદ સાતરંગી રાજાના દેશની પાર, સેંકડો ગણી વિસ્તરી ગઈ છે. લાલપારના પ્રકાશની દિશામાં ધીમે ધીમે આજે જે મોજાંએ દેખા દીધી છે તે મોજાંને આધારે આકાશવાણી ચાલે છે, જેને રેડિયોની ખબર કહે છે, વેગણિયાની પારની તરફ વિખ્યાત રોન્ટોગેન પ્રકાશે દેખા દીધી છે, જે પ્રકાશની મદદથી દેહના ચામડાનું ઢાંકણ વીંધીને અંદરનાં હાડકાં જોઈ શકાય છે. પ્રકાશ કેવળ તારાઓના અસ્તિત્વની ખબર આપે છે એમ નથી, તારાઓમાં ક્યા ક્યા પદાર્થો ભળેલા છે, તે ખબર પણ માણસે પ્રકાશની જાણે છાતી ચીરીને મેળવી લીધી છે. કેવી રીતે મેળવી તે જરા સમજાવીએ. ત્રણ પાસાવાળા કાચમાં થઈને સૂર્યનો સફેદ પ્રકાશ પસાર કરીએ તો તેના સાત રંગો ક્રમસર પ્રગટ થાય છે. લોઢું વગેરે. સખત વસ્તુઓ ખૂબ તપીને સળગી ઊઠે છે અને તેનો પ્રકાશ ક્રમેક્રમે સફેદ બની જાય છે ત્યારે એ સફેદ પ્રકાશનું પૃથક્કરણ કરીએ તો સાત રંગની છટા પાસેપાસે જોવામાં આવે છે. તેમની વચમાં કોઈ અંતર રહેતું નથી. પરંતુ લોઢાને ગરમ કરતાં કરતાં જ્યારે તે ગૅસ થઈ જાય છે ત્યારે પેલા કાચમાંથી તેના પ્રકાશનું પૃથક્કરણ કરીએ તો રંગની છટામાં એકધારો પ્રકાશ આવતો નથી. જુદી જુદી ઉજ્જ્વળ રેખાઓ જોવામાં આવે છે, તેમની વચમાં વચમાં પ્રકાશહીન ખાલી જગ્યા હોય છે. આવા રંગીન પ્રકાશના આલેખનને વર્ણલિપિ નામ આપી શકાય. એ લિપિમાં એવું જોવામાં આવ્યું છે કે બળતા ગૅસની અવસ્થામાં દરેક વસ્તુના પ્રકાશની વર્ણછટા અલગ હોય છે. મીઠામાં સેડિયમ નામે એક મૌલિક પદાર્થ હોય છે. તાપ આપી આપીને તેને ગૅસ કરી નાખીએ તો વર્ણલિપિમાં તેના પ્રકાશની અંદર બે પીળી રેખા ખૂબ પાસે પાસે જોવામાં આવે છે. બીજો કોઈ રંગ જોવામાં આવતો નથી. સોડિયમ સિવાય બીજી કોઈ પણ વસ્તુની વર્ણછટામાં બરાબર એ જ જગ્યાએ એ બે રેખા જોવામાં આવતી નથી. એ બે રેખા જ્યાંના ગૅસની વર્ણલિપિમાં જોવામાં આવે ત્યાં સોડિયમ છે જ એમ સમજવું. પરંતુ એવું જોવામાં આવે છે કે સૂર્યના પ્રકાશની વર્ણછટામાં સોડિયમ ગૅસની એ બે ઉજ્જ્વળ પીળી રેખા દેખાતી નથી, તેને બદલે બે કાળી રેખા માલમ પડે છે. વિજ્ઞાનીઓ કહે છે કે તપેલી કોઈ પણ ગૅસરૂપ વસ્તુનો પ્રકાશ તેજ ગૅસના પ્રમાણમાં ઠંડા થરમાં થઈને આવતી વખતે પૂરેપૂરા શોષાઈ જાય છે. અહીં પ્રકાશને અભાવે કાળી રેખા પડે છે એમ નથી. ખરું જોતાં સૂર્યના વર્ણમંડળમાં જે સોડિયમ ગૅસ સૂર્યના પ્રકાશને અટકાવે છે તે પણ પોતાની ગરમી પ્રમાણે પ્રકાશ ફેલાવે છે, પ્રકાશમંડળની સરખામણીમાં એની ગરમી ઓછી હોય છે એટલે એનો પ્રકાશ ખૂબ ઝાંખો હોય છે. એ ઝાંખો પ્રકાશ વર્ણછટામાં ઉજ્જવળ પ્રકાશની બાજુમાં કાળાની ભ્રાંતિ જન્માવે છે. મૌલિક વસ્તુમાત્રના પ્રકાશનું પૃથક્કરણ કરી તે દરેકની વર્ણછટાની યાદી તૈયાર કરવામાં આવેલી છે. એની સાથે સરખાવીએ. એટલે કઈ વસ્તુ છે, તે પરખાઈ જ જવાનું, પછી તે ગમે ત્યાં કેમ ન હોય, માત્ર ગૅસરૂપે હોવી જોઈએ. પૃથ્વીમાંથી જે ૯૨ મૌલિક પદાર્થોની ભાળ લાગી છે તેમાંના બધા જ સૂર્યમાં હોવા જોઈએ; કારણ પૃથ્વી સૂર્યના શરીરમાંથી જન્મેલી છે. પહેલા પ્રયોગ વખતે માત્ર ૩૬ પદાર્થો મળ્યા હતા. બાકીનાનું શું થયું એ પ્રશ્નનો નિવેડો બંગાળી વિજ્ઞાની મેઘનાદ સાહાએ કર્યો છે. શોધની નવી રીત શોધી કાઢીને તેમણે સૂર્યમાં રહેલા બીજા પણ કેટલાક મૌલિક પદાર્થો પકડી પાડયા છે. તેમને રસ્તે રસ્તે ચાલવાથી હવે લગભગ બધા જ પદાર્થોની ભાળ લાગી છે. આજે પણ જેમને પત્તો મળ્યો નથી, તેમની ખબર પૃથ્વીની હવા વચમાંથી જ શોષી લે છે. બધા રંગો ભેગા થઈ ને સૂર્યનો રંગ સફેદ બનેલો છે, તે પછી જુદી જુદી વસ્તુના જુદા જુદા રંગો આપણે કેમ જોઈ શકીએ. છીએ? એનું કારણ એ છે કે બધી વસ્તુઓ બધા રંગને પોતામાં લેતી નથી, કોઈ કોઈ રંગને વગર કારણ આપે બહાર કાઢી મૂકે છે. એ પાછો કાઢેલે રંગ જ આપણી આંખ જોવા પામે છે. જાડું ઑટિંગ જે રસ શોષી લે છે તે કાઈના કામમાં આવતો નથી, જે રસ તે લેતું નથી તે વધારાનો રસ જ આપણને મળે છે. આ પણ એવું જ છે. ચૂની પથ્થર સૂર્યકિરણનાં બીજાં બધાં મોજાને સ્વીકારી લે છે. લાલ રંગને પાછો કાઢે છે. તેના આ ત્યાગના દાનને લીધે જ ચૂનીની ખ્યાતિ છે. જેને તે પોતે હોઈયાં કરી જાય છે તેની કશી ખ્યાતિ નથી. લાલ રંગને જ કેમ એ લેતો નથી, અને નીલ રંગ ઉપર જ નીલ પથ્થરને સંપૂર્ણ વૈરાગ્ય કેમ છે, એ પ્રશ્નનો જવાબ એમના પરમાણુઓમાં ગુપ્ત રહેલો છે. સૂર્યનાં બધાં મોજાંઓને પાકા વાળ પાછાં કાઢે છે તેથી તે સફેદ હોય છે, કાચા વાળ કઈ પણ મોજાં પાછાં વાળતું નથી, એટલે કે પ્રકાશનો કોઈ પણ ભાગ તેના હાથમાંથી છૂટવા પામતો નથી, તેથી તે કાળા હોય છે. જંગતની બધી જ વસ્તુઓ જો સૂર્યના બધા જ રંગોને હોઈયાં કરી જાત તો કૃપણ જગત એકદમ કાળું દેખાત, એટલે કે દેખાત જ નહિ. જાણે ખબર વહેંચનાર સાતે ખેપિયાઓને પોસ્ટમાસ્તર પૂરી રાખત. આમ છતાં બધી વસ્તુઓ કોઈ પણ રંગને સ્વીકારત નહિ તો બધી જ વસ્તુઓ સફેદ થઈ જાત, તો તે એકાકારમાં બધી વસ્તુઓનો ભેદ ભૂંસાઈ જાત. જાણે સાત ખેપિયાના બધા પત્રોનો ઢગલો કરી એક કરી નાખવામાં આવ્યો હોય એમ થાત, કોઈ પણ અલગ ખબર જ મળત નહિ. એક જ રંગમાં બધાને જોવું એ કંઈ જોયું ન કહેવાય. પ્રકાશનો અભાવ અને પૂર્ણ પ્રકાશ એ બેમાંથી એકેમાં આપણે જોઈ ન શકીએ. આપણે તો ભાંગેલા પ્રકાશના મિશ્રણમાં જોઈ શકીએ. સૂર્યકિરણની સાથે જોડાયેલાં એવાં અનેક મોજાંઓ છે, જે ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે એટલે આપણે અનુભવી શક્તા નથી. એવાં પણ મોજાં છે જે પુષ્કળ પ્રમાણમાં ઊતરી આવે છે, પરંતુ પૃથ્વીનું વાયુમંડળ તેમને રોકી રાખે છે. એમ ન હોત તો આપણે બળીજળીને મરી જાત. સૂર્યનું જેટલું દાન આપણે સહન કરી શકીએ એમ છીએ તેને વિષે પહેલેથી જ આપણા દેહયંત્રની સમજૂતી થઈ ગયેલી છે. તેની બહાર આપણી જીવનયાત્રાનો કારભાર બંધ છે. વિશ્વના ચિત્રમાં જે વસ્તુ સૌથી વધારે આપણી નજરે ચડે છે તે તારાઓ છે, અને સૂર્ય છે. તે પણ એક તારો જ છે. માણસના મનમાં આજ સુધી એ પ્રાધાન્ય ભોગવતા આવ્યા છે. વર્તમાન યુગમાં માણસને સૌથી વધુ આશ્ચર્ય પમાડનાર આ વિશ્વના ભીતરમાં છુપાયેલું વિશ્વ છે, જે અતિ સૂક્ષ્મ છે, જે નજરે દેખી શકાતું નથી, અને છતાં જે સમસ્ત સૃષ્ટિના મૂળમાં છે. એક માટીના ઘરને તપાસી જો આપણે તેની મૂળ વસ્તુ શી છે તે શોધી કાઢવા માગીએ તે આપણને ધૂળનો કણ મળશે. જ્યારે તેને વધુ વાટી ન શકીએ ત્યારે આપણે કહીશું કે આ અતિ સૂક્ષ્મ ધૂળ એ જ માટીના ઘરનો મૂળ મશાલો છે. એ જ રીતે માણસે એક વખત એવું ધાર્યું હતું કે વિશ્વના પદાર્થોનું પૃથક્કરણ કરતાં કરતાં જ્યારે એવા સૂક્ષ્મ ભાગ સૂધી આવી પહોંચીશું કે પછી તેના ભાગ પડી શકશે નહિ ત્યારે તેને જ આપણે વિશ્વનું આદિ તત્ત્વ અર્થાત્ મૂળ સામગ્રી કહીશું. આપણા શાસ્ત્રમાં તેને પરમાણુ કહે છે, યુરોપીય શાસ્ત્રમાં તેને ઍટમ કહે છે. એ એટલા સૂક્ષ્મ હોય છે કે દસ કરોડ પરમાણુને પાસે પાસે ગોઠવીએ તો તેની લંબાઈ ફક્ત એક ઈંચ થાય. સામાન્ય ઉપાયથી ધૂળના કણના આપણે ભાગ પાડી શકતા નથી, પરંતુ વૈજ્ઞાનિક ઉપાયો દ્વારા વિશ્વની બધી સામગ્રીને એથી પણ વધારે સૂક્ષ્મ ભાગમાં વહેંચી શકાઈ છે. આખરે બાણું અમિશ્ર પદાર્થોએ આવીને અટક્યું છે. પંડિતો કહે છે કે એ બધાના સરવાળા બાદબાકીથી જગતની બધી વસ્તુઓ બનેલી છે, એની પાર જવાય એમ નથી. ધારો કે માટીના ઘરનો એક ભાગ કેવળ માટીનો બનાવેલો છે, અને બીજો ભાગ માટીમાં છાણ ભેળવીને બનાવેલો છે. તો દીવાલને ભૂકો કરીશું તો બે વસ્તુ હાથ આવશે, એક તો ચોખ્ખી ધૂળનો કણ અને બીજી ધૂળની સાથે ભેળવેલા છાણનો ભૂકો. તે જ પ્રમાણે વિશ્વની બધી વસ્તુઓને તપાસીને વિજ્ઞાનીઓએ તેમને બે વિભાગમાં વહેંચી નાખી છે. એક ભાગનું નામ મૌલિક અને બીજા ભાગનું નામ યૌગિક. મૌલિક પદાર્થમાં કશું મિશ્રણ નથી હોતું, અને યૌગિક પદાર્થમાં એક અથવા તેથી વધારે પદાર્થોનું મિશ્રણ હોય છે. સોનું મૌલિક છે. એના સામાન્ય ઉપાયથી ગમે તેટલા સૂક્ષ્મ ભાગ કરો તો પણ સોના સિવાય બીજું કશું મળવાનું નથી. પાણી યૌગિક છે, તેના ભાગ કરીએ તો બે મૌલિક ગૅસ નીકળે છે. એકનું નામ ઓક્સિજન અને બીજાનું નામ હાઈડ્રોજન આ બંને ગૅસ જ્યારે જુદા હોય છે ત્યારે તેમનો એક પ્રકારનો ગુણ હોય છે, અને જેવા તેઓ ભળી જઈને પાણી બને છે કે તરત જ તેમને ઓળખી શકાય એવું રહેતું નથી, તેમના મિલનને લીધે તદ્દન નવો જ સ્વભાવ ઉત્પન્ન થાય છે. યૌગિક પદાર્થ માત્રની આ દશા હોય છે. તેઓ પોતાનામાં પોતાના મૂળ પદાર્થના પરિચયને છુપાવી રાખે છે, ગમે તેમ હોે, એ બધા ઍટમ-પદ્રવીવાળાઓ જ એક સમયે જગતના મૂળ ઉપાદાન તરીકે ખ્યાતિ પામ્યા હતા : બધા કહેતા હતા કે એમનું હવે લગારે પૃથક્કરણ થઈ શકે એમ નથી. પરંતુ આખરે તેના પણ ભાગ પાડ્યા. જેને પરમાણુ કહે છે તેને પણ ભાંગતાં ભાંગતાં અંદરથી અતિ–પરમાણુ મળી આવ્યા. એ વળી એક અદ્ભુત વસ્તુ છે. એને વસ્તુ કહેતાં પણ સંકોચ થાય. છે. જરા સમજાવીને કહું. આજકાલ ઇલેક્ટ્રિસિટી શબ્દ ખૂબ વપરાય છે—ઇલેક્ટ્રિક બત્તી, ઇલેક્ટ્રિક મશાલ, ઇલેક્ટ્રિક પંખા વગેરે વગેરે. બધા જ જાણે છે કે એ એક પ્રકારનું તેજ છે. એ પણ બધા જાણે છે કે વાદળામાંથી આકાશમાં જે ચમકારો કરે છે તે વીજળી પણ ઇલેક્ટ્રિસિટી સિવાય બીજું કશું નથી. એ વીજળી જ પૃથ્વીમાં આપણી આગળ સૌથી પ્રબળ પ્રતાપપૂર્વક ઇલેક્ટ્રિસિટીને, પ્રકાશથી અને ગર્જનાથી ઘોષિત કરે છે. શરીરે લાગી તે જીવ લે છે. ઇલેક્ટ્રિસિટી શબ્દને આપણે વૈદ્યુત કહીશું. એ વીજળી બે જાતની હોય છે. વિજ્ઞાનીઓએ એક જાતનું નામ પોઝિટિવ અને બીજી જાતનું નામ નેગૅટિવ રાખ્યું છે. તર્જમો કરીએ તો હા–ધર્મી અને ના-ધર્મી એમ થાય. એમનો સ્વભાવ એકબીજાથી ઊલટો છે. એ વિપરીતને મેળવી દઈને આ બધું બનેલું છે. અને છતાં પોઝિટિવ પ્રત્યે પોઝિટિવને અને નેગૅટિવ પ્રત્યે નેગૅટિવને એક પ્રકારના સ્વભાગવત વિરોધ હોય છે, એમને વિરોધી પક્ષ તરફ આકર્ષણ હોય છે. એ બંને જાતના અતિ સૂક્ષ્મ દ્યુત્કણોની પરમાણુમાં ગાંઠ બંધાયેલી હોય છે. એ બે પક્ષો પરમાણુમાં સૂર્ય અને ગ્રહની પેઠે મિલન બંધનથી બંધાયેલા હોય છે. સૂર્યમંડળની પેઠે. સૂર્ય જેમ સૂર્યલોકના કેન્દ્રમાં રહીને આકર્ષણની લગામથી પૃથ્વીને ફેરવે છે, તેમ પોઝિટિવ વૈદ્યુત્કણ પરમાણુના કેન્દ્રમાં રહીને નેગૅટિવ કણોને આકર્ષે છે, અને તેઓ સરકસના ઘોડાની પેઠે લગામધારી પોઝિટિવની આસપાસ ફરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ નવ કરોડ માઈલનું અંતર સાચવીને ફરે છે. કદના પ્રમાણમાં અતિપરમાણુઓના ભ્રમણમાર્ગનું અંતર એથી વધારે હશે પણ ઓછું નહિ. પરમાણુ જે અણુતમ આકાશમાં રહેલા છે તેમાં પણ અંતરનું પુષ્કળ તારતમ્ય હોય છે. આ પહેલાં તારાઓની વિશાળતાની અને એકબીજા વચ્ચેના અંતરની વિરાટતાની વાત હું કહી ગયો છું, પરંતુ અતિ નાની વસ્તુને પણ અતિ વિરાટ નાની કહી શકાય. મોટી વિશાળતાની સીમાને આંકડા વડે ઘેરવા જતાં જેમ એકડાની પાછળ વીસ પચીસ મીંડાં મૂકવાં પડે છે તેમ ક્ષુદ્રતમ વિશાળતાને વિષે પણ છે. તેની પણ સંખ્યાની ફોજની હાર ખૂબ લાંબી થાય એમ છે. પરમાણુના અતિ સૂક્ષ્મ આકાશમાં જે અંતર સાચવીને અતિપરમાણુઓ હરફર કરે છે તેની ઉપમા આપતાં એક વિખ્યાત ખગોળશાસ્ત્રીએ કહ્યું છે કે હાવરા સ્ટેશનના જેવા એક મોટા સ્ટેશનમાંથી બીજી બધી વસ્તુઓ ખસેડી નાખી માત્ર પાંચછ ભમરીઓને છૂટી મૂકવામાં આવે તો પરમાણુના આકાશમાં રહેલા અતિપરમાણુઓની સાથે તેની સરખામણી થઈ શકે. પરંતુ આ વ્યાપક શૂન્યતામાં દૂર દૂરના કેટલાક ચંચળ પદાર્થોને અટકાવી રાખવાને માટે પરમાણુની કેન્દ્રવસ્તુનો લગભગ બધો જ ભાર, બધી જ શક્તિ કામ કરી રહી હોય છે. એમ ન હોત તો પરમાણુ જગત ધૂળધાણી થઈ જાત, અને પરમાણુના બનેલા વિશ્વ જગતનું અસ્તિત્વ રહેત નહિ, પદાર્થોમાં અણુઓ પરસ્પર જોડાજોડ રહે છે તે એક પ્રકારની આકર્ષણની શક્તિને લીધે. આમ છતાં સોના જેવી નક્કર વસ્તુના અણુઓમાં પણ વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય છે. આંકડા વડે તે અતિ સૂક્ષ્મ ખાલનું માપ હું દર્શાવવા માગતો નથી, તેથી મનને પીડા થાય એમ છે. પણ અહીં પ્રશ્ન એ ઊઠે છે કે સહેજ પણ ખાલ – શા માટે રહે છે, ગૅસ શા માટે રહે છે, પ્રવાહી પદાર્થ શા માટે રહે છે. એના જેવો જ પ્રશ્ન એ પણ છે કે પૃથ્વી કેમ સૂર્યમાં જઈને ચાંટી જતી નથી. એને જવાબ એ કે આ પૃથ્વી સૂર્યનું આકર્ષણ અનુભવે છે છતાં પોતાની ગતિના વેગને જોરે દૂર રહી શકે છે. વેગ જો પૂરતો વધારે હોત તો આકર્ષણનું બંધન તેડીને પૃથ્વી આકાશમાં નીકળી પડત, વેગ જો ઓછો હોત તો સૂર્ય તેને હોઈયાં કરી જાત. અણુઓમાં ખાલ રહે છે ગતિના વેગને લીધે, તે જ બંધનની શક્તિને થંભાવી રાખે છે. ગૅસરૂપ પદાર્થોમાં ગતિનું પ્રાધાન્ય વધારે હોય છે. એ અવસ્થામાં અણુઓ એટલા બધા વેગથી ચાલતા હોય છે કે તેઓને પરસ્પર મળવાને અવકાશ રહેતો નથી. કોઈ કોઈ વાર તેઓમાં અથડામણ થાય છે, પણ ક્ષણમાં પાછા ખસી જાય છે. પ્રવાહી પદાર્થોની આણ્વિક આકર્ષણની શક્તિ સામાન્ય હોય છે એથી જ ગતિના વેગને લીધે તેઓમાં અતિ ઘનિષ્ટતાનો યોગ આવતો નથી. નક્કર વસ્તુમાં બંધનની શક્તિ પ્રમાણમાં પ્રબળ હોય છે. તેને લીધે અણુઓ સીમાબદ્ધ સ્થાનમાં ગોંધાઈ રહે છે. પણ તેથી કાંઈ તેઓ શાંત રહે છે એમ નથી હોતું, તેમાં કંપન ચાલુ જ હોય છે. પરંતુ તેઓની સ્વતંત્રતાનું ક્ષેત્ર બહુ સાંકડું હોય છે. અણુઓમાં આ ગતિ, કંપન એ જ તાપ. અસ્થિરતા જેમ જેમ વધે છે તેમ તેમ ગરમી સ્પષ્ટ થતી જાય છે. જો અણુઓનું ઉષ્ણતામાન શૂન્યની નીચે ૨૭૩ અંશ સેન્ટિગ્રેડ ઉતારી શકાય તો એમને શાંત પાડી શકાય. હવે આપણે હાઈડ્રોજન ગૅસના પરમાણુઓ ઉપર નજર નાખીએ. એના કરતાં હલકો ગૅસ બીજો નથી. એના પરમાણુના કેન્દ્રમાં માત્ર એક વૈદ્યુત્કણ હોય છે જેને પ્રોટોન કહે છે, અને તેના આકર્ષણથી બંધાઈને માત્ર એક કણિકા તેની ચારે બાજુએ ફર્યા કરે છે, તેને ઇલેક્ટ્રોન કહે છે. પ્રોટોન કણમાં જે વૈતની અસર હોય છે તે પોઝિટિવ હોય છે, અને ઇલેક્ટ્રોન કણ જે વૈદ્યતનું વાહન હોય છે તે નેગૅટિવ હોય છે. નેગૅટિવ ઇલેક્ટ્રોન અસ્થિર અને ચંચળ હોય છે, પોઝિટિવ પ્રોટોન ભારેખમ હોય છે. ઇલેક્ટ્રોનનું વજન નહિ જેવું જ હોય છે પરમાણુનો લગભગ બધો જ ભાર તેની કેન્દ્ર વસ્તુમાં જમા થયેલ હોય છે. એકંદરે બધાં ઇલેક્ટ્રોન જ ના–ધર્મી હોય છે, પણ એવાં એક જાતનાં ઇલેક્ટ્રોન હાથ આવ્યાં છે જે હા–ધર્મી હોય છે, અને છતાં વજનમાં ઇલેક્ટ્રોનના જેવાં જ હોય છે. એમનું નામ પોઝિટ્રોન રાખવામાં આવ્યું છે. કોઈ કોઈ વાર એવું જોવામાં આવ્યું છે કે અમુક હાઇડ્રોજનના પરમાણુ સાધારણના કરતાં બમણા ભારે હોય છે. પ્રયોગ કરતાં માલૂમ પડ્યું કે કેન્દ્રસ્થલે પ્રોટોનની સાથે તેનો એક સાથીદાર પણ હોય છે. પહેલાં જ મેં કહ્યું છે કે પ્રોટીન હા–ધર્મી છે. કેન્દ્રમાં રહેલા તેના સાથીદારને તપાસતાં જણાયું કે તે સામ્ય–ધર્મી છે. હા-ધર્મીએ નથી અને ના-ધર્મીએ નથી. એટલે તે વૈદ્યુતધર્મરહિત છે. તે પોતાના સાથીદાર પ્રોટોનના જેટલા જ વજનનો હોય છે, પરંતુ પ્રોટોન જેમ ઇલેક્ટ્રોનને આકર્ષે છે તેમ તે આકર્ષી શકતો નથી. વળી પ્રોટોનને હડસેલી મૂકવાનો પ્રયત્ન પણ તે કરતો નથી. એ કણને ન્યુટ્રોન કહેવામાં આવે છે. એવું જોવામાં આવ્યું છે કે બીજી જાતનાં કાટલાં નાખીને પરમાણુને ગમે તેટલા ભારી કરવામાં આવે તો પણ ઇલેક્ટ્રોનની ઉપર તે સામ્યધર્મીઓનું કશું જોર ચાલતું નથી—એક પ્રોટોન કેવળ એક જ ઇલેક્ટ્રોનને વશમાં રાખી શકે છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જે પ્રમાણમાં વધારે હોય તે જ પ્રમાણમાં ઇલેક્ટ્રોનને તેઓ વશમાં રાખી શકે છે. ઓક્સિજન ગૅસના પરમાણુ-કેન્દ્રમાં આઠ પ્રોટોન હોય છે, અને સાથે આઠ ન્યુટ્રોન હોય છે, તેની આસપાસ ફરનાર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બરાબર આઠ હોય છે. પૉઝિટિવ અને નેગૅટિવ પ્રમાણમાં મળીને જ્યાં સંધિ કરીને રહે છે, ત્યાં જો કોઈ પણ ઉપાયે ઘરમાં કૂટ પાડવામાં આવે, એટલે કે થોડાં નેગૅટિવને જુદા પાડી નાખવામાં આવે, તો તે વસ્તુમાં વૈદ્યુતના પ્રમાણના હિસાબમાં ગોટાળા પેદા થશે, પોઝિટિવ વૈદ્યુતનો ચાર્જ વધી પડશે. સ્ત્રીપુરુષો મળીને જ્યાં ગૃહસંસારનું સામંજસ્ય સચવાયેલું હોય ત્યાં જેટલા પ્રમાણમાં સ્ત્રીઓનો પ્રભાવ ઘટાડવામાં આવશે તેટલા પ્રમાણમાં તે સંસાર પુરુષપ્રધાન બની જશે; અહીં પણ તેવું જ છે. આ ચાર્જ શબ્દ ઇલેક્ટ્રિકના સંબંધમાં વારંવાર વપરાય છે. સાધારણ રીતે જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ તે બધીમાં વૈદ્યુતનો કોઈ પણ જાતનો ફડફડાટ જોવામાં આવતો નથી, કારણ તેઓ ચાર્જ કરેલા નથી હોતા, એટલે કે બંને જાતના જેટલા વૈદ્યુતો ભેગા મળીને રહે તો શાંતિ જળવાય તેટલા તેમાં હોય છે. પરંતુ કોઈ પણ વસ્તુમાં કોઈ એક જાતનાં વૈદ્યુત જે સંધિને ન માને અને પોતાનું ચોક્કસ પ્રમાણ વટાવીને વધી જાય તો તે વૈદ્યુત વડે તે વસ્તુને ચાર્જ કરવામાં આવી છે એમ કહેવાય. રેશમનો એક કટકો લઈને કાચ ઉપર ઘસીએ તો પરિણામ એ આવે કે ઘસારાને લીધે કાચમાંથી થોડાં ઇલેક્ટ્રોન બહાર નીકળી આવે, અને તે રેશમમાં ચાલ્યાં જાય. કાચમાં નેગૅટિવ ઓછાં થતાં જ પોઝિટિવ વૈદ્યુતનું પ્રાધાન્ય થાય, અને બીજી બાજુ રેશમમાં નેગૅટિવ વૈદ્યુતનું જોર વધી જાય, એટલે કે તે નેગૅટિવ વૈદ્યુત વડે ચાર્જ થઈ જાય. લેિકટ્રોન ગુમાવનાર કાચ પોતાની પોઝિટિવ ચાર્જના જોરે રેશમને ખેંચી લેવા માગે અને નેગૅટિવની ભીડ વધી જવાથી રેશમ કાચ તરફ આકર્ષાય. કાચમાં કે રેશમમાં સાધારણ વ્યવસ્થા જ્યારે કાયમ હતી ત્યારે તો પોતે પોતાની મેળે સ્વાભાવિક રીતે રહેતાં હતાં, શાંત હતાં. શાંત અવસ્થામાં એ પદાર્થોમાં વૈદ્યુતનું અસ્તિત્વ છે એની ખબર સુધ્ધાં પડતી નથી. વૈદ્યુતિક ઘરકંકાસની ખબર ત્યારે બહાર પડી જાય છે જ્યારે ભાગની અસમાનતાને કારણે ક્ષોભ પેદા થાય છે. કાચ અથવા બીજા કશામાંથી ધસવા દ્વારા થોડા પ્રમાણમાં ઇલેક્ટ્રોન કાઢી લેવાની વાત મેં કરી છે. એ પ્રમાણ કેટલું હોય છે એવું જો વિજ્ઞાનીને પૂછવામાં આવે તો તેઓ સહેજ માથું ધુણાવીને કહેશે કે ઘસારાના પ્રમાણમાં ચાલીસ, પચીસ, સાઠે કરોડ હોઈ શકે. વીજળીની બત્તીની દીવેટ રૂપે રહેલા તારમાં થઈને ઇલેક્ટ્રોનની ઠસોઠસ ભીડ ચાલતી હોય છે ત્યારે જ તે બળે છે. તેના આ છેડાથી પેલા છેડા સુધીમાં એકી સાથે જેટલાં ઇલેક્ટ્રોન ચાલતાં હોય છે તે સંખ્યાને આપણું ગણિતશાસ્ત્રમાં શું કહે છે તે હું તો જાણતા. નથી. ગમે તેમ હો, એટલું આપણે જોયું કે, અતિપરમાણુઓની જબ્બર ચંચળતા પોઝિટિવ અને નેગૅટિવમાં સંધિ કરીને સંયમમાં રાખેલી હોય છે, તેથી વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે. રીંછવાળો ડુગડુગી બજાવે છે, તેના તાલ પ્રમાણે રીંછ નાચે છે, અને જાતજાતના ખેલ કરે છે. ડુગડુગીવાળો જો ન હોય, પાળેલું રીંછ જ સાંકળ તોડીને સ્વધર્મને પામે, તો કરડીને, નહાર મારીને ચારે કાર ઉત્પાત મચાવી મૂકે. આપણા આખા શરીરમાં અને શરીરની બહાર એ પાળેલા કે ભયંકર ભૂત મારફતે અદૃશ્ય ડુગડુગીના છંદ પ્રમાણે સૃષ્ટિનો નાચ અને ખેલ ચાલી રહ્યો છે. સૃષ્ટિના અખાડામાં બે ખેલાડીઓ પોતાનું ભીષણ દ્વંદ્વ જમાવીને વિશ્વ ચરાચરની રંગભૂમિને ચગાવી રહ્યા છે. કોઈ કોઈ વિજ્ઞાનીએ પરમાણુજગતને સૂર્યમંડળ સાથે સરખાવ્યું છે અને કહ્યું છે કે પરમાણુના કેન્દ્રની આસપાસ જુદે જુદે ચક્રાકાર માગે ઇલેક્ટ્રોનો ફર્યા કરે છે. બીજા એક વિદ્વાને એવું સાબીત કર્યું’ છે કે ઘૂમરી ફરતા ઇલેક્ટ્રોન પોતાના એક કક્ષામાર્ગમાંથી બીજા કક્ષામાર્ગમાં સ્થાનાંતર કરે છે, અને પાછા પોતાના નિયત માર્ગે આવે છે. સૂર્યમંડળના નમૂના પ્રમાણે પરમાણુલોકનું જે ચિત્ર આંકવામાં આવે છે તેમાં પોઝિટિવ વૈદ્યુતવાળી એક કેન્દ્રવસ્તુ હોય છે, અને તેની ચારે બાજુએ ઇલેક્ટ્રોન પ્રદક્ષિણા ફરતાં હોય છે. આ મત માનવામાં અડચણ આવે છે. ઇલેક્ટ્રોન જો એકધાર્યા માર્ગે ચાલતાં હોત તો ધીમે ધીમે તેમની શક્તિ ક્ષય પામીને આખરે માર્ગ નાનો કરતાં કરતાં તે કેન્દ્રવસ્તુ ઉપર જઈ પડત, અને પરમાણુનું સત્યાનાશ વાળત. હમણાં એવો મત ચાલે છે કે ઇલેક્ટ્રોનનો અંડાકૃતિ ચાલવાનો માર્ગ નથી હોતો, ઘણા હોય છે. કેન્દ્રથી આ માર્ગોનું અંતર ચોક્કસ હોય છે. કેન્દ્રની સૌથી પાસે જે માર્ગ હોય છે, તેની પાસે કોઈ ઇલેક્ટ્રોન જઈ શકતો નથી. ઇલેક્ટ્રોન બહારના માર્ગમાંથી અંદરના માર્ગમાં દેખા દે છે. શા માટે દેખા દે છે અને એકાએક ક્યારે દેખા દેશે તેનો કશો ચોક્કસ નિયમ જડતો નથી. તેજ શોષીને ઇલેક્ટ્રોન અંદરના માર્ગમાંથી બહારના માર્ગમાં કૂદી જાય છે,’ એ કૂદકાના પ્રમાણનો આધાર શોષેલા તેજના પ્રમાણ ઉપર હોય છે. ઇલેક્ટ્રોન જ્યારે બહારના માર્ગ ઉપરથી અંદરના ભાગમાં આવે છે ત્યારે જ કેવળ તે તેજ ફેલાવે છે. આ રીતે ફેલાયેલું તેજ જ આપણને પ્રકાશરૂપે મળે છે. જ્યાં સુધી એક જ માર્ગમાં ચાલ્યા કરે છે ત્યાં સુધી તેનું શક્તિ વેરવાનું બંધ હોય છે. આ એક માત્ર માની લીધેલો મત છે, એનું કશું કારણ આપવામાં આવતું નથી. એ મત માનીએ તો જ પરમાણુ કેમ ટકી રહ્યાં છે, વિશ્વ કેમ લોપ પામતું નથી એ વાતનો ખુલાસો મળે છે. આ બધી વાતની પાછળ ખૂબ ગૂંચવણભરેલા સિદ્ધાંતો રહેલા છે, તે સમજવાને બહુ વાર છે. હમણાં તે આટલી વાત સાંભળી રાખો. પહેલાં જ મેં કહ્યું છે કે વિજ્ઞાનીઓએ ખૂબ દૃઢતાથી જાહેર કર્યું હતું કે ૯૨ આદિભૂત જ વિશ્વસૃષ્ટિના મૌલિક પદાર્થો છે. અતિ પરમાણુઓની સાક્ષીને લીધે આજે એ વાત ખોટી સાબિત થઈ ગઈ છે. તોપણ હજી એમની સન્માનની પદવી રહી ગઈ છે. એક સમયે મૌલિક પદાર્થોની એવી ખ્યાતિ હતી કે તેમના ગુણો કાયમ રહે છે. તેમનું ગમે તેટલું પૃથક્કરણ કરવામાં આવે તો પણ કેમે કર્યો તેમનો સ્વભાવ બદલાતો નથી. વિજ્ઞાનના પહેલા અધ્યાયમાં જોવામાં આવ્યું કે તેમનું અંતિમ પૃથક્કરણ કરવામાં આવે તો બે જાતની વૈદ્યુતવાળા કણનું જોડીનૃત્ય નજરે પડે છે. જેઓ મૌલિક પદાર્થ કહેવાય છે તેમના સ્વભાવની વિશેષતા તો આ વૈદ્યતો. અમુક ચોક્કસ સંખ્યામાં ભેગા થઈને સાચવી રાખે છે. આટલેથી જ જો અટકતું હોત તોયે પરમાણુઓની રૂપનિત્યતાની ખ્યાતિ ટકી રહેત. પરંતુ એમની પોતાની ટોળીમાંથી જ વિરુદ્ધ સાક્ષી મળી આવી, એક એવી ખબર મળી કે જે પરમાણુઓ હલકા છે તેઓમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફેરફુદડી સદા નિયમિત રીતે ચાલ્યા કરે છે ખરી પરંતુ જેઓ ખૂબ ભારી છે. જેઓમાં ન્યુટ્રોન અને પ્રોટીનની ખૂબ ભીડ હોય છે, જેમકે યુરેનિયમ અથવા રેડિયમ, તેઓ પોતાની મૂડી સંભાળી શકતા નથી, હંમેશાં ક્ષણેક્ષણે તેઓની મૂળ પૂંજી છટકી જ્યાં કરવાથી હલકા થઈ જઈને તેઓ એક રૂપમાંથી બીજું રૂપ ધારણ કરે છે. આજ સુધી રેડિયમ નામે એક મૌલિક ધાતુ સ્થૂલ આવરણમાં ઢંકાઈ રહેલી હતી. તેની શોધની સાથે સાથે પરમાણુનું ગૂઢતમ રહસ્ય પકડાઈ ગયું. વિજ્ઞાનીઓની સાથે તેની પહેલી મુલાકાતનો ઇતિહાસ યાદ રાખવા જેવો છે. જ્યારે રંટમેન રશ્મિ (એક્સરે)ની શોધ, ત્યારે તેની સ્થૂળઅડચણને ભેદવાની શક્તિની ખબર પડી. ત્યારે હાંરી બેકરેલ પારીસની મ્યુનિસિપલ સ્કૂલમાં વિજ્ઞાનના અધ્યાપક હતા. સ્વતદીપ્તિમાન પદાર્થમાત્રમાં એવી બાધાને ભેદવાની શક્તિ હોય છે કે નહિ તેના પ્રયોગો કરવામાં તેઓ મંડી ગયા. એવી કેટલીક ધાતુઓ લઈને તેમણે કામ શરૂ કરી દીધું. તેમણે કાળા કાગળમાં વીંટીને ફોટોગ્રાફની પ્લૅટ ઉપર મૂકી રાખી, તો માલૂમ પડ્યું કે પડીકાને ભેદીને કેવળ યુરેનિયમ ધાતુનું જ ચિહ્ન પડ્યું. જેનાં પરમાણુ સૌથી ભારી હોય છે તે દીપ્તિમાન તેજસક્રિય હોય છે એમ સાબિત થઈ ગયું. પીચગ્લૅન્ડ નામે એક ખનિજ પદાર્થમાંથી યુરેનિયમ કાઢવામાં આવે છે. બેકરેલની મૅડમ ક્યુરી નામે એક અસાધારણ બુદ્ધિવાળી વિદ્યાર્થિની હતી. તેમના પતિ પિયેર ક્યુરી ફ્રાન્સના વિજ્ઞાન વિદ્યાલયના અધ્યાપક હતા. તેમણે પતિપત્નીએ મળીને આ પીચબ્લૅન્ડ ઉપર પ્રયોગ કરવા માંડ્યા, જે માલમ પડ્યું કે એના પુરેનિયમ કરતાં પણ વધારે દિપ્તિમાન છે. પીચગ્લૅન્ડમાં એવા કેટલાક પદાર્થો રહેલા છે જે આ તેજસક્રિયતાના મૂળમાં છે. તેની શોધનો પ્રયત્ન કરતાં કરતાં જ ત્રણ નવા પદાર્થો શોધાયા, રેડિયમ, પોલોનિયમ, અને એક હીલિયમ. પ્રયોગ કરતાં કરતાં લગભગ ચાલીસ જેટલા તેજસ્ક્રિય પદાર્થો મળી આવ્યા છે. લગભગ એ બધા જ વિજ્ઞાનમાં નવા શોધાયેલા છે. એ ધાતુના એક અદ્ભુત ગુણે તે જમાનામાં સૌથી વધારે આશ્ચર્ય ફેલાવ્યું હતું. તે પોતાનામાંથી તેજકણો વેરીને પોતાને જુદી જુદા મૌલિક પદાર્થોમાં રૂપાંતરિત કરતાં કરતાં આખરે સીસું બનાવી દે છે. આ જાણે એક પ્રકારનો વૈજ્ઞાનિક જાદુ જ છે એમ કહોને એક ધાતુમાંથી બીજી ધાતુ ઉત્પન્ન થઈ શકે, એ આ પહેલી વાર જ જાણવામાં આવ્યું. જે બધા પદાર્થો રેડિયમની જાતના છે, એટલે કે તેજ વેરવાનો જ જેમનો ગુણ છે, તેઓ બધા જ જાત ખોનારા હોય છે. તેઓ હંમેશા પિતાના તેજની મૂડી ખર્ચ્યા કરે છે. આ ઉડાઉપણાની યાદીમાં જે તેજ પદાર્થ પહેલો આવે છે તેને ગ્રીક અક્ષરમાળાના પહેલા અક્ષરના નામ ઉપરથી આલ્ફા કહે છે. આપણે તેને કહીએ તો ચાલે. એ એક જાતનું પરમાણું છે, પોઝિટિવ જાતનું રેડિયમ બીજા પણ એક પ્રકારના તેજના અણુ વેરે છે, તેનું નામ બીટા રાખવામાં આવેલું છે, આપણે તેને ખ કહી શકીએ. તે ઇલેક્ટ્રોન છે, નેગૅટિવથી ચીજ કરેલું હોય છે અને તેનો વેગ ખૂબ ઝડપી હોય છે, તો પણ ચાલવાના રસ્તામાં એક પાતળો કાગળ આડે આવે તો આલ્ફા પરમાણુનો દેહ બદલાઈ જાય છે, તે હિલિયમ ગૅસ બની જાય છે. બીટાને અટકાવવા, માટે જરા વધારે મોટી બાધાની જરૂર પડે છે. રેડિયમના ભાથામાં આ બે ઉપરાંત બીજું એક કિરણ છે, તેનું નામ ગામા. તે પરમાણુ કે અતિ પરમાણુ નથી, તે એક ખાસ જાતનું પ્રકાશકિરણ છે. તે કિરણ સ્થૂળ વસ્તુને ભેદીને જઈ શકે છે, રન્ટગેન કિરણની પેઠે. આ બધા તેજકણાઓ બધી અવસ્થામાં જ સરખી રીતે વર્તે છે. લોઢું ગાળી નાખે આવી ગરમીમાં પણ, અને ગૅસને પ્રવાહી બનાવી દેનાર ઠંડીમાં પણછ ઉપરાંત તેમને પાછા વાળીને પાછી દાણા બાંધવાની કોઈની પણ શક્તિ નથી. પરમાણુના કેન્દ્રપિંડમાં જ્યાં સુધી કોઈ નુકસાન ન થાય ત્યાં સુધી બેચાર ઇલેક્ટ્રોન જે છીનવી લેવામાં આવે તો તેથી તેના વૈદ્યુતના ચોક્કસ પ્રમાણમાં કંઈક ઘટ આવે પરંતુ એથી કંઈ ભારે અકસ્માત નહિ થાય. જો એ કેન્દ્રના ખાસ ખજાનામાં લૂંટફાટ સંભવિત બને તો જ પરમાણુની જાત બદલાઈ જાય. પરમાણુમાં પોતામાં સંપૂર્ણ એકતા નથી એવી ખબર મળતાં જ વિજ્ઞાનીઓએ પહેલાં આશા રાખી હતી કે, અમે તેજ ફેંકનાર ગોલંદાજ રેડિયમને પરમાણુમાં ભેદ પાડીને તેના કેન્દ્રની પૂંજી લૂંટવાના કામમાં વાપરીશું. પરંતુ નિશાન અતિશય સૂક્ષ્મ છે, અને લેવું સહેલું નથી, પુષ્કળ તેજના ગોળા મારતાં મારતાં વળી એકાદ દૈવયોગે લાગી જાય. તેથી એ રીતની અનિશ્ચિત યુદ્ધપદ્ધતિને બદલે આજકાલ જબરદસ્ત યંત્ર બનાવવાની તૈયારી ચાલે છે જેના વડે અતિ પ્રચંડ શક્તિમાન વૈદ્યુત ઉત્પન્ન થાય અને પરમાણુના કેન્દ્રકિલ્લાનો પહેરો ભેદી શકે. ત્યાં. આગળ પ્રબળ પહેલવાન જેવી શક્તિનો પહેરો છે. આજે જે વખતે લાખોના લાખો માણસોને મારવાને માટે સહસ્ત્રાગ્નિયંત્રોની શોધ થઈ રહી છે બરાબર તે જ વખતે વિશ્વના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થના અલક્ષ્મતમ મને ભેદી નાખવા માટે વિરાટ વૈદ્યુતવર્ષીનું કારખાનું ગોઠવાયું છે. મેં પહેલાં જ કહ્યું છે કે આલ્ફા-કણ સ્વરૂપ ખાઈને હિલિયમ ગૅસ બની જાય છે. એ વસ્તુ પૃથ્વીની ઉંમર સાબીત કરવામાં કામ આવી છે. કોઈ પહાડના કોઈ એક પથ્થરમાં જો વિશેષ પ્રમાણમાં હિલિયમ ગૅસ જોવામાં આવે, તો ‘એ ગૅસને બનતાં જે વખત લાગ્યો હશે તેનો હિસાબ કરીને એ પહાડની જન્મકુંડળી તૈયાર કરી શકાય. એ પદ્ધતિ પ્રમાણે પૃથ્વીની ઉંમરનો વિચાર કરવામાં આવ્યો છે. વજનના ભારેપણાને હિસાબે જે ગૅસઃ હાઈડ્રોજન ગૅસની બરાબર ઉપર આવે છે તેને જ હિલિયમ ગૅસ નામ આપવામાં આવેલું છે. આ ગૅસ વિજ્ઞાનીઓમાં નવો જ શોધાયેલો છે. એ ગૅસ પહેલ વહેલો સૂર્યગ્રહણ વખતે હાથ આવ્યા હતા. સૂર્ય પોતાની ચક્રાકાર સીમાને વટાવીને લાખો કોશ દૂર સુધી બળબળતી બાષ્પની અતિશય ઝીણી પામરી ઉડાવ્યા કરે છે; જેમ ઝરણું પોતાની ચારે બાજુએ જલકણો દ્વારા ધુમ્મસ ફેલાવે છે તેમ ગ્રહણ વખતે સૂર્યની ચારે પાસનો અગ્નિમય ગૅસનો વિસ્તાર દૂરબીન વડે જોઈ શકાય છે. એ દૂર સુધી ફેલાયેલા ગૅસના પ્રકાશને યુરોપની ભાષામાં કોરોના કહે છે. આપણે એને કિરી ટિકા કહી શકીએ. કેટલાક વખત પહેલાં ઈ. સ. ૧૯૩૭ના સૂર્યગ્રહણ વખતે આ કિરી ટિકાને તપાસતાં વર્ણલિપિની નીલ હદ તરફ ત્રણ અજાણી સફેદ રેખા જોવામાં આવી હતી. વિદ્વાનોએ વિચાર કર્યો કે કદાચ કાઈ પહેલાંનો જાણીતો પદાર્થ વધારે તાપને કારણે નવી દશાને પામ્યો હશે, અને તેનું જ આ ચિહ્ન હશે. અથવા કદાચ કોઈ નવો પદાર્થ પણ શોધાયો હોય. હજી સુધી તેનો પત્તો લાગ્યો નથી. ૧૮૬૮ના ગ્રહણ વખતે વિજ્ઞાનીઓને આવો જ એક આશ્ચર્યનો અનુભવ થયો હતો. સૂર્યની ગૅસની વાડની અંદરથી ત્યારે એક અજ્ઞાત એવા કોઈ પદાર્થની લિપિ આવી. આ નવા જણાયેલા મૌલિક પદાર્થનું નામ હિલિયમ. અર્થાત્ સૌરક પાડવામાં આવ્યું. કારણ કે તે વખતે એમ લાગ્યું હતું કે એ કેવળ સૂર્યમાં રહેલા જ ગૅસ છે. આખરે ત્રીસ વરસ વીતી ગયા પછી વિખ્યાત રસાયણ રેગ્નેને એ ગૅસનો પટ પૃથ્વીની હવામાં ખૂબ થોડા પ્રમાણમાં માલૂમ પડ્યું, ત્યારે નક્કી થયું કે પૃથ્વીમાં એ ગૅસ દુર્લભ છે. ત્યાર પછી માલમ પડ્યું કે ઉત્તર અમેરિકામાં કોઈ એક ઘાસતેલના કૂવામાં જે ગૅસ મળી આવે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં હિલિયમ છે, ત્યારે એને કામમાં લેવાની સગવડ મળી. અત્યંત હલકા તરીકે આજ સુધી હાઈડ્રોજન ગૅસ વડે બલૂનોને ઊડવાની શક્તિ પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ હાઇડ્રોજન ગૅસ જેમ ઉડાડવા માટે અતિ ઉપયોગી છે, તેમ બાળવા માટે પણ છે. એ ગૅસે ઘણાં મેટાં મોટાં હવાઈ જહાજને બાળી મૂક્યાં છે. હિલિયમ ગૅસની અંદર આ છૂપી તોફાની આગચંડી નથી, અને છતાં હાઈડ્રોજન સિવાય બીજા બધા ગૅસથી તે હલકો છે. તેથી જહાજ ઉડાડવાની ક્રિયાને સહીસલામત બનાવવા માટે તેને જ ઉપયોગ શરૂ થયો છે. ચિકિત્સામાં પણ કોઈ કોઈ રોગ ઉપર તેને ઉપયોગ શરૂ થયો છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે પોઝિટીવ ચાર્જવાળા પદાર્થ અને નેગૅટિવ ચાજવાળા પદાર્થ પરસ્પરને પાસે ખેંચે છે. પરંતુ એક જ જાતના ચાર્જવાળા પરસ્પરને હડસેલી મૂકવા મથે છે. જેમ જેમ તેમને પાસે લાવવામાં આવે છે તેમ તેમ તેમનું હડસેલવાનું જોર વધતું જાય છે. તે જ પ્રમાણે વિપરીત ચાર્જવાળા જેમ જેમ એકબીજાની પાસે આવે છે તેમ તેમ તેમનું ખેંચાણ વધી જાય છે. એટલા માટે જે ઇલેક્ટ્રોન કેન્દ્ર વસ્તુની પાસે રહે છે તેઓ ખેંચાણનું જોર ચૂકવવાને માટે દૂરના કરતાં વધારે જોરથી દોડે છે. સૂર્યમંડળમાં જે ગ્રહો સૂર્યની જેમ પાસે તેમ તેઓની ગતિનો વેગ વધારે. દૂરના ગ્રહોને આફત ઓછી હોય છે તેઓ ધીમે ધીમે સ્વસ્થતાથી ચાલે છે. આ ઇલેક્ટ્રોન પ્રોટોનનો વ્યાસ આખા પરમાણુના પચાસ હજારમાં ભાગનો હોય છે. એટલે કે પરમાણુમાં ખાલી જગ્યા જ વધારે હોય છે. એક માણસના શરીરના બધા પરમાણુ જો ઠાંસી દેવામાં આવે તો તેમાંથી એક લગભગ અદૃશ્ય બિંદુ જેવી વસ્તુ બને. બે પ્રોટોનમાં સામસામા વિરોધનું જોર કેટલું છે તે રસાયણી ફેડરીક સોડાએ હિસાબ કરીને કહ્યું છે કે એક ગ્રામ પ્રોટોન જો પૃથ્વીના એક ધ્રુવમાં રાખવામાં આવે અને બીજા ધ્રુવમાં બીજા એક ગ્રામ પ્રોટોન હોય તો તે દૂર દૂરને માર્ગ વટાવીને જઈને હડસેલે મારવાનું તેમનું જોર લગભગ છસો મણના દબાણ જેટલું થાય. જે નિયમ હોય તે પરમાણુ કેન્દ્રની અતિ સંકુચિત મંડળીમાં એક કરતાં વધારે પ્રોટોન કેવી રીતે ઠસોઠસ ભેગાં રહી શકતાં હશે એ સમજવું મુશ્કેલ પડે છે. એ નિયમ પ્રમાણે જેના પરમાણુ કેન્દ્રમાં એકેશ્વર પ્રોટોનનો અધિકાર છે તેના સિવાય વિશ્વમાં બીજો કોઈ પદાર્થ ટકી જ ન શકે; તો તો વિશ્વજગત હાઈફાજનમય જ બની જાય. આ તરફ આપણે જોઈએ છીએ કે યુરેનિયમ ધાતુ ૯ર પ્રોટોન અને ૧૪૬ ન્યુટ્રોન ધારણ કરે છે. આટલી બધી ભીડ તે સંભાળી શકતું નથી એ વાત સાચી, ક્ષણેક્ષણે તે તેના કેન્દ્રભંડારમાંથી વૈદ્યુતકણનો બોજો હલકો કરતું રહે છે. ભાર થોડો હલકો થતાં તે રેડિયમનું રૂપ લે છે, એથી વધારે ઓછો થતાં પોલોનિયમ બની જાય છે, અને આખરે સીસું બનીને રહે છે. વજન આટલું કાપી નાખ્યા પછી પણ તે શી રીતે ટકી રહે છે એ શંકા દૂર થઈ શકતી નથી વેરવાનું કામ પૂરું કરી બધી બાદબાકી પતાવ્યા પછી પણ સીસા પાસે ૮૨ પ્રોટોન બાકી રહે છે. પોઝિટિવ વૈદ્યુતના સહજ હડસેલો મારવાના સ્વભાવને લીધે આ પ્રેટોન પરમાણુ લોકમાં શાંતિ શી રીતે સાચવતાં હશે, એ પ્રશ્નનો સંતોષકારક જવાબ લાંબા વખત સુધી મળ્યો નહિ. કેન્દ્રની બહાર એમનો ઝઘડો પતતો નથી, કેન્દ્રની અંદર એમની મૈત્રી અતૂટ હોય છે, એ એક વિષમ સમસ્યા છે. એ રહસ્ય જાણવામાં ઉપયોગી થાય એ રીતે યંત્રશક્તિનું બળ વધારવામાં આવ્યું. તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનરૂપી નિશાનની સામે પ્રયોગ કરનારાઓએ હા–ધર્મી વૈદ્યુત્કણોનું લશ્કર લગાડી દીધું; એ વૈદ્યુત્કણોએ સેકંડના ૬૭૨૦ માઈલને વેગે ધક્કો માર્યો, તોપણ કેન્દ્રસ્થિત પ્રોટોને પોતાનું પ્રોટોનપણું સાચવી રાખ્યું અને હુમલો કરનાર વૈદ્યુતના લશ્કરને છટકાવી નાખ્યું, એટલે વૈદ્યુતના મારનો વેગ વધારવામાં આવ્યો. વિજ્ઞાનીએ છ૭૦૦ માઈલના વેગે ધક્કો માર્યો, તોપણ શિકાર હાર્યો નહિ. આખરે ૮૨૦૦ માઈલના વેગને ધક્કો વાગતાં વિરોધી શક્તિ નરમ પડવાનાં ચિહ્નો દેખાયાં. છટકાવનારી શક્તિની વાડ વટાવી જઈને હુમલો કરનારી શક્તિ કેન્દ્રના કિલ્લામાં પહોંચી ગઈ. એવું માલૂમ પડ્યું કે બે સમધર્મી વૈદ્યુત્કણ એક ઈંચના અનેક કરોડમાં ભાગની અંદર પાસે પાસે અડોઅડ રહે તો તેમની હડસેલા-હડસેલી બંધ થઈ જાય છે. એટલે એમ માની લેવું પડે છે કે એટલી નિકટતામાં પ્રોટોનની પરસ્પર હડસેલી મૂકવાની -શક્તિ જેટલી હોય છે તેના કરતાં અનેક ગણી મોટી એક બીજી શક્તિ હોય છે જે ખેંચી રાખનારી શક્તિ હોય છે. એ શક્તિ પરમાણુઓમાં પ્રોટોનને ખેંચે છે, તેમ ન્યૂટ્રોન પણ ખેંચે છે, એટલે કે જેમાં વૈદ્યુતનો ચાર્જ હોય અને જેમાં ન હોય એ બંનેની ઉપર તેની સરખી જ અસર થાય છે. પરમાણુની કેન્દ્રમાં રહેલી આ અતિ પ્રબળ આકર્ષણશક્તિએ સમસ્ત વિશ્વને બાંધી રાખેલું છે. પરમાણુની અંદરના ઘરનો ઝઘડો જે શક્તિએ પતાવ્યો છે, તેને લીધે જ વિશ્વમાં શાંતિ વિરાજે છે આધુનિક ઇતિહાસમાંથી એની ઉપમા આપીએ. ચીનના પ્રજાસત્તાકની શાંતિનો ભંગ કરનાર કેટલાક સત્તા લોભી સેનાપતિઓ પરસ્પર લડાઈ કરીને દેશને પાયમાલ કરી નાખતા હતા. રાષ્ટ્રના કેન્દ્રસ્થલમાં એ વિરોધી લશ્કરો કરતાં વધારે બળવાન શક્તિ જો હોત તો રાજ્યના કામમાં એ બધાને એકઠા કરીને રાષ્ટ્રની શક્તિને બળવાન અને સલામત બનાવવાનું સહેલું થઈ પડત. પરમાણુઓના રાષ્ટ્રતંત્રમાં બધી શક્તિઓને માથે તે મોટી શક્તિ રહેલી છે, તેથી જેઓ સ્વાભાવિક રીતે મળતા નથી, તેઓ પણ મળે છે અને વિશ્વની શાંતિ સચવાય છે. એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વની શાંતિ એ કંઈ ભલમનસાઈની શાંતિ નથી. બધા તોફાની ઓને ભેગા કરી દઈને એ પ્રબળ એકતા સાધેલી છે. જેઓ સ્વતંત્ર હોય તો સર્વનાશ કરે તેઓ જ ભેગા મળીને સૃષ્ટિનો ભાર વહે છે. પરમાણુના ઇતિહાસમાં રેડિયમના અધ્યાયનું મૂલ્ય વધારે છે–એટલા માટે જરા સ્પષ્ટ રીતે તેની વાત કરી લઉં. રેડિયમ લોઢું વગેરેની પેઠે ધાતુ છે. એના પરમાણુઓ ભારે અને કદમાં મોટા હોય છે. આખરે કોણ જાણે ક્યા કારણે રેડિયમના પરમાણુ ફાટી જાય છે, અને તેનો થોડો ભાગ છૂટો પડી જાય છે; આ ભાંગવા માંડેલા પરમાણુમાંથી નીકળેલા આલ્ફા-રશ્મિમાં જે કણિકાઓ વહેતી હોય છે તે દરેક બે પ્રોટીન અને બે ન્યુટ્રોનના સંયોગથી બનેલી હોય છે. એટલે કે હિલિયમ પરમાણુના કેન્દ્રવસ્તુમાં અને તેમાં કશે ફેર નથી હોતો. બીટા રશ્મિ કેવળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય છે. ગામરશ્મિમાં કણો હતા જ નથી. તે પ્રકાશની જાતનું હોય છે.’ આવી ભાંગફોડ શાથી થતી હશે તેનું કારણ આજ સુધી સમજાયું નથી. આટલા બધા બગાડને કારણે પરમાણુનો બાકીનો ભાગ પછી મૂળ રેડિયમરૂપે રહેતો નથી. તેનો સ્વભાવ બદલાઈ જાય છે. એ ઇલેક્ટ્રોનને હોઈયાં કરી જઈને આલ્ફા કણ હિલિયમ ગૅસ બની જાય છે. આ સ્ફોરક વ્યાપારને બહારથી કોઈ ઉશ્કેરી–એસકી પણ શકતું નથી, અટકાવી પણ શકતું નથી. ચારે બાજુ ઠંડી હોય કે ગરમી હોય, બીજા પરમાણુઓ સાથે મળેલું હોય તોયે એટલે કે તેની બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય તોપણ તેની ફાટી જવાની ક્રિયા અંદરથી થતી જ રહે છે. એકંદરે રેડિયમની આવરદા લગભગ બે હજાર વરસનું ગણાય છે, પણ તેના જે પરમાણુમાંથી એક આલ્ફા કણ ફેંકી દેવાયો હોય છે તેની મુદત લગભગ ચારેક દિવસની જ હોય છે. ત્યાર પછી તેમાંથી ઉપરાઉપરી સ્ફોફેરણ થયા કરે છે, આખરે સીસું થઈને અટકે છે. આલ્ફાકણો જ્યારે પોતાની દોડ શરૂ કરે છે ત્યારે તેનો વેગ એક સેકંડે લગભગ દસ હજાર માઈલ જેટલો હોય છે પરંતુ જ્યારે તેને કોઈ પણ વસ્તુ પદાર્થ કે પવન સુદ્ધાંમાં થઈને જવું પડે છે ત્યારે બેત્રણ ઇંચ જેટલો માર્ગ વટાવતાં વટાવતાં જ તેની ચાલ સ્વાભાવિક બની જાય છે. આલ્ફા રશ્મિ બિલકુલ સીધી લીટીએ ચાલે છે, એમ એ શી રીતે કરી શકતું હશે એ એક વિચારવા જેવી વાત છે. કારણ કે પવનમાં જે ઑક્સિજન અથવા હાઇડ્રોજનનાં પરમાણુ છે તેના કરતાં હેલિયમનાં પરમાણુ અનેકગણા હલકા અને નાના હોય છે. આ ત્રણ ઈચના રસ્તામાં પુષ્કળ ભારે ભારે અણુઓને હડસેલીને તેણે જવું પડે છે, અને એ કોઈ ભીડને હડસેલીને જવાનું નથી, પણ ભીડને ભેદીને જવાનું હોય છે. પરમાણુ કહીએ તેનો અર્થ એ થયો કે એક કેન્દ્રવસ્તુ અને તેની આસપાસ દોડતાં ઇલેક્ટ્રોનનું ટોળું. એમના પહેરાની અંદર થઈને જવું હોય તે પ્રચંડ વેગનું જોર જોઈએ. એ જોર આલ્ફા કણમાં છે. તે બીજા ટોળામાં થઈને ચાલ્યું જાય છે. બીજા પરમાણુમાં થઈને જતાં જતાં તેને નુકસાન પહોંચાડતું જાય છે. કોઈ પરમાણુનું કદાચ એકાદ ઇલેક્ટ્રોન ખસેડી નાખે છે, એમ કરતાં કરતાં તેનાં બેત્રણ ઇલેક્ટ્રોન ખરી જાય છે, ત્યારે ઇલેક્ટ્રોનો બંધન વગરનાં થઈને ભમતાં ફરે છે. પણ એવું લાંબો વખત ચાલતું નથી. બીજા પરમાણુઓ સાથે તે જોડાઈ જાય છે. જે પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યું હોય તેને પોઝિટિવ વૈદ્યુતનો ચાર્જ લાગે છે અને જે પરમાણુએ છૂટા પડેલા ઇલેક્ટ્રોનને પકડયું હોય છે તેને નેગૅટિવ વૈદ્યુતનો ચાર્જ લાગે છે. તેઓ પરસ્પરની પૂરતા નજીક આવે તે ફરી હિસાબ સરખો કરી લે છે. અસમાનતા મટી જતાં વૈદ્યુત ધર્મનું ચાંચલે શાંત પડી જાય છે. સ્વાભાવિક રીતે હેલિયમ પરમા ણુમાં બે ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ રેડિયમમાંથી આલ્ફાકણ રૂપે નીકળીને તે જ્યારે બીજી વસ્તુમાં થઈને દોડતું હોય છે ત્યારે તેના બે સાથીઓ છૂટા પડી જાય છે. આખરે ઉપદ્રવ પૂરો થાય ત્યારે છૂટાં ઇલેક્ટ્રોનમાંથી ખોટ પૂરી દઈને સ્વધર્મમાં પાછું આવે છે. અહીં બીજી એક વાત કહીને આ વિષય પૂરો કરીએ. બધી વસ્તુઓનાં પરમાણુનાં ઇલેક્ટ્રોન, પ્રોટીન અને ન્યુટ્રોન એક જ પદાર્થ હોય છે. તેમના પરમાણુના ભેદે કરીને જ વસ્તુભેદ થાય છે. જે પરમાણુમાં એકંદરે છ પોઝિટીવ ચાર્જ હોય તે કાર્બન એટલે કે આંગારિક વસ્તુનું પરમાણુ કહેવાય. સાત ઇલેક્ટ્રોનવાળો પરમાણુ નાઈટ્રોજનનો અને આઠ વાળા ઓક્સિજનને. કેવળ હાઈડ્રોજન પરમાણમાં એક ઇલેક્ટ્રોન છે. અને યુરેનિયમમાં બાણુ છે. પરમાણુઓમાં પોઝિટિવ ચાર્જની સંખ્યાના ભેદને લીધે જ તેમની જાતિમાં ભેદ થાય છે. સૃષ્ટિનું બધું વૈચિત્ર્ય આ સંખ્યાના છંદને કારણે છે. વૈદ્યુતશોધકો જ્યારે પોતાના કામમાં મશગૂલ હતા એવામાં તેમના હિસાબમાં ગોટાળા પેદા કરી અકસ્માત અને અજાણી શક્તિના અસ્તિત્વની ભાળ લાગી. તેના વિકિરણને મહાજાગતિક રશ્મિ–કસ્મિક રશ્મિ-એવું નામ આપવામાં આવ્યું. તેને આકસ્મિક રાશિ કહી શકાય. ક્યાંથી આવે છે તે કોઈને સમજાતું નથી, પરંતુ એ સર્વત્ર જ જોવામાં આવે છે. એવી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જીવ નથી જેના ઉપર એનો હાથ ન પડતો હોય. એટલું જ નહિ, ધાતુઓના પરમાણુઓને ઘા મારીને એ ઉત્તેજિત કરે છે. કદાચ એ જીવની પ્રાણશક્તિને પણ મદદ કરતાં હશે, અથવા તેનો વિનાશ કરતાં હશે–શું કરતાં હશે આપણે જાણતાં નથી, પણ આઘાત કરે છે એટલું ચોક્કસ. આકસ્મિક રશ્મિ સતત વરસ્યા કરે છે, એની ઉત્પત્તિનું રહસ્ય અજ્ઞાત જ રહ્યું છે. પરંતુ એટલું જાણવામાં આવ્યું છે કે ભારે ઉદ્યમી છે, આખા આકાશમાં એનો સંચાર છે, જળમાં, સ્થળમાં અને આકાશમાં બધા જ પદાર્થોમાં એનો પ્રવેશ છે. એ મહાન આગંતુકની પાછળ વિજ્ઞાનના ચરો લાગેલા જ છે, કોઈ દિવસ એનું ગુપ્ત ઠેકાણું પકડાઈ જશે. ઘણા કહે છે કે કોસ્મિક પ્રકાશ પ્રકાશ જ છે, રન્ટમેન રશ્મિ કરતાં અનેક ગણો પ્રબળ. તેથી જ એ સહેલાઈથી જાડા સીસાના અથવા સોનાના પતરામાં થઈને આરપાર ચાલ્યો જાય છે. વિજ્ઞાનીઓના પ્રયોગમાં એવું માલૂમ પડ્યું છે કે એ પ્રકાશની સાથે વૈદ્યુતકણો રહેલાં છે. પૃથ્વીના જે ક્ષેત્રમાં ચુંબકશક્તિ વધારે હોય છે તેના આકર્ષણથી એ રશ્મિ પોતાના માર્ગમાંથી ખસીને ધ્રુવપ્રદેશમાં ભેગાં થાય છે, તેથી પૃથ્વીની જુદી જુદી જગ્યાએ કોસ્મિક રશ્મિના પ્રમાણમાં વધઘટ જોવામાં આવે છે. કોસ્મિક રશ્મિસંબધે હજી જુદા જુદા મતે આવે છે અને જાય છે. પરમાણુના નવા સિદ્ધાંતને સૂત્રપાત થશે ત્યારથી જ વિજ્ઞાન જગતમાં વિચારોના અને મતના આંદોલનનો કંઈ પાર નથી. વિશ્વના મૂળ કારખાનાની વ્યવસ્થામાં કાયમીપણાનો પાકો સંકેત શોધી કાઢવો મુશ્કેલ થઈ પડ્યો છે. કાયમી જેવું કંઈ હોય તો તે કેવળ એક આદિ જ્યોતિ, જે સર્વની ભૂમિકામાં રહેલી છે, જેના પ્રકાશના વિવિધ અવસ્થાંતરમાં થઈને વિશ્વનું આ વૈચિત્ર્ય ઊભું થયું છે.