વિશ્વપરિચય/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


શ્રી રવીન્દ્રનાથ-રચિત



વિશ્વપરિચય





અનુવાદક • નગીનદાસ પારેખ





પ્રકાશક
ધ મહાગુજરાત પબ્લિશિંગ કંપની લિ.
સર ફિરોજશાહ મહેતા રોડ, ફોર્ટ, મુંબઈ



પ્રકાશક : ભોગીલાલ ચોકસી



મેનેજિંગ ડાયરેક્ટર ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.
સર ફિરોજશાહ મહેતા રોડ, મુંબઈ–૧.



મુદ્રક : ધી નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ
શા. મણિલાલ છગનલાલ
ઘીકાંટા રોડ, અમદાવાદ
ગુજરાત



પહેલી આવૃત્તિ : ૧૯૪૪



દોઢ રૂપિયો



પ્રાપ્તિસ્થાન : ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.,
સર ફિરોઝશાહ મહેતા રોડ, મુંબઈ-૧





નિવેદન

વિશ્વવિખ્યાત સાહિત્યશિરોમણિ રવીન્દ્રનાથ ઠાકુરના ગ્રંથોને શબ્દાળુ નિવેદનની જરૂર હોય જ નહીં, પરંતુ વિશ્વપરિચય જેવા વિજ્ઞાનપ્રધાન પુસ્તકને વિશે કાંઈક લખવાની જરૂર લાગે છે, કારણ કે ગુજરાત વિજ્ઞાનવિમુખ છે અને ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનમૂલક સાહિત્યની અભિવૃદ્ધિ માટે ગુજરાતના જ્યોતિર્ધરોની ઉદાસીનતા અક્ષમ્ય છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિજ્ઞાનના ઘણાં પુસ્તકો મેં વાંચ્યા છે. ‘વિજ્ઞાનવિનોદ’ અને ‘વિજ્ઞાનવિચાર’ એ પુસ્તકો મેં ગુજરાતીમાં લખ્યાં છે. અને બીજા પુસ્તકની બે આવૃત્તિ થવા છતાં પણ મને તેનાથી સંતોષ નથી. પરંતુ ‘વિશ્વપરિચય’ એક અપૂર્વ પુસ્તક છે. તે એક કેવળ શુષ્ક વૈજ્ઞાનિકની અરસિક કલમનું પરિણામ નથી; પણ જીવનભર વિજ્ઞાન અને સાહિત્યમાં રસ લેનાર કવિશિરોમણિની પરિપકવ વયે ઉત્તમોત્તમ જ્ઞાનની રસલ્હાણી છે. રવિબાબુનો વિજ્ઞાનપ્રેમ કેવળ અસીલને કેસ સમજવા જેટલો છીછરો નહોતો પણ તેમના શબ્દોમાં કહીએ તો ‘વિજ્ઞાનનાં પુસ્તકો ઉપરાઉપરી વાંચતા મનમાં પ્રાપ્ત થયેલી એક પ્રકારની વૈજ્ઞાનિક મનોવૃત્તિ સ્વાભાવિક બની ગઈ હતી’ તેનું પરિણામ ગણી શકાય. આ પુસ્તકમાં તેમના પ્રતિભાજન વૈજ્ઞાનિક મિત્ર સત્યેન્દ્રનાથ બસુને લખેલી અર્પણપત્રિકા રવિબાબુના માનસનું સુંદર વર્ણન આપે છે. કવિનો વિજ્ઞાનપ્રેમ તેમના પિતાશ્રીએ બાળપણમાં જ, ગિરિશૃંગોની મુસાફરીમાં આકાશના નક્ષત્ર, ગ્રહો, તારા, તેમની ગતિ વગેરેમાં રસ ઉપજાવીને, ઉત્પન્ન કર્યો હતો. રવિબાબુનું બીજું એક મુખ્ય વિધાન એ છે કે ‘વિજ્ઞાનમાંથી જે ચિત્તનો ખોરાક મેળવી શકે છે તેઓ તપસ્વી છે’, અને અંધવિશ્વાસમાંથી બચાવવાને માટે આપણા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક મનોવૃત્તિ કેળવવાની જરૂર છે. પરંતુ તે કાર્ય માતૃભાષા દ્વારા થવું જોઈએ; અને તેથી માતૃભાષામાં વૈજ્ઞાનિક પુસ્તકોની સંખ્યા વધારનાર અનુવાદક, લેખક અને પ્રકાશક એ સર્વેને અનેક ધન્યવાદ ઘટે છે. આપણા દેશની ભાષાઓમાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ થાય એ વિષે રવિબાબુની ધગશ ઘણી હતી. હિંદની ભાષાઓમાં વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરવાને માટે ૧૯૩૩માં તેમણે ઘણી મહેનત કરેલી અને અનેક વિદ્વાનોનો સહકાર માગેલો. તે વખતે મને તેમની સાથે ગાઢ પરિચયમાં આવવાનો પ્રસંગ મળેલો અને તેમની દેશપ્રીતિ, સાહિત્યપ્રેમ, વિજ્ઞાન પ્રેમ અને તે ઉપરાંત સાટ કામ કરવાની શક્તિને મને પ્રત્યક્ષ અનુભવ થયેલ. આ પુસ્તકમાં વપરાયેલી સાદી પરિભાષા તે સમયના વિચારમંથનનું પરિણામ છે, અને અંગ્રેજી શબ્દોનો ત્યાગ કર્યા સિવાય દેશી ભાષાના સંસ્કાર કેવી રીતે પોષી અને ઉત્તેજી શકાય છે એ તેમણે બતાવ્યું છે. આ સંસ્કારી અને સાદી ભાષાનો સુંદર અનુવાદ કરવાનું કામ શ્રી નગીનદાસ પારેખે સફળ રીતે કર્યું છે. ગુજરાતી ભાષાના વૈજ્ઞાનિક સાહિત્યમાં આના કરતાં વધારે સુંદર, સફળ, અને અદ્યતન માહિતીવાળું બીજું એક પણ પુસ્તક મારી જાણમાં નથી. પોતાની વધતી જતી ઉમરે પણ વિજ્ઞાનની અને સાહિત્યની જે અમૂલ્ય સેવા રવિબાબુએ બજાવી છે તે ઉપરથી ગુજરાતી સાહિત્યકારો પોતાની ફરજ કાંઈક સમજશે એ આશા વ્યર્થ નહિ ગણાય. ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના સંચાલકો વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ માટે કેવળ ઉદાસીનતા નહિ પણ સ્પષ્ટ વિરોધ ધરાવે છે તેનો અનુભવ મેં પરિષદૂની મધ્યસ્થ સભામાં કરેલો છે, મારી આશા છે આ સુંદર પુસ્તક જોઈને અને રવિબાબુએ પિતાની આ કૃતિમાં રેડેલા પોતાના આત્માના અનુભવનો ખ્યાલ લઈને સાહિત્ય પરિષદના સંચાલકો ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ વિષે યોગ્ય સહકાર આપવા તત્પર થશે. માતૃભાષા દ્વારા વિજ્ઞાનનો પ્રચાર ન થાય ત્યાં સુધી સમાજ અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારમાં જ ડૂબ્યો રહેવાનો. વૈજ્ઞાનિકો માતૃભાષામાં સુંદર રીતે લખી શકતા નથી એ વાત સુપ્રસિદ્ધ છે, તો તેમને સહકાર આપીને સાહિત્યકારો પણ રવિબાબુની પેઠે આ દિશામાં પ્રગતિ સાધી શકે. આ દિશામાં કરેલા પ્રયાસ માટે ગુજરાતી સમાજ શ્રીયુત સારાભાઈ ભોગીલાલ ચોકસી અને નગીનદાસ પારેખનો ઋણી રહેશે; તેઓશ્રી આવા વિજ્ઞાનમૂલક બીજા ગ્રંથો પ્રસિદ્ધ કરીને આ કાર્ય આગળ ધપાવશે એવી આશા રાખું છું. લલિતકુંજ, ખાર પોપટલાલ ગોવિંદલાલ શાહ મુંબાઈ-૨૧ તા. ૧૩-૧૨-૪૩




શ્રીયુત સત્યેન્દ્રનાથ બસુ
પ્રીતિભાજનેષુ

આ ચોપડી તારા નામ સાથે જોડી છે. એ કહેવાની કંઈ જરૂર નથી કે એમાં એવી વિજ્ઞાનસંપત્તિ નથી કે જે વિનાસંકોચે તારા હાથમાં મૂકવાને યોગ્ય હોય. વળી, અનધિકાર પ્રવેશને લીધે ભૂલની આશંકા રહ્યા કરે છે એટલે મને શરમ પણ આવે છે, કે કદાચ તારું સન્માન નહિ સચવાય. કેટલાક પ્રમાણભૂત ગ્રંથો સામે રાખીને યથાશક્તિ નીંદણી ચલાવી છે. કેટલુંક ઉખેડી નાખ્યું. ગમે તેમ હો, મારા આ દુઃસાહસના દષ્ટાંતથી જો કોઈ મનીષી, જેઓ એકીસાથે સાહિત્યરસિક અને વિજ્ઞાની હોય, તેઓ આ અત્યાવશ્યક કર્તવ્યકમ કરવા તૈયાર થાય તો મારો આ પ્રયત્ન કૃતાર્થ થશે. જેમણે શિક્ષણની શરૂઆત કરી છે, તેઓ શરૂઆતથી જ વિજ્ઞાનના ભંડારમાં ભલે નહિ પણ વિજ્ઞાનના આંગણામાં પ્રવેશ કરે એ ખૂબ જરૂરનું છે. અહીં વિજ્ઞાનનો તે પ્રથમ પરિચય કરાવવાના કામમાં સાહિત્યની મદદ લેવામાં કંઈ નાનમ નથી. જવાબદારી લઈને જ મેં આ કામ શરૂ કર્યું છે. પરંતુ એની જવાબદારી કેવળ એકલા સાહિત્ય પ્રત્યે જ નથી, વિજ્ઞાન પ્રત્યે પણ છે. હકીકતના ખરાપણામાં અને તેને પ્રગટ કરવાની ચોકસાઈમાં સહેજ પણ ત્રુટિ થાય એ વિજ્ઞાન ક્ષમા નહિ કરે. શક્તિ અલ્પ હોવા છતાં પણ યથાસંભવ સાવચેત રહ્યો છું. ખરું જોતાં મેં કર્તવ્ય-ફરજ સમજીને લખ્યું છે, પરંતુ એ કર્તવ્ય એકલા વિદ્યાર્થીઓ પ્રત્યે જ નથી, મારી પોતાની પ્રત્યે પણ છે. આ લખાણ દરમિયાન મને પોતાને પણ શીખવી શીખવીને ચાલવું પડ્યું છે. આ વિદ્યાર્થીમનોવૃત્તિની સાધના કદાચ વિદ્યાર્થીઓને શીખવામાં ઉપયોગી થઈ પણ પડે. મારી કેફિયત તારી આગળ જરા વિસ્તારથી જ કહેવી પડે છે, તો જ આ લખાણ વિષે મારી મનોવૃત્તિ કેવી છે એ તારી આગળ સ્પષ્ટ થઈ શકશે. વિશ્વજગતે પોતાની ખૂબ નાની વસ્તુઓને ઢાંકી રાખી છે, ખૂબ મોટી વસ્તુઓને નાની બનાવી દીધી છે, અથવા નેપથ્યમાં ખસેડી મૂકી છે. માણસની સહજ શક્તિના ચોકઠામાં સમાઈ શકે એ રીતે સમજાવીને તેણે પિતાના ચહેરાને આપણી આગળ ધર્યો છે. પરંતુ માણસ બીજું ગમે તે હોય-એ સીધો સરળ માણસ નથી. માણસ એ જ એક એવો જીવ છે જે પોતાના સહજ અનુભવ વિષે શંકા ઉઠાવે છે, તેનો પ્રતિવાદ કરે છે, અને હરાવે ત્યારે જ ખુશ થાય છે. માણસે સહજ શક્તિની સીમા વટાવવાની સાધનાથી દૂરને પાસે બનાવ્યું છે, અદૃશ્યને પ્રત્યક્ષ બનાવ્યું છે, દુધને ભાષા આપી છે. પ્રકાશલોકના અંતરમાં જે અપ્રકાશ લોક રહેલો છે, તે ગહનમાં પ્રવેશ કરીને માણસ વિશ્વવ્યાપારનાં મૂળ રહસ્ય સદા ખોલતો રહ્યો છે. જે સાધનાને લીધે આ વાત સંભવિત બની છે, તેની તક અને તેને માટે જોઈતી શક્તિ પૃથ્વીના મોટા ભાગના માણસોને નથી હોતી. અને છતાં જેઓ એ સાધનાની શક્તિ અને દાનથી બિલકુલ વંચિત રહ્યા છે તેઓ આધુનિક યુગના છેવાડેના ભાગમાં ન્યાતબહાર જેવા થઈ રહ્યા છે. મોટા અરણ્યમાં ઝાડ નીચે સૂકાં પાંદડાં આપોઆપ જ ખરી પડે છે, તેટલાથી જ જમીન ફળદ્રુપ થાય છે. જ્યાં વિજ્ઞાનની ચર્ચા થતી હોય તેવા દેશમાં જ્ઞાનના ટુકડા સદા વેરાતા રહે છે. તેથી ચિત્તભૂમિમાં વૈજ્ઞાનિક ફળદ્રુપતાનો જીવધર્મ જાગી ઊઠે છે. તેના અભાવે આપણાં મન અવૈજ્ઞાનિક બની ગયેલાં છે. આ કંગાલિયત કેવળ વિદ્યાના વિભાગમાં જ નહિ, પણ કાર્યક્ષેત્રમાં પણ આપણને અકૃતાર્થ કર્યા કરે છે. મારા જેવો અનાડી આ અભાવને અલ્પઅંશે પણ દૂર કરવાનો પ્રયત્ન કરવા તૈયાર થાય એથી તેઓને જ સૌથી વધારે કૌતુક લાગશે જેઓ મારી પેઠે અનાડીના ટોળામાંના છે. પણ મારા તરફી કંઈક કહેવા જેવું છે. બાળક પ્રત્યે માતાને ઉત્સુક્તા હોય છે, પરંતુ તેનામાં દાક્તરના જેવી વિદ્યા નથી હોતી. વિદ્યા તે ઉછીની લઈ શકે છે, પરંતુ સૂક્ય ઉછીનું લેવાતું નથી. આ ઔત્સુક્ય શુશ્રૂષામાં જે રસ સીંચે છે તે અવગણના કરવા જેવી વસ્તુ નથી હોતી. હું વિજ્ઞાનનો સાધક નથી, એ કહેવાની કંઈ જરૂર નથી. પરંતુ નાનપણથી વિજ્ઞાનનો રસ ચાખવાનો મને અપાર શોખ હતો. મારી ઉમર ત્યારે નવ દસ વરસની હશે; મહીં મહીંથી રવિવારે અચાનક સીતાનાથ દત્ત મહાશય આવતા. આજે મને ખબર પડે છે કે તેમની પૂજી ઝાઝી નહોતી. પરંતુ વિજ્ઞાનનાં એકબે સાધારણ તત્ત્વો જ્યારે દૃષ્ટાંત આપીને તેઓ સમજાવતા ત્યારે મારા મનમાં પ્રકાશ થઈ જતો. મને યાદ છે કે દેવતા ઉપર મૂકીએ તે તળિયેનું પાણી ગરમીને લીધે હલકુ થઈ ઉપર ચડે છે અને ઉપરનું ઠંડું ભારે પાણી નીચે જાય છે, પાણી ગરમ થવાનું આ કારણ જ્યારે તેમણે લાકડાના ભૂકા વડે સ્પષ્ટ કરી આપ્યું ત્યારે અનવચ્છિન્ન પાણીમાં એક્કી વખતે ઉપર અને નીચે એવો ભેદ થઈ શકે એવા વિસ્મયનું સ્મરણ આજે પણ મારા મનમાં રહેલું છે. જે બનાવને પોતાની મેળે જ સહજ તરીકે વગર વિચારે માની લીધો હતો તે સહજ નથી એ વાતે મને લાગે છે કે તે જ વખતે મને પહેલવહેલો વિચાર કરતો કરી મૂકયો હતો, ત્યાર પછી ઉંમર લગભગ બાર હશે (કોઈ કોઈ માણસ જેમ વર્ણાંધ હોય છે તેમ હું તારીખ-અંધ છું એ વાત કહી રાખેલી સારી) ત્યારે હું પિતૃદેવની સાથે ડેલહૌસી પહાડ ઉપર ગયો હતો. આખો દહાડો ઝંપાનમાં બેસીને સાંજે ડાકબંગલામાં પહોંચતા. તેઓ ખુરસી મંગાવીને આંગણામાં બેસતા. જોતજોતામાં ગિરિશંગેની વાડવાળા નિબિડ નીલ આકાશના સ્વચ્છ અંધકારમાં તારાઓ જાણે પાસે ઊતરી આવતા. તેઓ મને નક્ષત્ર ઓળખાવતા, ગ્રહ ઓળખાવતા. માત્ર ઓળખાવતા એટલું જ નહિ, સૂર્યથી તેઓના ભ્રમણમાર્ગનું અંતર, ભ્રમણનો સમય વગેરે અનેક વાતો તેઓ મને સંભળાવી જતા. તેઓ જે કહી જતા તે જ યાદ કરીને ત્યારના કાચા હાથે મેં એક મોટો લેખ લખ્યો છે. મને રસ પડ્યો હતો, માટે. જ લખ્યો હતો, જીવનમાં એ જ મારી પહેલી લેખમાળા. અને તે વૈજ્ઞાનિક માહિતી વિષેની. ત્યાર પછી ઉંમર વળી વધી ગઈ. અંગ્રેજી ભાષા ઘણીખરી અંદાજથી સમજવા જેટલી બુદ્ધિ મારામાં ત્યારે ખીલી હતી. સહેલાઈથી સમજાય એવાં ખગોળશાસ્ત્રનાં પુસ્તક જ્યાં જેટલાં મળતાં તેટલાં વાંચ્યા વગર છોડતો નહિ. કોઈ કઈ વાર ગણિતની દુર્ગમતાથી રસ્તો મુશ્કેલ થઈ પડતો, ત્યારે તેની મુશ્કેલીઓ ઉપર થઈને મનને હડસેલીને લઈ જતો. તેમાંથી હું આ એક વસ્તુ શીખ્યો છું કે, જીવનમાં પ્રથમ અનુભવના માર્ગમાં આપણે બધું જ સમજીએ છીએ એમ નથી હોતું, અને બધું જ સુસ્પષ્ટ સમજ્યા વગર આપણે આગળ જઈ જ શકતા નથી એમ પણ ન કહી શકાય. જલસ્થલના વિભાગની પેઠે જ આપણે સમજીએ છીએ તેના કરતાં અનેકગણું વધારે નથી સમજતા, તો પણ ગાડું ચાલ્યું જાય છે અને આનંદ પણ મળે છે. કેટલેક અંશે ન સમજાય એ પણ. આપણને આગળ ધકેલે છે. જ્યારે હું વર્ગમાં ભણાવતો ત્યારે આ વાત મારા મનમાં હતી. મેં ઘણી વાર મોટી ઉંમરે વાંચવા જેવું સાહિત્ય નાની ઉંમરના વિદ્યાર્થીઓ આગળ ધર્યું છે, તેઓ કેટલું. સમજ્યા છે તેને પૂરો હિસાબ રાખ્યો નથી, કારણ હિસાબની બહાર પણ તેઓ કોઈ પણ પ્રકારે ઘણું સમજી જાય છે જે એકંદરે અપથ્ય નથી હતું. એ સમજણ પરીક્ષકની પેન્સિલના માર્કના અધિકારથી પર છે, પરંતુ એની ખૂબ કિંમત હોય છે. કઈ નહિ તો યે મારા જીવનમાંથી એવી રીતે વાંચીને મેળવેલી વસ્તુને બાદ કરવામાં આવે. તો ઘણું બાદ થઈ જાય. ખગોળશાસ્ત્રની સહેલી ચોપડી વાંચવા લાગી ગયો. એ વિષયની ચોપડીઓ તે વખતે ઓછી બહાર પડતી નહોતી. સર રોબટ બોલની મોટી ચોપડીએ મને અત્યંત આનંદ આપ્યો છે. એ આનંદનું અનુસરણ કરવાની આકાંક્ષાથી ન્યૂકોંબ્સ ફલામરિયાં વગેરે અનેક લેખકોની ચોપડી વાંચી ગયો છું – ગળી જ ગયો છું – માવા સાથે, ઠળિયા સાથે. ત્યાર પછી એક વખતે હિંમત કરીને હકરલીની જીવવિદ્યા ઉપરની નિબંધમાળા હાથમાં લીધી હતી. ખગોળવિદ્યા અને જીવવિદ્યા ફક્ત એ બે વિષય વિષે જ મારા મને આલોચના કરી છે. એને પાકું શિક્ષણ ન કહેવાય, એટલે કે તેમાં પાંડિત્યની દઢ પકડ. નથી. પરંતુ ઉપરાઉપરી વાંચતાં મનમાં એક પ્રકારની વૈજ્ઞાનિક મનોવૃત્તિ સ્વાભાવિક બની ગઈ હતી. અંધ વિશ્વાસની મૂઢતા પ્રત્યેની અશ્રદ્ધાએ મને બુદ્ધિની ઉચ્છૃંખલતામાંથી ઘણી વાર બચાવી લીધો છે. એવી હું આશા રાખું છું. આમ છતાં કવિત્વના ઇલાકામાં કલ્પનાના પ્રદેશમાં કંઈ વિશેષ નુકસાન થયું હોય એવું મને લાગતું નથી. આજે આયુષ્યના છેલ્લા ભાગમાં મન નવીન પ્રાકૃત તત્ત્વથી વૈજ્ઞાનિક માયાવાદથી ઘેરાયેલું છે. ત્યારે જે કંઈ વાંચ્યું હતું તે બધું સમજ્યો નહોતો. પણ વાંચી જતા હતા. આજે પણ જે વાંચું છું તેમાંનું બધું સમજવું મારે માટે સંભવિત નથી, અનેક નિષ્ણાતોને માટે પણ સંભવિત નથી. વિજ્ઞાનમાંથી જેઓ ચિત્તને ખોરાક મેળવી શકે છે તેઓ તપસ્વી છે.– मिष्टान्नमितरे जनाः, મને તો માત્ર રસ પડે છે. એમાં ગર્વ કરવા જેવું કશું નથી, પરંતુ મન ખુશ થઈને કહે છે. જે મળ્યું તે લાભ. આ ચોપડી તે જે-મળ્યું–તે-ની ઝોળી છે, માધુકરી કરીને પાંચ બારણેથી ભેગી કરેલી છે. પાંડિત્ય વધારે છે નહિ, એટલે તેને ઢાંકવા માટે ઝાઝો પ્રયત્ન કરવો નથી પડ્યો. મેં પ્રયત્ન ભાષાની બાબતમાં કર્યો છે. વિજ્ઞાનના સંપૂર્ણ શિક્ષણ માટે પરિભાષા જરૂરની છે. પરંતુ પરિભાષા ચાવવાની વસ્તુ છે. દાંત ઊગ્યા પછી તે પથ્ય ગણાય. એ વાત યાદ રાખીને જ્યાં સુધી બન્યું ત્યાં સુધી પરિભાષા ટાળીને સહેલી ભાષા તરફ મન રાખ્યું છે. આ ચોપડીમાં એક વસ્તુ ધ્યાનમાં આવશે—એની નૌકા એટલે કે એની ભાષા સહેલાઈથી ચાલે એવો પ્રયત્ન એમાં કરેલો છે, પરંતુ માલ ખૂબ ઓછો કરી નાખી એને હલકી કરવાનું મેં યોગ્ય ધાર્યું નથી. દયાને લીધે વંચિત રાખવું એ દયા ન કહેવાય. મારો મત એવો છે કે, જેઓનું મન કાચું હોય છે, તેઓ જેટલું સ્વાભાવિક રીતે શકય હશે તેટલું લેશે, બાકીનું આપોઆપ છોડી દેશે, પણ તેટલા ખાતર તેમના ભાણાને લગભગ ખાલી જ રાખવાં એ સદ્વ્યવહાર નથી. જે વિષય શીખવાની વસ્તુ છે, તે કેવળ ભોગવવાની વસ્તુ નથી તેના ઉપર થઈને સડસડાટ આંખ ફેરવી જવી એ કંઈ વાંચ્યું ન કહેવાય. ધ્યાન દેવું અને પ્રયત્ન કરીને સમજવું એ પણ શિક્ષણનું અંગ છે, તે આનંદનું જ સહચર છે. નાનપણમાં પોતાને હાથે પ્રયત્ન કરીને હું જે શિક્ષણ પામ્યો હતો તેમાંથી મને આ અનુભવ મળ્યો છે. એક ઉંમરે જ્યારે મને દૂધ ભાવતું નહતું, ત્યારે વડીલોને છેતરવાને માટે દૂધને લગભગ પૂરેપૂરું ફીણ બનાવી દઈને વાટકી ભરી દેવાનું કાવતરું હું કરતો હતો. બાળકોને વાંચવાની ચોપડીઓ જેઓ લખે છે, તેઓ હું જોઉં છું કે પુષ્કળ પ્રમાણમાં ફીણ નાખે છે. તેઓ એ વાત ભૂલી જાય છે કે જ્ઞાનનો જેમ આનંદ હોય છે તેમ તેનું મૂલ્ય પણ હોય છે. બાળપણથી મૂલ્ય ચોરવાની ટેવ પડી જાય તો ખરા આનંદના અધિકાર પણ ખોઈ બેસવો પડે છે. ચાવીને ખાવાથી જ એક તરફથી દાંત મજબૂત થાય છે અને બીજી તરફથી ખાવાનો પૂરો સ્વાદ મળે છે; આ પુસ્તક લખતી વખતે એ વાત યથાશક્તિ ભૂલ્યા નથી. શાંતિનિકેતન ૨ આશ્વિન, ૧૩૪૪રવીન્દ્રનાથ ઠાકુર




ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

જે ઉંમરે શરીરની અશક્તિ અને ધ્યાનશક્તિના સ્વાભાવિક શૈથિલ્યને કારણે સાધારણ સુપરિચિત વિષયની આલોચનામાં પણ સ્ખલન થાય છે તે ઉંમરે જ અલ્પપરિચિત વિષયની રચનામાં હસ્તક્ષેપ કર્યો હતો. તેનું એક માત્ર કારણ સહેલી ભાષામાં વિજ્ઞાનની સમજૂતીનું એક બીજું તૈયાર કરી આપવાની મારા મનમાં ઇચ્છા હતી. મને આશા હતી કે વિષયવસ્તુની ત્રુટિઓ તદ્વિદોની મદદથી સુધરી જશે. થોડા દિવસ રાહ જોયા પછી મારી તે આશા પૂર્ણ થઈ છે. કૃષ્ણનગર કૉલેજના અધ્યાપક શ્રીયુત વિભૂતિભૂષણ સેને અને મુંબઈથી શ્રીયુત ઈન્દ્રમોહન સોમે ખાસ મહેનત લઈને ભૂલ બતાવવાથી તે બધી સુધારવાની તક મળી. તેમણે વગરમાગ્યે એ ઉપકાર કર્યો તે માટે હું તેમને અત્યંત કૃતજ્ઞ છું. સાથે સાથે આગલી આવૃત્તિઓના વાચકોની હું ક્ષમા યાચું છું. કાલિંગ – ર૭-૬-૩૮
રવીન્દ્રનાથ ઠાકુર





પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના

આ પુસ્તકમાં જે જે ભૂલો નજરે ચડી છે તે બધી જ અધ્યાપક શ્રીયુત પ્રમથનાથ સેનગુપ્તે ખાસ ધ્યાન દઈને સુધારી છે – તેમનો હું આભાર માનું છું. શાંતિનિકેતન ૯-૧-૪૦
રવીન્દ્રનાથ ઠાકુર