વીક્ષા અને નિરીક્ષા/શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્ય : એક નોંધ

શ્રી ઉમાશંકરનું વિવેચનકાર્ય : એક નેાંધ

આપણે વિવેચન શબ્દ ખૂબ બહોળા અર્થમાં વાપરીએ છીએ. એમાં આ૫ણે તત્ત્વવિચાર, સ્વરૂ૫ વિચાર અને કૃતિવિચાર એ ત્રણેનો સમાવેશ કરીએ છીએ. તત્ત્વવિચારમાં કાવ્યપદાર્થ શું છે, એની સર્જનપ્રક્રિયા કેવી છે, એના આસ્વાદનું સ્વરૂ૫ અને ફળ કેવું છે એ બધાનો સમાવેશ થાય છે. સ્વરૂપવિચારમાં કાવ્ય એટલે કે સાહિત્યના જુદા જુદા પ્રકારોનાં સ્વરૂપનો તાત્ત્વિક વિચાર હોય છે; જેમ કે ઊર્મિકાવ્ય, નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, મહાકાવ્ય, ખંડકાવ્ય વગેરેના સ્વરૂપની ચર્ચાનો એમાં સમાવેશ થાય છે. કૃતિવિચારમાં કોઈ ૫ણ એક કૃતિના અર્થ, માધ્યમ અને શિલ્પનો વિચાર આવે છે. દા. ત., એક ખંડકાવ્ય છે. તો એનો અર્થ શો, એ અર્થ જે માધ્યમ દ્વારા, એટલે અહીં ખંડકાવ્ય દ્વારા વ્યક્ત થયો છે, તો તે સ્વરૂ૫ કેટલે અંશે સિદ્ધ થયું છે, અને એમાં કવિનું શિલ્પકર્મ કેવું છે એ બધાની તપાસનો સમાવેશ થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થયું હશે કે સાહિત્યનું વિવેચન એટલે મુખ્યત્વે તો કૃતિઓનું જ વિવેચન, ૫ણ એ વિવેચનના પાયામાં કેટલાક તાત્ત્વિક વિચારો હોય છે. આપણે કોઈ એકાંકીનું વિવેચન કરતા હોઈએ ત્યારે એકાંકી કેવું હોય એનો આપણા મનમાં જે ખ્યાલ હોય તેને અનુસરીને આપણે એનો વિચાર કરીએ છીએ. એટલે ત્યાં સ્વરૂપવિચાર પ્રવેશે છે. અને પ્રત્યેક સાહિત્યકૃતિ એ કલાકૃતિ છે એટલે અંશે એમાં તત્ત્વવિચાર પણ પ્રવેશે છે. પણ કોઈ વિવેચક પ્રગટપણે તત્ત્વવિચાર કે સ્વરૂપવિચારમાં ઊતર્યા વગર પણ કૃતિવિચાર કરી શકે છે, જોકે તેની પાછળ આ બંને હોય તો છે જ. કેટલીક વાર કોઈ વિવેચક બીજા કોઈ વિવેચકના વિવેચનનું પણ વિવેચન કરતો હોય છે. અને તે કૃતિના વિવેચન કરતાં જુદી જ વસ્તુ બની જાય છે. પણ આપણે એને તત્ત્વચર્ચા કે સ્વરૂપચર્ચામાં સમાવી દઈ શકીએ. શ્રી ઉમાશંકરે આ બધા જ પ્રકારનું વિવેચન કરેલું છે, એટલું જ નહિ, એ દરેક પ્રકારમાં એમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમ છતાં આપણા બધા વિવેચકોમાં નર્મદ-નવલરામથી માંડીને રમણભાઈ, નરસિંહરાવ, મણિલાલ, આનંદશંકર, રામનારાયણ, વિષ્ણુભાઈ, સુન્દરમ્ એ બધા કરતાં શ્રી ઉમાશંકરની કોઈ વિશેષતા બતાવવી હોય તો એમ કહેવું પડે કે એઓ કવિકર્મનો વિચાર વધારે ઝીણવટપૂર્વક, બીજા કોઈ પણ વિવેચક કરતાં વધારે વિગતે કરે છે. અને એટલે જ જ્યારે મારે એમના એક વિવેચનગ્રંથ ‘નિરીક્ષા’ની સમાલોચના કરવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે મેં તે લેખનું મથાળું ‘નિરીક્ષા : કવિકર્મની પરીક્ષા’ એવું રાખ્યું હતું.*[1]

વિવેચનના ત્રણ વિભાગ

૧. તત્ત્વવિચાર. ૨. સ્વરૂપવિચાર
૩. કૃતિવિચાર

કૃતિવિચારના બે વિભાગ

૧. કૃતિના અર્થની ચર્ચા
૨. કવિકર્મની ચર્ચા

ઉમાશંકરનો ઝોક અર્થ ઉપરાંત કવિકર્મની વિગતે પરીક્ષા કરવા તરફ વધુ જોવામાં આવે છે. આ ત્રણે પ્રકારના વિવેચનમાં એમની કામગીરી કેવી રહી છે તે હવે જોવાનું રહે છે. કેટલાક – શ્રી વિજયરાયાદિ – એમ માને છે કે કવિ સારો વિવેચક ન હોય. એવું વ્યાપક વિધાન સલામત નથી. આપણે ત્યાં તેમ જ પશ્ચિમમાં પણ કેટલુંક મહત્ત્વનું વિવેચન કવિઓએ કરેલું છે. અંગ્રેજીની જ વાત કરીએ તો શેલીનું ‘In Defence of Poetry’ કે વર્ડ્ઝવર્થની ‘પ્રસ્તાવના’ કાવ્ય-સ્વરૂપની ચર્ચામાં મહત્ત્વનાં લખાણો છે. ભારતમાં રવીન્દ્રનાથ, ઉમાશંકર બંને મોટા કવિ અને કાવ્યસ્વરૂપના સમર્થ વિવેચકો છે. આપણા પ્રાચીન આચાર્યો પણ સારા કવિ હતા એ તેમના ગ્રંથોમાં ઉતારેલા તેમના શ્ર્લોકો ઉપરથી જોઈ શકાય છે. વિવેચક કવિ પણ હોય તો કાવ્યરચનાના અંગત અનુભવને લીધે તેને રચનાપ્રક્રિયા સમજવા સમજાવવામાં બીજા કરતાં અમુક વધારે લાભ રહે એ સહેજે સમજી શકાય એવી બાબત છે. અને આ વાત જેને અંગ્રેજીમાં સભાન સ્રષ્ટા (conscious artist) કહે છે તેની બાબતમાં વધારે લાગુ પડે છે. રવીન્દ્રનાથ અને ઉમાશંકર બંને સભાન કલાકારો છે. પોતે શું કરવા તાકે છે અને શી રીતે કરે છે, એનું તેમને પૂરું ભાન હોય છે. અને પોતે તાકેલું ધ્યેય કેટલે અંશે સિદ્ધ થયું એ ૫ણ તેમના ખ્યાલમાં હોય છે.

આ ઉપરાંત વિવેચનનો એક ચોથો પ્રકાર ૫ણ કલ્પી શકાય – ‘વિવેચનનું વિવેચન’, એ પણ ઉમાશંકરે ખેડેલો છે. ‘વિવેચકની સાધના’ એ લેખમાં એમણે શ્રી વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું વિવેચન કરેલું છે. ‘કવિતાશિક્ષક બળવંતરાય’માં બળવંતરાયના કવિતાવિષયક વિચારોની પરીક્ષા કરેલી છે. ૧. સાધારણીકરણ એ ઇમેજિનેશન નથી. સાધારણ્ય સામાન્ય નથી. સાધારણ્ય માટે અસાધારણ – લોકોત્તરનો ત્યાગ અપેક્ષિત નથી. સાધારણ્યને લીધે જ લોકોત્તરનું નિરૂપણ શક્ય છે. ટ્રૅજડીને અંતે અસ્વસ્થતા નહિ, ૫ણ શમ. રસાભાસ વિશેની ગેરસમજ. રસસિદ્ધાંતની કસોટીએ આધુનિક સંવિદલક્ષી કાવ્યોને ચડાવવામાં બેહૂદાપણું જોયું હતું. ૫ણ તે બરાબર નથી. કાવ્યાનુભવનું ફલ આનંદ કે દર્શન, દર્શન એ ઉત્તર સ્થિતિ છે. વિવેચન એ સર્જન નથી એવા નિર્ણય ઉપર પાછળથી આવ્યા.[2] ૨. ગદ્યમાં વિચારનું પ્રાધાન્ય હેાય છે એટલું જ ‘ભણકાર’માં નિરૂપણ છે. ‘લિરિક’માં ઊર્મિપ્રધાન તે જ ઉત્તમ કવિતા નહિ – એવું પ્રતિપાદન છે. ‘કવિતાસમૃદ્ધિ’માં વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જ્ઞાતિની ગણાવી. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં મેધા કરતાં પ્રતિભાને ઊંચે સ્થાને મૂકી પણ ૫છી તરત જ કહ્યું કે તમે જેને ઉત્તમ કાવ્ય કહેશો તે વિચારપ્રધાન છે એમ હું સાબિત કરી આપીશ. આ ખંડદર્શને એમના વિવેચનને દૂષિત બનાવ્યું. પ્રવાહિતાનો આગ્રહ ૫ણ ગુજરાતી ભાષાની પ્રકૃતિની અવગણના કરનારો છે. અંગ્રેજી છંદ પ્રયત્ન ઉપર છે, રચાયેલા આપણા માત્રા ઉપર.

શ્રી ઉમાશંકરના વિવેચનગ્રંથો

૧. સમસંવેદન ૧૯૪૮, ૧૯૬૫ ૬. શ્રી અને સૌરભ ૧૯૬૩
૨. અભિરુચિ ૧૯૫૯ ૭. પ્રતિશબ્દ ૧૯૬૭
૩. શૈલી અને સ્વરૂપ ૧૯૬૦ ૮. અખો: એક અધ્યયન
૪. નિરીક્ષા ૧૯૬૦ ૯. કવિતાવિવેક (અપ્રગટ)
૫. કવિની સાધના ૧૯૬૦

૧. કાવ્યસ્વરૂ૫ચર્ચા – સાહિત્યતત્ત્વવિચાર

૧. કવિની સાધના ૪. વાસ્તવવાદ
૨. મંત્ર કવિતા ૫. શૈલી
૩. વર્ડઝવર્થનો કાવ્યવિચાર

૨. સાહિત્યસ્વરૂપવિષયક

૧. નિબંધ ૬. મુક્તક
૨. એકાંકી ૭. પદ
૩. નાટ્યસાહિત્ય ૮. સૉનેટ
૪. ટૂંકીવાર્તા ૯. ઊર્મિકાવ્ય
૫. લોકસાહિત્ય ૧૦. ખંડકાવ્ય

૩. સર્જનપ્રક્રિયાવિષયક

૧. કવિની સાધના ૩. કવિતાનો જન્મ (નિ.)
૨. હું કેમ લખું છું. (અ.) ૪. પશ્ચાદ્-ર્શન-પુરોદર્શન

૪. કૃતિઓનું અર્થદર્શન

૧. મહાભારત: એક ધર્મકાવ્ય ૫. હૃદયધર્મનું દર્શન (નિ.)
૨. શાકુંતલરસદર્શન ૬. વિશ્વમાનવનો ઉદ્ગાતા
૩. અમૃતા આત્મની કલા — ઉત્તર- ૭. નિર્ઝરેર સ્વપ્નભંગથી રામચરિત સમ્મુખે શાંતિ પારાવાર’
૪. સંસ્કૃતિનો કવિ

૫. વિવેચનનું વિવેચન

૧. કવિતાશિક્ષક બળવંતરાય
૨. વિવેચકની સાધના (ક. સા.)

  1. * જુઓ પછીનો લેખ.
  2. આ આખું લખાણ ભાષણ માટેનું ટાંચણ માત્ર છે.