વ્યાજનો વારસ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



વ્યાજનો વારસ






ચુનીલાલ મડિયા





આમુખ
ઉમાશંકર જોશી



અર્થસ્ય પુરુષો દાસો દાસસ્ત્વર્થો ન કસ્યચિત્।





નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

​VYAJA–NO VARAS
by : Chunilal Madia
Published by : N. S. Mandir,
         Bombay−2, & Ahmedabad−1
© Daksha Madia

પ્રથમ આવૃત્તિ : ૧૯૬૪ પુનર્મુદ્રણ : ૧૯૫૦, ૧૯૫૯, ૧૯૬૯, ૧૯૭૪,૧૯૮૧, ૧૯૮૫, ૧૯૯૦


કિંમત : રૂ. ૫૧−૦૦


પ્રકાશક :

ધનજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ−૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ−૩૮૦ ૦૦૧


મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧



માતૃચરણે
શેં ભૂલું બા, અગણ ઉપકારો મહીં શ્રેષ્ઠ સૌથી ?
ભાથું આપ્યું જીવનભરનું : રંગ પાયો ‘કસુંબી’ !

સર્જક કલ્પના

લાખોની મૂડી અને એ માયાની જુદા જુદા જીવો ઉપર પાત્રતા પ્રમાણે પોતપોતાના સંજોગાનુસાર પ્રકટ થતી અસરોની પરંપરા એ જ આ લખાણનો વિષય છે. આદિથી અંત લગી લખાણ આ વિષયને સુદઢ વફાદારીએ વળગી રહે છે એ આમાં વસ્તુની એકતા છે; અને એકતાને આદિ છે, મધ્ય છે, અંત છે...

'વ્યાજનો વારસ' વિશે આનંદથી નોંધુ છું કે એમાં બીજા કોઈનું કશું જ દેખાતું નથી. વળી આખો ગોંફ કર્તાની પોતાની સરજત છે. એની રચનામાં હવે શું આવે છે, આનો ઉકેલ કર્તા આણે છે, એની જિજ્ઞાસા વાચકને રહ્યા કરે છે. એની ગૂંથણી વડે વાર્તારસ સારી રીતે જાળવ્યો છે એટલે આ કૃતિની ઉપર જણાવેલી અને બીજી ગુણવત્તાને લીધે સ્વાગત દેતાં આનંદ થાય છે; આ કૃતિમાં જે સર્જક કલ્પના, વાતાવરણ, આપણે ત્યાંના જ બનાવો, દર્શનનું સમતોલપણું અને કલા યોજાયાં છે તે જોતાં તરુણ કર્તાની હવે પછીની કૃતિઓમાં કર્તાની કલમ વધારે ખીલશે એવી આશા પણ પડે છે. – બળવંતરાય ક. ઠાકોર
['પ્રવાસી' તા. ૪-૬-૧૯૪૭]


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

કહેવાની આશ્યકતા નથી કે આ કથા સાદ્યન્ત કલ્પિત જ છે. અને છતાં પાંચમા પ્રકરણમાં ગુજરાતની ભૂતકાલીન શરાફી અને નાણાંવટ અંગેનું જે લખાણ છે, તે કથામાં ૨સ પૂરવા પૂરતું જ રજૂ કર્યું છે. એ કાળની જાણીતી વ્યક્તિઓના ઉલ્લેખો પાછળ પણ ૫શ્ચાદભૂની રંગપૂરણી વધારે ઘેરી બનાવવાની જ નેમ છે. એ પ્રકારની ઐતિહાસિક માહિતીઓ શ્રી ડી. આર. દેસાઈએ એમ. કોમ. ના ડિગ્રી કોર્સ માટે લખેલ, થીસિસ 'ઈન્ડીજીનસ બેકિંગ ઈન ગુજરાત'માંથી લીધી છે. એ અપ્રગટ પુસ્તકની હસ્તપ્રતનો મને લાભ આપવા બદલ પ્રિન્સિપાલ સુરેન્દ્ર વૈ. દેસાઈનો આભાર માનું છું. એ ઉપરાંત, હિન્દની શરાફીના ઇતિહાસ તેમ જ કાર્યરીતિની વિગતો માટે 'ઈન્ડીજીનસ બેકિંગ ઇન ઇન્ડિયા'ના કર્તા ડૉ. એલ. સી. જૈનનો હું ઋણી છું. પણ એ પ્રકારની વિગતના ઉલ્લેખો તો કથાવસ્તુને પોષક બને એ દૃષ્ટિએ જ રજૂ કર્યા છે. કથાનો પ્રધાન રસ તો 'માનવ' જ છે; અને એ 'માનવ-દોર' ઉપર જ કથાવસ્તુને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

કથાની ભૂમિકા તરીકે થોડા દાયકા પહેલાનો સમય કલ્પ્યો છે. મુંબઈ વિજયાદશમી, ૨૦૦૨ચુ. મ.


બીજી આવૃત્તિ પ્રસંગે

થોડા દાયકા પૂર્વેની ભૂમિકા પર મંડાયેલી આ નવલકથાની પહેલી આવૃત્તિમાં રહી જવા પામેલ કેટલાક હકીકત-દોષો આ આવૃત્તિમાં સુધારી લીધા છે. એમાં શ્રી ધનસુખલાલ મહેતાએ સારી મદદ કરી છે. વિમલસૂરીના પાત્રાલેખનમાં એક વર્તન-દોષ આલેખાઈ ગયેલો, એ અંગે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ તરફથી તેમ જ કેટલાક વ્યક્તિગત જન વાચકો તરફથી ઉગ્ર રોષભર્યા પત્રો આવેલા. અજાણતાં જ થઈ ગયેલી એ ભૂલ આ આવૃત્તિમાં સુધારી દીધી છે.

પહેલી આવૃત્તિ અંગે પ્રગટ થયેલાં વિવેચનોમાંથી 'સંસ્કૃતિ'માંનું શ્રી ઉમાશંકર જોશીનું લખાણ આ આવૃત્તિમાં શામિલ કર્યું છે.

મુંબઈ વિજયાદશમી, ૨૦૦૬ચુનીલાલ મડિયા


પુનર્મુદ્રણ પ્રસંગે

ગુજરાતમાં વધુમાં વધુ વાચન અને વેચાણ નવલકથાઓનું થાય છે એ વાત સર્વાંશે સાચી લાગતી નથી, અથવા એ નિયમમાં આ કૃતિની બીજી આવૃત્તિની નકલો હજી ખલાસ થઈ નથી. એ નકલો અલબત્ત, ઓછી થઈ છે. અને એ ઓછી કરાવવામાં પણ આ કથાને પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરનાર પૂના યુનિવર્સિટીનો મોટો ફાળો છે. તેથી, આ પુનર્મુદ્રણ પ્રસંગે આ કથાના થોડાઘણા વાચકોને, આ કૃતિના પ્રકાશન વેળા એની નોંધ લેનાર કેટલાક વિવેચકો અને વિદ્વાનો, તથા હવે તો પરપ્રાંતમાં ગણાનારી પૂના યુનિવર્સિટીનો અને આ પુનર્મુદ્રણ પ્રગટ કરવાની હામ ભીડનાર રવાણી પ્રકાશન ગૃહનો આભાર માનું છું.

મુંબઈ, ડિસેમ્બર ૧૯૫૯- ચુ. મ.


નાયક વિનાની નવલકથા
ઉમાશંકર જોશી

આભાશાએ વ્યાજવટાવથી પાંચ પૈસા ભેગા કર્યા છે, પણ વારસની મોટી ખોટ છે. ત્યાં મોટી ઉંમરે દીકરો જન્મે છે. પણ રિખવ મોટો થતાં વિલાસિતાને ભોગે ચઢી જાય છે અને સિંધી બાઈ એમી - જેનાથી એને ગુલુ કરીને દીકરો પેદા થયો છે તે - ના ગામથી પાછા વળતાં કપાઈ મરે છે. આભાશાને વારસ માટે એમની પત્ની માનવંતી પોતાની બહેન નંદન સાથે પરણાવે છે. પણ તે બિનવારસી જ, પોતાના દીકરાને વારસો આપવાની લોભિયણ બહેન અમરતના હાથના તોલો અફીણથી, મૃત્યુશરણ થાય છે. અમરત સત્તાનાં સૂત્રેા હાથ કરવા નંદનને પેટે 'ત્રણ ત્રાંસળી' બંધાવવાની યોજના કરી, એને બાળક છે એમ જાહેર કરી, કૂબાના વગડાઉ લોકો પાસેથી ખરીદી લાવીને વારસની સ્થાપના કરે છે. આ પદમશેઠ પણ પાંચ વરસનો થઈ વિરોધીને હાથે કમોતે મરે છે. અમરત ગાંડી થઈ જાય છે. અમરતનો મિત્ર અને આભાશાનો મુનીમ ચતરભજ ભીખ માગતો થઈ જાય છે. આખો વારસો રિખવની પત્ની - મિલનની કહેલી રાતે જ પતિના મદ્યશોખને વશ ન થવાથી એની સાથે આંટી પડતાં તરછોડાયેલી અને આજીવન ધર્મ અને કલામાં રમમાણ રહેનારી સાધ્વી – સુલેખાના હાથમાં જ પડે છે. એમી અને એનો બાપ – આભાશાનો પાડોશી – દુખિયારો લાખિયાર સુલેખાને આશ્રયે પડ્યાં છે, ત્યાં ખોવાઈ ગયેલો એમીનો ગુલુ મોટો મહંત બનીને આવી પહોંચે છે. સુલેખા વારસના ધનમાંથી ઊભા કરેલા અન્નક્ષેત્રનો ભાર એને સોંપે છે, સાચા 'અધિકારી'ને ચરણે બધું નિવેદિત થતું જોઈ


​એની ચરિતાર્થતા અનુભવે છે. આ આખી સૃષ્ટિના સમભાવી સાક્ષી પરમ કારુણિક વિમલસૂરીજીના આશીર્વાદ આગળ કથા અટકે છે. ચિત્તમાં શમી જતી સૃષ્ટિના રંગોમાં, કલાધારી સુલેખાએ આદરેલા આત્માના અજરઅમર અંશના ચિત્ર 'સુરૂપકુમાર'ની આપણને અલપઝલપ ઝાંખી થઈ જાય છે.

નવલકથામાં નાયક ને નાયિકાની પાછળ ભમનાર વાચક તો પુસ્તકને, સત્તરમે પ્રકરણે રિખવશેઠના મૃત્યુ સાથે, બાજુ પર મૂકી દેશે. નાયિકા સુલેખા છેક સુધી જીવે છે, પણ આખી કથામાં માંડ બે વાર નાયકની સાથે એ જોવા મળે છે. કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો – વગર પરિશ્રમનો – પૈસામાંથી ઉપજતો પૈસો, એટલે એને સોળે કળાએ ખીલેલી લક્ષ્મી કહીએ તો ચાલે ! અને નાયક ? એની જ તો વાત છે !

એક બાજુથી જોઈએ તો લક્ષ્મી પોતાનો રક્ષક-ભોક્તા ગમે તે રીતે મેળવવા કરતી હોય છે એની મથામણ સર્વત્ર નજરે પડે છે. આભાશા, રિખવ, પદમશેઠ એ એના અહીં કાયદેસરના માલિકો છે, એમની માલિકી ડગમગે છે ત્યારે અને અમરત અને ચતરભજ પોતપોતાના દીકરાઓને એ પદ અપાવવા તલસે છે, પણ લક્ષ્મી કોઈ પ્રભાવશાળી રક્ષક મેળવવા નિષ્ફળ નીવડે છે. દૃઢ મનોબળવાળી વ્યક્તિઓ છે તે લક્ષ્મીની માલિકીના મોહમાં ફસાઈ તેના ગુલામ બનવા તૈયાર નથી (દા. ત. સુલેખા, છોટા મહંત, વિમલસૂરીજી.) છેવટે લક્ષ્મી જ્યાંથી પોતે ઉત્પન્ન થઈ હતી તે જનતાની સહસ્ત્રકમળપાંદડીમાં સમાઈ જાય છે – એને ઉજ્જ્વળતા અર્પી રહે છે. આમ બીજે છેડેથી જોઈએ છીએ તો લક્ષ્મી અમુક વ્યક્તિને લલચાવે છે, પોતાને ચાળે ચઢાવે છે. પણ ક્યારેક જતાં જનતાની સેવામાં કૃતાર્થ થયા વગર એના જીવને જંપ નથી. નારાયણના – આપણે ઇતિહાસ વિલોકીશું તે દેખાશે કે દરિદ્રનારાયણ - થાક્યા પાક્યા પગ તળાંસવામાં એના મનને જે તૃપ્તિ છે એ બીજે ક્યાંય નથી. અર્થશાસ્ત્રકાર કૌટિલ્યભગવાને


​યોગ્ય રીતે જ એની નીતિને અલબ્ધલાભાર્થા ન મેળવેલું મેળવવા માટેની લબ્ધપરિરક્ષણી મેળવેલું બચાવનારી, રક્ષિતવિવર્દ્ધની બચાવેલામાં વધારો કરનારી,એમ કહીને છેવટે વૃદ્ધસ્ય તીર્થાષુ પ્રતિપાદનીય વધારેલા ધનને તીર્થરૂપી અત્પુરુષો કે સંસ્થાઓને સોંપવામાં રાચનારી વર્ણવી છે. એટલે કે લક્ષ્મીને સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એકમાત્ર સમાજ કરી શકે એમ છે. 'વ્યાજનો વારસ' હિંદીઓના લોહીમાં યુગોથી રમતી આ ભાવનાને મૂર્ત કરી આપે છે. એનો નાયક છે આપણાં ગામડાંનો ગરીબ સમાજ જેનું સૌભાગ્ય કથાની વ્યક્તિઓની અંગત વ્યથાઓ, અને વેદનાને અંતે પણ ખીલી ઊઠતું જોવા મળે છે – એ નાનુંસૂનું આશ્વાસન નથી.

કથા, આ રીતે, શાન્ત રસની છે, છેક અન્તભાગમાં પણ સુલેખા રિખવની એની સ્મૃતિઓમાંથી 'સુરૂપકુમાર' સર્જવા બેઠી છે એ દર્શાવે છે તેમ, શૃંગાર આદિ રસોના ઊર્ધ્વીકરણે સિદ્ધ થયેલો આ શાન્ત રસ છે. કર્તા પ્રસ્તાવનામાં કહે છે તેમ કથાની ભૂમિકા તરીકે થોડા દાયકા પહેલાંનો સમય લીધો છે, એથી વ્યકિતગત જીવનસાધના, અને તે પ્રાચીન ધર્મભાવનાને અનુસાર, નિરૂપવી શક્ય બની છે, છેક અત્યારે સમય લીધો હોત તોય 'વ્યાજનો વારસ કોણ?'નો જવાબ તો સમાજ, એમ જ મળત. પણ એનાં નિરૂપણની પદ્ધતિ નોખી રહેત.

આપણા રૂઢિગ્રસ્ત સમાજજીવનનાં અનેક પડનું અવલોકન લેખક સૂસૂક્ષ્મતા અને સમભાવથી કરી શક્યા છે. આ કથા લેખકના અનેકવિધ અનુભવની પ્રતીતિ કરાવે છે. ચિત્રો ઉઠાવવાની શક્તિ ઊંચા પ્રકારની છે. ભાષાના રૂઢિપ્રયોગો (Idioms) ઉપર એમની લેખણીનો અસાધારણ કાબૂ છે. પ્રાદેશિક પ્રયોગો યથાસ્થાને શોભે છે. ઉર્દૂ અને ખાસ તો મી'ગોળા ગામની તળાવડીએ એમીએ સાંભળેલા લોકગીતોના ટુકડા યોગ્ય રીતે ઉતારાયા છે.


​પાત્રાલેખન અને કથાગૂંથણીમાં લેખકની હથોટી સારી દેખાય છે પણ શરૂઆતનાં ચાળીસ પૃષ્ઠમાં રિખવ જન્મીને 'હૈયાહોળી' પ્રગટાવે એવડો મોટો થઈ જાય છે એ બધા સમય દરમિયાન આભાશાનું પાત્ર (જાણે કે ઉંમર પણ) સ્થિર લાગે છે, અને અમરત પોતાના ભાઈને મારી નાખે છે એ પ્રસંગ વર્ણવાયો છે કુનેહપૂર્વક પણ અનિવાર્ય અને તેથી પ્રતીતિકર લાગતો નથી. અમરત અને ચતરભજ 'ભોરિંગે ભોરિંગના લબકારા' પણ વધુ પડતા લાંબા અને વારંવાર ચાલે છે. સત્તાપ્રિય પતિવિહોણી સ્ત્રી અને સત્તાની ચાવી ધરાવતો સેવક એ બે પાત્રોની નિર્જીવ પ્રણય-પટાલકડી ગુજરાતને ફ્રેંચ કથાકારની કૃપાથી શ્રી મનુશીનાં મીનળ—મુંજાલ આદિ દ્વારા હવે તો ખૂબ પરિચિત છે. છતાં ચતરભજના ઓધિયા પાસેથી 'કૂંચી ને કિત્તો હેઠો' મેલાવી દેતી અમરતનું ચિત્ર કર્તાની કલમને જેબ આપે એવું છે. અને એવું આખું પ્રકરણ છે 'બાળા, બોલ દે!'નું ફ્રેંચ કથા શિલ્પી ફૂલૉબેરની નાયિકા માદમ બોવારી અને તેના પ્રેમી વચ્ચે, મેળામાં હરાજી બોલાતી આવી છે. એની જાહેરાતોની વચ્ચેવચ્ચે, પ્રણયોદ્‌ગારોની આપલે થાય છે એ કળાની યાદ; અહીં ભવાઈની વાતની વચ્ચે વચ્ચે પદમશેઠના ખૂનની વાત જે રીતે કહેવામાં આવી છે તે ઉપરથી, આવી જાય છે. પણ સરખામણી જવા દઈએ, પોતાના વાર્તાસંગ્રહ 'ઘૂઘવતાં પૂર'નું ચેખોવ-છોગું લઈને ફરતા આ જુવાન લેખક જ એમની વાર્તાસૃષ્ટિની ભાષામાં કહીએ તો, નજરાઈ ગયા હતા ને? ઇચ્છીએ આ નવલકથા જે સમૃદ્ધ સર્જકતાનો પરિચય કરાવે છે તેને ઉત્તરોત્તર વધુ સારો લાભ ગુજરાતને મળ્યા કરે

[સંસ્કૃતિ, જુલાઈ ૧૯૪૭]