શેક્‌સ્પિયર/પ્રકાશક-સંસ્થાનું નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રકાશક-સંસ્થાનું નિવેદન

(પ્રથમ આવૃત્તિ)

મહાકવિ શેક્‌સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી 1964માં ઊજવાઈ તે પ્રસંગે અંગ્રેજી સાહિત્યના પ્રખર અભ્યાસી અને જાણીતા પ્રાધ્યાપક આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટે ‘સંસ્કૃતિ’માં જે પંદર જેટલા અભ્યાસલેખો દ્વારા એ મહાવિભૂતિને અંજલિ આપી તેને ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાનું યુનિવર્સિટીએ ઠરાવ્યું. તેના ફળ રૂપે આ પુસ્તક આજે પ્રસિદ્ધ થતાં આપણા અલ્પધન વિવેચન-સાહિત્યમાં એક મૂલ્યવાન મૌલિક ગ્રંથનો ઉમેરો થશે એ આનંદની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રકાશન તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા માટે આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટનો હું આભારી છું. આપણા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને અન્ય સાહિત્યપ્રેમી મિત્રોને આ પ્રકાશન રસપ્રદ અને ઉપયોગી નીવડશે એમ આશા રાખું છું.

ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ-9.

કં. ચં. પરીખ
કુલસચિવ

જાન્યુઆરી 30, 1970.
સૌર માઘ 10, 1891 (શક).

મહેણું ફરી ટળે છે !

પ્રકાશકીય
(દ્વિતીય આવૃત્તિ)

આ પુસ્તક-પ્રસંગે એટલે કે આજથી બરાબર સત્યાવીશ વર્ષો પૂર્વે વિષય અને વિષયી રૂપે બે વિરલ પરિબળોનો દૂધ-સાકરયોગ થયો હતો : વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્‌સ્પિયર અને તેના એવા જ અષ્ટાંગ અભ્યાસી આપણા એસ. આર. ભટ્ટ - સાહેબ અર્થાત્ સંતપ્રસાદ ભટ્ટ ! આ. ભટ્ટસાહેબે 1964માં શેક્‌સ્પિયરની ચોથી જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી ભાવકોને લક્ષ્ય કરીને ‘સંસ્કૃતિ’ માસિકમાં લેખમાળા લખી અને 1970માં ગુજરાત યુનિવર્સિટીએ એ ઉત્તમ લેખમાળાને ગ્રંથસ્થ કરીને મુ. ભગતસાહેબે કહ્યું છે તેમ, ‘ગુજરાતી ભાષામાં શેક્‌સ્પિયર પર માર્મિક વિવેચન નથી એવું મહેણું’ ટાળ્યું. પરંતુ વર્ષોથી એ પુસ્તક ઉપલબ્ધ ન હતું. પરિષદ પ્રમુખ શ્રી વિનોદ ભટ્ટને એ પુસ્તક પુનર્મુદ્રિત થવું જોઈએ એવો સ્તુત્ય વિચાર સ્ફૂર્યો અને એમના મિત્ર શ્રી રાજેશ શાસ્ત્રીએ સહર્ષ એ વિચારને નરી સાહિત્યપ્રીતિથી સ્વખર્ચે અમલમાં મૂક્યો. આ ભૂમિકાએ પરિષદ રાજેશભાઈનો વિશેષ આભાર માને છે. 1964માં જ ભટ્ટસાહેબે ‘ગુજરાત સમાચાર’માં શેક્‌સ્પિયર - જન્મજયંતી 23મી એપ્રિલે એક વિશિષ્ટ લેખ લખેલો. પુસ્તકની પ્રથમ આવૃત્તિ થઈ ત્યારે સંજોગવશાત્ એ લેખ સમાવી શક્યો ન હતો. આ વેળા એ લેખ શ્રી બકુલ ત્રિપાઠીની સહાય અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સુલભ થતાં પુસ્તકમાં આમેજ કરી લીધો છે. પ્રશિષ્ટ એવા આ વિવેચનગ્રંથના પુનર્મુદ્રણ માટે સદ્. ભટ્ટસાહેબનાં પરિવારજનોએ તેમ જ ગુજરાત યુનિવર્સિટીએ સહર્ષ આપેલી સંમતિ બદલ તેમના પણ આભારી છીએ. અપેક્ષા છે, સમય વીતતાં ખૂણે ખસી ગયેલા આવા અન્ય મહત્ત્વપૂર્ણ ગ્રંથો પણ આવી જ રીતે પુનઃપ્રકાશિત થશે. એ સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદ નિમિત્ત બનવામાં આનંદ અનુભવશે.

માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ