સંવાદસંપદા/હર્ષદેવ માધવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્ષદેવ માધવ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Harshdev Madhav.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી


આપણા સરકારી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રીય સમાચાર બુલેટિન આપે એને એ માધ્યમોના ઉપભોક્તાઓ દ્વાર ખાસ આવકાર ન મળ્યો. બોલચાલની ભાષા તરીકે સંસ્કૃત બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી નથી. આ દેવભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના એક વિદ્વાન કાર્યશીલ છે, બલ્કે એ એમના જીવનનું ધ્યેય હોય એટલી નિષ્ઠાથી તેઓ સંસ્કૃત ભાષામાં છેલ્લા ચાર દાયકાથી લેખન-સર્જન કરતા રહ્યા છે. અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજના સંસ્કૃતના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા બહુભાષી સર્જક ડો હર્ષદેવ માધવે આપણને દોઢસોથી વધુ પુસ્તકો આપ્યાં છે, જેમાં સંસ્કૃત નાટક, હાઇકુ, તાન્કા, સીજો, ગઝલ અને મોનો-ઈમેજ જેવાં આધુનિક કાવ્યપ્રકારોના પુસ્તકો, નવલકથા, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક સર્જનો અને અનુવાદોનો સમાવેશ થાય છે. આધુનિક સંસ્કૃત સાહિત્ય, વેદ-પુરાણ, જ્યોતિષ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર એમના રસના વિષયો છે. એમને કલ્પવલ્લી એવોર્ડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના એવોર્ડ, ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય કાલિદાસ સન્માન, એમના કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, મોરારિબાપુ પ્રેરિત ‘વાચસ્પતિ એવોર્ડ’ ઉપરાંત અનેક સન્માનો પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. અનેક ભારતીય અને બિનભારતીય ભાષાઓમાં એમનાં કાવ્યોના અનુવાદો થયા છે. એમના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ વિદ્યાર્થીઓએ મહાનિબંધ તૈયાર કરીને પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સર્જનશીલતા, સંસ્કૃત ભાષા-સાહિત્ય અને એના શિક્ષણ પ્રત્યેના એમના વિશિષ્ટ અભિગમનો પરિચય કરાવશે.

પ્રશ્ન: તાજેતરમાં આપને સોમનાથ ટ્રસ્ટનું સન્માન પ્રાપ્ત થયું એ બદલ સૌ પ્રથમ અભિનંદન. આ અગાઉ પણ આપને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. સન્માન મળે ત્યારે શું અનુભવો? સાહિત્યકાર એક ખૂણામાં બેસીને લખતો હોય છે, મોટેભાગે અંધારામાં બેસીને લખતો હોય છે. એ સમાજની રોશનીથી બહુ દૂર હોય છે. પછી અચાનક સમાજ એનો સ્વીકાર કરે, પ્રશંસાનાં પુષ્પોથી એને વધાવે ત્યારે એ અંધારાની અંદર કોઈએ રોશની કરી હોય એવું લાગે. એનો અનુભવ બહુ સુખદ, આહ્લાદક, રોમાંચક હોય છે, કેટલીક વાર પીડાદાયક પણ હોય છે. પણ ઘણીવાર સાહિત્યકારોની બહુ કદર થતી નથી. કેટલાક સાહિત્યકારો તો મૃત્યુ પછી પોંખાયા છે. એ બાબતે સાહિત્યકારના મનમાં જે દુઃખ હોય એ દુઃખ સામાન્ય લોકો કરતાં જુદા પ્રકારનું દુઃખ હોય છે. ૧૯૯૭માં મને સૌથી પહેલો એવોર્ડ મળ્યો –કલ્પવલ્લી એવોર્ડ. એ એવોર્ડ મળ્યો ત્યારે મને પોતાને ખબર નહોતી, એક મિત્રએ કહ્યું કે છાપાંમાં તારું નામ છે. કલકત્તાની ભારતીય ભાષા પરિષદનો સંસ્કૃત ભાષા માટેનો એ એવોર્ડ મારા ચોથા કાવ્યસંગ્રહ ‘મૃગયા’ માટે મળ્યો ત્યારે હું એકદમ રોમાંચ અનુભવવા માંડ્યો. અને મને એમ થયું કે મારું સર્જન ગુજરાતથી કલકત્તા સુધી તો પહોંચ્યું છે અને એ મારું સદ્‌ભાગ્ય હતું. ત્યાર પછી મને અવારનવાર સન્માનો અને એવોર્ડ મળતાં રહ્યાં છે. એ વખતે બે વસ્તુ મનમાં આવે છે, એક તો એ કે લોકો મારા સાહિત્યની કદર કરે છે. બીજું એ કે ભગવતી સરસ્વતિ મારા ઉપર કૃપા કરે છે, મારી જરૂરિયાતો પૂરી કરે છે અને મને યશ પણ અપાવે છે, અને સમાજમાં મારો સાર્વત્રિક સ્વીકાર થઈ રહ્યો છે એનો વિશેષ આનંદ થાય છે.

પ્રશ્ન: અગિયારમા ધોરણમાં સારા ગુણાંક આવ્યા છતાં આપે સંસ્કૃતનો અભ્યાસ કર્યો, વિજ્ઞાન શાખા ન લીધી. પછી જેવું નરસિંહ મહેતાના જીવનમાં બન્યું હોવાનું કહેવાય છે એવું આપના જીવનમાં બન્યું. નરસિંહને ભાભીનું મહેણું લાગ્યું, આપને ભાઈનું મહેણું લાગતાં આપે સંસ્કૃતમાં સર્જન કરવાનાં શરૂ કર્યું. આપના બાળપણ અને પરિવાર વિષે વાત કરો. મારો જન્મ ભાવનગર પાસેના એક નાનકડા ગામ વરતેજમાં થયો. અમે ત્રણ ભાઈ-બહેન હતાં અને હું ચાર વર્ષનો હતો ત્યારે મારા પિતાજીએ દેહ છોડી દીધો. પછી મારી વિધવા માએ હિંમત કરીને પ્રાથમિક શિક્ષકની નોકરી સ્વીકારી અને અમને બધાંને મોટાં કર્યાં. વિધવા હોય એને એ સમયમાં અનેક દુઃખો પડતાં, સગાં-વહાલાં સાથ છોડી દે વગેરે. એ વખતે શિક્ષકોનો પગાર સો-સવાસો રૂપિયા જેટલો જ હતો અને આખર તારીખમાં અમારી પાસે પૈસા ન હોય એવું પણ બનતું અને આઠ-દસ દિવસ કેમ પસાર થશે એવો પ્રશ્ન પણ ઊભો થતો. આમ જોવા જઈએ તો બે ટંક ખાવાના સાંસા હોય એવી પરિસ્થિતિ હતી, એવામાં અમે ભણ્યા. મારા ટકા સારા આવ્યા એટલે હું કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકું એમ હતું પણ મારી પરિસ્થિતિ એવી નહોતી કે હું કૉલેજની ફી ભરી શકું. બાની બદલી કોળીયાક ગામે થયેલી અને ત્યાંથી બસમાં જવા-આવવાના પૈસા પણ ન હોય એવું હતું, ભણવાની વાત તો પછી આવે. એટલે અગિયારમા ધોરણ પછી એક્સ્ટર્નલ અભ્યાસ કરીને મેં બી.એ કર્યું અને પછી પોસ્ટ એન્ડ ટેલિગ્રાફમાં મને નોકરી મળી. એ પછી હું બધા સંઘર્ષોને પાર કરતો કરતો પોસ્ટલ ક્લાર્કમાંથી હાયર સેકન્ડરી સ્કૂલમાં અને ત્યાંથી પછી કૉલેજમાં આવ્યો. એમ.એ સુધીનો બધો અભ્યાસ મેં એક્સ્ટર્નલ કર્યો. સંસ્કૃત પણ મને કોઈ દેવકૃપાએ આવડ્યું છે. કેમ કે મારા ઘરમાં એવી કોઈ પરંપરા નહોતી, મને કોઈ શિખવાડનાર નહોતું. મારા વિષે ઉમેશ કવિ કરીને એક જ્યોતિષી હતા એમણે આગાહી કરી હતી કે આ છોકરો ડૉક્ટર થશે. પણ મારા ભાગ્યમાં મેડિકલ ડૉક્ટર થવાનું નહોતું લખ્યું એટલે પછી હું સાહિત્યનો ડૉક્ટર થયો. એ બનવા જોગ છે કે સંસ્કૃત ભાષાએ જ મને આર્ટસ તરફ ધકેલ્યો. એટલે મેં જ્યારે સંસ્કૃત લીધું ત્યારે મારા મોટા ભાઈ ભરતભાઈ યાજ્ઞિક, મારા કરતાં ચાર વર્ષ મોટા, અને એ મને મહેણાં મારતા કે ‘આ સંસ્કૃત એ ચોટલીઓની ભાષા કહેવાય. તારે કર્મકાંડ કરવાનું હોય કે શ્લોકો બોલવાના હોય. તો તું કંઈ લખશે નહીં.’ પણ મારા બંને ભાઈઓ પસ્તીમાંથી જૂની ચોપડીઓ લઈ આવતા. એ વાંચતાં વંચાતાં હું સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનો અભ્યાસી બન્યો. સંસ્કૃતના, ગુજરાતીના મોટા-મોટા સર્જકો મને પસ્તીમાંથી વાંચવાના મળ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતા મારે એસ.એસ.સીમાં ભણવામાં આવતી, ‘પતંગિયું અને ચમ્બેલી’. મને આજે પણ એ કવિતા આખી મોઢે યાદ છે. એ બહુ રોમેન્ટિક કવિતા છે. એ કવિતાનું રસદર્શન એ પાઠ્યપુસ્તકમાં સુરેશ જોષીએ કરાવ્યું હતું. એ કવિતાથી મારી કવિ તરીકેની પાંખો ખૂલી ગઈ. અને મેં સૌથી પહેલાં છંદોમાં લખવાનું શરૂ કર્યું, પછી ગીતો શીખ્યો. તે વખતે દુલા ભાયા કાગ હતા, એમની પાસેથી હું ચારણી છંદો, પોસ્ટલ સંપર્ક દ્વારા, શીખ્યો. ઝવેરચંદ મેઘાણીને વાંચીને મને લોકસાહિત્ય શું છે, લોકભાષા શું છે એનો ખ્યાલ આવ્યો. બીજી તરફ કાલિદાસ, માઘ, ભવભૂતિ એ બધાએ મને ક્લાસિકલ ભાષાનું ઘેલું લગાડ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે મારે કશુંક નવું કરવું હશે તો જ હું લખીશ, નહીં તો હું નહી લખું. મારા ભાઈએ મને ૧૯૭૨-૭૫ની વચ્ચે એક અંગ્રેજી હાઈકુનું પુસ્તક આપ્યું. અંગ્રેજી પણ હું જાતે જ શીખ્યો, મારે બધું જાતે જ શીખવાનું હતું. તો હાઈકુ વાંચતાં વાંચતાં હાઈકુનું જે ઊંડાણ છે, એની જે વિશેષતાઓ છે, એની જે ઈમેજ છે, એ મને સ્પર્શી ગઈ અને એમાંથી મેં સંસ્કૃતમાં હાઈકુ લખવાનાં શરૂ કર્યાં. ૧૯૭૨-૯૩થી લઈને ૧૯૭૫-૭૬ સુધી મેં લગભગ બસો પચાસ હાઈકુઓ લખ્યાં. અને સદભાગ્યે એ વખતે મને એક ગુરુનું સરનામું મળ્યું, હું એકલવ્ય હતો અને એ મારા દ્રોણ હતા. પોસ્ટલ સંપર્ક દ્વારા હું મારાં કાવ્યો એમને મોકલતો, એ મારાં કાવ્યો વાંચતા, મને પ્રોત્સાહન આપતા, ક્યાંક વ્યાકરણની ભૂલો હોય તો સુધારતા- એ ડો. એમ.વી જોશી, જે હમણાં જ દિવંગત થયા. તો હું એમનો ઉપકાર માનું છું કે એમણે મને એકલવ્ય તરીકે સ્વીકાર્યો પણ એમણે મારો અંગૂઠો ન માંગ્યો. એને કારણે ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી મારાં હાઈકુ ‘સંવિદ’ પત્રિકામાં છપાયાં. આપ જાણતાં જ હશો કે પહેલાં નવનીત અને સમર્પણ બે જુદાં સામયિક હતાં, એની સાથે ભારતીય વિદ્યાભવનનું ‘સંવિદ’ સંસ્કૃત મેગેઝીન પ્રકાશિત થતું. એ વખતે મારા અક્ષર બહુ ખરાબ હતા, ટાઈપિંગની કોઈ વ્યવસ્થા નહોતી, પણ એના તંત્રીએ મને બહુ પ્રેમપૂર્વક, વાત્સલ્યપૂર્વક વધાવ્યો અને કહ્યું કે તમે નવો ચિલો ચાતરી રહ્યા છો અને તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો. ‘સંવિદ’ આ પ્રકાશિત કરશે. અને લગભગ ત્રણ વર્ષ સુધી મારાં હાઈકુ એમાં પ્રકાશિત થયાં. અને એ રીતે સંસ્કૃતમાં મારી લેખનની શરૂઆત થઈ.

પ્રશ્ન: આપનું મૂળ નામ હર્ષવદન મનસુખલાલ જાની. એમાંથી આપે હર્ષદેવ માધવ નામ અપનાવ્યું. એનું કારણ શું? એનાં બે-ત્રણ રમૂજી કારણો પણ છે. એક તો કનૈયાલાલ મુનશીની માસ્ટરપીસ નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ મેં વાંચી અને મને બહુ જ ગમી ગઈ, એમાં ‘માધવનો સંયમ’ કરીને એક પ્રકરણ છે. એ માધવ એટલે માલતીનો માધવ. એ સમયે મેં સમ્રાટ હર્ષવર્ધનની કૃતિ વાંચી, ‘રત્નાવલી’ ‘પ્રિયદર્શિકા’ વગેરે. તો હર્ષવર્ધન સંસ્કૃતમાં હર્ષદેવ તરીકે જાણીતા છે. એટલે મારું નામ હર્ષવદન એમાંથી મેં વદન કાઢીને દેવ સાથે જોડી દીધું. આ પહેલું કારણ. અને બીજું કારણ એ હતું કે એ વખતે હું પોસ્ટલ ડીપાર્ટમેન્ટમાં હતો અને એ ડીપાર્ટમેન્ટ ખૂબ જ શિસ્તબદ્ધ હતું. એટલું બધું શિસ્તબદ્ધ કે તમે કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ ન લઈ શકો, તમે કવિ સંમેલનોમાં ભાગ ન લઈ શકો, તમે કશું છપાવી ન શકો. એને કારણે મારે મારી સાચી ઓળખ છૂપાવવાની અનિવાર્યતા હતી, એટલે મેગેઝીનોમાં મારું નામ આવે તો મને કોઈ ઓળખે નહીં. એ રીતે આકાશવાણીમાં પણ ઘણા બધા કાર્યક્રમો મેં આપ્યા. અને સદભાગ્યે ‘હર્ષદેવ માધવ’ એ નામથી હું ઘણું લખી અને પ્રકાશિત કરી શક્યો અને ‘ધૂમકેતુ’એ જે યાતનાઓની વાત કરી છે એ યાતનાઓથી હું મુક્ત રહ્યો. અને પછી તો આ નામનું મને વળગણ થઈ ગયું. એટલે મને એમ થયું કે આ માલતી-માધવ અને હર્ષવર્ધન એ બેને મારી સાથે લઈને હું જીવી રહ્યો છું.

પ્રશ્ન: આપે ગઝલ, હાઈકુ, અછાંદસ, એબ્સર્ડ નાટક, નવલકથા જેવાં ગદ્ય અને પદ્યનાં અનેક સ્વરૂપોમાં સર્જનો કર્યાં છે. આટલા બધાં સ્વરૂપોમાં સર્જનો કરવાં એ સહજ અભિવ્યક્તિ અને સર્જનશીલતા છે કે પછી પ્રયોગાત્મકતા?

તમે બહુ સરસ સવાલ પૂછ્યો. ગુજરાતીમાં બે શબ્દો છે ‘પ્રયોગશીલ’ અને ‘પ્રયોગખોર’. પ્રયોગખોર ખાલી કરવા ખાતર પ્રયોગ કરતો હોય છે. જે પ્રયોગશીલ હોય એનાથી આપોઆપ પ્રયોગો થતા રહેતા હોય. સંસ્કૃતમાં એક બહુ સરસ ઉક્તિ છે કે क्षणेक्षणे यं नवतां उपैति तदैव रूपं रमणीयता:’ જે ક્ષણેક્ષણે નવું લાગે એનું નામ રૂપ. તમે જુઓ તો સમુદ્ર એક સરખો નથી હોતો, એનાં રૂપ સતત બદલાતાં હોય છે. અને કવિની ચેતના પણ એ પ્રકારની જ હોય તો એ સારું લખી શકે છે. જે લોકો એક રૂપમાં ફસાઈ જાય છે એ લોકો જિંદગીભર પછી ગઝલ તો ગઝલ જ ઘસ્યા કરે છે, અને પછી એમાં કશું નવું આવતું નથી. સંસ્કૃતમાં બીજી પણ એક સરસ ઉક્તિ છે કે प्रज्ञा नवनवोन्मेषशालिनी प्रतिभामता’. જે નવા નવા ઉન્મેષો પ્રગટાવે એનું નામ પ્રતિભા. તો મને ખબર નથી કે મારી ઈશ્વરદત્ત પ્રતિભાએ આ બધું કામ કર્યું છે, પણ મેં જે પ્રયોગો કર્યા છે એ પૂરેપૂરા સાહસ સાથે, પૂરેપૂરા જોખમ સાથે કર્યા છે અને હું સંસ્કૃતના પંડિતોની નિંદાનો ભોગ પણ બન્યો છું. પણ ભોગ બન્યા પછી પણ મેં મારી પ્રતિષ્ઠા, મારી કારકિર્દી અને કવિ તરીકેનો મારો દિગ્વિજય ચાલુ રાખ્યો છે અને અંતે એ પંડિતોએ મને હાથ જોડીને સ્વીકાર્યો છે. એટલે સંસ્કૃતમાં હાઈકુ, સિઝો- જે દક્ષિણ કોરિયાનો કાવ્યપ્રકાર છે, તાન્કા વિષે આપણે ગુજરાતીઓ જાણીએ છીએ, એ બધું હું લઈ આવ્યો. મોનો-ઈમેજ કવિતા એ ૧૯૭૦-૭૧ની આજુબાજુએ સુરેન્દ્રનગરના રમેશ આચાર્ય, મધુ કોઠારી જેવા મિત્રોએ કાવ્યપ્રકાર શરૂ કર્યો. એમાં મફત ઓઝા, સતીશ ડણાક આ બધા કવિઓ હતા. એ લોકોએ એક કાવ્યસંગ્રહ બહાર પાડ્યો, એમાં પણ મારી એક કવિતા આવેલી. એટલે મોનો-ઈમેજનું આંદોલન મને બહુ ગમ્યું, કારણકે મૂળથી હું ઈમેજીસ્ટ કવિ હતો. હાઈકુએ મારામાં બિંબવાદનાં, કલ્પનવાદનાં મૂળ નાખી દીધાં હતાં. બીજું એ કે સંસ્કૃત ભાષા બહુ જ રૂઢિચુસ્ત હતી. હું ‘હતી’ શબ્દ વાપરું છું, મારા આવ્યા પછી નથી રહી. સંસ્કૃતમાં સામન્ય રીતે મહાકાવ્યો લખાય, ખંડકાવ્યો લખાય, નેતાઓની પ્રશસ્તિઓ લખાય, બોધ આપનારા શ્લોકો લખાય. ભાષાની એ બધી સરહદોને મેં તોડી નાંખી. સંસ્કૃતમાં એવા વિષયો પર ક્યારેય કોઈએ લખ્યું જ ન હોય એવા વિષયો પર મેં લખવાનું શરૂ કર્યું, અને સંસ્કૃત પંડિતોને આંચકો આપ્યો. અને એ આંચાકાઓ ખાતા ખાતા પંદર-વીસ વર્ષ પછી મારો સાર્વત્રિક સ્વીકાર થયો. હું તેમને એક ઉદાહરણ આપું: મોનો-ઈમેજ એ અકાવ્યોચિત વિષયોને કાવ્યોચિત બનાવે છે. આ એની પહેલી શરત છે. બીજું, એની અંદર પ્રતીક હોય, કલ્પન હોય, પુરાકલ્પન હોય, એ બધું મને બહુ ગમ્યું. ગમ્યું એટલા માટે કે આ બધું લખવા માટેની મને પૂરેપૂરી મુક્તિ હતી. એક ઉદાહરણ આપું તમને કે बुद्धस्य भिक्षापात्रे निमज्जितमस्ति अणुबोम्बदग्धं नगरम् l બુદ્ધના ભિક્ષાપત્રમાં ડૂબી ગયું છે અણુબોમ્બથી બળેલું નગર. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે બધું પાયમાલ થઈ જાય ત્યારે એ ખંડેરોમાં કોઈ આશ્વાસન આપે એવું હોય તો માત્ર બુદ્ધની દયા છે. અને એ વખતે બુદ્ધના ભિક્ષાપાત્રમાં આખી સંસ્કૃતિ, આખી સભ્યતા ફેંકાઈ જશે. બીજું તમને કહું, દાખલા તરીકે સંસ્કૃતમાં આજ સુધી બાથરૂમ ઉપર કોઈએ લખ્યું જ નથી. અને જો લખ્યું હોય તો બહુ ભવ્ય વર્ણન હોય, કે સોનાજડિત વાસણો અને એવું બધું પડ્યું હતું વગેરે જેવું બાણ ભટ્ટે લખેલું છે. મારું બાથરૂમ તો કોમન મેનનું બાથરૂમ છે. स्नानगृहं गत्वा गृहक्लेशश्रान्ता वधूः निःशब्दं रोदिति तदा स्नानगृहं तस्याःपितृगृहं भवति। બાથરૂમમાં જઈને, ઘરના કંકાસથી કંટાળેલી પુત્રવધુ નિઃશબ્દ રડે છે ત્યારે બાથરૂમ થઈ જાય છે એનું પિયર. સંયુક્ત કુટુંબમાં પુત્રવધુ ક્યાં જઈને રડે? એ પોતાનું દુઃખ ક્યાં જઈનેઠાલવે? એટલા માટે એ બાથરૂમને પસંદ કરે છે, ત્યાં પણ એ નિ:શબ્દ રડેછે, કોઈને ખબર ન પડે એટલે. તો આ મોનો-ઇમેજની એટલી બધી અસર થઈ છે કે છેલ્લાં ત્રીસ વર્ષમાં મોનો-ઇમેજની વાત નીકળે ત્યારે આની વાત થાય જ. હમણાં દિલ્હી યુનિવર્સીટીએ એના અભ્યાસક્રમમાં પણ મારી આ કવિતા પસંદ કરી. બીજી પણ એક બાથરૂમ ઉપરની કવિતા છે ‘स्नानगृहं अर्थात पंचमहाभूतानां जलेन सह संवाद्स्य केन्द्रं’. બાથરૂમ એટલે શરીરનાં પંચમહાભૂતો-પૃથ્વી, પાણી આકાશ વાયુ અને તેજ, એનો પાણી સાથેનો સંવાદ. બેડરૂમ ઉપરની કવિતા આવી છેकामं गृहं अकिंचनं स्यात् शयनकक्षस्तु स्वपनैरमंडितो भवति.ભલે ઘર ગરીબ હોય પણ બેડરૂમ તો સ્વપ્નોથી શણગારેલો હોય છે. બીજું એક જુઓ यदा शयनकक्षातद्वैशाखी पूर्णिमा पलायितातदा शयनकक्षेसमस्तकपिलवास्तुनगर्याःअन्धकारो वस्तुमागतः। જ્યારે વૈશાખી ચાંદની બેડરૂમમાંથી પલાયન કરી ગઈ –આપ જાણો છો વૈશાખી ચાંદનીનો બુદ્ધની સાથેનો સંબંધ છે, મહાભિનિષ્ક્રમણ સાથેનો. તો વૈશાખી પૂનમ જ્યારે બેડરૂમમાંથી ભાગી ગઈ હશે, બુદ્ધના રૂપમાં, ત્યારે યશોધરાને શું થયું હશે? ‘तदा समस्त कपिलवस्तुनगर्या: अन्धकार:’ -ત્યારે આખી કપિલવસ્તુ નગરીનો અંધકાર યશોધરાના શયનકક્ષમાં આવી ગયો.

પ્રશ્ન: જેમ અનેક સાહિત્યસ્વરૂપોમાં સર્જનો થયાં એમ અનેક ભાષાઓમાં પણ સર્જનો થયાં. ભાષાઓ વચ્ચેની આવન-જાવન કેવી રીતે થાય છે? સૌથી સહજ અભિવ્યક્તિ કઈ ભાષામાં થઈ શકે છે?

બહુ સુંદર પ્રશ્ન છે આપનો. ૨૦૦૪માં જ્યારે મને પચાસ વર્ષ પૂરાં થયાં, ત્યારે દિલ્હીની સાહિત્ય અકાદમીની મુંબઈમાં એક ગોષ્ઠી હતી, એમાં સુરેશ દલાલની અધ્યક્ષતામાં મારે કવિતા વાંચવાની હતી. એ વખતે મેં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત આ બધી ભાષાઓમાં કવિતા વાંચી. ત્યાં બાવીસ ભાષાઓના કવિઓ બેઠેલા અને ત્યાં ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા મહાકવિઓ પણ હતા. તે વખતે સુરેશ દલાલે એક વાક્ય કહેલું એ મને યાદ છે કે ‘હર્ષદેવ એક રૂમમાંથી બીજા રૂમમાં જતો હોય એટલી સહજતાથી એક ભાષામાંથી બીજી ભાષામાં જાય છે.’ પ્રશ્ન એ થાય કે લખાણની ભાષા કેવી રીતે નક્કી થાય? જ્યારે કવિતા ઉતરતી હોય છે ત્યારે એ પોતાનું આખું કલેવર નક્કી કરીને આવતી હોય છે. જે ભાવ હું સંસ્કૃતમાં અનુભવતો હોઉં એ ભાવ હું ગુજરાતીમાં ન અનુભવતો હોઉં. મારા ભાવો ભાષા બદલાતાં બદલાઈ જાય. સાહિત્ય અકાદમીએ મારો હિન્દી ગઝલસંગ્રહ પણ પ્રકાશિત કર્યો છે. ગુજરાતી ભાષા એ આધુનિક ભાષા છે, એ અંગ્રેજી શબ્દોને અપનાવે છે. ચંદ્રકાંત ટોપીવાળાએ અને સુરેશ દલાલે કરેલાં અલગ અલગ વીસમી સદીનીગુજરાતી કવિતાનાં સંકલનોમાં મારી કવિતા એમણે લીધી છે. ચિનુ મોદીએ પણ એમના સંપાદનમાં મારી એક ગઝલ પસંદ કરી. તો હું માનું છું કે એ ઈશ્વરની કૃપા છે કે આ ભાષાઓ મને એમના કવિ તરીકે સ્વીકારે છે.

પ્રશ્ન: આપનાં અનેક સર્જનોના ભારતીય ભાષાઓમાં અને વિદેશની ભાષાઓમાં અનુવાદ થયાં છે. આપ પોતે પણ અનુવાદ કરો છો. અનુવાદની પ્રક્રિયા વિષે અને અનુવાદના આપના અનુભવ વિષે અમને કંઈક કહેશો? આપની કવિતાના અન્ય ભાષાઓમાં થયેલા અનુવાદ આપ જુઓ ત્યારે એ કાવ્યના મૂળ સર્જક તરીકે આપ એને કેવી રીતે જુઓ કે મૂલવો?

અનુવાદની પ્રક્રિયા મારે બહુ શરૂઆતથી શરૂ કરવી પડી, એટલા માટે કે હું જાણતો હતો કે મને સંસ્કૃત માટે કોઈ પુરસ્કાર મળવાના નથી, અને ગુજરાતીમાં ધીરુભાઈ પરીખ જેવા તંત્રીઓ હતા તે પાંચ રૂપિયા પુરસ્કાર આપતા હતા, જે મને પસંદ નહોતું. એટલે મેં એક ત્રીજી ભાષા પસંદ કરી- અંગ્રેજી,અને મારી સંસ્કૃત કવિતાઓના હું અંગ્રેજી અનુવાદ કરવા માંડ્યો. સાહિત્ય અકાદમીના‘ઇન્ડિયન લિટરેચર’ માં મેં પહેલી કવિતા મોકલી,૧૯૮૦માં એના દળદાર અંકમાં એ છપાઈ. ત્યાર પછી મારા ત્રીસ-પાંત્રીસ જેટલા અનુવાદો એમાં છપાયા. એ લોકો પુરસ્કાર સારા આપતા હતા, એ વખતે ૧૦૦૦ રૂપિયા પુરસ્કાર હતો, એટલે મને સંસ્કૃતમાં લખવાથી જે ખોટ હતી એ પૂરી પડી જતી હતી. પછી‘સમકાલીન ભારતીય સાહિત્ય’ એ સારું મેગેઝિન છે, એમાં હિન્દી અનુવાદો કરીને મેંમોકલવા માંડ્યા. મારી કૉલેજમાં ગુપ્તા સાહેબ હતા એ મારી હિન્દીની ભૂલો સુધારી આપતા. આપણે જાતે અનુવાદ કરીએ એનો પણ એક રોમાંચ હોય છે, એ જોવાની મજા પડે છે કે ભાષા કેવી રીતે બદલાઈ જતી હોય છે. આમ અનુવાદો કરવાને કારણે મારી કવિતાઓ અલગ અલગ ભાષાઓમાં પહોંચી શકી અને એને કારણે આપણને પ્રોત્સાહન મળતું હોય છે એ મહત્ત્વની વાત છે. એ અનુવાદોથી હું કાશ્મીરી ભાષામાં પણ પહોંચ્યો અને સતીષ વિમલે કાશ્મીરી ભાષાના અગિયાર કવિઓમાં મારો સમાવેશ કરીને મારોએક કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. પછી મારો એક ગુજરાતી કાવ્યસંગ્રહ ‘અલકનંદા’ હતોએમાં મેં ગુજરાતી અનુવાદ પણ સાથે મૂકેલા, એની પ્રતિક્રિયા ઉલટી આવી. અમારા સંસ્કૃતના પંડિતોએ એવું કહ્યું કે હર્ષદેવ તો પહેલાં ગુજરાતીમાં લખે છે અને પછી એનું સંસ્કૃત કરે છે. માત્ર ઈર્ષાને કારણે લોકો આવાં વાક્યો બોલતા હોય છે. એટલે એવા લોકોને શાંત કરવા માટે ત્યાર પછીના મારા કોઈપણ કાવ્યસંગ્રહોમાં અનુવાદ આપ્યા નથી. મારા અઠ્ઠાવીસ કાવ્યસંગ્રહો થયા એમાં કોઈમાં મેં અનુવાદો આપ્યા નથી, પણ પછી પરિસ્થિતિ એ થઇ કે બીજા લોકો અનુવાદો કરવા માંડ્યા. અને એમ કરતાં કરતાં પંજાબી, મલયાલમ, તેલુગુ, મરાઠી, ઉર્દૂ જેવી ભાષાઓમાં અનુવાદો થયા. અને છેવટે આ મારો સાહિત્ય અકાદમી પુરસ્કૃત કાવ્ય સંગ્રહ છે ‘તવ સ્પર્શે સ્પર્શે’ એનો નેપાળી ભાષામાં ઇન્દ્રગિરિએ આ કોરોના સમયમાં અનુવાદ કર્યો. આ કોરોના સમય મને બહુ ફળદ્રુપ રહ્યો. મેં ખૂબ સર્જન કર્યું અને એના ચાર ભાષાઓમાં અનુવાદ થઈ ગયા. ૧૯૮૮માં સંસ્કૃતના મૂર્ધન્ય પંડિત રામકરણ શર્માએ બહુભાષી કવિ તરીકે મને સ્થાન આપ્યું. એપ્રિલ ૨૦૨૦થી શરૂ કરીને જુલાઈ ૨૦૨૦ સુધી હું રોજ એક હાઈકુ અથવા મોનોઇમેજ સંસ્કૃતમાં લખતો અને એની સાથે હિન્દી કે અંગ્રેજી અનુવાદ સોશિયલ મીડિયામાં મૂકતો. એ વખતે લોકો ઘરમાં હતા, બીજી કોઈ પ્રવૃત્તિઓ નહોતી અને બધા સાહિત્યકાર સાહિત્ય વાંચતા હતા. પછી ધીમેધીમે એના અનુવાદો થવા માંડ્યા. સાંજ સુધીમાં પંદર-વીસ ભાષાઓમાં એના અનુવાદો થઈ જાય, પ્રતિભાવો આવે,એનું વિવેચન થાય, કોઈ એનું રસદર્શન કરાવે. અને એમ કરતાં કરતાં સંસ્કૃતમાંપહેલો‘ફેઈસબુક પોએમ્સ’ નો એક આખો કાવ્યસંગ્રહ તૈયાર થયો. એનું નામ મેં આપ્યું ‘गगनवर्णानां गूहगवेषा’. આ કાવ્યસંગ્રહહમણાં જ પ્રકાશિત થયો.

પ્રશ્ન: સંસ્કૃતમાં મૌલિક સર્જન ઉપારાંતસાહિત્ય મિમાંસા, સંસ્કૃતનો શબ્દકોષ, અને બોલચાલની સંસ્કૃત ભાષાના શિક્ષણને લાગતાં પુસ્તકો તૈયાર કરવાનું શ્રેય પણ આપને જાય છે. આમાં એવું હતું કે વિવેચન માટે પણ મારા મનમાં થોડા જુદા દૃષ્ટિકોણ હતા. જેને આપણે ગુજરાતીમાં વિવેચન અને અંગ્રેજીમાં લીટરરી ક્રિટીસીઝમ કહીએ છીએ એને સંસ્કૃતમાં અલંકારશાસ્ત્ર કહેવાય છે. સંસ્કૃતમાં બહુ મોટામોટા કાવ્યશાસ્ત્રીઓ થઈ ગયા છે-મમ્મટ, આનંદવર્ધન એ બધા. વીસમી સદીમાં સંસ્કૃતમાં છ નવા અલંકારશાસ્ત્રો લખાયાં. એમાં છેલ્લું અલંકારશાસ્ત્ર મેં લખ્યું. અને એનું મેંનામ આપ્યું ‘વાગીશ્વરી કંઠસૂત્ર’. ૨૦૧૨માં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમના હસ્તે વિશ્વ સંસ્કૃત કોન્ફરન્સમાં એનું ઉદ્ઘાટન થયું. સંસ્કૃતમાં સૂત્રો બહુ પ્રસિદ્ધ છે. તો એ પુસ્તકમાં મેં નવાં સૂત્રો બનાવ્યાં અને એની સાથે, સંસ્કૃતમાં જેને ટીકા કહેવાય એ,મારું પોતાનું વિવેચન મેં ઉમેર્યું અને એક આખો નવો કાવ્યસિદ્ધાંત મેં આપ્યો. એ કાવ્યસિદ્ધાંત શાક્તદર્શન અને યોગદર્શનના આધારે મેં ઊભો કર્યો, જેમાં આખા વિશ્વની કવિતાનું વિવેચન થઈ શકે એવા માપદંડો મેં આપ્યા. મારું પ્રતિપાદન એવું હતું કે કવિતા એ વાણીની દેવી સરસ્વતિનું વરદાન છે. અને સરસ્વતિની આરાધના ચાર ભાવનાઓથી થાય છે. ‘લલિતાસહસ્રનામ’ નું એક બહુ સરસ તંત્રનું પુસ્તક છે, એમાં માતાજીનું એક બહુ સુંદર વિશેષણ છે ‘મૈત્રાદિવાસનાલદ્ય’. મારું આખું કાવ્યશાસ્ત્ર અહીંથી ઉઘડ્યું છે, કારણકે હું શાક્તતંત્રનો અભ્યાસી અને એનો ઉપાસક છું. તો ભગવતી જો મૈત્રી વગેરે વાસનાઓથી મળતી હોય તો કવિને એ સહજ છે. કારણકે એ માનો પુત્ર છે, એ સારસ્વત છે. એટલે એમાંથી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ સાહિત્યના મૂળભૂત સિદ્ધાંતો છે એવું મને લાગ્યું. અને એમાંથી તમે જુઓ તો માર્ક્સવાદ એ ગરીબોની ઉપેક્ષામાંથી આવ્યો છે. દલિત સાહિત્ય એ આખું દલિતોની ઉપેક્ષામાંથી આવ્યું છે. તો કાલિદાસ છે એ મુદિતાનો, આનંદનો કવિ છે, કિટ્સ એ આનંદનો –રોમેન્ટિક કવિ છે. ભવભૂતિ અને ભાસ છે એ મૈત્રીના કવિ છે. એમનામાં સપત્નીઓ પણ એકમેકની મિત્ર બની જાય છે. દુશ્મનો પણ મિત્ર બની જાય છે, દૂર્યોધન ઉદારતાથી પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. તો કવિની અંદર જે વાસનાઓ પડી છે એમાં આખી વિશ્વકવિતા પથરાયેલી છે.

હવે તમેં બીજી જે વાત કરી સંસ્કૃત શિક્ષણનાં પુસ્તકોની, તો હું જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ભણતો હતો ત્યારે મને સંસ્કૃત શીખવાની ઘણી તકલીફ પડી, કારણકે એવું કોઈ પુસ્તક નહોતું જેમાંથી ભાષા પૂરેપૂરી શીખી શકાય. વ્યાકરણમાં રૂપોની ગોખણપટ્ટી કરવાની, વ્યવહારની ભાષા તદ્દન જૂદી, અનેક્લાસિકલ કવિઓને વાંચો તો તમે ક્લાસિકલ થઈ શકો, પણ આધુનિક ન થઈ શકો. મારેગરોળીશબ્દનું સંસ્કૃત ક્યાં શોધવાજવું? કઈ ડિક્શનરીમાંથી એ મળે? આવા પ્રશ્નો હતા. સંસ્કૃત વ્યાકરણનાં પણ થોડાં પુસ્તકો મેં વાંચ્યા, એમાંથી મારી તરસ અમુક છીપી, અમુક ન છીપી. પસ્તીમાંથી કમળાશંકર ત્રિવેદીનું એક સંસ્કૃત પુસ્તક હું ખરીદી લાવ્યો. એમાં બહુ સરળ ભાષામાં સમજાવટ હતી. એના આધારે હું ધીરેધીરે સંસ્કૃતમાં લખતાં શીખ્યો. પણ મારી મુખ્ય તકલીફ આ હતી કે મારી પાસે આધુનિક શબ્દકોષ નહોતો. એટલે મારે રેલ્વે સ્ટેશનને શું કહેવું, અથવા ફોનને શું કહેવો, અવી મુશ્કેલી થતી. આ બધું સહન કરતાં કરતાં જ્યારેહું અધ્યાપક બન્યો ત્યારે મને થયું કે મને જે તકલીફો પડી એ તકલીફ નવા શીખનારને ન પડે. એટલે મેં સંસ્કૃતના કેટલાંક પુસ્તકો લખ્યાં ‘સંસ્કૃતની આબોહવામાં’, ‘સંસ્કૃતના વરસાદમાં’, ‘સંસ્કૃતના ઉપવનમાં’ આવાં બધાં એમનાં નામો. એના દ્વારા તમે સંસ્કૃતના શબ્દો શીખી શકો, એનાં વાક્યો બનાવતાં શીખી શકો, તમારે બોલચાલ કરવી હોય તો એ કરી શકો. વ્યવહારભાષા તરીકે સંસ્કૃતની બહુ જરૂર છે, કારણકે લોકોને એ જ નથી આવડતું.એકવાર લોકોને સંસ્કૃત બોલવાનો ડર જો નીકળી જાય તો સંસ્કૃત એ આપોઆપ લોકભાષા બની શકે. સંસ્કૃતનું વ્યાકરણ એની સૌથી મોટી પનોતી છે. કેમકે તમે રૂપો ગોખો પણ એ રૂપો શેને માટે કામ આવે એ તમને ખબર જ નથી, ભણાવનારને ખબર નથી અને ભણનારને ખબર નથી. એટલે રૂપોની ગોખણપટ્ટીમાંથી લોકોને બહાર કાઢવા માટે આ પુસ્તકો મેં લખ્યાં. પહેલા‘નવચેતન’ મેગેઝીનમાં મારી આ કોલમો થઈ અને પછી એનાં પુસ્તકો થયાં. આમાં મારી એક જ દૃષ્ટિ છે, કે સંસ્કૃત સરળતાથી શીખી શકાય, એમાં વાતચીત કરી શકાય. હવે તમે જાણો છો કે આપણુંવિશ્વ બહુભાષી બનતું જાય છે. એટલે એકીસાથે ચાર ભાષાઓ શીખી શકાય એ રીતે મેં બહુભાષી સચિત્રશબ્દકોષ બનાવ્યા. આ બધો સંસ્કૃતના અધ્યાપક તરીકેનો મારો પરિશ્રમ હતો. મને એમ થયું કે સંસ્કૃતના રોટલા ખાઉં છું તો એ ભાષાને લોકો સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, એકલા રોટલા ખાઈને બેસી ન રહેવાય. આજે જ્યારે હું મારી સંધ્યાના સમયે ઊભો છું ત્યારે મને લાગે છે કે મારું આ કર્તવ્ય મેં નિષ્ઠાપૂર્વક પૂરું કર્યું છે. શાક્તતંત્ર અને શિવતંત્ર એ વિષે ગુજરાતીમાં કોઈને ખબર નહોતી, મહેતા સાહેબના પુસ્તકો સિવાય. તો એના વિષે મેં તેર પુસ્તકો લખ્યાં. ૨૦૨૦માં‘તંત્રસાહિત્યમાં ભગવાન શિવના રહસ્ય’ મારું પુસ્તક પ્રકાશિત થયું. વેદ ઉપર હું પંદરેક વર્ષથી ‘અખંડ આનંદ’માં કોલમ લખું છું. એના પણ ત્રણ પુસ્તકો થયાં, જેમાં મારા મનમાં એ હતું કે મારે ઋષિની ચેતના સુધી પહોંચવું છે. એનું કારણ એ છે કે વેદમંત્રો એ જ્ઞાન-વિજ્ઞાનની સમસ્ત શાખાઓ સાથે જોડાયેલા છે. મને પોતાને એમાં દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. આપણી સંસ્કૃત ભાષાને દેવભાષા કેમ કહેવાય છે?એટલા માટે કે એમાં એક આધ્યાત્મિક ચેતના રહેલી છે. એટલે આપણે જ્યારે એક સામન્ય શ્લોક વાંચીએ એના આધ્યાત્મિક અર્થો જુદા હોય.‘गुरुर्ब्रह्मागुरुर्विष्णु गुरुदेवो महेश्वर....’ એ શ્લોકમાં બ્રહ્મા શબ્દ પહેલાં કેમ આવ્યો? એટલા માટે કે બ્રહ્મા એ મૂલાધારચક્રના સ્વામી છે. વિષ્ણુ શબ્દ કેમ આવ્યો? કારણકે સ્વાધિષ્ઠાનચક્રના સ્વામી વિષ્ણુ છે. એટલે મૂલાધારમાં સૂતેલી વાણી છે એને જગાડવા માટે મૂલાધારમાં બ્રહ્મા, સ્વાધિષ્ઠાનમાં વિષ્ણુ. હવે એ શ્લોમાં ‘મહેશ્વર’ શબ્દ કેમ વાપર્યો? કેમ રુદ્ર કે શંકર શબ્દ ન વાપર્યો? મહેશ્વર છે એ આજ્ઞાચક્રના સ્વામી છે. એટલે આ બધામાંથી પસાર થતી થતી તમારી વાણી જ્યારે પશ્યંતિ વાણી સુધી પહોંચે ત્યારે ગુરુ અને પરબ્રહ્મ એ બંને એક થઈ જાય એવી કલ્પના કરવા માટે આ મંત્ર બોલવામાં આવે છે.

પ્રશ્ન: આપે અગાઉ કહ્યું તેમ સંસ્કૃતનું વ્યાકરણ ભલભલાને અઘરું લાગે એવું છે. એ દૃષ્ટિએ કેટલાક વિદ્વાનોએને લેટિન ભાષા સાથે સરખાવે છે. આસંદર્ભે ભાષાની વિશેષતાઓ વિષે આપ શું કહેશો? જે વાત પંડિતો કહે છે એ ખોટી નથી. પણ મુશ્કેલી એક છે કે બધાએ પંડિતોની ભાષા બોલવાની જરૂર નથી. સંસ્કૃત એ બહુ મધુર અને મૃદુ ભાષા છે, એ ચમત્કારિક ભાષા છે, એનીપાસે લગભગ બે લાખ જેટલા શબ્દો છે અને અમે લોકો નવા શબ્દો બનાવતા જઈએ છીએ. એટલે એમાં નવાનવા શબ્દકોષો ઉમેરવાની શક્યતાઓ પણ છે. અને સૌથી વધુ તો સંસ્કૃત ભાષાનું જે લાઘવ છે, એને કારણે તમે એ ભાષામાં લખો ત્યારે તમને મહાકવિઓની અને ઋષિઓની ચેતનાનો અનુભવ થાય. આપણે વ્યાકરણને બાજુએ મૂકીએ. જે લોકો ગુજરાતી બોલે છે એ બધાને શું વ્યાકરણ આવડે છે? અંગ્રેજી પરિવારોમાં બાળક જન્મે ત્યારે એને પહેલું અંગ્રેજી શીખવાડે છે કે વ્યાકરણ શીખવાડે છે? તો ભાષા શીખવા માટે પહેલાં વ્યાકરણ શીખવું જરૂરી નથી. આ વાત બધી ભાષાઓને લાગુ પડે છે. તોઆપણે આ વ્યાકરણનો ડર અને પંડિતોએ ઊભો કરેલો હાઉ દૂર કરી દઈએ તો ભાષા બહુ સરળ, મધુર અને આવકારે એવી છે. અને સંસ્કૃત ભાષાનું તમને એક વાર ઘેલું લાગે તો પછી એ પૂરેપૂરા રંગી નાખ્યા વિના છોડતી નથી. એગરિમાપૂર્ણ ભાષા છે. એવો અનુભવ તમને ઉર્દૂમાં થાય, જો લખનવી ઉર્દૂ હોય તો. સંસ્કૃતમાં કોઈ માણસ તમને એમ ન પૂછે કે ‘તમે ક્યાં રહોછો?’, પણ સંસ્કૃતમાં ‘આપ કયા પ્રદેશને શોભાવો છો?’ ‘આપના વિરહમાં કયા પ્રદેશની સુંદરીઓ વ્યાકૂળ બની ગઈ છે?’ ‘આપે આપના જન્મથી કયા કુટુંબને ધન્ય કર્યું છે?’ આવાપ્રકારની શિષ્ટ સંસ્કૃત પદાવલીઓ સંસ્કૃતમાં છે, અને એને કારણે મને સંસ્કૃત બહુ ગમે છે.

પ્રશ્ન: આપણે સંસ્કૃતને અનેક ભારતીય ભાષાઓની જનની પણ કહીએ છીએ. આ વાત કેટલી હદે સાચી છે? સાથે ભાષાઓની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વાત પણ કરીએ. ભાષાઓજો સમય સાથે પરિવર્તનશીલ રહે, એમાંનવા પ્રયોગો થાય તો એ ભાષા જીવિત અને જીવંત રહે. સંસ્કૃત ભાષા સંદર્ભે શુંકહેશો? સંસ્કૃત ભાષા એ વિશ્વભાષાઓની જનની છે એવું અંગ્રેજોએ પણ માન્યું છે, ભારતીય ભાષાઓની જનની તો છે જ, એમાં કોઈ સવાલ નથી. મોનિયાર વિલિયમ્સ અને પછી વિલિયમ જોન્સ એ લોકોએ રોયલ એશિયાટિક સોસાયટીમાં વ્યાખ્યાનો આપેલાં અને એમાં એમણે સંસ્કૃત, ગ્રીક અને લેટીન એ ત્રણ ભાષાઓની સરખામણી કરી. અને વિશ્વભાષાઓમાં એનો કેવો પ્રભાવ છે એની બહુ વિસ્તારથી ચર્ચા કરી. એવા પણ અભ્યાસો થયા છે કે ભારતીય ભાષાઓમાં સંસ્કૃતનાં શબ્દો કેટલા. જો તમે તત્સમ શબ્દો બધી ભાષાઓમાંથી દૂર કરી દે તો બધી ભાષાઓ દરિદ્ર થઈ જાય. ગુજરાતીઓ પ્રજા પહેલેથી વેપારીવૃત્તિ વાળી એટલે આપણી ભાષામાં ફારસી, ઉર્દૂ વગેરે ભાષાઓના શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો પણ આવ્યા. પણ તમે જુઓ તો દક્ષિણ ભારતની ભાષાઓ છે એકદમ રૂઢિચુસ્ત છે. તમે મલયાલમ ભાષા સાંભળો તો એના ઘણા શબ્દો તમે સમજી શકો. એનું એક કારણ એ છે કે સંસ્કૃતની શબ્દાવલી. એટલું જ નહીં, સંસ્કૃત પ્રાચીન ભાષા છે પણ અર્વાચીન બનવાની એનામાં પૂરેપૂરી ક્ષમતાઓ છે. સંસ્કૃતમાં અંગ્રેજી શબ્દો સીધા ઉઠાવાતા નથી, ગુજરાતીને એવું કરવું પડે છે. જ્યારે સંસ્કૃત એ નવા શબ્દો બનાવી શકે છે, જે તે વસ્તુ ઉપરથી. મોબાઈલ,ટેલીફોન, ટેલીવિઝન જેવા અર્વાચીન શબ્દો મેં મારા શબ્દકોષોમાં મૂક્યા અને એ પ્રચલિત થયા. દાખલા તરીકે ‘સેલ્ફી’ શબ્દ છે એને ગુજરાતીમાં સેલ્ફી જ કહીએ છીએ પણ એને માટે મેં સંસ્કૃત શબ્દ બનાવ્યો स्वछ्छवि:, અને માસ્ક માટે मुखावरणमू. કોરોના સમયમાં મેં એક હાઈકુ લખ્યું आत्मनिर्भराजाता: श्रमिका गन्तुं गृहंच मृत्यु. ચાલીને જતા મજૂરો જોઈને કવિનો એ વિલાપ છે. આ શ્રમિકો આત્મનિર્ભર થઈ ગયા, ઘર તરફ જવા માટે કે મૃત્યુ તરફ જવા માટે? સરકારે તો એમને છોડી દીધા, ઘર તરફ જાવ કે મૃત્યુ તરફ જાવ. આ ભાષાની તાકાત છે.

પ્રશ્ન: આજેગુજરાતી ભાષાને ઘસારો પહોંચ્યો છે, એને જીવિત રાખવા વિષે અનેક લોકો ચિંતિત છે. એવા સમયમાં સંસ્કૃત ભાષાના ભાવિ વિષે આપ ચિંતિત છો? ના, જરાય નહીં. સંસ્કૃત એ પીપળો છે. પીપળાને તમે એક જગ્યાએથી કાપો તો એ બીજે ઊગે. સંસ્કૃત ભારતમાં નહીં તો વિદેશોમાં પણ જીવતી રહેશે અને વિદેશોમાં નહીં તો અંતરિક્ષમાં પણ જીવશે. તમે મારી વાત કરો. મારામાં સંસ્કૃત ક્યાંથી રોપાયું?ગુજરાતી ભાષા ઉપર જોખમ એટલા માટે છે કે ગુજરાતીઓ પોતે ભાષા માટે સજાગ નથી. શિવરંજની શબ્દ હોય તો શી દીર્ઘ કર્યું હોય, સૂર્યપૂજા શબ્દ હોય તો સુ હૃસ્વ કર્યો હોય. જ્યાં સુધી ગુજરાતીઓને પોતાની ભાષાનું ગૌરવ નહીં થાય ત્યાં સુધી ગુજરાતી ભાષાને કોઈ બચાવી નહીં શકે. પણ સંસ્કૃતનું એવું નથી, સંસ્કૃત એ પીપળાનું ઝાડ છે, એનાં મૂળ ઘણાં ઊંડાં હોય છે.એ ઋષિમુનિઓની ભાષા છે. યોગ, આયુર્વેદ, કામસૂત્ર આ બધું સંસ્કૃતમાં છે અને વિદેશીઓ પણ એને સંસ્કૃતમાં વાંચે છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર પાકિસ્તાનમાં ભણાવાય છે. તો આ રીતે વિચારીએ તો સંસ્કૃત ભાષા ક્યારેય મરવાની નથી. ચિંતા પ્રાદેશિક ભાષાઓએ કરવાની છે. મેઘાણી છે તો ગુજરાતી જીવે છે, ધૂમકેતુ છે તો ગુજરાતી જીવે છે, મુનશી છે તો ગુજરાતી જીવે છે. આ બધાને આપણે વાંચવા પડશે. સંસ્કૃતમાં જ્યાં સુધી નોબેલ પારિતોષિક નહીં આવે ત્યાં સુધી અમે જન્મ લેતા રહીશું.

પ્રશ્ન: સંસ્કૃતના અધ્યયન અને સેવન વિષે કંઇક વાત કરીને આપનો કોઈ સંદેશ આપશો? અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે એમાં સંસ્કૃત શીખી શકાય એવું નથી, એટલા માટે કે સેમેસ્ટર સિસ્ટમ છે, પરીક્ષાઓ છે. બે મહિના ભણાવાય, એક મહિનો પરીક્ષા ચાલે, વિદ્યાર્થી આવે-ન આવે. આ રીતે કોઈપણ ભાષા શીખી શકાય નહીં. આજની શિક્ષણ પ્રણાલી ભાષાઓ માટે ઘાતક છે. અમેભણતા ત્યારે વેકેશનમાં સંસ્કૃતના ક્લાસિક વાંચતા. આજે પરિસ્થિત એ છે કે અભ્યાસક્રમમાં એક આખું નાટક પણ નથી હોતું. પછી વિદ્યાર્થીને કેવી રીતે ખબર પડે કે આ નાટક કેટલું ભવ્ય છે. અભિજ્ઞાન શાકુંતલના બે અંક પહેલા સત્રમાં ભણો, ત્રીજોઅંક બીજા સત્રમાં ભણો. પછી બાકીના અંકનું શું? વિદ્યાર્થીઓએ પોતે મહેનત કરવી પડશે. પાઠશાળા પ્રણાલી, ગુરુકુળ પ્રણાલી, એમાં જો સારી રીતે શીખવાડાય તો એ સારી પ્રણાલી છે. અને જે ભાષા આપણે શીખવી હોય એને આપણે વધુમાં વધુ વાંચવી જોઈએ. લોકો સંસ્કૃતનાં ક્લાસિક પુસ્તકો વસાવે અને બાળકોને બહુ નહીં તો થોડું થોડું શીખવાડે. સંસ્કૃત ભાષા બાળકો શીખશે તો સંસ્કૃતિ જળવાઈ રહેશે.