સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કૃતિસમગ્રની તપાસ : પ્રબંધધ્વનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કૃતિસમગ્રની તપાસ : પ્રબંધધ્વનિ

સંસ્કૃત કાવ્યશાસ્ત્રે નાની ઉક્તિ કે શ્લોકરચનાને તપાસવાનાં ઘણાં મહત્ત્વનાં ઓજારો નિપજાવ્યાં છે, પણ એની પ્રવૃત્તિ બહુધા આમાં સીમિત રહી છે અને કૃતિસમગ્રને વ્યાપતા સિદ્ધાંતો એની પાસેથી ખાસ મળ્યા નથી ને એ જાતની વિવેચના પણ એમને હાથે ખાસ થઈ નથી એવી આપણી છાપ છે. એ છાપ સાવ ખોટી છે એવું નથી, પણ કૃતિસમગ્રને વ્યાપતા જે થોડા સિદ્ધાંતો સંસ્કૃત કાવ્યશાસ્ત્રે આપ્યા છે એની પ્રસ્તુતતા આપણે વિચારવી જોઈએ. આનંદવર્ધને પ્રબંધધ્વનિની જે ચર્ચા કરી છે એમાં સમગ્ર રચનાને તપાસવાનાં કેટલાંક ધોરણો આપણને મળે છે. (કુંતકની પ્રબંધવકતાની ચર્ચામાં પણ મળે છે, પણ એની વાત આપણે પછી કરીશું.) એ તરફ જઈએ તે પહેલાં એક સ્પષ્ટતા કરવી જોઈએ કે કૃતિસમગ્રને એકસાથે જોવાનું મુશ્કેલ હોય છે. સમગ્રની વિવેચના ઘણે અંશે એના ઘટકોની વિવેચનાથી ઘડાતી હોય છે અને ઘટકોની તપાસમાં કૃતિસમગ્ર સાથેનો એનો અનુબંધ અપેક્ષિત હોય છે. ઔચિત્યનો ખ્યાલ આ રીતે જ આપણા કાવ્યશાસ્ત્રમાં વિકસ્યો છે. એ ભલે કોઈ નક્કર વસ્તુલક્ષી સિદ્ધાંત ન હોય પણ કૃતિના ઘટકોના પરસ્પર અને કૃતિસમગ્ર સાથેના મેળની અનિવાર્યતા પર એ ભાર મૂકે છે. વળી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રે તો કૃતિને એક મહાવાક્ય તરીકે જોઈ છે. તેથી વાક્ય એટલે કે ઉક્તિને જે રીતે ને જે સાધનોથી આપણે તપાસીએ એ રીતે ને તે સાધનોથી મહાવાક્ય એટલે કૃતિસમગ્રને તપાસી શકાય. ધ્વનિ કે વક્રોક્તિના સિદ્ધાંતને પદ ને પ્રત્યયથી માંડી પ્રકરણ ને પ્રબંધ સુધી આનંદવર્ધન અને કુંતક લઈ જાય છે તેનું રહસ્ય આ છે. એટલે આ કાવ્યશાસ્ત્રીઓએ પ્રબંધચર્ચા અપર્યાપ્ત રીતે કરી હોય તોયે એમનાં સૂચનોને આપણે આગળ લઈ જઈ શકીએ અને એને વધારે સાર્થક બનાવી શકીએ. આનંદવર્ધનનો પ્રબંધધ્વનિ એટલે સમગ્ર રચનામાંથી સ્ફુરતો ધ્વનિ, સમગ્ર રચનામાંથી ઊઠતી એક મુદ્રા, એને એકત્વ આપતું તત્ત્વ, રચનાનું સંકલનસૂત્ર આનંદવર્ધનની મૂળ યોજનામાં તો પ્રબંધમાંથી સ્ફુરતો ધ્વનિ તે રસાદિરૂપ જ છે, પણ પછીથી જાણે અપવાદ રજૂ કરતા હોય એમ એક વખત એ કહે છે કે કેટલીક રચનાઓમાંથી અનુરણનરૂપ (સંલક્ષ્યક્રમ) વિવક્ષિતાન્યપરવાચ્ય એટલે કે વસ્તુધ્વનિ પણ સ્ફુરતો હોય છે. આજનાં કાવ્યોને એમાંનાં રસભાવાદિની દૃષ્ટિએ કરતાં એમાંના જીવનમર્મોની દૃષ્ટિએ વિચારવાનું આપણને વધુ અનુકૂળ લાગી રહ્યું છે ત્યારે આનંદવર્ધન વસ્તુધ્વનિને આમ અપવાદ રૂપે જ સ્વીકારે એ આપણને અપર્યાપ્ત લાગે, પણ કાવ્યમાં ભાવ અને વસ્તુ કે વિચાર વચ્ચેની ભેદરેખા પાતળી જ રહેવાની – રામનારાયણ પાઠકે કાવ્યમાં વિચારમય લાગણી કે લાગણીમય વિચાર હોય છે એમ કહેલું – તેથી આપણે આજે જેને જીવનમર્મ તરીકે ઓળખાવીએ તેને કાવ્યશાસ્ત્ર રસભાવાદિના ખાનામાં ગોઠવતું હોય એવો સંભવ પણ સાવ નકારી કાઢવા જેવો નથી, પણ આ તાત્ત્વિક પ્રશ્નમાં ઊંડે ઊતરવાનું અહીં પ્રયોજન નથી. કાવ્યમાંથી સ્ફુરતા જીવનવિચારને આજે આપણે જે મહત્ત્વ આપીએ છીએ તે કાવ્યશાસ્ત્ર નહોતું આપતું એ નક્કી. પ્રબંધધ્વનિને નિમિત્તે, ભલે રસદૃષ્ટિએ પણ, રચનાના, કહો કે વસ્તુસંકલનાના જે કેટલાક નિયમો આનંદવર્ધને આપ્યા છે તે જરા ધ્યાનમાં લેવા જેવા છે. પ્રબંધરચનામાં સૌથી પહેલી આવશ્યકતા આનંદવર્ધન વિભાવાદિના ઔચિત્યની બતાવે છે. વિભાવાદિ એટલે કાવ્યરસ નિષ્પન્ન કરવા માટે પ્રસ્તુત થયેલી સામગ્રી, કાવ્યના કથાશરીરનું ઘડતર કરતી સામગ્રી. એનું ઔચિત્ય પ્રતીતિકરતા અને સુસંગતતાની દૃષ્ટિએ આનંદવર્ધનને અભિપ્રેત હોવાનું જણાય છે, સામાજિક નીતિની દૃષ્ટિએ નહીં તેથી ઔચિત્યનું ધોરણ કાવ્યરચનાગત ધોરણ બની રહે છે અને કાવ્યના એક સંઘટક બળ તરીકે પ્રતીત થાય છે. આ વિશે થોડી વિગતે આપણે રસપ્રકરણમાં વિચારવાનું આવશે એટલે અહીં આટલી નોંધ લઈ આપણે આગળ ચાલીએ. પ્રબંધરચનામાં બીજી આવશ્યકતા હાનોપાદાનના વિવેકની છે. આનંદવર્ધન કહે છે કે ઇતિહાસપુરાણનું વસ્તુ લેવામાં આવે ત્યારે એનું આંધળું અનુકરણ કરવું ઇષ્ટ નથી – રસોપકારક ન હોય એવા અંશો છોડી દેવા જોઈએ અને સ્વકલ્પિત વસ્તુ વડે અભિષ્ટ રસને ઉચિત એવો કથાનો ઉત્કર્ષ સાધવો જોઈએ. આનંદવર્ધન સાથેસાથે ચેતવે છે કે કલ્પિત કથામાં કવિએ વધારે સાવચેત રહેવાની જરૂર પડે છે કેમ કે એમાં એનું અજ્ઞાન કે અણઆવડત પ્રગટ થઈ જવાનો સંભવ છે ને પોતાના નિરૂપણને પરંપરાનો આધાર છે એવો બચાવ એ કરી શકતો નથી. આનંદવર્ધન, આ સંદર્ભમાં એક મહત્ત્વની વાત એ કરે છે કે કવિનું કામ કંઈ ઇતિવૃત્તનો નિર્વાહ કરવાનું નથી, એની તો ઇતિહાસ રૂપે જ સિદ્ધિ થઈ ગઈ હોય છે. કવિનું કામ એક નવીન રસસૃષ્ટિ નિર્મિત કરવાનું છે. આનંદવર્ધનના મતે કાવ્ય ઇતિહાસને વટી જઈ શકે છે તેમ શાસ્ત્રને પણ વટી જઈ શકે છે. નાટયશાસ્ત્ર નાટકનાં સંધિ – સંધ્યગોની યોજના કેમ કરવી તેના નિયમો આપે છે. પણ રસાભિવ્યક્તિની દૃષ્ટિએ અનુચિત હોય એવી રીતે એ નિયમોનું અનુસરણ કરવું એ દોષ જ ગણાય એમ આનંદવર્ધન દૃષ્ટાંતપૂર્વક સમજાવે છે. આ જાતનાં વલણોમાં શાસ્ત્રીય માળખામાં પણ કવિની સ્વાયત્તતાનો સ્વીકાર આપણને જણાશે. આનંદવર્ધનની એક સૂચના પ્રબંધમાં રસની રસમયતા એટલે કે તાજગી ટકી રહે તે માટેની છે. હા, એક જ રસની સતત ચર્વણા નીરસતામાં પરિણમે છે – સુકુમાર માલતી પુષ્પની પેઠે એ રસ મ્લાન થઈ જાય છે. આથી આનંદવર્ધન કહે છે કે રસનું ઉદ્દીપન થાય અને પછી પ્રશમન થાય, વળી પાછું ઉદ્દીપન થાય ને શમન થાય એવી પ્રસંગયોજના થવી જોઈએ, પણ આમ કરતાં મુખ્ય રસ વિશ્રાંત ન થાય એની કાળજી રાખવી જોઈએ. મુખ્ય રસ વિશ્રાંત થતો લાગે તો એનું અનુસંધાન જાળવી લેવું જોઈએ. આનંદવર્ધનના આ સૂચનમાં કાવ્યમાં અપેક્ષિત વિવિધતામાં એકતાનો સિદ્ધાંત સમાયેલો છે. પ્રબંધમાં અલંકારોની યોજના રસને અનુરૂપ રીતે જ કરવી, અલંકારરચનાની શક્તિ હોય એટલે કવિએ એમાં રચ્યાપચ્યા રહેવું એ યોગ્ય નથી એમ આનંદવર્ધન દર્શાવે છે તે પરથી કાવ્યની સમગ્રતા અને એકલક્ષિતા તરફ એમની કેવી નજર છે એનો ખ્યાલ આવશે. પ્રબંધરચના અંગેના કેટલાક મુદ્દા રસના વિરોધીઓ કે રસદોષની ચર્ચામાં પણ જોઈ શકાય છે, જેની વાત આપણે રસપ્રકરણમાં કરીશું. આનંદવર્ધને પ્રબંધરચનાના નિયમો આપ્યા, એ માટે કેટલાંક ઉદાહરણ પણ આપ્યાં, પણ કોઈ એક કૃતિ લઈને એનું સમગ્રતાલક્ષી વિશ્લેષણ કરી બતાવ્યું નથી. તેથી કાવ્યને એની સમગ્રતામાં તપાસવાની કાવ્યશાસ્ત્રની ક્ષમતા યોગ્ય રીતે બહાર આવતી નથી એમ કહેવાય. તેમ છતાં, જોઈ શકાય છે કે, પ્રબંધરચનાના આ નિયમો આજે અપ્રસ્તુત નથી. બલ્કે આપણને એ અજાણ્યા પણ નથી. કૃતિવિવેચનમાં આ પ્રકારનાં ધોરણો આપણે લાગુ પાડીએ જ છીએ. આનંદવર્ધને આપેલાં ઉદાહરણો પરથી સમજાય છે કે પ્રબંધ દ્વારા એમને પ્રકરણ એટલે કે પ્રસંગયોજના પણ અભિપ્રેત છે. કુંતક પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતાને અલગ પાડે છે અને એનો વધારે વિગતે વિચાર કરે છે. એ હવે પછી આપણે જોઈશું.