સત્યના પ્રયોગો/કાંઠલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. કાળો કાંઠલો

અદાલતોનું ચિહ્ન ત્રાજવું છે. તેને ઝાલનાર એક નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડોસી છે. તેને વિધિએ આંધળી ઘડી છે, જેથી તે મોં જોઈને ટીલું ન કરે, પણ જે ગુણ યોગ્ય હોય તેને જ ટીલું કરે. આથી ઊલટું, નાતાલની અદાલત પાસે તો મોં જોઈને ટીલું કરાવવા ત્યાંની વકીલસભા નીકળી પડી હતી. અદાલતે આ પ્રસંગે પોતાના ચિહ્નને શોભાવ્યું.

મારે વકીલાતની સનદ લેવાની હતી. મારી પાસે મુંબઈની વડી અદાલતનું પ્રમાણપત્ર હતું. વિલાયતનું મુંબઈની અદાલતને દફતરે હતું. દાખલ થવાની અરજીની સાથે સારા વર્તનનાં બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. મેં ધાર્યું કે આ પ્રમાણપત્ર ગોરાઓનાં હશે તો ઠીક ગણાશે. તેથી અબદુલ્લા શેઠની મારફકે મારા સંબંધમાં આવેલા બે પ્રસિદ્ધ ગોરા વેપારીનાં પ્રમાણપત્રો લીધાં હતાં. અરજી કોઈ વકીલ મારફત થવી જોઈએ, ને સામાન્ય નિયમ એ હતો કે આવી અરજી ઍટર્ની-જનરલ વગર ફીએ કરે. મિ. એસ્કંબ ઍટર્ની-જનરલ હતા. અબદુલ્લા શેઠના તે વકીલ હતા એ તો આપણે જાણીએ છીએ. તેમને હું મળ્યો ને તેમણે ખુશીથી મારી અરજી રજૂ કરવાનું સ્વીકાર્યું.

એવામાં ઓચિંતી વકીલસભા તરફથી મને નોટિસ મળી. નોટિસમાં મારા દાખલ થવા સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. એમાં એક કારણ એ બતાવ્યું હતું કે મેં વકીલાત સારુ કરેલી અરજી સાથે અસલ પ્રમાણપત્ર જોડયું નહોતું. પણ વિરોધનો મુખ્ય મુદ્દો એ હતો કે, અદાલતમાં વકીલોને દાખલ કરવાના ધારા ઘડાયા ત્યારે કોઈ પણ કાળો કે પીળો માણસ અરજી કરે એવો સંભવ પણ માનવામાં ન આવેલો હોવો જોઈએ; નાતાલ ગોરાઓના સાહસથી બનેલું હતું ને તેથી તેમાં ગોરાઓને જ પ્રધાનપદ હોવું જોઈએ. જો કાળા વકીલ દાખલ થાય તો ધીમે ધીમે ગોરાઓનું પ્રધાનપદ જાય ને તેમની રક્ષાની વાડ ભાંગી પડે.

આ વિરોધની હિમાયત કરવા વકીલસભાએ એક પ્રખ્યાત વકીલને રોક્યા હતા. આ વકીલને પણ દાદા અબદુલ્લા સાથે સંબંધ હતો. તેમની મારફતે તેમણે મને બોલાવ્યો. તેમણે મારી સાથે નિખાલસપણે વાત કરી. તેમણે મારો ઇતિહાસ પૂછયો. મેં તે આપ્યો. પછી તે બોલ્યા :

‘મારે તો તમારી સામે કાંઈ કહેવાનું નથી. મને ભય એ હતો કે રખેને તમે અહીં જન્મેલા કોઈ ધૂર્ત હો! વળી તમારી પાસે અસલ પ્રમાણપત્ર નથી. તેથી મારા શકને ટેકો મળ્યો. એવા પણ માણસ પડ્યા છે જે પારકાં પ્રમાણપત્રોનો ઉપયોગ કરે છે. તમે ગોરાઓનાં પ્રમાણપત્ર રજૂ કર્યાં છે તેની મારા ઉપર અસર નથી થઈ. તેઓ તમને શું જાણે? તમારી સાથે તેઓની ઓળખાણ કેટલી?’

‘પણ અહીં તો મને બધા જ નવા છે. અબદુલ્લા શેઠે પણ મને અહીં જ ઓળખ્યો.’ હું વચ્ચે બોલ્યો.

‘હા; પણ તમે તો કહો છો કે એ તમારા ગામના છે. અને તમારા બાપ ત્યાંના દીવાન હતા તેથી તે તમારા કુટુંબને તો ઓળખે જ ના? તેમનું સોગનનામું તમે રજૂ કરો તો મારે તો કંઈ કહેવાપણું નહીં રહે. હું વકીલસભાને લખી મોકલીશ કે મારાથી તમારો વિરોધ નહીં કરી શકાય.’

મને ક્રોધ આવ્યો, તે મેં રોક્યો. મને થયું, ‘જો મેં અબદુલ્લા શેઠનું જ પ્રમાણપત્ર રજૂ કર્યું હોત તો તેની અવગણના થાત ને ગોરાની ઓળખાણ માગત. વળી મારા જન્મની સાથે મારી વકીલાતની લાયકાતને શો સંબંધ હોય? હું દુષ્ટ કે કંગાળ માબાપનો દીકરો હોઉં તો મારી લાયકાત તપાસવામાં તે મારી સામે શા સારું વપરાય?’ પણ આ બધા વિચારોને રોકી મેં જવાબ આપ્યોઃ

‘જોકે આવી હકીકત માગવાને વકીલસભાને અધિકાર છે એમ હું કબૂલ નથી કરતો, છતાં તમે ઇચ્છો છો તેવું સોગનનામું મેળવવા હું તૈયાર છું.’

અબદુલ્લા શેઠનું સોગનનામું ઘડયું ને તે વકીલને આપ્યું. તેણે સંતોષ જાહેર કર્યો. પણ વકીલસભાને સંતોષ ન થયો. તેણે તો મારા દાખલ થવા સામેનો વિરોધ અદાલત આગળ રજૂ કર્યો. અદાલતે મિ. એસ્કંબનો જવાબ પણ સાંભળ્યા વિના સભાનો વિરોધ રદ કર્યો. વડા ન્યાયાધીશે કહ્યું:

‘અરજદારે અસલ પ્રમાણપત્ર રજૂ નથી કર્યું એ દલીલમાં વજૂદ નથી. જો તેણે જૂઠા સોગન ખાધા હશે તો તેના ઉપર જૂઠા સોગનની ફોજદારી ચાલી શકશે ને તેનું નામ વકીલોમાંથી બાતલ થશે. અદાલતના ધારાઓમાં કાળાધોળાનો ભેદ નથી. અમને મિ. ગાંધીને વકીલાત કરતાં રોકવાનો અધિકાર નથી. અરજી મંજૂર કરવામાં આવે છે. મિ. ગાંધી, તમે સોગન લઈ શકો છો.’

હું ઊઠયો. રજિસ્ટ્રાર આગળ સોગન લીધા. લીધા કે તરત વડા જડજે કહ્યું : ‘હવે તમારે તમારી પાઘડી ઉતારવી જોઈએ. વકીલ તરીકે વકીલોને લગતો પોશાક વિશેનો અદાલતી નિયમ તમારે પમ પાળવો રહ્યો છે!’

હું મારી મર્યાદા સમજ્યો. ડરબનના મૅજિસ્ટ્રેટની કચેરીમાં જે પાઘડી પહેરી રાખવાનો મેં આગ્રહ રાખ્યો હતો તે મેં અહીં ઉતારી. ઉતારવાની સામે દલીલ તો હતી જ. પણ મારે તો મોટી લડતો લડવી હતી. પાઘડી પહેરી રાખવાની હઠ કરવામાં મારી લડવાની કળાની સમાપ્તિ નહોતી. કદાચ તેને ઝાંખપ લાગત.

અબદુલ્લા શેઠ અને બીજા મિત્રોને મારી નરમાશ (કે નબળાઈ?) ન ગમી. મારે વકીલ તરીકે પણ પાઘડી પહેરી રાખવાનો આગ્રહ રાખવો જોઈતો હતો એમ તેમને લાગ્યું. મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો. ‘દેશ તેવો વેશ’ એ કહેવતનું રહસ્ય સમજાયું. હિંદુસ્તાનમાં પાધડી ઉતારવાની ફરજ ગોરા અમલદાર કે જડજ પાડે તો તેની સામે થવાય. નાતાલ જેવા દેશમાં અને તે અદાલતના એક હોદ્દેદાર તરીકે મને અદાલતના રિવાજનો એવો વિરોધ કરવો શોભે નહીં.

આ અને આવી દલીલોથી મેં મિત્રોને કંઈક શાંત તો કર્યા, પણ હું નથી માનતો કે એક જ વસ્તુને જુદા સંજોગોમાં જુદી રીતે જોવાની યોગ્યતા, આ પ્રસંગે, હું તેઓને સંતોષ વળે તેમ ઠસાવી શક્યો. પણ મારા જીવનમાં આગ્રહ અને અનાગ્રહ હમેશાં સાથે સાથે જ ચાલતા આવ્યા છે. સત્યાગ્રહમાં આ અનિવાર્ય છે એમ મેં પાછળથી અનેક વેળા અનુભવ્યું છે. આ સમાધાનવૃત્તિને સારું મારે જીવનું જોખમ અને મિત્રોનો અસંતોષ ઘણી વેળા ખેડવાં પડ્યાં છે. પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.

વકીલસભાના વિરોધે દક્ષિણ આફ્રિકામાં મારી બીજી જાહેરખબરની ગરજ સારી. ઘણાંખરાં છાપાંઓએ મારી સામેના વિરોધને વખોડયો ને વકીલો ઉપર ઈર્ષાનો આરોપ મૂક્યો. આ જાહેરાતથી મારું કામ કેટલેક અંશે સરળ થયું.