સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/ઉમાશંકર જોશીનું વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઉમાશંકર જોશીનું વિવેચન

મણિલાલ હ. પટેલ

ઉમાશંકર જોશી સર્જક ઉપરાંત વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, ગુજરાતી સાહિત્યકારોની અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. મૂલ્યવાન અગ્રલેખ સાથે એમણે કેટલીક કૃતિઓ (ખાસ તો કવિતા)નાં સંપાદનો આપ્યાં છે. ગુજરાતી સાહિત્યવિવેચન ક્ષેત્રે એમનું અમૂલ્ય પ્રદાન અભ્યાસી પેઢીઓનું માર્ગદર્શન કરતું આવ્યું છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે અતિ મહત્ત્વના ગણાતા ચારપાંચ વિવેચકોમાં પણ ઉમાશંકર જોશીનું નામ અને કામ અગ્રતા ક્રમે રહ્યું છે.

અહીં, એમની વિવેચનાના વિશાળ રાશિમાંથી કેટલાક પ્રતિનિધિરૂપ લેખોનું ચયન કરવામાં આવ્યું છે, ત્યારે વાચકોને ઉમાશંકરની વિવેચનાના મહત્ત્વના મુદ્દાઓનો પરિચય કરાવવા ધાર્યું છે. એમના વિવેચનગ્રંથો આ પ્રમાણે છે :

o અખો : એક અધ્યયન (૧૯૪૧)
o સમસંવેદન (૧૯૪૮)
o અભિરુચિ (૧૯૫૯)
o શૈલી અને સ્વરૂપ (૧૯૬૦)
o નિરીક્ષા (૧૯૬૦)
o કવિની સાધના (૧૯૬૧)
o શ્રી અને સૌરભ (૧૯૬૩)
o પ્રતિશબ્દ (૧૯૬૭)
o કવિની શ્રદ્ધા (૧૯૭૨)
o શબ્દની શક્તિ (૧૯૮૨)
o નિશ્ચેના મહેલમાં (૧૯૮૬)

એમના અવસાન પછી સ્વાતિ જોશીએ ‘કવિતાવિવેક’ (૧૯૯૭) અને ‘કાવ્યાનુશીલન’ ૧–૨ (૧૯૯૭) ગ્રંથો સંપાદિત કરીને પ્રકાશિત કર્યા હતા. આ ગ્રંથોમાં પણ ઉમાશંકરના વિવેચનલેખો, નોંધો, વ્યાખ્યાનો વગેરે મળે છે. પરંતુ એમની વિવેચના તો ઉપર સૂચવેલા અગિયાર ગ્રંથોમાં, ઉચિત રીતે અને એમની હાજરી તથા દેખરેખમાં અભ્યાસીઓ માટે મૂકાઈ હતી... આપણે, અહીં લીધેલા એમના મહત્ત્વના લેખોના આધારે, એમની વિવેચનાના વિશેષો નોંધીશું. નર્મદ-નવલરામથી શરૂ થયેલી ગુજરાતી વિવેચના પંડિતયુગમાં પૂર્વ અને પશ્ચિમનાં કાવ્યશાસ્ત્રો સુધીનો વ્યાપ જરૂર પામી છે, તેમ છતાં કહી શકાશે કે ગુજરાતી વિવેચનાની સમૃદ્ધિનો વ્યાપ-વિસ્તાર હજી મર્યાદિત હતો. ઉમાશંકરની સામે (પાસે) બ. ક. ઠાકોર, નરસિંહરાવ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ અને રા. વિ. પાઠકની વિવેચના હાજર હતી. એ સમયે રચાતી આવતી એ નૂતન વિચાર-વિભાવનામાંથી ઉમાશંકર પસાર થતા હતા. નિરીક્ષણો, સંચિત થતા અનુભવો, વાસ્તવજગત, પ્રકૃતિની રમણાઓ – એ સૌને અભિવ્યક્ત કરવા માટે અનિવાર્ય બનતી નોખી ભાષાસજ્જતાના ઉમાશંકર આરંભથી જ પક્ષધર રહ્યા છે. સૌન્દર્યાનુભૂતિનો બીજોે વિકલ્પ નથી, એ જ રીતે સાંભળી સાંભળીને, ગ્રંથોમાંથી વાંચીવાંચીને આત્મસાત્‌ કરેલી ભાષાનો પણ કોઈ વિકલ્પ નથી. એમણે ભાષાસ્વામીઓને સાંભળ્યા (દા.ત. કાલેલકર, બ. ક. ઠા, નરસિંહરાવ), રવીન્દ્રનાથ, કાલિદાસ, ભવભૂતિ અને ભાસ તથા વ્યાસ-વાલ્મીકિ જેવા સર્જકોને સેવ્યા – સર્જન દ્વારા! પાશ્ચાત્ય સર્જકો-વિવેચકોને પણ વાંચતા રહ્યા! ઉમાશંકરમાં જેમ જન્મજાત મળેલી અને પછી અભ્યાસથી કેળવેલી કવિપ્રતિભા હતી; એ જ રીતે સર્જનને તથા એના આંતર્‌બહિર અનેક રૂપો, આયામોને પામવાની તથા વર્ણવવાની એમનામાં સહજ શક્તિ હતી. અંગ્રેજી શાસન, આઝાદી માટેનાં આંદોલનો, જેલવાસ, ગાંધી-ટાગોરની વિચારધારાઓ વગેરેએ પણ એમના સર્જનની જેમ એમના વિવેચનને પણ પ્રભાવિત કરવા સાથે વિચારપ્રેરક બનાવ્યું છે. એમનાં વિવેચનોમાં રસાળતા છે, ઊર્જા પ્રેરનારી હૂંફ છે. ભીનાશ છે, સમજ આપતી વાસ્તવપ્રીતિ છે. જીવનથી દૂર જવાનું નથી; હા, એનાં ઊંડાણ અને વ્યાપનો સ્વીકાર જરૂરી છે. પૂર્વ અને પશ્ચિમની વિભાવનાઓના જરૂરી દૃષ્ટાંતો લઈને પણ ઉમાશંકર આપણી કાવ્યની એના વિવેચનની વિભાવનાની વાત કરે છે ત્યારે એમાં એમને પોતાના તરફથી કશુંક નવતર ઉમેરવાનું અને નોખું કહેવાનું છે – એમની પોતાની, કાવ્યવિભાવનાઓને, સમજવા-સમજાવવાની પોતીકી રીતિ છે, જેમાં ખાસી વિશદતા છે ને અર્થપૂર્ણ કથનરીતિ છે. આનાં ઉદાહરણરૂપ એમના આ પાંચ-છ લેખોને આપણે જરાક તપાસી જોવા પડે :

o કવિની સાધના
o સમસંવેદન
o શબ્દની શક્તિ
o કવિકર્મ
o શૈલી
o કવિતા અને તત્ત્વજ્ઞાન

મુંબઈની કૉલેજમાં (૧૯૩૪ –) ભણતા હતા ત્યારે યોજાયેલી નિબંધસ્પર્ધામાં ભાગ લેવા સારુ ઉમાશંકરે ‘કવિતા અને તત્ત્વજ્ઞાન’ નિબંધ (લેખ) લખેલો. ત્રેવીસચોવીસની વયે આવા આપસૂઝે સૂઝેલા વિચારો આજેય ધ્યાનપાત્ર લાગ્યા છે. મુદ્દાસર અને તત્ત્વજ્ઞાનીની તર્કસંગતતા સામે વાસ્તવને કલારૂપ આપતી કવિની કલ્પના : બંને મુદ્દાઓને સદૃષ્ટાંત વિકસાવવાની રીતિ એમની વિવેચનશક્તિની એંધાણીઓ આપે છે. એ લખે છે : ‘કવિતા ઘણુંખરું આત્મલક્ષી હોય છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ તદ્દન પરલક્ષી હોય છે. કવિતા આત્માનુભવમાં ગરક થઈ જાય છે. તત્ત્વજ્ઞાન તટસ્થ રહે છે.’ ‘સમસંવેદન’ ૧૯૪૦માં, રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતાં આપેલા વ્યાખ્યાનનું લેખસ્વરૂપ છે. એમાં કવિતાસર્જન, ભાવન અને કાવ્યનાં પ્રયોજનો વિશે પોતાના અનુભવની ભૂમિ પરથી, પરિભાષા યોજીને રસાળ શૈલીમાં ચર્ચા કરવામાં આવી છે. ‘કવિની સાધના’ ૧૯૫૫માં નડિયાદ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના, સર્જન વિભાગના પ્રમુખ તરીકે આપેલું વક્તવ્ય અહીં સુદીર્ઘ લેખ રૂપે મૂકેલું છે. આ બંને વ્યાખ્યાનલેખો ઉમાશંકરની કાવ્યવિચારણાને, વિવેચનની એમની નીતિરીતિને સમજવાની ચાવીરૂપે જોવા જોઈએ. એમાં ‘શૈલી’ ‘કવિકર્મ’ અને ‘શબ્દની શક્તિ’ – ત્રણે લેખો પણ ઉમેરવાથી વિવેચક ઉમાશંકરનો ઘણો પરિચય મળી જાય છે. એમની જીવન અને કલા વિશેની દૃષ્ટિનો તથા સર્જનપ્રક્રિયાનાં રહસ્યોનો, શબ્દ સંયોજના અને કલ્પના-પ્રેરણા વિશેના મહત્ત્વના એમના ખ્યાલોનો સુપેરે પરિચય આ લેખો કરાવે છે. અન્યત્ર અન્ય વિશે કહેવાયેલું, આપણે પણ કવિ અને વિવેચક ઉમાશંકર વિશે કહી શકીએ – “ઉમાશંકર ‘સ્કોલર પોએટ’ છે... એમનું વિવેચન સર્જકની કોઢમાં રચાયેલું ‘વર્કશોપ ટાઇપ ક્રિટિસિઝમ’ છે.” ઉપરના પાંચેય લેખો એની ખાતરી કરાવે છે. ‘કવિની સાધના’-ના આરંભે ઉમાશંકર સર્જકને મળેલી વિશિષ્ટ પ્રતિભાશક્તિ અને સમાજ તરફના એના ઉત્તરદાયિત્વની વાત કરે છે. ગોવર્ધનરામ અને નર્મદની સમર્પિત ભાવના તથા નિસબતને એ નોંધે છે. બધું છોડીને – અભાવો વચ્ચે પણ – પોતાના ધ્યેયને, સરસ્વતીના ચરણોમાં સમર્પિત રહીને શબ્દને – એની કલાને ઉપાસવાની જિદને ઉમાશંકર મહત્ત્વની ગણવા સાથે એનો આદર કરે છે. સર્જકે નિરીક્ષણો-અનુભવોને સંચિત કરીને, એમાંથી રચાતું-બંધાતું અનુભૂતિનું રૂપસ્વરૂપ અભિવ્યક્ત કરવાનું હોય છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા સંકુલ ને રહસ્યમયી હોય છે. ‘પ્રેરણા’-નો સ્વીકાર કરીને પણ ઉમાશંકર એનો સંપૂર્ણ હવાલો સર્જનને સોંપી દેનારા સર્જક-વિવેચક નથી. પ્રકૃતિદત્ત પંક્તિઓ મળ્યા પછી એની ઊંચાઈ તથા અર્થપૂર્ણતા જાળવવી અને બને તો એથીય વધુ ઊંચું નિશાન તાકવામાં એમને સર્જકની સફળતા લાગે છે. વસ્તુ-વિચાર મળ્યા પછી એનું સેવન અને ઉચિત અભિવ્યક્તિ માટેની ભાષાસજ્જતાની અનિવાર્ય મથામણ એ જાણે છે. એટલે એ ઇન્ટ્યૂશન’ સહજોપલબ્ધિથી આગળ વધીને અભિવ્યક્તિના વિવિધ આયામોને કવિની સાધના માને છે. એ કિટ્‌સને યાદ કરીને કહે છે કે, ‘ઝાડને પાંદડાં આવે એમ કવિને કવિતા આવવી જોઈએ.’ આ સહજ અને મૂળગામી સત્યનો સ્વીકાર કરીને એ કહે છે કે પાંદડાં ફૂટ્યા પછી કવિએ કશું ય કરવાનું રહેતું નથી એવું બિલકુલ નથી. ખરું કાર્ય - ભાષા સંરચનાનું છે. અભિવ્યક્તિ અને પ્રત્યાયન સુધીની કવિસાધના દરેક કલાના સર્જકે કરવી પડે છે. અનેક સંદર્ભો ટાંકીને ઉમાશંકર સર્જકતા-સર્જનપ્રક્રિયા અને એની ગૂઢતા તથા દિવ્યતાને વર્ણવે છે. કલાકાર માત્રની કલા પાસે શી ઝંખના હોય છે? કલાનું પ્રયોજન શું હોય છે? આ પ્રશ્નોના પરંપરાગત ઉત્તરો નોંધીને ઉમાશંકર અન્ય પ્રયોજનોની પ્રાસંગિકતા વર્ણવીને મુખ્ય પ્રયોજન તરીકે ‘સમસંવેદન’-ને ગણાવી, એમાં રહેલી અર્થ અને આનંદની/રસની સંપ્રાપ્તિની ચર્ચા કરે છે. એક છેડે સર્જક છે – બીજે છેડે સહૃદય ભાવક છે. વચ્ચે છે સર્જન – કૃતિ! બંને છેડા ભાવકના ચિત્તમાં જોડાતાં રસચમત્કૃતિ થાય છે. સર્જકે જે અનુભવ્યું છે તે બને એટલું યથાતથ ભાવકમાં સંક્રમિત થાય એને ‘સમસંવેદન’ કહ્યું છે. ને આ કાર્ય જરાય સરળ નથી... સર્જક સામે તો નિત્ય પડકારો હોય છે. એનું ઘડતર, વાચન, સભ્યતા-સંસ્કૃતિની સમજ, વિચારદૃષ્ટિ, યોગ્ય આચરણ અને ભાષા પરની પકડ હોય ત્યારે સર્જકને એની શૈલી, નિજી મુદ્રા પ્રાપ્ત થાય છે માત્ર ભાષા નહિ પણ સમગ્ર સંસ્કાર ઘડતર એટલે શીલ, અને એ શીલ સર્જકની શૈલી બનીને પ્રગટે છે. સાહિત્ય સ્વરૂપો વિશે ઉમાશંકરે પોતાના તરફથી પણ, અનુભવ અને અભ્યાસથી કેળવાયેલી દૃષ્ટિ પ્રયોજીને, નવેસર ને નોખું કહેવાનું હતું – જે ‘શૈલી અને સ્વરૂપ’-ના લેખોમાં સંચિત છે. આપણે પછીથી જેને ‘કથાબીજ’ (મોટીફ) કે ‘સગર્ભક્ષણ’ કહેતા થયા છીએ, ઉમાશંકરે એને ટૂંકી વાર્તાનું સ્વરૂપ વર્ણવતાં ‘અનુભૂતિકણ’ કહીને વાર્તાના સાવયવ વિકસન પર ભાર મૂક્યો છે, એક કેન્દ્ર હોવું, ભાષાસમેત અન્ય ઉપકરણોની પણ કરકસર અને સોંસરી ગતિ ટૂંકી વાર્તાને માટે અનિવાર્ય હોય છે. અંગ્રેજ પ્રજાની વિચારશીલતા તથા સ્વાનુભાવની વાત ‘નિબંધ’ જેવું સ્વરૂપ જન્માવે છે. ગતિ છે – વિચાર દૂર સુધી લઈ જાય ને પાછા સ્વ-કેન્દ્રમાં લાવે. નૃત્યની જેમ ભાવમુદ્રાઓ – સ્થળ અને પરિસરનું સહજ આલેખન, ભાવક સાથેની એકાંતગોષ્ઠી, હું-ના ભાર વગર હું-ની વાત કરતાં કરતાં ભાવકને પૂરો સંડોવી દેતો નિબંધ ઉમાશંકરને અપેક્ષિત છે. સાહિત્યસિદ્ધાંતો, સ્વરૂપવિચાર અને કાવ્યવિચારમાં ઉમાશંકરના રસરુચિ વિશેષ ધ્યાન ખેંચે છે. વિભાવનાની ચર્ચા કરતાં ઉમાશંકર બીજાના વિચારની સમીક્ષા કરે છે પણ નકારતા નથી, પોતાનો જુદો મત વિનમ્રતાથી મૂકી દે છે. ‘વર્ડ્‌ઝવર્થનો કાવ્યવિચાર’ અને ‘શબ્દની શક્તિ’ જેવા લેખો વિશદતા સાથે રસાળતાનો અનુભવ કરાવે છે. એમણે કરેલાં પ્રત્યક્ષ વિવેચનોમાં સમભાવપૂર્વક થતું કથન જરાકમાં મર્યાદા ચીંધીને આગળ વધી જાય છે. ‘માનવીની ભવાઈ’ અને ‘ન હન્યતે’ – વિશેના લેખો ઉક્ત વાતના દ્યોતક છે. આ બંને નવલકથાઓમાં પ્રેમની અને પ્રેમની અપૂર્ણ રહી જતી તરસની વાત છે, એકમાં પાત્રો સ્થળ-કાળમાં સાથે છે ને તોય એક થઈ શકતાં નથી. અસદ્‌ એમને છૂટાં પાડવામાં સફળ રહે છે.. દુરિતનું તત્ત્વ જુદાં જુદાં રૂપ ધરીને આવે છે. ‘ન હન્યતે’-માં પાત્રો જુદાં જુદાં સ્થળોમાં રહે છે, સમય બદલાતો રહે છે... મળ્યા પછી ય પ્રેમ તો એમ જ તરસ્યો જ રહી જાય છે, સમાજ અને વ્યવહારો કસોટી કરતાં રહે છે. ‘વેઇટિંગ ફૉર ગૉદો’-માં ઉક્ત બધું ઓળંગીને એકવિધતાનો અને વિ-રતિનો અનુભવ કરાવતો સમય ‘નથીંગનેસ’નો અનુભવ કરાવે છે. ઉમાશંકરને આવી કૃતિઓ વિશે વાત કરવાનું વ્હાલું લાગે છે. આ જ ઉમાશંકર ‘મહાભારતમાં માનવતા’ - જેવા લેખમાં આપણને સંસ્કૃતિપુરુષ તરીકે બોલતા સંભળાય છે. તો વળી ‘હૃદયમાં પડેલી છબીઓ’નાં લઘુચરિત્રચિત્રણો-રેખાચિત્રોમાં વાસ્તવની સાખે એકાદ-બે ફકરામાં મોટા લેખકો/વિચારકોને નમ્રતાથી ઓળખાવી આપે છે. વિવેચક ઉમાશંકરનો દૃષ્ટિફલક (રેંજ) પણ ખાસ્સો વિસ્તરેલો છે. પાશ્ચાત્ય કાવ્યવિચાર ઉપરાંત સર્જકો અને કૃતિઓને વિશે એમણે વખતોવખત વાત કરી છે. સંસ્કૃતસાહિત્ય અને પૌરાણિક તથા મધ્યકાલીન સાહિત્ય સાથે લોકસાહિત્ય વિશે પણ એમણે રસપૂર્વક લખ્યું છે. ‘નિશ્ચેના મહેલમાં’-ના કાવ્યાસ્વાદો કે સદાકાળ દૃષ્ટાંતરૂપ બની રહેનારું એમનું સંશોધન ‘અખો : એક અધ્યયન’ એમનો સર્જકતા સાથે પોષાયેલી ભાવયિત્રી પ્રતિભાનો સુખદ પરિચય કરાવે છે. ‘ઈ.સ. ૧૯૩૧થી ૧૯૫૫ – પચ્ચીસી’-ની કવિતાની વાત માંડતો લેખ ઘણો ધ્યાનપાત્ર છે. વિવેચકદૃષ્ટિ, ભાવક તરીકેનો રાજીપો, ઇતિહાસદૃષ્ટિ અને કવિતામાં આવેલાં રૂપ પરિવર્તનોની સમૃદ્ધ સમીક્ષા છે. ભાવપ્રતીકો-કલ્પનો-ઇન્દ્રિયવ્યત્યયોની વાત અહીં આધુનિકો પૂર્વે રસાનંદ સાથે કહેવાઈ છે. પોતાના પુરોગામીઓને મૂલવવાનું સાહસ કરનાર ઉમાશંકર એમના સમકાલીનોની કવિતામાં વિચાર અને ઊર્મિના આલેખનને તટસ્થતાથી ઓળખાવે છે. પોતાના તરતના (૧૯૪૦થી ૧૯૫૫) અનુગામીઓની કવિતામાં આવેલી નૂતન કવિસંવેદના, પ્રકૃતિ અને માનવપ્રીતિની અભિવ્યક્તિમાં પ્રગટેલા વિશેષોને પ્રેમથી વધાવતા ઉમાશંકરની છબી ભૂલાશે નહીં. ‘શૈલી’ વિશેનો સુદીર્ઘ લેખ ઉમાશંકરના ગહન અભ્યાસનો દ્યોતક છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ‘રીતિવિચાર’-ના સંદર્ભો લઈને, વીસમી સદીમાં આપણે ત્યાં થયેલા શૈલીવિચારનું વિશ્લેષણ કરતાં કરતાં, શૈલીને ઘડનાર કૃતિનું વાઙ્‌મય સ્વરૂપ અને સર્જકનું આંતર્‌વ્યક્તિત્વ એકમેકમાં મળીભળીને રચાતી અનુભવાતી મુદ્રારૂપે શૈલીને ઓળખાવે છે. વોલ્ટર પેટર, સેઇન્ટ્‌સબરી અને જોન મિડલ્ટન તથા કાર્લાઇલના વિચારોને સાંકળીને ઉમાશંકર તારવે છે : ‘ભાવ સાધારણીકૃત થઈ રસત્વને કેવો પામ્યો છે એ ઉપરથી શૈલીના મહત્ત્વની આંકણી થશે.’ ‘શૈલી કાવ્યમાં અવિભાજ્ય દેહદેહી રૂપે જ અનુભવી શકાય છે.’ ‘વિવેચનના પ્રશ્નો’ની વાત પણ વિગતે ઊંડા ઊતરીને થઈ છે. આસ્વાદ-સમીક્ષા-રસદર્શન-મૂલ્યાંકન અને વિવેચન : આ બધાં રૂપોની ગદ્યપદ્યના પરિપ્રેક્ષ્યમાં પણ ચર્ચા કરવામાં આવી છે. વિવેચનને વિજ્ઞાન, શાસ્ત્ર અને કલાના સંદર્ભે પણ નાણી જોવાનું બન્યું છે. ‘નવલકથાની ભારત માટેની ખોજ’-માં સાંસ્કૃતિક પરંપરાઓ અને ૧૮૫૦ની આસપાસ ઉદ્‌ભવેલા દેશ, રાષ્ટ્ર અને માનવકલ્યાણ વિશેના ખ્યાલોને સામે રાખીને ‘સરસ્વતીચંદ્ર’, ‘ગોરા’ તથા અન્ય નવલકથાઓનાં દૃષ્ટાંતો લઈને વ્યાપક સમીક્ષા કરાઈ છે. વિભાવનાકેન્દ્રી વિચારધારા તપાસવામાં ઊંડા ઊતરી જતા વિવેચક ઉમાશંકર કૃતિસમીક્ષામાં પણ કશું ચૂકતા નથી. કશુંક નવીન તાગતી એમની દૃષ્ટિમાં સજાગ સર્જક બેઠેલો હોય છે. દા.ત. ‘દીપનિર્વાણ’-ની સમીક્ષા! કાલિદાસ અને ટાગોર વિશેના એમના અભ્યાસો વ્યક્તિત્વ, કૃતિત્વ, સર્જકત્વ અને જીવનમૂલ્યોને સમતોલ રીતે વર્ણવે છે. ઉમાશંકર કલાને, સર્જનને જીવનથી અલગ પ્રમાણી શકતા નથી. જીવન, માનવમૂલ્યો વિના કલા હોઈ ન શકે. અલબત્ત! ઉમાશંકર વાસ્તવના રૂપાંતરનો, સર્જકકર્મનો અને ભાષા-સંરચનાનો કલા સંદર્ભ મહિમા કરવાનો આગ્રહ પણ રાખે છે. ઉમાશંકરની સમગ્ર વિવેચનામાં જીવન અને કલા ઉભયનો, રસાનુભૂતિ સુધી દોરી જતો, સમન્વય જોવા મળે છે.

તા. ૧થી ૬ એપ્રિલ, ૨૦૨૬