સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/અનુવાદ, અનુવાદક અને વાચક

(૯) અનુવાદ, અનુવાદક અને વાચક

અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી કરવી છે- અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને. પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત. ટૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વોયના ઈ મીર’ના અંગ્રેજીમાં ‘વોર ઍન્ડ પીસ’ નામે ઘણાઅનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ’નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી...અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે - બે ભાષાઓ વચ્ચેના નાનાસરખા અવકાશમાં આકાર લેતો સંવાદ.(‘Translation is not the transfer of detachable ‘meaning’ from one language to another... Translation is a dialogue between two languages. It occurs in a space between two languages.’) [From the Introduction to the translation of ‘War And Peace’ by rechard Pevear and Larrissa Volokhonsky, 2007.1]એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે’, એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ’ કહેવાથી ઉમેરાય છે - એ છે મૂળ કૃતિના સ્પર્શ અને સૂર, કેમ કે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે, પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમ જ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત પર ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો, બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તારમાં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ - વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે. વાચકના સંવેદન-જગતના પરિપોષણની આ વાત ૨૦૧૦માં પ્રગટ થયેલા ‘વાય ટ્રાન્સલેશનમેટર્સ’ નામના પુસ્તકમાં એડિથ ગ્રોસમન(Edith Grossman (1936) Why Translation Matters, 2010. Ch. 1 Authors, translatoors and readers.)જુદી રીતે મૂકી આપે છે. પહેલાં તો એ સહેજ રમૂજમાં કહે છે કે આપણી ભાષામાં જ જ્યારે થોકબંધ પુસ્તકો લખાયે જતાં હોય, એને જ આપણાથી પહોંચી વળાતું ન હોય, ત્યારે વળી પાછું અનુવાદોનું ઉમેરણ શા માટે? પણ પછી એના ઉત્તર રૂપે ગ્રોસમન કહે છે કે, ‘ઉત્તમ અનુવાદો, અનુવાદ રહીને પણ મૌલિક લેખનનો એક વિશેષ દરજ્જો ધરાવે છે. અનુવાદ એ કંઈ મૂળ કૃતિનો ઝાંખો, મ્લાન પડછાયો નથી, એનું સ્થાન એક સ્વતંત્ર કૃતિની લગોલગ છે અને એથી અનુવાદોનું પણ આપણી ભાષાની ઉત્તમ રચનાઓની હરોળમાં સ્થાન હોઈ શકે. આમાંથી બે મહત્ત્વની બાબતો ઊપસી રહે છે: એક તો એ કે, બીજી ભાષાની ઉત્તમ કૃતિઓના ઉત્તમ રીતે થયેલા અનુવાદો એ દ્વૈતીયીક કે બીજા સ્તરનું લેખન નથી, એ આપણી પોતાની કુલ સાહિત્યસંપદાનો જ એક ભાગ બને છે ને એ રીતે આપણા સાહિત્યજગતને સમૃદ્ધ કરે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઉત્કૃષ્ટ અનુવાદો ક્યારેક આપણા મૌલિક સાહિત્યલેખનને માટે પણ પ્રેરક અને પથદર્શક બને છે. જગતની અન્ય ભાષાઓના પ્રતિભાશાળી સર્જકોની કૃતિઓના અનુવાદો આપણા સર્જકોની સામે એક વિધાયક પડકાર થઈને આવે છે ને ઘણી વાર તો એ મહત્ત્વનાં પ્રતિમાનો પણ બની રહે છે, ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ અને પ્રસાર થયો ત્યારે, એક અગત્યના પરિવર્તક બળ તરીકે અનુવાદોની મહત્ત્વની ભૂમિકા સ્થપાયેલી. સુરેશ જોષીએ મૌલિક સાહિત્યલેખન જેટલો જ અનુવાદોનો મહિમા પણ કરેલો. અલબત્ત, એ સમયે થોડોક અનુવાદ—અતિરેક થયાનું પણ કેટલાંકને લાગેલું, પરંતુ પસાર થયેલા સમયે ગાળી-ચાળીને ઉત્તમ અનુવાદ-કૃતિઓને જ સાચવી લીધી છે. મૂળ વાત તોઅનુવાદોએ રચેલા પ્રભાવની છે. બધી જ ભાષાઓનાં સાહિત્યોને, અનુવાદો થકી આ રીતે સમૃદ્ધિ સાંપડતી હોય છે. જગતભરની અનુવાદ-પરંપરામાં અનુવાદો અનેક રીતે આવિષ્કાર પામતા રહ્યા છે. વાક્યશ અને વફાદાર અનુવાદનો વિભાવ તો અર્વાચીનકાળની એક નીપજ છે, પરંતુ મધ્યકાળમાં અને પ્રાચીનકાળમાં તો અનુવાદો રૂપાંતરો તરીકે જ વિકસતા ગયેલા. કેટલાક વિદ્વાનોએ તો, પ્રાચીન મહાકાવ્યોનાં - જેમ કે આપણે ત્યાં મહાભારત વગેરેનાં - અનુ-ગામી પ્રાદેશિક ભાષાઓમાં અનેક રૂપે વિલસતાં ગયેલાં સંસ્કરણોને પણ, અનુવાદ—પરંપરાનો જ એક ભાગ ગણાવેલાં છે. મૂળ પ્રયોજન તો, કોઈ ઉત્તમ કૃતિને ભાષાંતરના તંતુથી, એ ભાષા ન જાણનાર વાચકોના આસ્વાદ માટે સુલભ કરી આપવી, એ છે. સંસ્કૃત કવિ બાણની, અલંકરણખચિત વર્ણનોથી સંકુલ બનેલી ‘કાદંબરી’ને વિદગ્ધ કવિ ભાલણે જ્યારે ગુજરાતીમાં અવતારી ત્યારે એમનો મુખ્ય આશય તો એ જ હતો કે,

‘મુગ્ધ રસિક સાંભલવા ઇછિ, પણિ પ્રીછિ નવિ જાય;
તેહની પ્રીછયા કારણિ કીધો ભાલણિભાષાબંધ’

એટલે બાણમાં ‘સકલ ઉપમા કહિ નવિ જાઈ’ એવો જે અલંકારવૈભવ હતો. સુદીર્ઘ વર્ણનો હતાં એને ગાળીને કે ટૂંકાવીને, અને છતાં મૂળના રસને અને કથાપ્રવાહને જાળવી લઈને ભાલણે એનો સંક્ષિપ્ત ને આસ્વાદ્ય અનુવાદ આપ્યો. તો બીજી બાજુ, પૌરાણિક પાત્રો-પ્રસંગોને કલ્પના-કૌશલથી યથેષ્ટ બહેલાવનાર આખ્યાનકાર પ્રેમાનંદ ઉત્તરવયે‘દશમસ્કંધ’ હાથમાં લે છે ત્યારે ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃતઅ, આ પાસા મારું પ્રાકૃતઅ’ એમ કંઈક મૂલાનુસારી અનુવાદ કરવા પ્રવૃત્ત બને છે. દરેક ભાષાની પરંપરામાં આવા અનેક અનુવાદ-વિવર્તો હોવાના જ. કાવ્યોના સમશ્લોકી અનુવાદો અને ગદ્યાનુવાદોનાં રૂપ જુદાં હોવાનાં; ગદ્યકૃતિઓના મૂલાનુસારીથી લઈને કંઈક સ્વૈર રહેતા અનુવાદો સુધીના અનેક વિવર્તો હોવાના. અનુવાદ-વિચારકોએ ને શાસ્ત્રીઓએ, અનુવાદકોને ઠેકાણે રાખવા માટે, ‘સારા અનુવાદની નવ શરતો’ અને ‘અનુવાદમાં થતી દસ ભૂલો - એવીએવી નુક્તેચીનીઓ પણ વારંવાર કરી છે. એવાં નિયંત્રકો અલબત્ત, ક્યાંક ઉપયોગી નીવડયાં પણ હશે, પરંતુ અનુવાદકો એનાથી પૂરેપૂરા બંધાયા નથી. બંધાઈ શકે એવું બન્યું નથી, કેમ કે કોઈ જ અનુવાદ બિંબ-પ્રતિબિંબ રૂપે તો થઈ શકે જ નહીં. અનુવાદકનો દૃષ્ટિકોણ અને અનુવાદનાં પ્રયોજનો પણ વિવિધ હોવાનાં એટલે અનુવાદ-વિવર્તો રહેવાના, એનું સ્વરૂપ-ફલક વિસ્તૃત જ રહેવાનું. અનુવાદનું કોઈ સુનિશ્ચિત સ્વરૂપવિધાન શક્ય નથી. આ થયું ઝડપી ને વ્યાપક રૂપદર્શન હવે અનુવાદની પ્રક્રિયા તરફ જઈએ, એટલે કે અનુવાદક પાસે જઈને બેસીએ.

અનુવાદક અને અનુવાદ

જેમ સર્જનકાર્ય એક અનુભવ હોય છે એમ અનુવાદકાર્ય પણ એક અનુભવ હોય છે. કેવળ પ્રવૃત્તિ નથી હોતો. મૂળ કૃતિમાં અંદર ઊતરતા, અનુવાદક એક નોખો અનુભવ કરે છે. એ કૃતિના રસવિશ્વના અનુભવની સાથે જ, એને બે સંસ્કૃતિઓ વચ્ચે, ને ખાસ તો, બે ભાષાઓ વચ્ચે ભીંસાઈને પસાર થવાનું આવે છે. અને એ ભીંસ જ આખરે અનુવાદકને માટે આનંદદાયક પુરવાર થાય છે. મૂળ કૃતિ, પહેલાં તો અનુવાદક એક રસિક અને જિજ્ઞાસુ વાચક તરીકે વાંચી હોય છે. પછી વળી જો અનુવાદક આસ્વાદક-વિવેચક હોય તો એ કૃતિને એણે ઝીણવટથી જોઈ હોય છે, એનું નિક્ટવાચન (Close Reading) કર્યું હોય છે. અને એનાં મર્મસ્થાનો પકડ્યાં હોય છે. આમ છતાં જ્યારે કૃતિને એ અનુવાદ માટે હાથ ધરે છે ત્યારે એને એ કૃતિનાં ઘણાં સ્થાનો અપરિચિત લાગવા માંડે છે, ને એનો નવેસર પરિચય કરવા માટે અનુવાદકે મથવું પડે છે. એ રીતે એનો મુકાબલો કરવો પડે છે. તેથી આ મુકાબલો એણે સ્ત્રોત ભાષા અને લક્ષ્ય ભાષા બંનેનાં રૂપો સાથે પણ કરવાનો હોય છે. મૂળ કૃતિમાં ભાષાએ જે માર્મિકતાથી સંવેદન વ્યક્ત કર્યું હોય એ માર્મિકતા સુધી એણે લક્ષ્ય ભાષાને, પોતાની ભાષાને પણ થઈ જવાની હોય છે. એ સંઘર્ષ જ પછી સંવાદની ભૂમિકા રચે છે. અનુવાદકે સ્રોત ભાષાની જાણકારી અને સજજતા કેળવવાનાં હોય એ તો બહુ જાણીતી વાત છે. પણ લક્ષ્ય ભાષાની, મોટા ભાગે અનુવાદકની પોતાની ભાષાની સજજતા? કોઈને એમ લાગે કે, અનુવાદકની પોતાની ભાષાની વાત તે વળી કરવાની હોય? પરંતુ અનુવાદક જ્યારે અનુવાદ કરવાનું શરૂ કરે છે ત્યારે એને પોતાની ભાષાની પણ નવી ઓળખ કરવાની આવે છે. અનુવાદ એ માત્ર સ્રોત ભાષાના જ નહીં, લક્ષ્ય ભાષાના એટલે કે યજમાન ભાષાના અભિજ્ઞાનની પણ પ્રક્રિયા છે. યજમાનજી જાણે કે પોતાના જ ઘરમાં કમ્ફર્ટેબલ નથી, બરાબર ગોઠવાઈ શકતા નથી! યોગ્ય શબ્દ માટે, ઉચિત ભાષાભાત માટે, સરખા વાક્યાન્વય માટે મથવું પડે છે; પોતાની ભાષાની પર્યાવબહુલતાને કસોટીએ ચડાવવી પડે છે. ચોકસાઈભરી આ મથામણમાં ક્યારેક, કોઈ એક ક્ષણે તો એને અનુવાદ છોડી દેવાનો વિચાર પણ આવી જાય છે, ‘વેપથુશ્વષ શરીરે મે, રોમહર્ષમ્ ચ જાયતે..’, એવી સ્થિતિ થાય છે, પણ જો આવો સંઘર્ષ ન થાય તો સાચો ને સારો અનુવાદ થઈ શકતો નથી. વાચકને જે અનુવાદ સહજ અને પ્રવાહી લાગતો હોય છે, એ અનુવાદ માટે એના અનુવાદકે તો આવી રોમહર્ષક પણ આનંદપર્યવસાયી પીડાઓ વેઠેલી હોય છે. જોકે ક્યારેક અનુવાદક, કોઈ વિલક્ષણ ચોકસાઈના અતિરેકમાં બલકે જિદપૂર્વક, મૂળ ભાષાના શબ્દ સામે શબ્દ, વાક્ય સામે વાક્ય બેસાડવામાં પડી જાય તો એ પેલી સ્રોત ભાષામાં જ એવો ખેંચાઈ જાય છે કે એનાથી પોતાની જ ભાષાની મુદ્રા, એનો ઇડિયમ ભુલાઈ જાય છે - અનુવાદ દુર્વાચ્ય ને કઢંગો થઈ જાય છે. એટલે અનુવાદકે વફાદારી અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનું હોય છે. મને લાગે છે કે ‘વફાદારી’ નહીં પણ ‘જવાબદારી’, એમ કહેવું જોઈએ. વફાદારીમાં તો એક જાતની શરણાગતિ છે, પોતાનો ને પોતાની ભાષા-મુદ્રાનો વિલય છે, પરંતુ અનુવાદકે જવાબદાર એટલે કે સંનિષ્ઠ - True to the Original તો રહેવાનું જ હોય મૂળ પ્રત્યે સાવ બેપરવા રહીને યાદૃચ્છિક, મનમાં આવે એવો અનુવાદ કરવો કે ક્યાંક-ક્યાંક મૂળને શણગારીને, વિશેષણો આદિના ખોટા વરખ લગાડીને પોતાના લખાણને ભપકાદાર કરવું એ તો દ્રોહ છે, મૂળ કૃતિ સાથેની તેમ જ અનુવાદિત કૃતિના વાચક સાથેની છેતરપિંડી છે. પરંતુ, મૂળ પ્રત્યે આદર રાખીને લીધેલી મોકળાશ અનુવાદક માટે આવશ્યક છે. ખરેખર તે સાહિત્યભાષાની ધ્વન્યાત્મકતા જ એ મોકળાશને અનિવાર્ય બનાવે છે, અનુવાદ એ અર્થમાં સર્જનાત્મક પણ છે, કેમ કે એ મૂળ કૃતિના તંતુઓમાં પરોવાયેલી છતાં એક આગવી કૃતિ નીપજાવે છે. એવા વિશિષ્ટ અનુવાદ કૌશલને લીધે, અનુવાદિત કૃતિ વાચકને પોતાની ભાષામાં રચાયેલી કૃતિ-સરખી લાગે છે. એટલે, અનુવાદિત કૃતિની ભાષાનું રૂપવિધાન જે સ્પષ્ટપણે ને પૂર્ણપણે લક્ષ્ય ભાષાનું હોવું જોઈએ અને એ માટે અનુવાદક મથતો હોય છે. અનુવાદની આખી પ્રક્રિયા, એક રીતે તે અનુવાદક માટે એક અંગત કાર્યશાળા જેવી, વર્કશોપ જેવી છે. અનુવાદકનો પહેલો મુસદ્દોમૂળ કૃતિનીધારેધારે ચાલવા કરતો, એને અનુસરતો હોય છે. દોરી ગૂંચવાઈ જાય ત્યારે એને ઉકેલવાને બદલે એટલો ભાગ કાપીને સાંધો કરી લેવાની, એટલે કેન સમજાયેલા અંશો છોડી દેવાનીઅપ્રમાણિકતા, તેમ જ મૂળથી દૂર લઈ જનારું શૈલીછટાનું ઉમેરણ કરવાની લાલચ-એનેઅનુવાદક વશ થતો નથી, પરંતુ મૂળ પ્રત્યેની એ પ્રાથમિક જવાબદારી નિભાવ્યા પછી, બીજા મુસદ્દાથી અનુવાદક લક્ષ્ય ભાષાની, પોતાની ભાષા પ્રત્યેની જવાબદારી હાથ ધરે છે. શબ્દચયનના, વાક્યાન્વયના, વિશિષ્ટ ભાષાભંગીના ટાંકણાથી એ અભિવ્યક્તિને નવો ઘાટ આપે છે, એમાં સર્જનાત્મક ચેતના પૂરે છે. પોતાની એવી સર્વ સજ્જતાને તથા ભાષા-સંવેદનાને ખપે લગાડીને અનુવાદક એક સુવાચ્ય અને પ્રવાહી અનુવાદકૃતિ વાચકના હાથમાં ઘરે છે.

તો હવે, વાચક અને અનુવાદ

ભાલણે, ‘કાદંબરી’નો અનુવાદ કરતી વખતે પોતાના સમયના વાચકની એક ઓળખ આપેલી - એ વાચક ‘મુગ્ધ રસિક’ હતો. કથારસ માટે એ ખ્યાત કૃતિ પાસે જવા માગતો હતો, પણ એ સંસ્કૃત ભાષા જાણતો નહોતો. ભાલણે એનો રસ્તો કાઢી આપેલો - એણે ઉત્તમ પણ રસાળ સારાનુવાદ આપતી પદ્યરચના કરી. પણ આજનો વાચક કેવળ ‘મુગ્ધ રસિક’ નથી - હોઈ પણ ન શકે. હા, ક્યારેક સારાનુવાદોની કે મૂળ-આધારિત રૂપાંતરોની ને અનુસર્જનોની પણ જરૂર પડતી હશે. એવો વાચકવર્ગ પણ હોવાનો. પરંતુ આપણા સમયે જેમ એક સજ્જ અનુવાદકની, એમ અનુવાદના એક સજ્જ વાચકની અપેક્ષા પણ રાખેલી છે. વાચક મૂળ, સ્રોત ભાષા પૂરેપૂરી કે સરખી ન જાણતો હોય, મૂળમાંથી પસાર ન થઈ શકતો હોય, પરંતુ પોતાની ભાષાની ઉત્તમ કૃતિઓના આસ્વાદ અને પરિશીલનથી તો એની રુચિ કેળવાયેલી હોય. હા. અનુવાદનો વાચક - જો આપણે એને ભાવક પણ કહીએ તો, એ આવી વાચન-સજજતાવાળો હોય એ એની, અનુવાદના વાચક તરીકેની એક વિશેષ યોગ્યતા ગણાશે. બીજું, અનુવાદો આપણને સંસ્કૃતિ-બોધ કરાવે છે એમ આપણે કહીએ છીએ ત્યારે એ બોધ સાંસ્કૃતિક ચેતનાનો ને સંવેદનાનો બોધ હોય છે, તે તે પ્રજાની સંસ્કૃતિના ઘટકોનો બોધ નહીં. એવી વિગત-સજજતા કે વ્યાપક જાણકારી વાચકને હોય તથા એવી સ્વીકાર-તત્પરતા એનામાં કેળવાયેલી હોય એ અનુવાદિત કૃતિના આસ્વાદ માટે જરૂરી છે. ‘તોત્તો-ચાન’નો ગુજરાતી અનુવાદ એક શિક્ષક-વાચકે એક-બે પાનાં વાંચીને જ છોડી દીધેલો. એમનું કહેવું હતું કે, એમાં પાત્રોનાં, ગામોનાં, સ્થળોનાં નામો એવાં અપરિચિત ને અટપટાં છે કે એમનાથી આગળ ન વધી શકાયું. ‘લ્યુસી’નું ‘લક્ષ્મી’કરી આપો તો જ વાચે એવા નરમ અને નિર્દોષ વાચકો આજે અનુવાદના યોગ્ય વાચકો ન ગણાય. અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ. પરંતુ આવા યોગ્ય વાચકોના પણ , અનુવાદો વાંચ્યાના અનુભવો, ક્યારેક કેવા તો કમનસીબ અને પીડાદાયક હોય છે! જે અનુવાદો મૂળ કૃતિની ભાષાની સમજના અભાવે કે લક્ષ્ય ભાષાની સરખી માવજતના અભાવે, કે પછી એ બંનેના અભાવે નબળા થયેલા હોય, એ અનુવાદો સજ્જ સાહિત્યરસિક વાચકને પણ નડે છે. અનુચિત શબ્દચયનો ને ખોડંગાતાં વાક્યોથી ઊભી થતી ક્લિષ્ટતા વાચકને ત્રાસ આપે છે. મૂળ કૃતિ ઉત્તમ ને રસપ્રદ હોય, પણ એનો અનુવાદ તો અસહ્ય થઈ પડે છે. પોતાની ભાષાની કોઈ સંકુલ કૃતિને પણ આસ્વાદી શકવાની સજ્જતાવાળા વાચક માટે પણ, અભિવ્યક્તિની સહજતા અને પ્રવાહિતાના અભાવવાળી અનુવાદિત કૃતિ દુબોધ અને ક્લેશકર બની જાય છે. કેટલાક પ્રવાહી જણાતા અનુવાદોમાં પણ ચકોર વાચક, અનુવાદકે પ્રમાદવશ કરેલી, કે એની સમજને અભાવે રહી ગયેલી ક્ષતિઓને પામી જાય છે. મૂળ સાથે એ તુલના ન કરે તો પણ આખા વાક્યમાં કે સંદર્ભમાં આવી પડેલા અનુચિત કે ખોટા શબ્દચયનનો એને ખ્યાલ આવી જાય છે. સ્રોત ભાષા જાણતો હોવા છતાં, રસપૂર્વક ને આગ્રહપૂર્વક પોતાની ભાષામાં થયેલા અનુવાદને જ વાંચવાનું પસંદ કરનાર આવા સજ્જ વાચકનેય જો વળીવળીને મૂળ શું હશે એનાં અનુમાનો કરવાનું મન થાય ને અમુક તબક્કે તો અનુવાદ છોડીને મૂળ કૃતિ વાંચવા એ મજબૂર થાય તો અનુવાદની એ સૌથી મોટી નિષ્ફળતા છે. વળી, આવા નબળા અનુવાદો સાથે પનારો પડે ત્યારે, જે મૂળ ભાષા જાણતા નથી એવા વાચકો સૌથી વધારે કમનસીબ હોય છે. એવા જિજ્ઞાસુ વાચકોને અપેક્ષાભંગ થાય છે ને સાહિત્યકૃતિ વાંચવામાંથી એમનો રસ ઊડી જાય છે. એવા નબળા અનુવાદોથી અનુવાદ-પ્રવૃત્તિનું મહત્ત્વ અને મૂલ્ય ઘટે છે અને અનુવાદપ્રવૃત્તિ દ્વૈતીયીક છે એવાં ખોટાં ધોરણો આગળ ધસી આવે છે. અનુવાદો તો આપણે ત્યાં ઘણા થાય છે. ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાઓ પણ નિરંતર અનુવાદો કરાવે છે. પણ યોગ્ય અનુવાદકની પસંદગીનો પ્રમાદ, પરામર્શકોની ઉદાસીનતા, અનુવાદોની અનુવાદો તરીકે થતી આકરી સમીક્ષાઓનો અભાવ તેમ જ અનુવાદ માટેના સઘન અને સાતત્યવાળા વર્કશોપ્સની નરી અછત એ બધા અનુવાદની ગુણવત્તાનું રક્ષણ ને નિયંત્રણ ન થઈ શકવાનાં કમનસીબ પરિબળો છે. એટલે, સાહિત્ય પરિષદે આ અધિવેશનમાં અનુવાદ અંગે બેઠક રાખી છે એ માટે અભિનંદન આપવાની સાથે જ એક વાત મારે ભારપૂર્વક કહેવી છે કે, પરિષદમાં વર્ષો પહેલાં જે ‘અનુવાદકેન્દ્ર’ સ્થપાયું હતું એ આરંભકાળે થોડોક સંચાર બતાવ્યા પછી લાંબા સમયથી સુપ્ત છે. એ સુષુપ્તિનાં વર્ષો વધતાં જ જાય એને બદલે એ કેન્દ્રને હવે ચાલતું, બલકે સક્રિય કરવામાં આવે તો સારું. અનુવાદ વિશે પરિસંવાદો થાય, ખાસ તો સઘન કાર્યશાળાઓ યોજાતી થાય ને એને પરિણામે થોડાંક ઉત્તમ અનુવાદ પુસ્તકો પણ પ્રકાશિત થાય એવી મારા વતી, ને આ સામે બેઠેલા સૌ સાહિત્યકારો ને સાહિત્યરસિકો વતીથી પણ પરિષદના પ્રમુખશ્રીને અને તંત્રવાહકોને આગ્રહભરી વિનંતી કરું છું. પરિષદના આવતા સત્રમાં કોઈને આ વિનંતી દોહરાવવી ન પડે એવી આશા સાથે, તથા અનુવાદની આ બેઠકમાં બે વાતો કરવાનો અવસર આપ્યો એ માટે પરિષદનો આભાર માનીને મારી વાત પૂરી કરુંછું.

-પરિષદના ભુજ-અધિવેશન (૨૦૨૨)માં અનુવાદ વિશેની બેઠકનું અધ્યક્ષીય વક્તવ્યનું લેખિત રૂપ.
-‘સંસ્પર્શ અને વિમર્શ’ પૃ. 176 થી 181