સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ગરબી
ગયા વાર્તાલાપમાં આપણે અર્વાચીન કાવ્યસાહિત્યનાં પદો જોયાં. પદપ્રકાર આપણને મધ્યકાલીન સાહિત્યમાંથી ઊતરી આવેલો મળ્યો છે, તેવો જ ગરબી પ્રકાર પણ છે. ગરબીઓ પ્રાચીન સાહિત્યમાં તો પદોના નામે પણ મળી આવે છે, પણ પછી ગરબી નામ જ વધારે પ્રસિદ્ધ બને છે. અને અત્યારે એ આપણા સાહિત્યનો એક સુંદર અગત્યનો ભાગ રોકે છે. ગયા વાર્તાલાપમાં આપણે દલપત-નર્મદની ગરબીઓ જોઈ. હવે આપણે નવલરામથી આગળ ચાલીએ. નવલરામે ‘બાળગરબાવલિ’ લખી છે. તેની ઘણીખરી ગરબીઓ કન્યાશાળા માટે અને સ્ત્રી-કેળવણીના પ્રચાર માટે લખી છે તેમાં પણ કેટલીક સારી છે. એમનું એક ધોળ જોઈએ.
જનાવરની જાન
જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;
બકરીબાઈનો બેટડો પરણે છે આજે,
ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો;
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.
એમ કરીને આપણી લગ્નવેવલાઈની સારી મશ્કરી કરી છે. ગીતનો ઢાળ પણ લગ્નનો જ લીધો છે. એમની ઇતિહાસની આરસીની રચના પણ સુંદર છે.
ઇતિહાસની આરસી સાહી મેં જોયું માંહી,
થિર થાવર દીઠું ન કાંઈ ફરતી છે છાંઈ.
આ આરસીમાં કવિ વર્તમાનથી હઠતા હઠતા ભૂતમાં જાય છે. આરસીમાં પ્રથમ મરાઠા, પછી મુગલાઈ, પછી અમદાવાદની મુસલમાની રિયાસત, અને તે પછી કરણઘેલાના વખતમાં ગુજરાત સૌથી પહેલાં અલાઉદ્દીન બાદશાહના આક્રમણ આગળ હારી ગયું તેનો ઉલ્લેખ કરે છે.
એ દિવસ થકી પરતંત્ર થયા લાગી ખાંપણ રે!
એ આગે હતા સ્વતંત્ર, હિન્દુ સહુ આપણ રે.
એમ વિચારી એના શોકમાં ડૂબી કાવ્ય પૂરું કરે છે. પરતંત્રતાની એમાં સાચી શરમ છે, સ્વાતંત્ર્યની સાચી તમન્ના છે. એ પછી પંડિત યુગ આવે છે. તેના કવિઓમાં કોઈક જ એવા નીકળે જેમણે ગરબી બિલકુલ ન લખી હોય. આપણે એમાં સૌથી પ્રથમ ગોવર્ધનરામને લઈએ. એમની કાવ્યની બાની ખરબચડી, ભાષા દુર્બોધ, ક્યાંક અતિ સંસ્કૃત અને એ જોતાં ગરબીને અનુરૂપ નહિ લાગે, છતાં તેમની એકબે ગરબીઓ સુંદર છે. પહેલાં હું એમની કોયલની ગરબી લઉં.
નીલ નીલમ સમાં લીલાલ ગાલે બેઠાં તમે જે તણે રે,
એવા રૂડા આંબલિયાની ડાળ, મૂકીને કોયલ ક્યાં ગયાં રે!
ઊંચે સોહે પ્રભાતના રંગ, રાતા રાતા આભમાં રે,
તેવા નીચે નીચે આના મ્હોર! મૂકીને કાયલ ક્યાં ગયાં રે!
તેજ તારા તણું દેખાય ઊંચું ઝીણું આભમાં રે!
તારા જોવાય ના, ન ઝલાય! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?
તેવું ગાન તમારું સુણાય ઊંડું ઊંડાણમાં રે!
તમે દેખાવ ના, ન જણાવ! મૂકીને કોયલ ક્યાં ગયાં રે?
આ ગરબી સુંદર સુકુમાર ભાવવાળી છે. એમાં રૂડા આંબલિયાની ડાળવાળી પંક્તિ છે તે આખીય જૂના લોકગીતની છે. એ લોકગીતનું માધુર્ય જ જાણે આખા કાવ્યમાં ઊતરી આવ્યું છે. ગોવર્ધનરામની એક બીજી ગરબી લઈએ, જેમાં એક મુગ્ધ બાળા પોતાના લગ્નના કોડ સુંદર બાનીમાં વ્યક્ત કરે છે.
સુણો માતતાત ટેક મુજ એવડો જો,
મારે જોઈએ ગુલાબ અને કેવડો જો.
સારો સુંવાળો સ્વામી ન મને પરવડે જો
એને સારો સારો કરીને સૌ અડે જો.
કાંટાવાળો તે કંથ મારે જોઈએ જો,
રૂડો રંગ ને સુવાસ એમાં હોઈએ જો.
કહે છે :
સુગંધ રંગ સંગ ભોગવું હું એકલી જો,
બીજી નાર જોઈ જોઈ તે રહે બળી જો.
તેજસ્વી સ્વભાવની મુગ્ધાના લગ્નકોડ અહીં નવી જ રીતે, હજી સુધી કદી ન કહેવાયા હોય એવી રીતે કહેલા છે. આ પછી અર્વાચીન કવિતાના આદ્યકવિ ગણી શકાય એવા નરસિંહરાવ લઈએ. એમણે અંગ્રેજી કાવ્યોનો રસ ચખાડવા નવાં કાવ્યો લખ્યાં અને નવી કવિતાની બાનીના ઘડતરમાં એમનો મુખ્ય ફાળો છે. આપણે એમની થોડી ગરબીઓ જોઈએ.
ફૂલની સાથે રમત
આવો ફૂલડાં મધુરાં રે આપણ રંગે રમીએ,
દિન એક આનંદે રે ભેળાં રહી નિર્ગમીએ.
આમ આ ગરબીનો ઉપાડ સુંદર થાય છે. પણ પછી નરસિંહરાવનો લોક તરફનો અને જગત તરફનો અણગમો અંદર આવ્યા વિના રહેતો નથી.
તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું,
રહી મનુજસમૂહે રે વદન કરમાઈ ગયું.
નાસી ત્યાં થકી આજે રે આવ્યો તમ પાસ હું તો,
તમે કોમળ હઈડે રે મને નવ ગણશો જુદો.
આ ગરબીના ઉપાડના શબ્દો ગરબીના ઢાળ સાથે જેવા સુંવાળા થઈ ભળી જાય છે, તેવું તેમની બધી ગરબીઓમાં બનતું નથી. જેમ કે :
વડ પાછળ વડ રચિ ઊભાં શિખર ગિરિવર કેરાં
રચી અર્ધચક્રનો વ્યૂહ ગૂંથાયાં અહીં ભેળાં
ઘેરી ઊભાં આ ઉચ્ચભૂમિ નિરખી રહેતાં
ટગટગ કરી ભર આશ્ચર્યભાવ અંગે લેતાં
પિંગળ દૃષ્ટિએ ભૂલ ન કાઢી શકીએ તો પણ જાણે લાગે છે કે અક્ષરન્યાસ અને શબ્દપસંદગી ગરબીને લાયક નથી. આપણે એક બીજી ગરબી જોઈએ :
વ્યોમમંડળેથી અમે ઊતર્યાં રે લોલ
વ્યોમમાં અમારું નિત્ય ધામ;
વ્યોમવાસિની રે લોલ
આવો મધુર ગાન ગરબે ગાઈએ રે લોલ.
દયારામના ‘ગરબે રમવાને ગોરી સંચરી રે લોલ’નો ઢાળ છે. અને લગભગ એટલું જ માધુર્ય આમાં પણ છે. નરસિંહરાવ ગરબીમાં વચ્ચે સાખી પણ લાવે છે. આ જ કાવ્યમાં આગળ આવે છે –
તેજે ઘડ્યાં અમ અંગ, અમોલાં તેજે ઘડ્યાં છે;
કરીએ ન તિમિરનો સંગ, તિમિર અમ વેરી ઠર્યાં છે.
સાખી
દિવ્ય લોકમાં ઘૂમતાં ફરીએ સહુ રસભેર,
ને પ્રેમે કંઈ રેડીએ; મર્ત્ય લોકે અમીની સેર,
અમોલી સેર અમીની,
તેજે ઘડ્યાં અમ અંગ અમોલાં તેજે ઘડ્યાં છે.
આ પંડિતયુગમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા કવિ મણિભાઈ નભુભાઈ, મણિશંકર ભટ્ટ – કાન્ત, પ્રો. બલવંતરાય ઠાકોર, એમણે થોડીક ગરબીઓ લખી છે. પણ એ એમનો મહત્ત્વનો ફાળો નથી. એ કવિઓમાંથી માત્ર કાન્તનું એક કાવ્ય લઈએ, જે બહુ જ પ્રસિદ્ધ છે, અને સભાઓમાં વિસર્જન વખતે વારંવાર ગવાતું :
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો માફ હજારો પામર પાપ, જે–
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો!
મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!
રમણભાઈએ અને કલાપીએ ગરબીઓ લખી નથી એ નોંધવા જેવું છે. આપણે આ પછી દામોદર ખુશાલદાસ બોટાદકરની ગરબીઓ જોઈએ. બોટાદકર મુખ્યત્વે સંસ્કૃત વૃત્તબદ્ધ કાવ્ય લખનાર કવિ છે પણ તેમના જીવનમાં ગરબીઓનો એક આખો સ્રોત વહ્યો હતો. અને સંસ્કૃત વૃત્તોમાં તેમની જેવી છન્દઃશુદ્ધિ છે તેવી જ અહીં ગરબીઓમાં તેમની કાળશુદ્ધિ છે. એમનાં સંસ્કૃત કાવ્યો કરતાં એમની ગરબીઓ વધારે લોકપ્રિય થઈ છે. અને આપણા કુટુંબભાવોના આદર્શો એમાં સુબોધ બાનીમાં પ્રતિબિંબિત થયા છે. હિન્દુ સંસારની વિશિષ્ટતાનું મધ્યબિન્દુ કદાચ સાસરે જતી કન્યા અને સાસરે ગયા પછી પણ તેને પિતૃકુલ સાથેનો સંબંધ છે. કવિનું તે પ્રસંગનું ‘માતૃગુંજન’ કાવ્ય જોઈએ :
આછાં નીરે ઊછળી રહી રે પેલી વાહિની વાધે,
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે;
વ્હાલાં અનેક વળામણે રે એક અંતર ફાટે,
જેઠ તપી રહ્યો જગતમાં રે એને શ્રાવણ આંખે.
દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી,
જોઈ ન જોઈ વહી જતી રે વનપંખિણી જેવી;
આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી,
કાલ અગોચર ભોમમાં રે ડગ ધ્રૂજતાં દેતી.
જાય અહો! વહી વેલડી રે વીલી માત વિમાસે,
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે;
ઉનો અનિલ આ એકલો રે વહે ધ્રૂસકાં ધીરે.
હાય, હણાયેલી માતને રે ચડી અંતર ચીરે.
આ જ ઢાળનું સાસરામાં રહી રહી ભાઈને સંભારતી બહેનનું ગીત પણ આટલું જ કરુણ અને મર્મભેદક છે. ગીત લાંબાં હોવા છતાં, અને ભાવ કરુણ હોઈ દુઃસહ હોવા છતાં અંત સુધી ટકી શકે છે અને ભાવ સર્વસામાન્ય હોવા છતાં મૃદુ છે અને અગાધ પણ છે. એ કવિનું એક જરા બીજા પ્રકારનું ગીત કોયલડી વિશેનું જોઈએ :
વાગે વધાઈ વસન્તની રે
ફૂલડે ઊડે એની ફોર રે કોયલ બેની
એક કુહૂ કર આજનું રે.
વનવન વેણ વિહંગનાં રે.
ઘરઘર ગાજતાં ગાન રે, કોયલ બેની એક...
સૂનાં લાગે સહુ એ સખી રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બેની એક....
આજ કળી ઊઘડી રહે રે.
ઊઘડે અબોલણ ઉર રે, કોયલ બેની એક....
ગરબીમાં ઘણે ભાગે વિચાર કે વસ્તુ આગળ નથી ચાલતું તેનો વિકાસ પણ નથી થતો એમ કહેવામાં પણ કશું ખોટું નથી. ગરબીમાં એક એક કડીમાં એક જ વસ્તુના નવા નવા તરંગો આવે છે, નવા નવા ઝબકારા થાય છે. ગરબીમાં તેથી અંતને ચમત્કારક કરવો મુશ્કેલ છે. પણ એ પણ અહીં થયું છે. અંત કડી જોઈએ :
વેદઋચા તું વસંતની રે,
ધીમી સુધાકેરી ધાર રે, કોયલ બેની એક.
કોયલ વિશે આમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહીને કાવ્યનો ઉપસંહાર કરેલો છે. હવે આપણે કવિ નાનાલાલ લઈએ : કવિ નાનાલાલના અપદ્યાગદ્ય વિશે અનેક વિરોધી વિચારો આપણે સાંભળીએ છીએ. પણ તેના વિરોધીઓએ પણ તેમની ગરબીઓની મધુરતા સ્વીકારી છે. નાનાલાલની ગરબીઓને લીધે તેમના જીવનકાળનો અમુક લાંબો સમય તો રાસયુગ કહેવાયો. જનતામાં સ્ત્રીઓની ગરબીઓ મિશ્ર સમાજ આગળ આદર મેળવતી ગઈ તેમ ગરબીઓ લોકપ્રિય થતી ગઈ અને અનેક કવિઓને રાસો લખવાનો ઉમંગ વધતો ગયો. ગાનારીઓને નિત્ય નવા રાસનો મોહ હતો અને તેથી રાસલેખકોને નવા નવા રાસો આપવાને ઉત્તેજન મળ્યું. આ રાસોમાં જૂના ઢાળોમાં ક્યાંક ફેરફારો કરવાની નવીનતા ઠેઠ નરસિંહરાવથી દેખાય છે. એમનામાં એ બહુ સંયત અને મર્યાદિત હતી, એમના સંસ્કૃત છંદોની નવીનતા પેઠે; એ પ્રક્રિયા નાનાલાલમાં ચોક્કસ સ્વરૂપે દેખાય છે. નાનાલાલના વિલાસની શોભા કાવ્યમાં કુમારિકાના લગ્નકોડ ઉપર એક લાંબી પંક્તિનું સ્ત્રીગીત છે. એનો મૂળ ઢાળ સીતાજીની કાંચળીનો છે. હું મૂળની થોડી પંક્તિઓ પ્રથમ ઉતારું છું.
પંચવટીમાં સરોવર પાસે રમતાં સીતા શ્રીરામ રે,
કનકતણો કુરંગ રાવણનો આવ્યો તેણે ઠામ;
હો રમતાં રઢ લાગી રાણીને રે,
સોનાનાં શૃંગ ને ત્વચા કનકની નાભી કસ્તુરી મહેકે રે,
ડમરો ચરતાં દીઠો જાનકીએ નાચે નૌતમ લહેકે;
રમતાં રઢ લાગી રાણીને રે.
હવે, તેની સાથે નાનાલાલની પંક્તિઓ સરખાવીએ :
જોઈ હસે મુજ આંખ, ઠરે મુજ આત્મન્,
પ્રેમની ભરતી ચડે.
દાખવ દેવી, ઓ ભાખ સખી, મુજ વલ્લભ
એ કોણ? ક્યાંહી જડે!
નેત્ર સુધા વરસે વિરલી ઉરમાં ઊછળે
રસઓઘ, અને
પુણ્યપરાર્થી ઉદાર બહાદુર – એ વર
બાઈ, બતાવ મને.
તફાવત તરત દેખાઈ આવશે. એની પિંગળચર્ચામાં હું અહીં ઊતરતો નથી. પણ આ એક વલણ નોંધવા જેવું છે. નાનાલાલમાં સુંદર ગરબીઢાળ પારખવાની શક્તિ હતી, અને એમને કોઈ સુંદર સાંભળેલા ઢાળની કોઈ કોઈ વાર એવી રઢ લાગતી કે એવા ઢાળનું ગીત લખ્યે જ તેમનો છૂટકો થતો. એમના ઘણાખરા ઢાળો તો અત્યારે પ્રસિદ્ધ છે, હજી ગવાય છે. જોકે વધારે ગવાવા જોઈએ. પણ કેટલાક સુંદર પણ ઓછા ગવાતા ઢાળો તરફ હું ખાસ ધ્યાન દઈશ. પ્રથમ એક લગ્નગીત લઉં છું.
આંગણ કુંકુમે રે લીંપાવો
મોંઘાં મોંઘાં ફૂલડાં વેરાવો
સોહાગ સાથિયા રે પુરાવો
અબિલની કાંગરી કોરાવો.
‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે રે’ને મળતો ઢાળ છે, જરાક જ ફેરવાળો. એ પંક્તિ લઈને પણ એમણે એક લગ્નગીત લખેલું છે : એક બીજો રાસ લઈએ : પહેલી કડી જરા ખરબચડી છે તે છોડી દઈ બીજી કડીથી લઈએ.
રૂપની કલા કરી રે કે ચતુરા ક્યાં ચાલ્યાં? સાહેલડી!
છબિલી! આ છોગલાં રે કે મોહનાં શે ઘાલ્યાં? સાહેલડી!
હજી તો વસન્તની રે કે લ્હેર હેલી આવે, સાહેલડી!
ઉરને ઉમળકે રે વિશ્વ જો વધાવે, સાહેલડી!
નાનાલાલે જે પ્રાચીન ઢાળ ઉપરથી આ ગીત લખ્યું છે તે જોઈએ :
સોના વાટકડી રે કેશર ઘોળ્યાં વાલમજી,
નાનો દિયરિયો રે કે રંગમાં રોળ્યાં વાલમજી.
આ જ અર્થનો જરા ઢાળફેર જોઈએ :
વાટકીમાં કેશર ઘોળ્યાં વાલમિયા,
ઊગ્યો રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા.
કવિ નાનાલાલે એક જગ્યાએ પોતાના રાસો વિશે કહ્યું છે : “લોકોને મારા રાસ ગમ્યા. સુંદરીઓએ સારા કહ્યા. રાસ-રસિયણોએ મનમાન્યા ઝીલ્યા, પણ સુંદર મનોહારી જૂના રાસનો ઉમંગઊછળતો ઉપાડ ત્યાં નથી.” કવિ નાનાલાલના રાસો મનને ભરી દે એવા છે એ ખરું. પણ હમણાં ગાયેલ લોકગીતની પંક્તિઓ સાથે સરખાવતાં ઉમંગઊછળતો ઉપાડ એટલે શું તે સમજાશે. એ ઉપાડના સર્જનમાં ત્રણ વસ્તુઓ એકસાથે કામ કરે છે. તેમાં વિષયનો ઉલ્લાસ હોય છે, કલ્પનાનો ઉત્તુંગ તરંગ હોય છે, તે સાથે સંગીત પણ ત્યાં હેલે ચડે છે. લોકગીતોમાં પણ તે સર્વત્ર નથી હોતો. છતાં એ જ્યાં હોય છે ત્યાં અનનુકરણીય હોય છે. કંઈક એ મધ્યકાલના માનસનું પરિણામ છે. પણ આપણી સિદ્ધિઓ પણ કંઈ ઓછા મૂલ્યની નથી. નાનાલાલનું એક જરા અટપટા સંગીતવાળું ગીત લઈએ :
નયન નયને રે, નયન નયને પધારો રાજબાલ
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ;
ભવન ભવને રે ભવન ભવને તમારાં રાજબાલ
ઊંડા આદેશ કિરણોમાં કહાવજો રે લોલ.
મધુર મધુર મુખડે હસે વિરલ તેજનાં હાસ,
હેરી હેરી હરખશું અપ ઊઘડ્યા એ વિલાસ.
મ્હોરી વસંતની વાડીઓ! હો જગલક્ષ્મી,
કરે કોયલડી ટહુકાર હો આવજો જગલક્ષ્મી.
ધીમાં ધીમાં રે ધીમાં ધીમાં પધારો રાજબાલ
ઘેલાં નયણાં તલપે ત્યાં ઘડીક આવજો રે લોલ.
એક એવું જ અટપટા સંગીતવાળું બીજું ગીત લઈએ :
કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર,
ઉરને સરવર પોયણાં ઊઘડે અપરંપાર
સખિ એક એકાકી ચાંદલો ઊગિયો,
સખિ એ તો શોભે છે આભલાને ગોખ
મારા માથાને મુગટે આવે નહીં રે;
ચંદ્રમાજી રે ઊગ્યો સખી આજ મારા ચોકમાં
આશા-નિરાશાનો ચન્દ્રમાજી રે.
મેં આગળ કહ્યું કે સામાન્ય રીતે ગરબી ગરબા રાસમાં વસ્તુના વિકાસ કે વિચારની પ્રગતિ હોતી નથી પણ કોઈ કોઈ વાર તેમાં એક જ વસ્તુ જુદાં જુદાં પાસાંથી કહી શકાય છે. તેનું દૃષ્ટાંત ‘ફૂલડાં કટોરી’ કહી શકાય. એ ગીત પ્રસિદ્ધ છે અને નરસિંહરાવે તેનું વિવરણ લખી એને વધારે સારું પ્રસિદ્ધ કર્યું છે. ચંદ્રીએ અમૃત મોકલ્યાં છે તે ઝીલવા નાયિકા જગમાલણીને ફૂલડાંકટોરી ગૂંથી લાવવા કહે છે, કારણ કે એ દિવ્ય અમૃત માનવની અંજલિથી ઝીલી શકાતું નથી; કેમ કે માનવીની અંજલિમાં છૂંદણાંના ડાઘ છે, માણસ પોતાની ક્ષતિઓવાળા પાત્રથી એ ઝીલી શકે નહિ, કદાચ એ ડાઘ એ અમૃતને લાગે. સૌંદર્ય પામવા સ્વયં સૌંદર્ય બનવું પડે અને ન ઝીલું તે બધું અમૃત અવસ્થા વહી જાય છે. એને ન ઝીલીએ તે મનુષ્યઅવતાર વૃથા જાય છે. વળી માનવપાત્ર તેને ઝીલવા જાય તો તે ઝીલવા સમર્થ નથી, એના હાથમાં કાણાં છે, છિદ્ર છે અને ત્યાંથી દશધાર એ સરી પડે છે. દશ કેમ થાય, એમ આપણે નરસિંહરાવની પેઠે ન પૂછીએ. દશધાર એટલે અનેકધાર વહી જાય છે. માટે જગતરૂપી માલણને કહે છે એ અમૃત ઝીલવા ફૂલ જેવું પાત્ર આપ, જેથી આ અમૃત ઝીલી શકાય. સૌંદર્ય ઝીલવા પાત્ર પણ સુંદર જ જોઈએ એમ જુદી જુદી કડીઓમાં મુખ્ય વાંછનાનાં ભિન્ન ભિન્ન પાસાં આપી કેન્દ્રભૂત વાંછના વ્યક્ત થાય છે. એમ ક્વચિત્ બની શકે છે. ક્વચિત્ નાનાલાલ એક કે બે જ કડીમાં ગંભીર વક્તવ્ય સુંદર રીતે રજૂ કરે છે : એમનું દુઃખ-સુખનું સંગીત જોઈએ :
દુઃખસુખ આવે રે તે સહેજો!
માજીના ચરણકમળમાં રહેજો!
દુઃખસુખ આવે રે તે સહેજો!
સુખડાંની શોભા રે સુલભ છે :
દુઃખડાંના હેતુ રે ગહન છે :
માજીના ગહનસુલભ આદેશ
દુઃખસુખ આવે રે તે સહેજો!
મા તુજ પ્રેમળ રે રચના છે :
મા તુજ સદર્થ રે ઘટના છે :
મા તુજ સદર્થ પ્રેમળ નિવેશ
દુઃખસુખ આવે રે તે રહેશું!
મા તુજ ચરણકમળમાં રહેશું!
દુઃખસુખ આવે તે મા! સ્હેશું!
કવિની ઈશ્વર ઉપરની અને જગતની યોજના ઉપરની ઊંડી શ્રદ્ધા અહીં વ્યક્ત થાય છે. દુઃખમાં પણ કોઈ અર્થ, કોઈ શુભ પ્રયોજન રહેલું છે એ ભાવ છે. છતાં કવિની બીજી ગરબીઓ જેવી આની બાની પ્રવાહી નથી, શબ્દો જાણે ગરબીને માટે ભારે પડે છે. એમનાં પશ્ચિમ વયનાં કેટલાંક ગીતોમાં મને આ વલણ વિશેષ જણાયું છે, જોકે મધુર ગીતોનો પ્રવાહ કદી સ્ખલિત તો થયો જ નથી. કોઈ વાર કવિ નાનાલાલ મિશ્ર રચનાવાળું લાંબું કાવ્ય પણ રાસમાં મૂકે છે. જેનું દૃષ્ટાંત વસંત ગીત છે. તેના ઢાળોમાં અનેક ગરબીના ઢાળો સાથે સંસ્કૃત વૃત્તો પણ આવે છે. આ મિશ્રણ અસુંદર છે એમ કહેવાનો ઉદ્દેશ નથી, પણ પછી આવાં મિશ્રણો ગરબી કહેવાય? આ મિશ્ર રચના તો અંગ્રેજીમાં ode (ઓડ) કહે તેવી રચના જણાય છે. અને એ કોઈ રીતે ગરબીની પેઠે રજૂ કરી શકાય તેવી નથી. ઢાળ તેમ જ અર્થની દૃષ્ટિએ પણ મિશ્ર રચનાઓ ન જ થઈ શકે એમ કહેવાનો આશય નથી. સ્ત્રીઓના ગરબામાં ઘણી વાર અમુક પંક્તિઓ ગાતાં ઊભાં રહી ગાવાનું આવે છે, તેમ કેટલીક મિશ્ર રચનાઓમાં ઊભાં રહી ગાવાનું થોડું ગીત આવી શકે. છતાં આથી ગરબીની ગતિ એકદમ શિથિલ અને અરસિક થવાનો સંભવ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ગરબીની વિશેષતા એ છે કે સાંભળતાંવેંત સમજાવી જોઈએ. અને સમજાતાવેંત તેની ઊર્મિ આવવી જોઈએ. વચમાં મનન માટે કાળ ગાળવો પડે એ એની પ્રકૃતિની વિરુદ્ધ છે. કવિ નાનાલાલનાં સ્ત્રીગીતોમાં કયું લેવું, કયું ન લેવું એ નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ એમનાં ગીતો પ્રસિદ્ધ છે, ઘણા જાણે છે, એટલે આટલાથી સંતોષ માનતાં કવિને અન્યાય થવાનો સંભવ નથી. નાનાલાલ પછી સ્વાભાવિક રીતે કવિ ખબરદાર આવે. ખબરદારે ઘણી ગરબીઓ લખી છે. ઘણી પ્રસિદ્ધ છે, તોપણ તેમનાં બીજાં કાવ્યોની પેઠે એમાં ઉછીનું તેજ ઘણું છે, અને એમનું સારામાં સારું કાવ્ય ક્યાંક ઓચિંતું કથળી પડે છે. એમની એક સુંદર ગરબી જોઈએ. ચંદાને પનિહારી કલ્પીને ગરબી લખી છે.
કે પાણીડાં ગઈતી અમી સરોવર રે,
કે બેડલું રેલાતું ચોધાર,
છલોછલ છલકે મારું બેડલું રે.
કે ઢળી ઢળી જતાં અમી એ વાટમાં રે,
કે હસતો છૂપતો સૂર્યકુમાર,
છલછલ છલકે મારું બેડલું રે..
ખબરદાર કાવ્યોમાં ઘણી વાર એક ભક્ત તરીકેની પોતાની આરજૂ વ્યક્ત કરે છે. આપણે એક કડી જોઈએ :
દીધી આશા લાંબી, જીવન દીધું ટૂંકડું,
હૈયે સ્નેહ ભર્યો તો આંખ ટપકતાં ઝેર;
દીધી આંખ અમોને, પોતે રહ્યો અદૃશ્ય તું,
તું હું એક હતા તે વિખરાયા શી પેર;–
સુરજન પ્રભુજીને છાનું જઈ પૂછજો એટલું!
ખબરદારે ગુજરાતની પ્રાચીન ભક્તપરંપરાના જ સિદ્ધાંતો, ભાવ અને પ્રતીકો લીધા છે. ખબરદાર પછી સદ્ગત કવિઓમાં મેઘાણી આવે છે જેમના અતિ પ્રવૃત્તિમય જીવનનો અંત બહુ નાની વયમાં આવ્યો. એમની સાહિત્યની અદ્વિતીય સેવા તે એમણે કરેલું લોકસાહિત્યનું સંશોધન. એ લોકસાહિત્યની પ્રેરણાથી એમણે સુંદર કાવ્યો લખ્યાં છે. નવા ભાવવાળું અને નવાં પ્રતીકોવાળું છતાં જૂના ઢાળમાં શોભતું એવું એમનું એક ગીત લઈએ :
કસુંબલ રંગ
લાગ્યો કસુંબલ રંગ
રાજ, મને લાગ્યો કસુંબલ રંગ,
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. રાજ.
નવલી દુનિયાકેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ,
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. રાજ.
એમ કવિએ જીવનમાં અનેક જગાએ કસુંબી રંગ દીઠો છે અને તેણે પોતે પણ પ્રસંગે પ્રસંગે ગુજરાતને એ રંગ પાયો છે—ચડાવ્યો પણ છે.
૩૦-૮-’૫૪