સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/ભાવકની પ્રતિભા
કવિ ન્હાનાલાલે ચન્દ્રિકાની નવાજેશ કરતો ચન્દ્ર જોયો, અને એમને અમૃતવર્ષણ દિવ્યતત્ત્વનું સ્મરણ થયું. એમના તત્કાલીન ચન્દ્રદર્શને એમના મનોગત સંસ્કારોને જગાડ્યા અને એમણે ગાયું કે “ચન્દ્રીએ અમૃત મોકલ્યાં રે લોલ.” પૂર્વ સંસ્કારો પ્રબુદ્ધ થયા અને તે વખતના તાજા અનુભવ સાથે એકાકાર થયા, પ્રભુની કૃપા, એને ઝીલવાનું કૃત્રિમકલાથી ક્લુષિત બનેલા માનવનું અસામર્થ્ય, એને ઝીલવાને માટે પ્રકૃતિનાં તત્ત્વોએ આપેલા પાત્રની આવશ્યકતા એ બધા માનસસંગૃહીત અનુભવ-સંસ્કારો; અને ચન્દ્ર, ચન્દ્રમાંથી ઝરતી ચાંદની, છૂદણાંના ડાઘને લીધે અને અંગુલિ વચ્ચેનાં વિવરોને કારણે એ ચાંદની ઝીલવાને અયોગ્ય, અસમર્થ એવી હરતાંજલિ એ પ્રત્યગ્ર પ્રત્યક્ષ અનુભવ; એ બંનેનું સંયોજન થયું, તાદાત્મ્ય થયું, જૂના સંસ્કારોના માનસચિત્રનું નવા અનુભવના માનસચિત્ર જોડે તાદ્રૂપ્ય થયું અને એમણે ગાયું કે :
“ફૂલડાં કટોરી ગૂંથી લાવ, જગમાલણી રે લોલ,
અમૃત એ અંજલિમાં નહિ ઝીલું રે લોલ.”
કવિની જન્મસિદ્વ અને અભ્યાસાદિથી સંચિત શક્તિનો, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પદ-અર્થ-સમૂહને પ્રતિભાસિત કરતો આવો પ્રાદુર્ભાવ એનું નામ પ્રતિભા. રાજશેખરે પ્રતિભાના બે પ્રકાર કહ્યા છે :
“सा द्विधा, कारयित्री भावयित्रि चं। कवेः उपकुर्वाणा करयित्री भावकस्य उपकुर्वाणा भावयित्री”
જે પ્રતિભા કવિને નવનિર્માણમાં ઉપકારક બને તે કારયિત્રી પ્રતિભા, અને જે પ્રતિભા ભાવકને-સહૃદયને કાવ્યના તત્ત્વગ્રહણમાં ઊપકારક બને તે ભાવયિત્રી પ્રતિભા. તત્કાલીન દૃષ્ટિપ્રત્યક્ષ કે માનસપ્રત્યક્ષ અનુભવોથી ભૂતપૂર્વ અનુભવોના પરોક્ષ, માનસનિગૂઢ સંસ્કારો જાગ્રત થાય, પ્રત્યક્ષ સંસ્કારો જોડે સમન્વય સાધે, બે માનસચિત્રોનું સંયોજન થાય, અને એ સંયોજિત ચિત્રનો જે આકાર હોય, એનું જે સ્વરૂપ હોય, એને રજૂ કરવાને સમર્થ એવા શબ્દોની કવિને ઉપસ્થિતિ થાય એ બધો કારયિત્રી પ્રતિભાનો વ્યાપાર છે. એ શબ્દો વાંચીને શબ્દનિરૂપિત માનસચિત્ર વાચકના માનસને પ્રત્યક્ષ થાય, એ સંયોજિત ચિત્રમાં રજૂ થયેલો કવિનો શબ્દવાચ્ય અનુભવ સમજાય અને વાચ્યાર્થ સમજાયા પછી એમાં ગૂઢ રહેલો કવિનો અન્ય અનુભવ વ્યંજના રૂપે પ્રતીત થાય–એ ભાવયિત્રી પ્રતિભાનો વ્યાપાર છે. ઉત્તમ કાવ્યોનો રચનાર કવિ કારયિત્રી પ્રતિભાથી સંપન્ન હોય છે તેમ એ ઉત્તમ કાવ્યોના હાર્દનું યથાર્થ ગ્રહણ કરનાર ભાવકમાં પણ ભાવયિત્રી પ્રતિભાની સંપત્તિની આવશ્યકતા છે. કવિની પ્રતિભાએ કવિના અનુભવનું વાણી દ્વારા સમર્પણ કર્યું હોય તે ભાવક વાંચે છે ત્યારે એ ભાવકની પ્રતિભા કવિના અનુભવને ભાવકનો અનુભવ બનાવી મૂકે છે. કવિએ જે અનુભવ સ્વયમેવ કર્યો તે ભાવક કાવ્ય દ્વારા અનુભવે છે, જે વિષયની જે અનુભવની, પૂર્વપ્રત્યગ્ર અનુભવોના સમન્વયની કવિને સ્વયંસ્ફૂર્તિ છે તેની ભાવકને કવિના સર્જનના પરિશીલનથી થતી, પરાવલંબી સ્ફૂર્તિ છે. કવિનો પ્રતિભાવ્યાપાર સ્વાવલંબી છે, અનન્યપરતંત્ર છે; જ્યારે ભાવકનો પ્રતિભાવ્યાપાર પરાવલંબી છે. કાવ્યપરતંત્ર છે. ભાવક કવિના કાવ્યગત અનુભવને પોતાનો અનુભવ કરે છે. પણ આ રીતે કાવ્યાધારે પ્રર્વતતી હોવા છતાં ભાવકની પ્રતિભા સર્વથા પરતંત્ર જ હોય એવું નથી. કારણ કે ભાવકની પ્રતિભા પણ મૌલિક અને સ્વતંત્ર પ્રભાવ બતાવી શકે. પણ એ મૌલિકતા એના ભાવકતત્ત્વની મૌલિકતા છે; અર્થાત્ એ એની મૌલિક ભાવકતા છે, મૌલિક સર્જકતા નથી. અર્થદર્શનમાં અને ભાવાનુભૂતિમાં અંશતઃ સ્વતંત્ર બુદ્ધિવિલાસ કરનારી એ, એ અંશ પૂરતી મૌલિક હોવા છતાં એ કાવ્યાશ્રયે જ પ્રવર્તે છે. વળી ભાવક ચંદ્રની માફક બીજાના ઊછીના લીધેલા પ્રકાશે પ્રકાશે છે એવું તો લેશ પણ નથી—ભાવકને અર્થનું પ્રકાશન કરતો પ્રતિભા પ્રકાશ એનો પોતાનો છે; પણ કવિની પ્રતિભાનો વિષય છે એનો પોતાનો અનુભવ, જ્યારે ભાવકની પ્રતિભાનો વિષય છે કવિનો અનુભવ. ભાવકની પ્રતિભા કવિપ્રતિભાથી સ્વતત્ત્વે સ્વતંત્ર છે, પણ પ્રકાશ્યમાન વિષય પરત્વે પરાવલંબી છે. સ્વપ્રકાશે પ્રદીપ્ત, સ્વ-સામર્થ્યે પ્રવર્તતી, ભાવક-પ્રતિભા કવિએ ધાર્યો હોય તેથી સુંદરતર અર્થ જોઈ શકે છે—પણ કાવ્યની વાણીને આધારે રહીને એ એમ કરી શકે છે. જે કવિ હોય તે પોતે ભાવક પણ હોઈ શકે; અને જે ભાવક હોય તે પોતે વળી કવિ પણ હોઈ શકે, તો આ બે વચ્ચે ભેદ શો છે એ પ્રશ્ન રાજશેખરે ઉપસ્થિત કર્યો છે અને એ વિશે અભિપ્રાય ટાંકે છે કે :
“भावकस्तु कविः प्रायो न भजत्यधमां दशाम्।”
અને વળી આ અવતરણગત અભિપ્રાય કોઈ કાલિદાસનામક કાવ્યશાસ્ત્રજ્ઞને માન્ય નથી એમ કહીને રાજશેખર કહે છે “पृथगेव कवित्वाद् बावकत्वं, भावकत्वाच्च कवित्वम्। स्वरूपभेदात् विषयभेदाच्य।” અર્થાત્ કવિત્વથી ભાવકત્વ ભિન્ન છે અને ભાવકત્વથી કવિત્વ ભિન્ન છે, કારણ કે એમાં સ્વરૂપનો તેમજ વિષયનો ભેદ છે. આટલું સૂત્રાત્મક વિધાન કર્યા પછી રાજશેખરે એ પ્રશ્નની વિશેષ છણાવટ નથી કરી. કવિની પ્રતિભાનો વિષય સ્વાનુભવ છે. અને ભાવકની પ્રતિભાનો વિષય કાવ્ય અને એમાં સમર્પાયેલો કવિઅનુભવ છે, એ ભેદ આપણે ઉપર જોઈ ગયા. ઉપરાંત કવિની પ્રતિભા અનુભવને અને તજ્જન્ય માનસચિત્રને શબ્દ દ્વારા રજૂ કરે છે; જ્યારે ભાવકની પ્રતિભા એ શબ્દ દ્વારા માનસચિત્રોનું ગ્રહણ કરીને એમાંથી કવિના અનુભવનું પુનરુદ્ભાવન કરે છે; એ પ્રકારે એ બે વચ્ચે વ્યાપારગત-સ્વરૂપગત-ભેદ પણ છે. કવિ કાવ્યસર્જન કરતો હોય ત્યારે એ કવિ છે અને એ સમયની એની પ્રતિભા સ્વયં સ્ફુરનારી પ્રતિભા છે. પણ એ જ કવિ જ્યારે પોતાના કે અન્યના કાવ્યનો ભાવક બને એ ક્ષણે પ્રર્વતનારી એની પ્રતિભા એ કાવ્યને આધારે સ્ફુરનારી છે. તે જ પ્રમાણે કાવ્યનું આલંબન સ્વીકારીને ભાવયિત્રી પ્રતિભાનો વિનિયોગ કરનારો ભાવક જ્યારે પોતે કવિતાસર્જન કરે ત્યારે એ પરાવલંબી નથી રહેતો—એની પ્રતિભાનો એ સર્જન સમયનો વ્યાપાર સ્વાયત્ત રહે છે. આ પ્રકારે કવિના અને ભાવકના વિષયો જુદા છે અને કવિ પ્રતિભાનું તથા ભાવક પ્રતિભાનું સ્વરૂપ પણ અન્યોન્યથી ભિન્ન છે. એ ઉપરાંત—એના ધર્મો પણ જુદા છે. કવિ જ્યારે ભાવકનો ધર્મ સ્વીકારે ત્યારે એની ભાવયિત્રી પ્રતિભાની પ્રવૃત્તિ થાય, કારયિત્રી પ્રતિભાની નહિ, અને ભાવક કવિધર્મ સ્વીકારે તે સાથે જ એની ભાવયિત્રી પ્રતિભાની પ્રવૃત્તિ બંધ પડીને કારયિત્રી પ્રતિભાની પ્રવૃત્તિ શરૂ થાય. આથી આપણે કહી શકીએ કેઃ पृथग् एव कवित्वाद् भावकत्वम्, भावकत्वाच्च कवित्वम्। धर्मभेदात्। આ “ધર્મભેદ”માં રાજશેખરે કરેલા સ્વરૂપભેદ અને વિષયભેદ પણ આવી જાય છે એ સમજી શકાશે. કારણ કે કવિનો ધર્મ સર્જનનો છે, સ્વાનુભવ વિષયક છે, અને ભાવકનો ધર્મ ભાવનનો અને કાવ્યવિષયક છે. એ સર્જન અને ભાવન વચ્ચે જે સ્વરૂપભેદ છે એ ઉપર બતાવ્યો છે. વિવેચન પણ સર્જનાત્મક હોઈ શકે એમ મનાય છે. ભાવક પણ પોતાના ભાવકવ્યાપારને કવિત્વમય, કલામય, સર્જનરૂપે રજૂ કરી શકે. પણ એથી ભાવક અને કવિ ધર્મતઃ પૃથક્ છે એ વિધાનને બાધ આવતો નથી. કારણ કે ભાવક પ્રથમ, અન્યના સર્જનના પરિશીલનના સમયે, ભાવકધર્મ બજાવનારો ભાવક છે પણ પોતે જ પછીથી એ પરિશીલનના ફળરૂપ દર્શનને અને અનુભવને કવિત્વમય સર્જન રૂપે રજૂ કરે છે ત્યારે એ ભાવક મટી જાય છે અને સર્જક બને છે. અર્થાત્ એકનો એક માણસ ભાવક હોય અને કવિ હોય તો પણ જ્યારે એ ભાવક છે ત્યારે એ કવિ નથી અને જ્યારે એ કવિ છે ત્યારે ભાવક નથી. ભાવકધર્મના વ્યાપાર પછી એના ફલરૂપ સાહિત્ય રચના એવી હોય કે એને સર્જનની કોટિએ મૂકી શકાય, તો પણ જે વિષયમાં એ ભાવક છે એ જ વિષયમાં એ સર્જક નથી, અને જે વિષયમાં એ સર્જક છે એમાં એ ભાવક નથી. કવિની વાઙ્મય સૃષ્ટિમાં રહેલા અનુભવનો સાક્ષાત્કાર કરીને ભાવકપ્રતિભાનો વ્યાપાર વિરમે છે. એ સાક્ષાત્કાર કર્યા પછી એના સમર્પણમાં એ સર્જનનું તત્ત્વ આણે છે ત્યારે એમાં એનો વિષય કવિની સૃષ્ટિ કે કવિની અનુભૂતિ જ નથી પણ પોતાનો, કવિના અનુભવથી વિશિષ્ટ એવો સ્વતંત્ર અનુભવ એની પ્રતિભાનો વિષય બને છે. આ ભાવકની ભાવયિત્રી પ્રતિભાની કેવી ઉપયોગિતા છે એ દર્શાવતાં રાજશેખર કહે છે—
“भावकस्य उपकुर्वाणा (प्रतिभा) भावयित्री।**
तया खलु फलितः कवेर्व्यापारतरुः अन्यथा सोऽवकेशी स्यात्”
ભાવકની ભાવયિત્રી પ્રતિભા જ કવિના કાવ્યસર્જનના વ્યાપારરૂપી વૃક્ષને ફલયુક્ત-સફલ-બનાવે છે, નહિ તો એ વન્ધ્ય રહે.
(વાઙ્મયવિમર્શ)