સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘ખમ્મા, આલાબાપુને’ : ઘટનાપુરુષનો કાવ્યાવતાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૮) ‘ખમ્મા, આલા બાપુને' : ઘટનાપુરુષનો કાવ્યાવતાર

રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે મોટે ભાગે બિયાબારું હોય છે; કેમ કે ઇન્દ્રિયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન સાથે વધારે નિસ્બત હોય છે. ‘ખમ્મા, આલા બાપુને' જેવી વ્યાજવીર(mock-heroic) કવિતાના રચનાકાર તરીકે, રમેશ પારેખની, વ્યંગકવિતા સાથેની સામી પ્રીત એમાં સુખદ અપવાદ કરે છે, અને ઊર્મિસ્પૃષ્ટ રંગદર્શિતા તથા અત્યુક્તિસ્પૃષ્ટ વાસ્તવમૂલ વિડંબના - એમ ઉભયધારામાં સમાનબળે વિચરતા સવ્યસાચી તરીકે સ્થાપે છે.

નવ જેટલી છંદોબદ્ધ રચનાઓ, આઠ ગદ્યકાવ્યો, બાળગીત, ઊર્મિગીત, ભજન અને ડિંગળી શૈલીનું ચારણગીત મળીને ચાર ગીતરચનાઓ તથા મહેણું ભાંગવા માટે રચી કાઢેલી એક ગઝલ : આમ વિવિધ રચનાપ્રકારોને નાણતી કુલ બાવીસ કૃતિઓ પ્રસ્તુત સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. વિવિધ કાવ્યબંધોમાં ઊતરેલી આ સૌ રચનાઓ, જો કે, વસ્તુસંદર્ભના પૌર્વાપર્ય કે કથાતંતુની સળંગસૂત્રતાથી સંબદ્ધ નથી. ૧૯૭૦થી ૧૯૮૫ સુધીના લગભગ પંદરેક વર્ષના ગાળામાં સમયાંતરે લખાયેલી આ રચનાઓ, ભાવસૂત્ર અને રચનાપુદ્ગલની દૃષ્ટિએ સ્વયંપર્યાપ્ત છે; આમ છતાં, સંગ્રહની સમસ્ત રચનાઓમાં કીલકસ્થાને તો ઘટનાવીર (legendary hero) આલા ખાચરની બહુપરિમાણીય વ્યક્તિમુદ્રા ઊપસતી રહે છે. પરિહાસ અને પર્યેષણાના સંપુટમાં વિલસતી કટાક્ષરચના તરીકે ‘ખમ્મા, આલા બાપુને'ની વ્યાજવીર કવિતાનું મુખ્ય અધિષ્ઠાન છે આલા ખાચરનું લિજેન્ડરી કેરેક્ટર, ઘટનાપુરુષ તરીકે એનું ઐતિહાસિક અસ્તિત્વ નથી, ન જ હોય; પણ સ્વભાવગુણે કરીને તો આલા બાપુ ત્રિકાળવ્યાપી અખંડ ભૂમંડળચારી, ‘આપ્તમાન્ય' છે. નિત્યના માનવીય વ્યવહારમાં સર્વત્ર પ્રતીત થતી આપણી સ્વભાવગત નબળાઈઓ - મુખ્યતઃ આત્મમહિમા અને આડંબરનું કેવલાદ્વૈત-બાપુના વ્યક્તિયોગનું મૂલાધારચક્ર છે. મિથ્યાભિમાન અને દંભની વૃત્તિઓ જેના પર વ્યાપારવતી બને છે એવાં મૂર્ખતા, પામરતા, નિર્વીર્યતા, કા-પુરુષત્વ, રંકતા કે દીનતા, કદર્યતા, ઢચુપચુવેડા અને સત્તા વા સંપત્તિના વિપર્યાસનો સતત કઢાપો : આવી મનઃસ્થિતિઓ કે નિષેધાત્મક જીવનવલણો જ્યારે વકરે છે ત્યારે એને પ્રત્યક્ષ કરાવી આપતાં પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિ વિડંબના અને ઉપહાસવિષય બને છે. આ સૌ જીવનસ્થિતિઓ કેવળ અભાવાત્મક અવસ્થાઓ તરીકે જ, ઉપહાસપાત્ર નથી; પણ આ સૌ દુરવસ્થાઓને વિધેયાત્મક સ્થિતિઓ તરીકે સ્થાપવા માટેના એના કૃતક પ્રયાસો, નકરા અભાવોથી જ ઊભરાતાં નક્કર વાસ્તવને વિસારી કેવળ કલ્પનાની સ્વપ્નસૃષ્ટિમાં આભાસી સુખોપભોગની તરંગલીલા, ટૂંકમાં, અણગમતાં વાસ્તવની નિરુપાય સ્વીકૃતિને બદલે એને સતતપણે નકારતા રહેવાથી સર્જાતી આત્મવંચના અને પરપ્રતારણાનો મિથ્યા-વ્યવહાર વિડંબના બને છે.

સૂરજવંશી ખાનદાની ને રજપૂતી રખાવટ, રજવાડી ઠાઠ અને રૈયતપ્રેમ; ફલવંતી પુસંકતા, પૌરુષ ને પુણ્યપરાયણતા; ઉગ્ર યુયુત્સા ને ધીર તિતિક્ષા; સર્વોપરિતા ને સમુદારતા; એંટ અને અડગતા; અતિથિપ્રેમ ને અપત્યસ્નેહ; અપાર સત્તા ને ઝાંપે ઝાલક નાખતી સાહ્યબી : કેવી ગરવી અને અસૂયાપ્રેરક છે આ ભાવસ્થિતિઓ? ગતકાલીન વૈભવ અને જાહોજલાલીનાં દિવાસ્વપ્નોમાં વિચરતા આલાબાપુ પાસે આમાંનું કશું નથી; છતાં વરવી વાસ્તવિકતાને છાવરવા માટે મિથ્યા ગૌરવ ને શ્રેષ્ઠતાગ્રંથિથી પ્રેરાઈને, આ ગુણાત્મક ભાવસ્થિતિઓ વર્તમાને પણ ઉપસ્થિત હોવાની આત્મવંચનામાં એ સતત રાચતા રહે છે. ‘સકળ રોગ જેને વંદે' એવી જાજરી કાયા ધરાવતા આ ઘટનાપુરુષ ધાબડી ભીંતો, તૂટેલ મિજાંગરાવાળી ઉઘાડી ફટ ડેલી ને ઉઘાડભરું ફળિયું, ચુડેલના વાંસા જેવા ગધેડિયા ગઢમાં બિરાજે છે ! એની અસ્ક્યામતમાં ઝોળો ખાઈ ગયેલ વાણવાળી ખાટલી, કટાઈ ગયેલી તલવાર, ફસડાઈ પડેલી મોજડી, ફાટેલો કોટ ને બીડીનું ઠૂંઠું છે. બગાઈગ્રસ્ત ટાયડું ઘોડું ને ખસૂડિયું કૂતરું જ માત્ર નહિ, જૂ, ચાંચડ ને ગરોળી પણ એમનાં ‘આપ્તમન્ય’ છે ! બબ્બે ઠકરાણાં છતે જેના કુંવરસુખના ઓરતા અધૂરા રહે છે એવા ‘બોંતેર પેઢીનું નાક', ‘છપ્પન ભાયાતુંના શિરમોર' આલાબાપુની કુંડળીમાં સ્ત્રીભુવનમાં પાપગ્રહો પડ્યા હોય કે શુક્ર ખાડે પડ્યો હોય વા મંગળ મેલા માથાબાંઘણે બેઠો હશે, અન્યથા આ ‘ઝડાકું દેતા સાવજ' અને ‘ધગધગતા લોહીના ઘણી’નાં ‘બીજવારુંકા ઠકરાણાં ઉઘાડે છોગ બહાર ભટકે' એનો શો ખુલાસો આપી શકાય? ઘૂળમાં દોરેલા ગાયના ચિત્રની આગળ પાંચસોનો આંકડો લખી અર્ધસહસ ગાયોનાં દાનનું પુણ્ય કમાયાનું ગૌરવ માણતા બાપુ, દિવાસ્વપ્નમાં સોનાનો તોડો, જરઝવેરાતનાં ગાડાં અને બબ્બે ગામને દાનમાં આપી દેતાંય પાછું વાળીને જોતા નથી ! ‘અરધી રાતે' ને ‘સામી છાતીએ' ગોળીયું (બંદૂકની નહિ દવાની) ખાવામાં કે કાચેકાચી ને લુખેલુખ્ખી ડુંગળી ખાવામાં, ‘સમરાંગણમાં ઝાટકા ખાનારના વંશના લેરા’ એવા બાપુ ‘તલવાયુના ઝાટકા ખાધા હોય' એવાં ઘીંગા પરાક્રમનું ગૌરવ માણે છે ! ) કટાક્ષ કવિતાના ઘટનાપુરુષ તરીકે આલા ખાચરની ચરિત્રબાંધણીમાં સંઘટક સૂત્ર તરીકે અતિશયોક્તિ વ્યાપાર પ્રવર્તે છે. આ અતિશયોક્તિ દ્વિવિધ સ્તરે અતિચિત્રણ ઊભું કરે છે. એક તરફ આલાબાપુની વિરૂપ શરીરથટના અને વિકૃતિ મનોઘટનાની યુગપત્ વ્યક્તિતાની વિડંબનાત્મક મુદ્રાઓ ઉપસાવી આપે છે; તો બીજી તરફ, બાપુની વ્યક્તિતાને પ્રગટ વ્યવહારની પીઠિકા સાંપડી રહે તેવો હાસપ્રેરક પરિવેશ ગોઠવી આપે છે.n for sure પરંતુ, કટાક્ષકૃતિ તરીકે પ્રસ્તુત રચનાની કળાત્મકતા સાધી આપવામાં કેવળ ઉપહાસ-વિડંબનની અતિમાત્રા નિર્ણાયક બની શકે નહિ. પંક્તિ વા ખંડમાં સદ્યઃ પ્રકાશિત વિસ્મય-બોધ કરાવતી વાક્ ચાતુરી (wit) અને કૃતિના સમગ્ર નિબંધનમાંથી પ્રસવતો વિચારગર્ભ મર્મવિનોદ(humour) સાથલાગાં મળીને વ્યંગ રચનાનું હાડ તો બાંધી આપે છે; પણ એને પ્રાણ તો સાંપડે છે હાસની સપાટી તળે. અહીં ઘટનાપુરુષ આલા બાપુની પ્રકટ-પ્રચ્છન્ન જીવનલીલામાં આત્મમહિમા અને આડંબર કેવાં અજબગજબ આશ્ચર્યરૂપો ઊભાં કરે છે? મૂર્ખતા, કાયરતા, કદર્યતા ને રંક્તા, ખાસ તો પોતે જે નથી તે છે એવું થાપવા માટેનાં વલખાં ને હવાતિયાં : આ સૌમાંથી ફાલતા કૃતક આચારોનું આખુંયે સમાંતર જગત દ્વૈતના જે વિસ્મયલોકનો આપણને સાક્ષાત્કાર કરાવે છે તે કેવળ આશ્ચર્યમુગ્ધ કરાવીને જ અટકતો નથી, અનુકંપા અને એના પરિણામે આત્મપરીક્ષણ કરવા પણ પ્રેરે છે.

સંગ્રહમાં કુલ નવ રચનાઓ ગદ્યબંધમાં વહી છે. આ રચનાઓમાં બાપુની જે વિવિધ ભાવમુદ્રાઓ પ્રગટ થાય છે તે, આમ તો, આપણે ત્યાં પ્રચલિત રમૂજી ટૂચકા, ટૂંકા પ્રાસંગિકો(episodes) કે ટીખળના કિસ્સાઓની ઓથે બહાર પડતી મૂર્ખતા, દાંભિકતા વા નિર્બળતાની ઢબઢબની છે; પણ અહીં એમાંથી નરી સ્થૂળતા, ગ્રામ્યતા કે પ્રાકૃતતા કંઈક અંશે ખરી પડે છે અને જે કળાત્મક વ્યંગની ધાર પ્રાપ્ત થાય છે એમાં એના સબળ અને વૈવિધ્યપૂર્ણ વ્યંજક ગદ્યલયની કારકતા મહત્ત્વની છે.

રચનાઓની ભાષાનું કાઠું(texture) પ્રાદેશિકતાની ઘેરી છાંટ ધરાવતી ને કાઠીઓના વસવાટ પરગણાની બોલીમાંથી ગંઠાયું છે. ગદ્ય જ નહિ, પદ્યબંધના ભાષાપોતને પણ એ બોલીનો ઘાટો સ્પર્શ સાંપડ્યો છે. અહીં પ્રયોજાયેલું બોલીરૂપ ગદ્ય, બોલચાલની વ્યવહારભાષાને સાવ ઘસાઈને ચાલતું હોવા છતાં, ભિન્ન ભિન્ન તરાહો દ્વારા કેવું તો આસ્વાદ્ય બને છે એ જોઈએ:

૧. યાંત્રિક ને બીબાંઢાળ એકવિધતાથી જીવનના સકલ વિલાસો જ જ્યાં અબખે પડી ગયા છે તેની મૂઢ વેદનાને વ્યક્ત કરતી ‘આલા ખાચરનું ઊંડું’માંની આ પંક્તિઓમાંનો ગદ્યલય ભાવોદ્રેકની તરડાયેલી મીંડ, ક્રિયાપદને ઉપાંત્યસ્થાને મૂકીને, કેટલી તીવ્રતા - ઉત્કટતાથી વ્યક્ત કરે છે ?

“અલ્લીલી વીડી ય, કઉં છું ભલે ગળચી જાય હરાયાં ઢોર,
 થોભિયા પડે ભાડ્યમાં, બધી બાચ્છાઈ જાય ચૂલમાં,
ને આબરૂની માને પૈણે કૂતરા.

૨. ક્રિયાત્મક ગતિશીલતાનું પેનોરેમિક ચિત્ર પ્રસ્તુત કરતા કથ્યવાર્તાના નેરેટિવ ગદ્યલયની આ નોખનોખી તરાહો જુઓ:

“ભાયાતુંનું ઘાડિયું ભલકારા દ્યે છે
 પિચકારિયું લઈ ફળિયામાં.
આવ-જા આવ-જા થાય છે ઘેરૈયા.
કેસરિયાં દૂધના કઢા તો બોઘરણે બોઘરણે પીવાય છે.
મીઠાઈયુંના થાળ લઈ ગોલાં હડિયું કાઢે છે.
રાંધણિયે લાપસીનાં આંધણ ઊકળે છે...
ગઢની માલીપા ડાયરો લહલહે છે ને
વાર્તાયું મંડાણી છે. (‘બાપુની ઘુળેટી', પૃ. ૧૬)

તો વળી, આક્ષરિક લિપિસંકેતો કે રૂઢ વિરામચિહ્નો જેને પૂર્ણપણે સંકેતિત કરવામાં અક્ષમ નીવડે એવા કેવળ વાચિક સ્તરના કાકુઓના લયવિવર્તો દ્વારા પણ ભાવવ્યંજનાનું કામ અજબ રીતે પાર પાડે છે. એક બે નમૂના નોંધીએ :

૧. ‘જોગણિયું વાદાકોદ કરે: હું રમું ને તું નહિ / હું રમું ને તું નહિ. (પૃ. ૨૯)
૨. ‘આપણું તો એવું, / દઈ દીધી' (પૃ. ૩૬)

સંગ્રહની કેટલીક રચનાઓમાં જ્યાં પદ્યબંધ પ્રયોજાયો છે ત્યાં રૂપમેળ / માત્રામેળ છંદો ઉપરાંત ભજન, ગીતના લોકઢાળ અને ‘શૌર્યગીત'માં તો ચારણી શૈલીમાં કટાવની મુક્ત ચાલ વહાવી છે. ‘શૌર્ય’, ‘બાપુ અને કૂતરું’, ‘ઘીંગાણું', ‘મોજડી', ‘બાંબલાઈ! તથા ‘બાપુ અને ઉદરશૂળ' : સૉનેટગુચ્છમાંની આ રચનાઓમાં શિખરિણી, ઉપજાતિ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા, વસંતતિલકા અને પૃથ્વીનો પ્રયોગ થયો છે. ‘આલા ખાચરની સવાર' ને ‘આલા ખાચર અને સંધિકાળ'માં વૃત્તવૈવિધ્યનો પણ પ્રયોગ થયો છે. અહીં પ્રયોજાયેલા રૂપમેળ છંદો, કૃતિઅંતર્ગત, તુચ્છ વા ક્ષુદ્ર ભાવવસ્તુને ઉદાત્ત, ગંભીર ને ગરિમાપૂર્ણ લય સાથે વિરોધાવીને વ્યંગ ઉપસાવવામાં ઉપકારક બને છે.

ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે

કર્તા, ક્રિયાપદ અથવા કર્મ, કર્તા, ક્રિયાપદ : આવા સાદા ને સરળ પદાન્વય ધરાવતી કેવળ ગદ્યાળુ કહેવત / રૂઢિપ્રયોગને, એના અસલ ગદ્યાત્મક, વાક્યબંધમાં મુદ્દલ હેરફેર કર્યા વિના, શિખરિણીના લગાગાગાગાગા/લલલલલગા/ગાલલલગા – ના અક્ષરબંધયુક્ત છાંદસ શ્રુતિલયમાં કેટલી સહજતાથી લસરાવી દીધાં છે! તુચ્છ, ક્ષુદ્ર કે નર્યા સામાન્યનું ગૌરવપૂર્ણ ને આરોહઅવરોહના મિશ્ર લય સાથેનું વિરોધાત્મક સંતુલન જ અહીં હાસનું કારણ બને છે.

'મોજડી'માં મંદાક્રાન્તાના આ પ્રયોગની વિડંબન વ્યંજકતા જુઓ :

‘ઘા ભેળી બે ત્રણ ગજ જઈને થઈ ધૂળધાણી,
બાપુને શું? મર્ય ગધનીને કૂતરાં જાય તાણી.’

'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ :

‘તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ,
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'

આ આખી કૃતિમાં, પ્રથમ ચતુષ્ક પછીના બંને ચતુષ્કો અને અંતિમ પંક્તિયુગ્મમાં ક્રમશઃ બાપુની ઉદરપીડાનાં મંદ-તીવ્ર વમળાંતરો, પ્રતિકારસંકલ્પ અને ‘જલદ હીંગની ફાકડી' દ્વારા શૂળશમનના ઉપચારની અગંભીર ને સામાન્ય ક્રિયાઘટનાનું પૃથ્વીના લઘુગુરુ શ્રુતિઘટકોના સમવિષમ સંયોજનોની કઠોર-ગંભીર લયરમણામાં થતું આલેખન હાસ્ય નિષ્પન્ન કરે છે.

વ્યંગનિરૂપણમાં, ગદ્ય-પદ્યના કાવ્યબંધોની વિવિધ લયતરાહો સમર્પક બને છે એમાં એની કાવ્યબાનીના ભાષાપોતની વિલક્ષણ પ્રકૃતિ પણ ઉપકારક નીવડે છે. સંગ્રહમાંની મોટા ભાગની રચનાઓમાં કથન, વર્ણનના કેટલાક અંશોને બાદ કરતાં, ઘણે ભાગે આલાબાપુનાં સ્વગત-જલ્પનો, આત્મસંભાષણો કે થીગડિયાં રજવાડાની નાનાવિધ રૈયત - ભગો રાત, નરભો ગોર, રામજી લુવાર, ટપુડો કોળી, કસળચંદ, બાલુ બજાણિયો - એવી પાત્રસૃષ્ટિની સંવાદોક્તિઓમાં પ્રયોજાતી ભાષા, રચના અંતર્ગત વિડંબન-વેદનાને સુપેરે વ્યક્ત કરવામાં સક્ષમ નીવડે છે.

લહેકા, કાકુ તેમ જ વિવિધ વાક્-ભંગિઓ કાવ્યબાનીને વાસ્તવસ્પર્શ તો આપે જ છે. વ્યંજનાગર્ભ પણ બનાવે છે. ‘મેલ્ય એમાં પૂળો', ‘બાપો બા...પો’, ‘ગધની’, ‘ગોકીરો’ સ્લેન્ગનો થતો છૂટો વપરાશ, અને ‘નિષ્કાસિત', ‘વીરશ્રી', ‘યુદ્ધનાદ', ‘વિચારોની હેયા' જેવા તત્સમ શબ્દોનો સાભિપ્રાય વિનિયોગ કાવ્યબાનીના વિચિત્ર સપ્તકને સાધી આપે છે.

કટાક્ષરચનામાં, ઉપહાસ અને તે થકી નીપજતા વ્યંગની મર્મઘટનામાં, સંરચનાગત પ્રયુક્તિઓ કે પ્રવિધિઓ જે પ્રકારે પ્રયોજી છે તે નોંધવા જેવું જ નહિ, રસપ્રદ પણ છે.

તુચ્છ, ક્ષુદ્ર, અગંભીર ૨ કે અત્યંત સાધારણ વિભાવોને મુકાબલે ઉદાત્ત, ભવ્ય, ગંભીર અને ગૌરવપૂર્ણ વિભાવોનું વિભિન્ન સ્તરે સન્નિધિકરણ યોજીને, વિભાવાત્મક સંદર્ભોના અંતર-બહિર્ વિરોધમાંથી વિડંબનમૂલક હાસ-પરિહાસને પ્રકાશિત કરનારી વિવિધ પ્રવિધિઓ આ રચનાઓમાં નજરે પડે છે. વિભાવોનાં શબ્દગત, વાક્યગત, ખંડગત અને સમગ્ર રચનાગત - એમ વિવિધ સ્તરીય સન્નિધિકરણો યોજીને એમાંથી પ્રાતિપલિક સંતુલન(antithetical balance) ઉપરાંત પ્રાતિપાક્ષિક સમાંતરતા(antithetical parallelism) ને શબ્દાંતરિત સમાંતરતા(synonymous parallelism)નાં અનેક નિદર્શનો અહીં સાંપડે છે. આ પ્રવિધિઓ કે પ્રયુક્તિઓ વિસ્મયબોધક વાક્ચાતુરી (wit) અને મર્મબોધક હાસવિનોદ (humour)થી સંયુક્ત પરિ-હાસઘટના (satirical formation)માં નિર્ણાયક નીવડે છે.

૧. પ્રાતિપક્ષિક સંતુલન : સંસ્કૃત તત્સમ શબ્દ / શબ્દગુચ્છની પડખે જ તળપદા વા સ્લેન્ગમાં વપરાતા શબ્દ / શબ્દગુચ્છની ઉપસ્થિતિ.

‘થોભિયા માથે વીરશ્રી ઝગમગી રહે' (પૃ.૫)
- -‘બાપુ પ્રસ્વેદથી આખ્ખે આખ્ખાયે પલળી જતા' (પૃ.૭)
-‘અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ.'
-‘ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી'
-‘નથી હાંભળવી તબેલામાં વિચારોની હેષા'

ઉપરની પંક્તિઓમાં, ‘વીરશ્રી', ‘પ્રસ્વેદ', ‘અંતઃપુર', ‘ત્વરા', ‘હેષા' - આ સૌ તત્સમ શબ્દોની પડખે જ ‘થોભિયા', ‘આખેઆખ્યા', ‘હડફ', ‘નાડી' જેવા કથ્ય બોલીના શબ્દોની સહોપસ્થિતિ – અને, ‘અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ' જેવી પંક્તિમાં તો અનુક્રમે તત્સમ, તળપદા અને અંગ્રેજી શબ્દોની સહોપસ્થિતિ-વિવક્ષિતાર્થની સંયુક્તતાનું વ્યંજક વિગલન સાધી રહે છે.

૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે:

-‘માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું,
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)'
‘બાપુ વિચારજળમાં નખશિખ બૂડે,
ને બાંબલાઈ પર કેવળ માંખ ઊડે.’

૩. શબ્દાંતરિત સમાંતરતા : એકાત્મક ક્રિયા કે સ્થિતિને ભિન્ન ભિન્ન સમર્પક / સમર્થક પંક્તિઓ કે વાક્યખંડો દ્વારા ઘૂંટીને સન્નિધિકરણની સઘનતા જ્યાં ઊપસે છે ત્યાં આનાં નિદર્શનો મળશે.

“શું જોવાનો ડોડડિયો છે તમને?
આ ગઢને જોવાનો ? /ગઢના દેદાર જોવાનો?
લ્યો, ત્યારે જુઓ./જુઓ, આ રહ્યો ગઢ, ચુડેલના વાંસા જેવો.
લ્યો, જુઓ, ફળિયામાં બાંવકારા મારતા ખહુડિયાને...
લ્યો, નીરખો, ધડોધડ ભટકાતાં કમાડને...
‘બાપુની ઘુળેટી’(પૃ.૧૮)

ગુજરાતી કવિતાપરંપરાના, છેલ્લાં હજારેક વર્ષના ઇતિહાસમાં, સળંગ કે શૃંખલાબદ્ધ સ્વતંત્રપણે હાસવિનોદને કળાત્મક રીતે પ્રયોજતી અને એ નિમિત્તે માનવીય જીવનવ્યવહારની નબળાઈઓને મર્મપૂર્વક ઉપસાવતી રચનાઓ સાંપડી નથી ત્યારે ગઘેડિયા ગઢનું થીગડિયું રજવાડું લઈને પોતાના માજનફાજન, સિપાઈસપરાં, હજામલુવાર, ગોરગઢવી, ખેડુ, વસવાયાં માતરને, બબ્બે ઠકરાણાં તથા પુછકટ્ટા શ્વાન અને ટાયડી ઘોડીની જુગલબંધીને સાથલાગી રાંગમાં લઈને, ગુજરાતી કવિતામાં રણવટ ખેલવા છડી સવારીએ આવી પૂગેલા આલા ખાચર આપણી વ્યંગકવિતાના રિક્ત પાત્રમાં ઉમેરણ નહિ, આરંભ બની રહેશે!

બુદ્ધિપ્રકાશ : ડિસેમ્બર, ૧૯૮૭.
‘ફલશ્રુતિ’ પૃ.૨૯૬ થી ૩૦૨