સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/વિવેચનમુકુર
गुणिनामपि निजरूपप्रतिपत्तिः परतएव संभवति ।
स्वमहिमदर्शनमक्ष्णोर्मु कुलतले जायते यस्मात् ॥
-सुबन्धु वासवदत्ता
માનવહૃદયની મોટામાં મોટી ભૂખ આત્મદર્શનની છે. વિશાળ દૃષ્ટિથી જોઈએ તો એની પ્રવૃત્તિમાત્રના મૂળમાં આ આત્મદર્શનની અભિલાષા જ ઊંડે ઊંડે કામ કરી રહેલી હોય છે. અને એને જંપ પણ પોતાની જાતને એ યથાર્થ રૂપમાં જોઈ શકે છે ત્યારે જ વળે છે. આથી આપણું વેદાન્તદર્શન આત્મસાક્ષાત્કારને જ મોક્ષ ગણે છે. એનાં आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मन्तव्यो निदिध्यासित्व्यः આદિ સાધકદશાને ઉદ્દેશીને કહેલાં ઉપદેશવચનોમાં તેમ निद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्व संशयाः । क्षीवन्ते चास्य कर्मणि तस्मिन् दृष्टे परावरे ।। ‘ આદિ સિદ્ધદશાનાં વર્ણનોમાં આ જ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વાત કેવળ ફિલસૂફીની જ દૃષ્ટિએ સાચી છે એમ પણ નથી. અધ્યાત્મજીવનને અલગ રાખી કેવળ સામાન્ય વ્યવહારજીવનનું જ અવલોકન કરીએ તો ત્યાં પણ આત્મદર્શનની આ વૃત્તિ એટલી જ ઉત્કટ જોવામાં આવે છે. જગતમાં સર્વત્ર દર્પણનો જે બહોળો પ્રચાર નજરે પડે છે અને આપણી દિનચર્યામાં પણ આપણે ફરીફરીને એનો જે આશ્રય લઈએ છીએ તેમાં આ જ વૃત્તિ સ્પષ્ટ રીતે દેખી શકાય છે. જીવનમાં જે સ્થાન દર્પણનું છે તે જ સ્થાન સાહિત્યમાં વિવેચનનું છે. દર્પણની પેઠે વિવેચનનો જન્મ પણ આત્મદર્શનની અભિલાષામાંથી જ થયો છે. કેમકે સાહિત્યકાર પણ માનવી છે, એટલે એને ૫ણ ઇતર માનવીઓની પેઠે આત્મદર્શનની ઉત્કટ ઇચ્છા રહે એ સ્વાભાવિક છે, અને એ ઇચ્છાને સન્તોષવા માટે જ વિવેચનનો ઉદ્ભવ થયો છે. મનુષ્ય પોતાનું મુખ જાતે જોઈ શકતો નથી એટલે એને જેમ પોતાની ખૂબીખામીનું જ્ઞાન મેળવવા મુકુરની મદદ લેવી પડે છે તેમ સાહિત્યકાર પણ પોતાના સર્જક સ્વરૂપને-પોતાની સાહિત્યકૃતિ કે પ્રવૃત્તિરૂપી પિતાના મુખને-યથાર્થ રીતે જોઈ શકતો નથી, એના ગુણદોષ વિશે નિઃસંદેહ નિર્ણય બાંધી શકતો નથી, એટલે એને અનિવાર્ય રીતે જ વિવેચનરૂપી મુકુરની મદદ લેવી પડે છે. પુસ્તક પ્રકટ થયું કે તરત જ-અથવા એથી પણ પહેલાં, તે રચાયું કે તરત જ-એ કેવું છે, બીજાના પર એ કેવી છાપ પાડે છે, અધિકારી જનને પૂરતો સન્તોષ આપી શકે છે કે નહિ વગેરે જાણવાની આતુર ઇચ્છા સર્જકમાત્રને-નાનામાં નાતા શિખાઉથી માંડીને ભારેમાં ભારે નામાંકિત ગ્રંથકાર સુધીના એકેએક લેખકને-રહે છે, અને જ્યાં સુધી તટસ્થ, પ્રમાણભૂત, વિશ્વાસપાત્ર, રસિક, સાહિત્યજ્ઞ વિદ્વાનના મુખેથી પોતાના એ પ્રયત્નની સાર્થકતા સંબંધમાં સ્પષ્ટ અસંદિગ્ધ અભિપ્રાય ન મળે ત્યાં સુધી એને ચેન પડતું નથી, તેમ ત્યાં સુધી પિતાની એ પ્રવૃત્તિની યોગ્યતા કે ઈષ્ટતા વિશે એને પૂરી ખાતરી નહિ થવાથી એના હૃદયમાં અભિનવ સર્જનની ઊર્મિ પણ જાગતી નથી. ‘आपरितोषाद् विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम्' से भिताक्षर વાણીમાં કાલિદાસે આ જ સત્યનું પ્રતિપાદન કરેલું છે, અને એના એ શબ્દોમાં એકલા કાલિદાસનું જ નહિ પણ સમસ્ત જગતના સર્વકાળના સર્જકમાત્રનું હૃદય બોલી રહ્યું છે એ ભૂલવાનું નથી. એટલે વિવેચનને “ભલે સર્જકો વલ્ક્ય કહીને વગોવે, એમાં જે ચોખ્ખેં ઊર્મિવ્યાપાર ઘણે પ્રસંગે ચાલી રહ્યો હોય છે તેના તરફ આંખમીંચામણું કરીને ભલે તેઓ એને સર્જન કે કલાના પ્રદેશમાંથી બહિષ્કાર પોકારે, પણ એમની પ્રત્યેક સર્જનપળે એમને આ વિવેચનમુકુરનું શરણું લીધા વિના ચાલવાનું જ નહિ, એટલું જ નહિ પણ જ્યારે જ્યારે જુદાં-જુદાં સર્જકદળો વચ્ચે કંઈ ઝઘડો ઊભો થવાનો ત્યારે ત્યારે રૂઢ અર્થની સર્જનપ્રવૃત્તિ માત્રથી અલગ રહીને તટસ્થપણે સઘળી સાહિત્યસૃષ્ટિનું નિરીક્ષણ કર્યા કરતા એ વંધ્ય કહેવાતા વિવેચકને ન્યાયાસને બેસાડયા વિના પણ એનો છૂટકો થવાનો નહિ. આ પ્રમાણે વિવેચન એ સાહિત્યસૃષ્ટિનું મુકુર છે એ હકીકત જે બરાબર સમજવામાં અને સ્મરણમાં રાખવામાં આવે, તે અત્યારે એને અંગે જે જાતજાતનાં અસન્તોષો ને વૈમનસ્યો ઊભાં થાય છે તેને માટે અવકાશ ન રહે અને વિવેચનના એ સ્વરૂપમાંથી જ સર્જક વિવેચક ઉભય વર્ગના લેખકોને પોતપોતાને ધર્મોનું ભાન થઈ જાય. વિવેચન એટલે કંઈ કોઈ અમુક સાહિત્યકારોના લાભાર્થે નિર્માયેલી જાહેરખબર કે પ્રચારપત્રિકા નહિ, તેમ એ કંઈ કોઈ રાજાના રાજમહેલની અંદરના બન્દીજનોની બિરદાવલિ નહિ, એ તો સદાયે આત્મદર્શનનું પવિત્ર સાધન, એ વાત જ સર્જકોના દિલમાં બરાબર ઠસી જાય, તે આજે સૌ એની પાસેથી જે નિર્મળ ગુણગાનની અપેક્ષા રાખી બેસે છે, એવાં નિર્ભેળ ગુણગાન કોઈ વિવેચક ન કરી શકે તો એનાથી જે છેડાઈ પડે છે, અને પિતાની પાસે ધન સત્તા કે લાગવગનું જો જોર હોય તો તેનો લાભ લઈને એને હેરાન કરવાના જે પ્રયત્ન કરે છે તે બધું બંધ થઈ જાય અને વિવેચકોનું કાર્ય ખૂબ સરળ બની જાય. એ જ રીતે સામી બાજુથી વિવેચન એટલે સ્વચ્છ સમથળ આયનો, તેથી પોતાની સમક્ષ જે કોઈ સાહિત્યની વ્યક્તિ કે કૃતિ ખડી થાય તેનું કશી પણ સ્પૃહા કે ભીતિ વગર, કોઈથી પણ ડર્યા કે દબાયા વિના, નિખાલસ રીતે હૂબહૂ પ્રતિબિંબ ઝીલી લેવું, એના ગુણ તેમ દોષ ઉભય જેવા. હોય તેવા પૂરેપૂરા બતાવવા, અને એને આત્મદર્શનમાં એ રીતે સહાયક થવું એ જ એનું પરમ કર્તવ્ય એ જો વિવેચકો બરાબર લક્ષમાં રાખે તે કેટલીક વાર વિવેચનને નામે જે રમતો રમાય છે. તેનો પણ અન્ત આવે.
૧૯૯૬
‘વિવેચનકલા’ પૃ. ૧૧૩ થી ૧૧૭