સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/વીણી વીણીને વખાણો!
ભારતમાં લઘુમત્ાી-બહુમતીની સમસ્યાઓ મતલક્ષી રાજકારણીઓને પનારે પડી તેને હું સ્વરાજ મળ્યા પછીની સૌથી કમનસીબ દુર્ઘટના ગણું છું. હિંદુઓનું આંખ મિચીને તાણનારા રાજકારણીઓએ એમ જ માની લીધું કે તેઓ હિંદુઓનું ભલું કરી રહ્યા છે. મતબેંકને ધ્યાનમાં રાખીને મુસ્લિમોનું તાણનારા રાજકારણીઓ એવું માની બેઠા કે તેઓ મુસ્લિમોનું કલ્યાણ કરી રહ્યા છે. આવા વલણને કારણે સમગ્ર દેશનું પછાતપણું આબાદ જળવાઈ ગયું! હિંદુઓની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એમને બધા મુસલમાનો કટ્ટર કે પછી પાકિસ્તાન તરફી જણાય છે. એમને ઉદારમતવાદી મૌલાના વહિદુદ્દીન ખાન અને કટ્ટરપંથી ઇમામ બુખારી વચ્ચે કોઈ તફાવત નથી દેખાતો. એમને રેશનલિસ્ટ યાસીન દલાલ અને ધર્માંધ સૈયદ શાહબુદ્દીન વચ્ચે કોઈ તફાવત નથી દેખાતો. એને મન તો અમીન કુરેશી, હનીફ લાકડાવાલા, ગફૂરભાઈ બિલખિયા, ‘આદિલ’ મન્સૂરી, ગુલામ રસૂલ કુરેશી, ગનીભાઈ દહીંવાલા, શેખાદમ આબુવાલા, નસીર ઇસ્માઇલી, મુસાફિર પાલનપુરી, ‘શૂન્ય’ પાલનપુરી, યૂનુસભાઈ ગોલીબાર, કુતુબ ‘આઝાદ’, રિઝવાન કાદરી, ઇલિયાઝ મનસુરી, ઇસ્માઇલ ગાંધી, એ. આઈ. સૈયદ (આઈ. જી. પી.), શાહબુદ્દીન રાઠોડ અને ગુલામ મોહમ્મદ વસ્તાનવી એટલે પ્રમાણમાં સારા મુસલમાનો, પરંતુ ‘આખરે તો મુસલમાન!’ ‘ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો’ પુસ્તક લખીને શ્રી અકબરઅલી સૈયદે બહુ મોટી સેવા કરી છે. મારી દૃઢ થયેલી માન્યતા છે કે લઘુમતીમાં પડેલાં રત્નોને વીણી વીણીને વખાણવામાં હિંદુઓએ ઉતાવળ કરવી રહી. ઉદારમતવાદી મુસ્લિમ વ્યકિત બન્ને બાજુથી માર ખાય છે. એની કોમના રૂઢિચુસ્ત લોકો એને ‘કાફર’ કહીને ભાંડે છે અને હિંદુઓ એને પૂરી લાગણીથી ભેટતા નથી. સદ્ભાવપૂર્વક અને સત્યનિષ્ઠાથી લઘુમતીને પણ બે સાચી વાત કહી શકાય છે, એવો મારો અનુભવ છે. આ પુસ્તકનો પ્રસાર અને પ્રચાર હિંદુ વાચકોમાં સવિશેષ થાય તો એક એવી ઋતુનું નિર્માણ થશે જેમાં કોમી વૈમનસ્ય ધરાવવું, વધારવું અને પોષવું, એ અસભ્ય બાબત ગણાવા લાગશે. આ પુસ્તકને હું સાચી દિશામાં મંડાયેલા એક પવિત્ર કદમ તરીકે બિરદાવું છું.