સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/સંતોને બગાડવાનું બંધ કરો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          મારા તાબામાં રહેલી સઘળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે: હે હિન્દુઓ, ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાન પ્રજા કદી ધામિર્ક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શકિત અપાર છે. કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરૂ થઈ છે. ઉપદેશકો સાથે વિરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હિસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધામિર્ક હોય છે તેથી ઓડિટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રિયજનો હોય છે. કહેવાતા સંત બહારથી અલિપ્ત હોય છે, પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઇમેજ બિલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરૂર એમાં બાવાજીની લંપટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધામિર્ક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શકિતપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું સંસારીના બેડરૂમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળિયાનું અંધારું આશ્રમના અજવાળા કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા, તેઓ સ્ત્રીઓને મૂર્ખ બનાવે છે. મૂર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી. કોઈ કહેવાતા લોભાનંદજી કે લંપટેશ્વર કે મોહાનંદજીને પનારે પડનારી અંધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનિષદ’ નથી વાંચતી. હિન્દુ ભાઈ-બહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યા રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજાં અરમાનોનો મેળ પાડવો પડશે. અંધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બંધ કરવું પડશે. અશ્વમેધ યજ્ઞ જેવા બોગસ યજ્ઞો બંધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબૂદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દૂર કરવું પડશે. વિધવાઓની અવદશા દૂર કરવી પડશે. આશ્રમોનો અને મંદિરોનો ભૌતિક કચરો, માનસિક કચરો અને આથિર્ક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફિલ્મ જુએ છે, જ્યારે બાવાજીઓ તો બ્લુ ફિલ્મ ‘જીવે’ છે. ‘રામાયણ’ આપણું અતિ ઉદાત્ત મહાકાવ્ય છે. એ જરૂર સૌએ વાંચવું જોઈએ, પરંતુ વાંચીને પણ આપણા વિવેકને ગિરવી નથી મૂકવાનો. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે, એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે? હિન્દુઓ ક્યારે જાગશે? એંશી ટકા પ્રજા ઊઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું? એ બિચારી મુલ્લાગ્રસ્ત છે. બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં, બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચકચકતો કરવાનો છે. [‘ગરવી ગુજરાત’ અઠવાડિક અને ‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૨]