સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ધમ્મપદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પ્રમાદી પામતા મૃત્યુ, ઉદ્યમી નિત્ય અમૃત;
અપ્રમાદી મરે ના, ના; એદી જીવે મર્યા સમા.

*

ના વાયુ સામે ફૂલગંધ જાતી,
ના મલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની;
સામે સમીરે જતી ગંધ સંતની,
દશે દિશા ફોરતી સંતફોરમે.

*

અજંપે રાત લાંબી, ને કોશ લાંબો શ્રમિતને;
જન્મની શૃંખલા લાંબી, જેણે જાણ્યો ન ધર્મને.

*

યાત્રામાં શ્રેષ્ઠ ના લાધે, કે ના સાથી સમાન વા,
એકલા ખેડવો પંથ; હીણો સેવ્યે ય લાભ શો?

*

પાણેતી પાણીને વાળે, પધોરે તીર બાણવી,
કંડારે શિલ્પીઓ કાષ્ઠ, ઘડે સંત નિજાત્મને.

*

હજારો શૂરને જીતે યોદ્ધો જે રણ આંગણે,
શ્રેષ્ઠ તો વીર એથી યે જે જીતે નિજ આત્મને.

*

ન ભસ્મ ચોળ્યે, ન જટા-અવસ્ત્રે,
ન લાંઘણે કે ધરણી સૂવાથી,
વેરાગીનાં વસનથી, નહિ પંક લીપ્યે
શુદ્ધિ લાધે, હૃદયમનના સંશયો જો ટળ્યા ના.

*

પરાયો ઊજળો લાગ્યે છોડવો ના સ્વધર્મને,
પારખી નિજનો ધર્મ રહેવું એમાં પરાયણ.

*

મૂગાને નિંદતા લોકો, નિંદે વાચાળને વળી,
નિંદાતો મિતભાષી યે, અનિંદ્યો કોઈ ના અહીં.

*

અગ્નિ ના રાગના જેવો, પાશ ના દ્વેશના સમો,
મોહ શી જાળ બીજી ના, તૃષ્ણા શી સરિતા નહીં.