સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રવીણ દરજી/પેટલીકરનો શબ્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          પેટલીકર માત્ર શબ્દકાર નહોતા, વિચારક અને સમાજચિકિત્સક પણ હતા. તેમનો શબ્દ, શબ્દ ખરો, પણ લોક વચ્ચે પાંગરતો શબ્દ. અગિયાર વાર્તાસંગ્રહો આપનાર પેટલીકરની વાર્તાશકિતએ ‘લોહીની સગાઈ’, ‘ભવસાગર’ અને ‘મધુરાં સપનાં’ જેવી રચનાઓમાં પોતાનો પૂરો હિસાબ આપી દીધો છે. આ ત્રણેક વાર્તાઓ ગુજરાતી ભાષાના આયુષ્ય સુધી જીવતી રહે તેવું બળ દાખવે છે. ચોવીસથી વધુ નવલકથાઓ એમના નામે છે. પણ ‘જનમટીપ’ એકલી જ એ સર્વનું સાટું વાળી આપે તેવી ક્ષમતા દાખવે છે. મેઘાણી તો એની ઉપર ઓળઘોળ હતા જ. સર્જકનેય તેમાં પોતાની એટલી બધી સર્જકશકિત ખર્ચાઈ ગયેલી જણાઈ છે કે તે કહે છે: “આ વાર્તા કરતાં વધુ સારી વાર્તા લખી શકીશ કે કેમ તેની મને ખબર નથી.” જીવન કેવું કેવું, ક્યાં ક્યાં, કઈ કઈ રીતે સંતાઈને ઊભું છે તે પેટલીકરના શબ્દે અહીં કેમેરા બનીને ‘કિલક’ કરી આપ્યું છે. સરળ રહીને પણ એ શબ્દ ઘેઘૂર બન્યો છે. નિબંધોમાં પેટલીકરનો શબ્દ સમાજ, રાજકારણ, ધર્મ, કેળવણી જેવા અનેક વિષયોમાં વિહાર કરે છે. હૃદયભીનો એ શબ્દ છે તેથી સર્વભોગ્ય બન્યો છે. ભાવકને કશું સ્વીકારવાની ફરજ તે પાડતો નથી, વસ્તુને ચોખ્ખીચણક કરીને દર્પણની જેમ સામે ધરે છે. [ઈશ્વર પેટલીકર વ્યાખ્યાનમાળા: ૨૦૦૩]