સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પ્રતાપવંશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમારે એક મોતીભાઈ ડોસા હતા. ૧૯૩૦ની લડતમાં બીજા ઘણાને પકડયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રકા વાંચતાં પકડાયા. પોલીસવડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળી-ટોળી નાખવા માટે પૂછ્યું : “કેમ ડોસા, આ પત્રકા તો તમને કોઈએ મોકલી હતી ને?” ડોસાએ જવાબ દીધો : “શું કહો છો? મોકલે? કોઈક મને મોકલે? શી વાત કરો છો! હું તો રીતસર એનો ગ્રાહક છું. હું, સાહેબ, આજકાલનો નથી — ૧૯૨૨થી સત્યાગ્રહી છું.” એમ ગુનો કબૂલ કરી જેલમાં ગયેલા. બહાર આવ્યા પછી જમીનો તો ઝૂંટવાઈ ગયેલી. પોતે વૃદ્ધ ને જીર્ણ બનેલા. અમે એમને મદદ આપવા કહ્યું ત્યારે એ રોષ કરીને બોલી ઊઠેલા કે, “હું મદદ લઉં! હું પારકે પૈસે નિર્વાહ કરું! મને જાણો છો? હું તો રાણા પ્રતાપનો વંશજ છું!” દૈવ જાણે શાથી એમણે પોતાને પ્રતાપવંશી કહ્યા. પણ એ મોતી ડોસાની તદ્દન બેહાલી વચ્ચે પણ એમના આવા અરમાનથી એની કુલીનતા પ્રકાશી ઊઠી. એને ઘેર સારાવાળાએ કન્યા આપી, ને એની કન્યા સારાવાળાએ રાખી.