સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/એવા માણસો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનમાં જ્યારે સુખની અનુભૂતિ થાય છે ત્યારે મન પ્રશ્ન પૂછ્યા કરે છે: “આ સુખ ટકશે કે? કેટલો સમય?” કવિતા લખ્યા પછી આવી જ શંકા મનને સતાવ્યા કરતી હોય છે: “આવતી કાલે પણ હું કાવ્ય રચી શકીશ ખરો?” જીવનની યાત્રામાં એવા માણસો મળતા હોય છે જે કાનમાં મોટેમોટેથી કહેતા હોય છે, “તમે કશા જ કામના નથી. તમારામાં કોઈ શકિત નથી.” કોઈક જ એવા હોય છે જે પ્રેમથી કહે છે, “તારામાં કેટલી સરસ શકિત ભરી છે!” સુરેશ એમાંનો વિરલ માણસ છે. શરમાળપણાના પડળ નીચે દટાયેલી શકિતને એની આંખ ઊડે ઊતરીને પકડી શકે છે. એ શકિતને બહાર લાવી માવજત કરી શકે છે. કેટલા અજાણ્યા, શરમાળ હાથને એણે કલમની તાકાત આપી છે! માને પોતાનાં બધા જ બાળકો સુંદર લાગે, તેમ મને મારાં કાવ્યો સારાં લાગે; ત્યારે ઉદયન બેરહમ થઈ છરી લઈને કાપકૂપ કરે, નબળાં કાવ્યોનો છેદ ઉડાડે ને કહે, “આ તો કોઈ પણ હિસાબે ગ્રંથસ્થ કરાય જ નહીં!” અને એમ કહીને મને બચાવી લે.

*

આજે આપણાં જ બાળકો [માતૃભાષાનાં] વર્તમાનપત્રોનાં મથાળાં વાંચી શકતાં નથી, અને તેને માટે મમ્મી સંકોચ નહીં પણ ગૌરવ અનુભવે છે ત્યારે હતાશા ઘેરી વળે. શબ્દોનો આ વ્યાપાર કોને માટે અને ક્યાં સુધી? છતાં, સમાજમાં આવા તબક્કા આવતા હોય છે, મુગ્ધતાનાં પૂર ઓસરી જાય છે ને ફરી પાછાં સમજણ અને સમતુલા આવી જાય છે, એવો સધિયારો લઉં છું. [‘મારી, તમારી, આપણી વાત...’ પુસ્તક]