સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિવેક બાંઠિયા/સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણે બધાં સ્વસ્થ રહેવા માગીએ છીએ. સ્વસ્થ રહેવું એટલે શું? મોટા ભાગનાં માણસો શારીરિક સ્વાસ્થ્યને સ્વાસ્થ્યનો પર્યાય સમજે છે. દાક્તર વ્યકિતના સ્વાસ્થ્યનું આકલન બ્લડ ટેસ્ટ, ઈ.સી.જી., એક્સ-રે વગેરે દ્વારા કરે છે તથા તપાસને આધારે માણસને સ્વસ્થ કે અસ્વસ્થ જાહેર કરે છે. પણ સ્વાસ્થ્યનો સંબંધ માત્ર શરીર સાથે જ નહીં, પણ જીવનનાં દરેક પાસાં સાથે જોડાયેલો છે. એટલે સ્વાસ્થ્યને આપણે તેના પૂર્ણ સ્વરૂપમાં જોવું જોઈએ. માણસ કેવળ પંચમહાભૂતોનો સમુચ્ચય માત્ર નથી; તેનામાં ચિત્ત, મન તેમ જ ઇન્દ્રિયોનો પણ સમાવેશ છે. માણસની માનસિક સ્થિતિનો તેના શરીરના સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પડે છે. ઘણીયે બીમારીઓ એવી છે, જેની ઉત્પત્તિનું કારણ આપણા મનમાં છે. મન કેવી કેવી રીતે શરીર ઉપર પ્રભાવ કરે છે, તેનું ઊડાણથી વૈજ્ઞાનિક સંશોધન થયેલું છે. આપણી મન:સ્થિતિ આપણી ‘નર્વસ સિસ્ટમ’ના માધ્યમથી ‘એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ’નાં દ્રવ્યોનો સ્રાવ કરે છે, જેનો સીધો પ્રભાવ આપણી રોગ-પ્રતિકારક શકિત ઉપર પડે છે. આ રોગપ્રતિકારક શકિતને કારણે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. જીવનના શારીરિક તેમજ માનસિક સ્તર ઉપરાંત સ્વાસ્થ્યનો નિકટનો ને ઊડો સંબંધ અધ્યાત્મ સાથે પણ છે. આજે આ ક્ષેત્રમાં ખાસ્સું સંશોધન થયું છે અને તેના ઉપરથી એવાં કેટલાંયે પ્રમાણ હાથમાં આવ્યાં છે, જેનાથી સિદ્ધ થાય છે કે માણસનું સ્વાસ્થ્ય તેના આધ્યાત્મિક સ્તરથી પરિવર્તિત તેમજ પ્રભાવિત થાય છે. તેથી સંપૂર્ણ ને સર્વાંગીણ સ્વાસ્થ્ય ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ન કેવળ શારીરિક ને માનસિક પાસાંનો જ ખ્યાલ રાખીએ, પણ આધ્યાત્મિક પાસાંનોયે પૂરતો ખ્યાલ રાખીએ. આજે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ચારે કોર એલોપથીનું પ્રભુત્વ જોવા મળે છે. રોજબરોજ ખૂલતી રહેતી નવી હોસ્પિટલો, પરીક્ષણ કેન્દ્રો, દવાની દુકાનો આ વાતની સાક્ષી પૂરે છે. આજે સામાન્ય માણસ—પછી તે અમીર હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, શહેરી હોય કે ગ્રામીણ—પોતાની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનું સમાધાન એલોપથીમાં જ શોધે છે. સમાજ અને સરકાર પણ મોટે ભાગે આ જ પદ્ધતિનું અનુમોદન કરે છે, અને આના વિકાસ માટે પૂરો સહયોગ આપે છે. પરંતુ શું એલોપથીમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ છે? શું ક્યાંક એવું તો નથી ને કે એક તકલીફ દૂર કરતાં આ પદ્ધતિ બીજી નવી તકલીફ ઊભી કરી દે છે? આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે એલોપથી પાછળ રહેલી વિચારધારાનું થોડું અવલોકન કરવું પડશે. એક સર્જનના નાતે આવો અવસર મને ઠીકઠીક મળ્યો છે. એટલે છેલ્લાં ૨૦ વરસમાં મેં જે જોયું-જાણ્યું છે, તે તમારી સામે મૂકું છું. એલોપથીની એવી માન્યતા છે કે દરેક માણસ રોગગ્રસ્ત છે અને તેને ચિકિત્સાની આવશ્યકતા છે. આજે નહીં તો કાલે રોગગ્રસ્ત થશે, એવી આશંકા રૂઢ કરી દેવામાં આવે છે અને તેનાથી બચવાના ઉપાય સુઝાડાય છે. પણ આનું ન કલ્પેલું પરિણામ એ આવે છે કે બધું ધ્યાન રોગો ઉપર કેન્દ્રિત થવાથી એક રોગી સમાજ ઊભો થઈ રહ્યો છે. એક સામાન્ય સ્વસ્થ માણસ પણ પોતે કોઈ ને કોઈ રોગનો શિકાર બની જઈ શકે છે એવું માની અમુક અમુક વખતે ‘ચેક-અપ’ કરાવતો રહે છે. એક બાજુ માણસ રોગોના ભયથી વ્યથિત થઈ રહ્યો છે, તો બીજી બાજુ આ જુદાં જુદાં ચેક-અપને કારણે એક વાર માણસ સ્વસ્થ જાહેર થઈ જાય પછી તદ્દન બેફિકરો બની જાય છે. આધુનિક ચિકિત્સાપદ્ધતિ દવાઓ દ્વારા રોગનાં લક્ષણોમાંથી તુરત રાહત અપાવે છે. રોગોનાં લક્ષણોમાંથી છુટકારો મેળવવા મોટે ભાગે દવાઓ દ્વારા તેમને દબાવી દેવામાં આવે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે રોગોનાં લક્ષણ તો આપણી અંદરની અસ્વસ્થતાના સંકેત માત્ર છે. તે સંકેતને સમજ્યા વિના દવા મારફત તેનાથી દૂર ભાગીને રોગને જટિલ તેમજ અસાધ્ય બનાવી રહ્યા છીએ. આજે દુનિયાના સૌથી વધુ વિકસિત દેશ અમેરિકાના આંકડા બતાવે છે કે હોસ્પિટલમાં દાખલ થયેલો દરેક ત્રીજો દરદી તેના અગાઉના ઉપચાર દરમ્યાન ઊભી થયેલ કાંઈ ને કાંઈ તકલીફથી પીડિત છે અને તેથી જ તેણે હોસ્પિટલમાં ફરી દાખલ થવું પડ્યું છે. માણસ કઈ રીતે જીવે છે, કેવા વાતાવરણમાં રહે છે, તેની ખાણીપીણી કેવી છે, તેના આચાર-વિચાર કેવા છે, તેના ઉપર તેના સ્વાસ્થ્યનો ઘણોબધો આધાર છે. હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે જીવનશૈલીમાંથી નીપજતા રોગો છે અને આજે આવા રોગોની સંખ્યા વધતી જાય છે. છેલ્લાં ૫૦ વરસોમાં આપણી જીવનશૈલીમાં અનેક પરિવર્તન આવ્યાં છે. આને લીધે કેટલીક સુખ-સગવડ જીવનમાં આજે જરૂર મળી રહે છે, પણ તેને માટે આપણને આપણા સ્વાસ્થ્યની બહુ ભારે કિંમત ચૂકવવી પડી છે. આજે માણસ શુદ્ધ હવા-પાણીથીયે વંચિત થઈ ગયો છે. આધુનિક ખેતી પદ્ધતિએ આપણા ભોજનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનું ઝેર ભેળવી દીધું છે. આપણી અતિવ્યસ્તતા આપણને તાજા ખાદ્ય પદાર્થોની જગ્યાએ ‘ફાસ્ટ ફૂડ’ ખાવા મજબૂર કરી રહી છે. સ્વાસ્થ્ય ઉપર અસર કરનારું એક બીજું કારણ પણ સમજવા જેવું છે. આજે ચારે કોર બજારુતા અને ભ્રષ્ટાચારનું વાતાવરણ ઊભું થઈ ગયું છે. નવી નવી હોસ્પિટલો અને જાતજાતનાં નવાં પરીક્ષણ કેન્દ્રોમાં ભારોભાર બજારુતા પેસી ગઈ છે. આ આખીયે પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવે, એમ આપણે સહુ ઇચ્છીએ છીએ. માત્ર શરીરને સાચવવાથી જ નહીં, મન તેમજ આત્માની સુખ-શાંતિ જાળવીને જ આપણે આપણું સ્વાસ્થ્ય કાયમ રાખી શકીશું. બીજી વાત એ કે માણસે પોતે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારવી અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજગ રહેવું. આજે તો દાક્તરોના હાથમાં બધું સોંપી દઈને આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ અને ઉમેદ રાખીએ છીએ કે જ્યારે જરૂર પડશે ત્યારે દાક્તરો જ આપણને ફરી સ્વસ્થ કરી દેશે. આપણે આપણા શરીરને એક મશીનનો અને દાક્તરોને મિકેનિકનો દરજ્જો દઈ દીધો છે. સાથોસાથ પ્રકૃતિની અસીમ શકિતને ઓળખવી, એ અત્યંત આવશ્યક છે. આ પ્રકૃતિ પોતે એક મહાન ચિકિત્સક પણ છે. આપણે જેટલા એની નિકટ જઈશું, તેટલા આપણે વધુ સ્વસ્થ થઈશું. રોગોનાં લક્ષણો વાસ્તવમાં આપણને સ્વસ્થ બનાવવાની દિશાના પ્રકૃતિના પ્રયાસ છે. દાખલા તરીકે, ઊલટી ને ઝાડા અવાંછિત પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે. તેને એકદમ રોકી દેવાથી મૂળમાં સ્વાસ્થ્યને જ હાનિ થશે. પ્રકૃતિમાં નિષ્ઠા કાયમ રાખવાની સાથોસાથ આપણે મૃત્યુની સચ્ચાઈનોયે સ્વીકાર કરવો પડશે. નહીં તો આપણે ભયમુક્ત નહીં બની શકીએ અને ભય આપણા માનસિક રોગોની જડ છે. શાંત ભાવે યથાસમય મૃત્યુને અપનાવી લેવું, એ એક સફળ તેમજ સ્વસ્થ જીવનની નિશાની છે. ભૌતિકવાદમાં ગરક થઈને આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર કેવો કુઠારાઘાત કર્યો છે, તે નીચેની પંકિતઓમાં આબાદ બતાવાયું છે: We squander health in seeking wealth; We toil, we hoard, we save And then squander wealth in seeking health— Only to find the grave. ‘પૈસો-પૈસો’ની લાયમાં આપણે આરોગ્ય વેડફી નાખીએ છીએ. પૈસો મેળવવા જતાં આપણે લોહીનું પાણી કરી નાખીએ છીએ. ખૂબ પૈસો ભેગો કરીએ છીએ, ખૂબ બચાવીએ છીએ, અને પછી ફરી આરોગ્ય મેળવવા પૈસાનું પાણી કરીએ છીએ—પણ સ્વાસ્થ્યને બદલે પામીએ છીએ કબર! [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૦]