સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૧. 
સુવર્ણપુરનો અતિથિ


‘ઘર તજી ભમું હું દૂર સ્વજન-હીન, ઉર ભરાઈ આવે,
નહીં ચરણ ઊપડે હુંથી શોકને માર્યે.'

સુવર્ણપુર, પશ્ચિમસાગરની સાથે ભદ્રાનદી સંગમ પામે છે ત્યાં આગળ આવેલું છે. સાગરે નદીરૂપ હાથ વડે કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ એક ટેકરીના ઢોળાવ ઉપર પથરાયેલો એનો વિસ્તાર લાગે છે. એ નગરના બંદરમાં માઘ માસમાં એક દિવસ એક વહાણ આવી નાંગર્યું. એક મછવામાં કેટલાક વ્યાપારીઓ ઊતર્યા. તેની સાથે એક તરુણ પુરુષ પણ આવી ઊતર્યો. તેની દૃષ્ટિ સમુદ્ર અને સુવર્ણપુર વચ્ચે હીંચકા ખાધા કરતી હતી – જાણે કે સમુદ્રના તરંગથી મછવો આમ તેમ ખેંચાતો હતો. તે પુરુષનું વય ત્રેવીસ-ચોવીસ વર્ષનું દેખાતું હતું. તેનાં વસ્ત્ર પર ઉજાસ ન હતો અને મોં કરમાયેલું હતું. તે નિઃશ્વાસ નાખતો ન હતો, પણ તેના અંત:કરણમાં ઘણાક નિઃશ્વાસ ભરાઈ રહેલા હોય એવું એની મુખમુદ્રા સૂચવતી હતી. તેની કાન્તિમાં કાંઈક લાવણ્ય હતું અને તેના મુખ ઉપર કોમળતા હતી. હોડી કિનારે આવી અને સૌ લોકો ઊતર્યા તેમની સાથે એ પણ ઉદાસ અને મંદ વૃત્તિથી ઊતર્યો. થોડી વાર તે કિનારા ઉપર ઊભો રહ્યો અને આખરે એક દિશામાં ચાલ્યો. એક મોટા પુલ પર એક એકલ એન્જિન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય, તેમ જવા લાગ્યો. સામાનમાં તેની સાથે એક નાનીસરખી પોટલી હતી. તાપથી તેનું કમળપત્ર જેવું મુખ તથા ગાલ રાતાચોળ થઈ ગયા હતા. આખરે એક મહાદેવનું દેવાલય આવ્યું. તેના દ્વારમાં ચારે પાસ જોતો જોતો તે પેઠો. આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા એક બીલીનું વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો. દ્વારમાં પેસતાં જ નવો આવેલો તરુણ, બહારના ઘુંમટમાં લટકાવેલો ઘંટ વગાડી, દેવને નમસ્કાર કર્યા જેવું કરી, ગર્ભદ્વારમાં ઊમરા ઉપર બેઠો; પણ અંદર પૂજારી રુદ્રી કરતો હતો તેણે સાન કરી કે તરત ઊમરા–બહાર હેઠળ બેઠો. પૂજારી ત્રીસ-પાંત્રીસના વયનો એક તપોધન હતો, તેની હજામત વધી ગયેલી હતી અને બેભાન તથા જડ માણસ જેવો દેખાતો હતો. પણ અમાત્યના ઘરનો સહવાસી હોવાથી તે જરી જરી સભ્યતા શીખ્યો હતો. નવા તરુણને જોઈ પૂજારી મૂર્ખદત્તે રુદ્રીનો ઢોંગ વધાર્યો અને સ્તવન કરતાં અશુદ્ધ ગર્જના કરવા લાગ્યો. મંદિર નગરથી દૂર હોવાને લીધે તેમાં કોઈ આવતું નહીં; પણ શિવરાત્રિ પાસે આવવાથી રાજમંડળ, અમાત્ય-કુટુંબ તથા નગરલોક આવવાના – એ વિચારનો નવો કેફ મૂર્ખદત્તને ચઢ્યો હતો. તેમાં ‘શ્રી ગણેશાય નમ:'માં તરુણને જોઈ, ભાંગ પીધેલાને દીવો જોતાં અસર થાય તેમ મૂર્ખદત્તને પણ થયું. તરુણ પુરુષ એ સર્વ એકીટશે જોઈ રહ્યો, પણ પૂજારીની પૂજાના માહાત્મ્યને જોઈ તેને કાંઈક હસવું આવ્યું; મૂર્ખદત્તે એમ ધાર્યું કે મારી મહાપૂજાના આડંબરની યોગ્ય અસર થઈ. આમ ધારી પૂજા થઈ રહેવા આવી એટલે મોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો. તમે બહુ શ્રદ્ધાળુ દેખાઓ છો! તમારું નામ શું? તમે કોણી પાસથી આવ્યા? કાંઈ ધંધાનોકરીનો વિચાર છે? હું આ મહાદેવનો વંશપરંપરાનો પૂજારી છું, મારું નામ મૂર્ખદત્ત.’ અંતે ઊઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યાં. મહાદેવના પ્રસાદથી પોપચાં, પવિત્ર કરી તરુણ બોલ્યો : ‘મારું નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે. મારી રસોઈ તમારા ભેગી કરી નાખશો તો બાધ નથી.’ ‘બાધ નથી' સાંભળી તપોધન આશ્ચર્યમાં પડ્યો. એટલામાં નવીનચંદ્રે ઉંબરમાં એક રૂપિયો નાખ્યો. પથ્થર ઉપરના રૂપિયાએ તપોધનનું મન વશ કર્યું અને આશ્ચર્યને લીન કર્યું. આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી. ‘ભાઈ નવીનચંદર, તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદરભાઈ કહી બોલાવીશ. તમારી પાસે જોખમ હોય તે મારા પટારામાં મૂકજો અને કૂંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જેડે તળાવ છે. તળાવમાં નાહી વાડામાં બેસી બે છાંટા નાખવા હોય તો નાખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ. વળી કાલ શિવરાત્રિ છે એટલે અમાત્યના ઘરના બધાં આવવાનાં છે, તે વખત પણ તમે વાડામાં હો તો તેમની મરજાદ સચવાય.’ નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા.