સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૨. 
કુમુદસુંદરી

એટલામાં ગાડીઓનો ગડગડાટ અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. ચાર-પાંચ સુંદરીઓ પગના ઘૂઘરાના ધમકાર કરતી અંદર આવી પહોંચી અને શિવાલયનાં પગથિયાં ચઢતી હોય એમ દેખાઈ. આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીસ-બાવીસ વર્ષની છકેલ જોબનના પૂરમાં તણાતી બુદ્ધિધનની દીકરી અલકકિશોરી હતી. તેની સાથે – પણ જરા પાછળ – ચૌદ-પંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસકાના ઉજાસમાં, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકાભડાકા કરતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઈ જતાં કોમળ અને મનહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લવદનનો આભાસ આખા મંદિરમાં પ્રકટાવતી હતી. નણંદભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચાર-વિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો : તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મૂકેલાં હતાં, પણ તેનું કારણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ અને શિક્ષણમાં હતું. અલકકિશોરી ‘જાજરમાન' હતી, તેનો રંગ સોનેરી–ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો. એટલે પાસે આવનારની નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી. આ આકર્ષણશક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ રહેતી, જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી. અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપ-ગુણની સ્ત્રી હતી અને તેના ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચાહતો. અલકકિશોરી નાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી. તે ગમે તેવી પણ બાળક હતી. રંક અવસ્થા તેણે દીઠી ન હતી; પોતાનું ધાર્યું કર્યું જ સમજતી, પોતાને હંમેશ ફાવેલી જ જોતી; હુકમ કર્યો જ સમજતી, ચારે પાસથી વખાણ જ સાંભળતી. આ સૌનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી ફૂંફાડા મારતો અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો. માત્ર અમાત્ય-કુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષયમ ચેતન ઢંકાઈ રહ્યું હતું. આ લડાયક કિશોરીનો ઉદયભાન હાલ મધ્યાકાશમાં હતો. તેનાં સાસરિયાં તેની મરજી પ્રમાણે ચાલતાં – તેનો પતિ પણ સૌના મનમાં એમ હતું કે પ્રમાદધનભાઈ ગૃહસ્થાશ્રમ માંડશે એટલે અલકબહેન નરમ પડશે, પણ એ ધારણા તરત તો ફળી નહીં. પ્રમાદધનને ઘણી કન્યાઓ વાસ્તે કહેણ આવ્યાં હતાં. આખરે રત્નનગરીના પ્રધાન વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી ખાલી પડી. તેનો વિવાહ પ્રથમ તો મુંબઈ નગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વ્યાપારી લક્ષ્મીનંદનના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્રની સાથે થયો હતો. પણ લગ્નનું મુહૂર્ત પાસે આવ્યું તેવામાં ઈશ્વર જાણે શાથી સરસ્વતીચંદ્ર એકાએક અલોપ થયો. તેની ભાળ પણ લાગી નહીં, અને આખરે મુંબઈથી લખેલો તેનો એક કાગળ વિદ્યાચતુર પર આવ્યો. તેમાં લખ્યું હતું – ‘કંઈ કારણથી મેં મારું ઘર ને નામ છોડી દીધાં છે, મારે પરણવાની ઇચ્છા નથી. હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. ગુણવતી કુમુદસુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી તે સુખી થઈ શકત એવું મનાતું નથી; તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો.’ આ કાગળ વાંચી તેની ખાતરી કરી, નિરાશ થઈ, વિદ્યાચતુર ગભરાટમાં પડ્યો. કારણ કુમુદસુંદરીનો કન્યાકાળ વીતી ગયો હતો અને સરસ્વતીચંદ્રની સાથે તુલના કરી શકાય એવો એક પણ વર તેની નજરે આવતો ન હતો. તેને કુમુદસુંદરી સિવાય બીજી પણ એક એનાથી ચઢે એવી નાની દીકરી હતી. પોતાને પુત્ર ન હતો તોપણ કન્યારત્ન જોઈ એને સંતોષ થતો અને સરસ્વતીચંદ્ર તથા કુમુદસુંદરીની જોડ જોઈ એને પરમ આનંદ થતો. તેમાં આ આપત્તિ આવ્યાથી તેને પુત્ર-નાશથી અધિક શોક થયો. માત્ર, ‘ઈશ્વરની ઇચ્છા' કહી નિઃશ્વાસ સાથે ભવિષ્યના વિચારમાં પડ્યો. આ વાત દેશવિદેશમમાં પ્રસરી ગઈ. વર્તમાનપત્રોમાં છપાઈ. નાતજાતમાં ચાલી રહી. વિદ્યાને માથે કલંક દેવાયાં. છોકરવાદી સર્વની બત્રીશીમાં ચઢી. પ્રમાદધને એ વાત વાંચી અને જમતી વખતે કહી બતાવી. કુમુદસુંદરીના દુર્ભાગ્યની સૌને દયા આવી. એમાંથી એના રૂપગુણની વાત ચાલી, અને અલકબહેન બોલી ઊઠ્યાં. ‘ત્યારે મારા ભાઈને એ કન્યા ન ખપે?' સૌભાગ્યદેવીએ કહ્યું કે ‘ખપે.’ વળી બુદ્ધિધનને વિદ્યાચતુર સાથે જૂની મિત્રતા પણ હતી. એટલે અલકબહેને કહ્યું કે પ્રાત:કાળમાં કન્યાનું માગું કરવા માણસ મોકલવું. દરખાસ્ત પસાર થઈ. સવારે માણસ સંદેશો લઈ રત્નનગરી ભણી ગયું. વિદ્યાચતુર ચિંતાગ્રસ્ત હતો તેથી સૌ કામ તેની સ્ત્રી ચલાવતી. તેને વર અને ઘર બંને સારાં લાગ્યાં, વરની બહુ ખબર ન હતી, પણ ઘર સારું એટલે વર પણ સારો જ હશે એમ કલ્પના કરી સ્વામિનાથને વાત કહી. ક્ષોભ પામેલ હોવાથી પ્રધાનના મુખમાંથી ‘હા’ નીકળી ગઈ. બુદ્ધિધનનો માણસ વધામણી લઈ પાછો દોડ્યો. પ્રધાનને ભાન આવ્યે વિચાર થયો, પણ ઈશ્વરે સારું જ કર્યું હશે ધારી ચિંતામુકત થયો. લગ્ન થયાં અને કુમુદસુંદરી પિયર છોડી સાસરે આવી. કથાનો પ્રસંગ ચાલે છે તે સમયે તેને સાસરે આવ્યે માત્ર-દશપંદર દિવસ થયા હતા. ભાઈને આવી સારી કન્યા પરણાવવાનું માન અલકકિશોરીબહેનને જ આપવામાં આવ્યું. માએ ભાઈને જન્મ આપ્યો અને બહેને કન્યા આપી. બહેનનું ઘરમાં માન વધ્યું. કુમુદસુંદરીનો સ્વભાવ પણ આ સ્થિતિને અનુકૂળ જણાયો. તેની મા ગુણસુંદરી પતિ પાસે થોડું ભણી વિદ્યાના લાભ સમજતાં શીખી હતી. તેથી તેણે કુમુદને પણ ભણાવી. એક પ્રખ્યાત વિદ્વાને માણસને દરજીની ઉપમા આપી છે. સૌ સૌને પોતાના જેવાં અને બને તો પોતે સીવેલાં કપડાં પહેરાવવા ઇચ્છે છે. વિદ્યાનો પણ એક સાધારણ નિયમ એવો છે કે ભણેલા સૌને ભણાવવા મથે છે. ગુણસુંદરીએ ઠરાવ કર્યો કે કુમુદને ભણાવવી. થોડાં વર્ષમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો. પરણવા પહેલાં અંગ્રેજી અને સંસ્કૃતમાં પ્રવેશ થયેલો હોવાથી સંસારધર્મ, રસયજ્ઞતા, રસિકતા, વ્યવહારકુશળતા, નીતિમાર્ગ આદિનો કુમુદસુંદરીમાં સ્વાભાવિક ઉદય થયો. માત્ર સરસ્વતીચંદ્રને શોધી નિરાશ થઈ મન પાછું ફરતું; એ સિવાય બીજી બધી બાબતમાં કુમુદસુંદરીનાં માબાપ દીકરીને જોઈ જગતને સ્વર્ગસમું ગણી લેતાં. આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનના ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં તે અલકકિશોરીથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રૂપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. ભભક તેનામાં રજ પણ ન હતી. કેટલાકને તે ગરીબ ગાય જેવી દેખાતી. તે માત્ર મંગળ આભૂષણ અને આછાં પણ સુંદર ચિત્રવાળાં – સાદાં જેવાં વસ્ત્ર પહેરતી. શરદઋતુના નાના વાદળા ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું આછા સ્મિતવાળું મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રૂપાની ઘંટડીના જેવો સ્વર નીકળતો અને સૌ કોઈને એનાં વચન મધુર લાગતાં, નાના બાળકો રમવાનું મૂકી દઈ એની પાસે આવી એને વીંટાઈ બેસી રહેતાં. એના ઉપર જોનાર, અને સાંભળનાર, એની સાથે બોલનાર : સૌ એકસરખાં શાંત ચંદ્રિકામાં નાહતાં હોય, અમૃત-સરોવરમાં ડૂબકી મારતાં હોય, એવી વૃત્તિનો અનુભવ કરતાં. સાસરિયામાં પણ એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને નાનપણથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અત્યાર સુધી ઘરમાં સર્વનો વખત આ નવીન અને નિર્દોષ આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યાર પછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, નિઃશ્વાસ મૂકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમતગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે ઢાંકપિછોડો કરતી. લજ્જાળુપણાને નામે સૌ ચાલ્યું જતું અને આંસુ આનંદનાં આંસુમાં ગણાતાં તે પ્રમાદધન સાથે મન મેળવવા ઇચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સૌના આનંદની ભરતીનો વેગ, બાળકમનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વર-ઇચ્છાને શરણ થવાની બુદ્ધિ, અને હવે પરપુરુષ બની ગયેલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન : આ સૌને લીધે બળવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમયધર્મને અનુસરવા લાગી હતી. પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું કે આ પ્રસન્નતા પ્રાત:કાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હોત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત. પ્રમાદધને શાળામાં વેઠિયાવાડથી અભ્યાસ કરેલો હતો. અને ઉંમર આવ્યે, શાળામાં નાનમ લાગવાથી, અભ્યાસ વૈતરા જેવો થવાથી, પ્રમાદધન પ્રમાદમાં જ રહેતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીની સર્વ અભિલાષા તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંત:કરણથી મથતો.

વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યા. આ નવી સૃષ્ટિમાં જૂની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ રહી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો, તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે લખ્યો હતો :

‘શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી[1]!
થઈ રખે જતી અંધ[2], વિયોગથી;
દિનરૂપે સુભગા[3] બની રહે, ગ્રહી
કર[4] પ્રભાકરના મનમાનીતા!'

આ શ્લોક તેણે કોઈને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી; છાતીસરસો સાચવી રાખતી, એકાંત વખતે કાઢી જોતી, શ્લોક મોઢે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, રોતી અને આંસુ સારતી. ચર્મચક્ષુથી જોનારને તો અમાત્યકુટુંબમાં સર્વ રીતે સૌનામાં ઉત્સાહ અને આનંદ દેખાતો હતો. એવા કુટુંબની કામિનીઓ રાજેશ્વર મહાદેવનાં પગથિયાં ઉપર ઠમકઠમક કરતી હાંફતી દેખાતી ચઢી તે સમયે મૂર્ખદત્ત સિવાય તેમને કોઈ જોનારું ન હતું. તેથી આ એકાંત શિવાલયમાં દેવાંગનાઓ મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા સ્વર્ગમાંથી ઊતરી આવી ન હોય એમ લાગતું હતું. તપોધન ઉતાવળો ઉતાવળો, અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમ તેમ પગે આંટી ન આવે તેમ ઘાલી, જલધારીમાંથી બીલીપત્ર વગેરે તરણ સુંદરીઓને આપતાં આપતાં બોલ્યો : ‘બહેન, તમારા કહાવ્યા પ્રમાણે પૂજનની સામગ્રીની ટીપ આપી દીધી છે.’ પાર્વતી પાસે મહાદેવના ગણોમાંથી ભૂત ઊભું હોય તેમ આ લલનાઓ પાસે ઊભો ઊભો મૂર્ખદત્ત વાતો કરે છે. એટલામાં બહારથી એક સિપાઈ દોડતો આવ્યો : ‘બહેન, બહેન, ભાઈસાહેબ[5] આવે છે અને ઘણું કરી રાણાજી પણ આવે છે.’ હવે પાછાં જવાય એમ તો હતું નહીં; ઉતાવળી ઉતાવળી અલકકિશોરી પૂછવા લાગી, ‘ત્યારે હવે?' આવા પ્રસંગના અભ્યાસીઓને સમયસૂચકતાની ટેવ પડેલી હોય છે. એટલે મૂર્ખદત્ત બોલી ઊઠ્યો : ‘ચાલો, ચાલો, વાડામાં આવો રાણાજી માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે. હું બારીએ તાળું દઈ સૌ ગયા પછી ઉઘાડીશ.’ વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને ફામ ન રહી. સ્ત્રીમંડળ વશ થઈ ગયું હોય એમ તેની પાછળ ચાલ્યું. સૌ બારણામાં પેઠાં એટલે તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું. ‘નિઘા રખો મહેરબાન!' એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠિયા આગળ સોનેરી ભરતના ગાલીચા ઉપર બંને જણ બેઠા. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેનો તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા. રાણા અને અમાત્યની રાજમંત્રણા ઘણી જ લાંબી ચાલી. અંતે ભૂપસિંહ ખુશ થયો, પ્રધાનનો વાંસો થાબડ્યો અને મંદિર બહાર નીકળ્યો. ‘નિઘા રખો, મહેરબાન!' બૂમ પડી. ગાડીનાં ચક્ર, ઘોડાની ખરીઓ, અને સવારોની તરવારોના ખડખડાટ ભડભડાટ સાથે સ્વારી ચાલી. બુદ્ધિધન પાછો અંદર ચાલ્યો. મંદિરનાં પગથિયાં પર ઊભો રહી, વિચારમાં પડી, બોલ્યો : ‘ઈશ્વર! હું કાંઈ કરતો નથી. આ બધું તું જ કરે છે.' ચારે પાસ નજર કરી બૂમ પાડી, ‘દત્ત! દત્ત!' મૂર્ખદત્ત ઉતાવળો ઉતાવળો આવ્યો. અંદર ગયા પછી સાંભર્યું કે નવીનચંદ્ર પણ વાડામાં છે અને અમાત્યકુંટુંબ પણ ત્યાં ગયું! ગભરાયેલો ગભરાયેલો ઊઠ્યો અને રસોઈની ઓરડીમાંથી જાળીના સળિયા ઝાલી જોવા લાગ્યો. નવીનચંદ્ર તળાવમાં નાહવા પડ્યો હતો તે નાહી રહી ઓટલા પર ઊભો રહી હિલ લોહતો હતો. દત્તે ઝ૫ લઈ લીંપણના પોપડા નવીનચંદ્ર પર ફેંક્યા. એક પોપડો બરાબર નવીનચંદ્રના વાંસા પર પડ્યો. નવીનચંદ્ર ચમક્યો. જુએ છે તો દત્તને દીઠો અને જાળિયા પાસે ગયો. દત્તે રાણો તથા અમાત્ય અને એનું કુટુંબ આવ્યાના સમાચાર આપ્યા ને કહ્યું: ‘સૌ જાય ત્યાં સુધી વાડામાંય ન જશો અને મંદિરમાંય ન આવશો.' નવીનચંદ્રે વખત ગાળવા ગાંસડી છોડાવી એક ચોપડી માગી. ઝાડની ડાળીમાં પોતાનું ભીનું ધોતિયું મો પર છાંયડો આવે એમ સૂકવ્યું, અને શિયાળાની સવારનો તડકો સારો લાગવાથી ધડ તડકામાં રાખી ચોપડી વાંચતો બેઠો. મૂર્ખદત્ત રસોઈમાં પડ્યો, પરવાર્યો અને અમાત્યની બૂમ સાંભળી બહાર આવ્યો. બુદ્ધિધન : ‘કેમ આજે કોઈ આવ્યું નથી કે?' મૂર્ખદત્ત : ‘અલકબહેન અને ભાભીસાહેબ આવ્યાં છે ને!' ‘ક્યાં છે?' ‘વાડામાં. પધારો. રાણાજી આવ્યા હતા એટલે તાળું વાસ્યું હતું. આગળ તપોધન દોડ્યો અને પાછળ અમાત્યે ચાલવા માંડ્યું. ‘હાલ કોઈ ઉતારુ નથી કે ધર્મશાળામાં?' ‘હા જી, એક જણ છે; તળાવ પર કે ઓટલે બેઠા હશે.’ તાળું ઉઘાડ્યું અને બારણું ઉઘાડ્યું.



  1. રાત્રિ
  2. નિસ્તેજ, અંધારી
  3. સૌભાગ્યવતી
  4. કિરણ, હાથ
  5. બુદ્ધિધન