સહરાની ભવ્યતા/રાજેન્દ્ર શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાજેન્દ્ર શાહ


સ્વાતંત્ર્યસંગ્રામના દિવસો છે.

કપડવણજના ટાવર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. નવયુવક રાજેન્દ્રને એનો આનંદ છે, રોમાંચ છે, દર્પ છે.

ત્યાં એ રાષ્ટ્રધ્વજ ઉતારી લેવા પોલીસ પેરવી કરતી દેખાય છે. રાજેન્દ્રની ચેતના વિદ્યુતગતિએ નિર્ણય કરી લે છે. એ ક્ષણાર્ધમાં સડસડાટટાવરની ટોચે જઈ પહોંચે છે. રાષ્ટ્રધ્વજને છાતી સરસો ચાંપીને એટલી ઊંચાઈએથી કૂદકો મારે છે.

એ ટાવર મેં જોયું છે. બહુ ઊંચું નથી પણ આજનો કોઈ પણ ગુજરાતી કવિ ત્યાંથી પડતું મૂકીને જીવતો બચી શકે તેમ નથી. રાજેન્દ્રએમની કિશોરાવસ્થા–યુવાવસ્થામાં વ્યાયમવીર હતા. જન્મ તારીખ 28-1-1913. એમને પચાસ વર્ષ થયાં ત્યારે એમના માટે સ્નેહાદરદાખવવા મને એમનો પ્રિય છંદ ખપ લાગેલો:

આ શો ખુમાર છલકે તવ પ્રૌઢ ચિત્તે!
મસ્તી કુમાશ રણકો કવિનો જ નિત્યે!

નિર્વ્યાજ નેહ તગતો તવ નેણમાં તે
તાજા પ્રફુલ્લ ઉરનું અભિજ્ઞાન આપે.

સંદિગ્ધ છિન્ન અતિ ખિન્ન બધી હવાઓ
ત્યાં મંદ્ર કંઠ સૂરસપ્તક સ્વસ્થ ગાયો.

કોલાહલો પડત શાંત અહીં ગળાઈ,
આંદોલને ધ્વનિત રમ્ય શ્રુતિ રચાઈ.

સૌંદર્ય–પુષ્પ–સરજ્યો પરિવેશ જામે
તો ધૂળ શૂળ સઘળું મધુગંધ પામે.

હે પ્રાજ્ઞમુગ્ધ! નિખિલે ઋતસત્યયાત્રી
તારી સિતાર જીરવી શકી મૂલ્યરાત્રી.

વાટે મળ્યાં સકળ વેદન મગ્ન પીધાં,
આલોક — પ્રીત ભ્રમણા થકી ભિન્ન કીધાં.

25-2-63


આ રચનામાં એમને માટે ‘પ્રાજ્ઞમુગ્ધ’ સમાસ રચાયેલો તે સાથે ઘણા કાવ્યરસિકો સહમત થયેલા એવું યાદ આવે છે. આટલાં વર્ષ પછી આસમાસના કયા પદને પ્રધાન માનવું એ એક પ્રશ્ન છે. શું એમનું મૌગ્ધ્ય ઘટ્યું છે? તો શું ત્યારે એ ઓછા પ્રાજ્ઞ હતા? ‘ધ્વનિ’ના પ્રકાશનપછી ઉમાશંકરે એમને ‘સૌંદર્યલુબ્ધ’ કહેલા અને ‘સમયરંગ’ની એક નોંધમાં એમને માટે ‘કવિવર’ શબ્દ યોજી સમકાલીન કવિઓમાંથીજાણેઅજાણે જુદા તારવી આપેલા. ઉપર્યુક્ત રચનામાં એમના ચાર સંગ્રહોના ઉલ્લેખો આવે છે. એ પછી ‘મોરપીંછ’, ‘વિષાદને સાદ’, ‘ક્ષણજે ચિરંતન’, ‘ચિત્રણા’, ‘નિરુદ્દેશે’, ‘મધ્યમા’ અને ‘ઉદ્ગીતિ’, ‘ઈક્ષણા’, ‘પત્રલેખા’, ‘પ્રસંગસપ્તક’, ‘પંચવર્ષા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’, ‘દ્વા સુપર્ણા’ સુધીના સંગ્રહો ‘સંકલિત કવિતા’ (1983)માં સ્થાન પામ્યા છે. એ પછી ‘ચંદનભીની અનામિકા’ અને ‘નીલાંજના’નું પ્રકાશનથયું છે. નદી સમથલ મેદાનમાં વહી રહી છે જાણે! ભરતી કે ઓટ વિનાની સભર પ્રસન્નતા. એકવિધતા ખરી પણ શૂન્યાવકાશ નહીં.

રાજેન્દ્રભાઈને જ્યારે પણ જોયા છે ત્યારે એમની આંખમાં આનંદદેશના કોઈ નવા વિસ્તારને સર કર્યાની ચમક વરતાઈ છે. વિરલ છે આવ્યક્તિત્વ. મેં એમને ઉદ્વેગ ને ગમગીનીની મનોદશામાં કદી જોયા નથી. મિત્રોએ પણ જોયા નથી. ખાતરી કરીને આ લખ્યું છે. શ્રી પિનાકિન્ઠાકોર આ અંગે છેલ્લો શબ્દ કહેવાય. અન્ય વ્યક્તિઓ સાથેની ભાગીદારીમાં અકલ્પ્ય વિશ્વાસઘાતના પ્રસંગોએ રાજેન્દ્રભાઈએ મૂંગા મોંએજે બધું વેઠી લીધું છે અને ‘રહસ્યઘન અંધકાર’ જેવી રચનાઓ કરી એ અનુભવોની ઘેરી સ્મૃતિમાંથી મુક્તિ મેળવી લીધી છે. જોમાનવસર્જિત આપત્તિઓને એ હસતા મોંએ વેઠી શક્યા હોય તો અકસ્માતો સામે તો ફરિયાદ જ શેની કરે? મુંબઈની પ્રેસ બળી ગઈ. કેવુંમોટું નુકસાન? છતાં મિત્રોએ એમને વ્યાકુળ કે વ્યગ્ર જોયા ન હતા. મને લાગે છે કે એ જૂની યજ્ઞવેદિની પાસે બેઠેલા કોઈક બૌદ્ધ સાથે ત્યારેસામ્ય ધરાવતા હશે.

રાજેન્દ્રભાઈની આંખોમાં વરતાતી શાંતિ જોઈને કોઈને ભાગ્યે જ ખ્યાલ આવશે કે એ કેવી વિષમ પરિસ્થિતિઓમાં ઊછર્યા છે. મિત્રો અનેઅભ્યાસીઓ જાણે છે કે ‘નિરુદ્દેશે’ લખતા આ કવિએ જીવનની અનેકવિધ છબિઓ નજીકથી જોઈ છે. એટલું જ નહીં એ અનેક ક્ષેત્રોનોપ્રત્યક્ષ અનુભવ ધરાવે છે, પ્રેક્ષક તરીકે નહીં પણ કર્તા તરીકે, સફળ કરતાં નિષ્ફળ વધારે અને નિષ્ફળતા માણસને વધુ શીખવે છે. એવાઅનુભવોમાંથી પસાર થયેલા લેખકો સીનિક થઈ ગયાના દાખલા છે. રાજેન્દ્રભાઈએ વિષમતાઓમાં ઘડાઈને પોતાની ઓળખાણ વધારી:

ગહન નિધિ હું મોજુંયે હું વળી ધનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન

(આયુષ્યને અવશેષે, ધ્વનિ)


એમના ઘડતરકાળની કેટલીક વિગતો આ મુજબ છે:

બી. એ. થયા ત્યાં સુધી ખાનગી ટ્યુશન કરીને એમણે કુટુંબનું ભરણપોષણ કરેલું. પછી અમદાવાદની ઢાલગરવાડની નિશાળમાં નોકરીકરેલી. પછી સુંદરમ્ ની ભલામણથી જ્યોતિસંઘમાં જોડાયેલા. પછી એલિસબ્રિજમાં મોદીખાનાની દુકાન. ‘ઇંધન’ નામે કોલસાનો સ્ટોર. રેંટિયાવાડીમાં બૉબિનનું કારખાનું. મુંબઈ ગયા. ત્યાં ‘સ્વદેશી ડાઇંગ ઍન્ડ બ્લીચિંગ’માં નોકરી. એ પછી જંગલોમાં લાકડાં કાપવાનોકૉન્ટ્રેક્ટ રાખતી ‘આર. જે. શાહ ઍન્ડ કંપની’ સાથે જોડાયા અને સંદર્ભ બદલાયો. શ્રી ધીરુભાઈ પરીખ નોંધે છે કે આ નોકરી નિમિત્તેવારંવાર થાણાનાં જંગલોમાં જવાનું થતું એટલે વન્ય પ્રકૃતિ માણવાનો લાભ મળી રહ્યો. આવા એક પ્રવાસ દરમિયાન એમને બીજનું દર્શનથયું: ‘જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા ઝાઝેરો ઘૂમટો તાણી.’ રાજેન્દ્રની કવિતા જોતજોતામાં બીજથી પૂનમ સુધી પહોંચી ગઈ. સહૃદયોની સ્મૃતિમાં આ પૂનમ કદી આથમવાની નથી.

એમણે બી. એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય રાખેલો. એ પૂર્વે શ્રેયસાધક વર્ગના ઉત્સવોમાં ભાગ લેવા જવાનો વારસો માતાપિતાએ આપેલો. ઉપેન્દ્રાચાર્યનું સંગીત અને તત્ત્વદર્શન રાજેન્દ્રભાઈની કાવ્યપ્રવૃત્તિના મૂળમાં હોવાનો ઉલ્લેખ કરી શકાય. અજ્ઞેયવાદ, તંત્રશાસ્ત્ર આદિમાંએમને રુચિ હતી, છે. લૌકિક મધ્યે રહીને લોકોત્તરનું કાવ્ય કરવું, રહસ્યનો અનુભવ કહેવો, તંત્ર દર્શનની પરિભાષામાં વાત કરવી ઇષ્ટ છે, સહજસાધ્ય છે. રાજકોટ, ભરૂચ કે કલકત્તા જવાનો એમને થાક નથી. જિજ્ઞાસા સતેજ છે. અગવડો સામે અણગમો નથી. પરિષદનાસન્માન્ય સભ્ય તરીકે એ વડોદરાના 30મા સંમેલનમાં આવ્યા હતા. એમના માટે કશી જ સગવડ ન હતી પણ એ ત્રણ દિવસ દરમિયાનસહુની સાથે રહેવામાં કોઈને અગવડ ન પડી હોય તો એકલા રાજેન્દ્રભાઈને.

અમદાવાદમાં સાહિત્યનો કાર્યક્રમ હોય તો મેં જોયું છે કે રાજેન્દ્રભાઈ આમંત્રણ વિના પણ આવે, તે પણ કેવા? શ્રાવણના વરસાદનીસહજતાથી. પ્રતિષ્ઠિત લેખકોમાં એ આ બાબતે બહુ જુદા પડે છે. કશા માન–સન્માનની માગણી નહિ, કેમ કે અપેક્ષા જ નહીં. અસ્મિતાનોખ્યાલ નહીં. કેવળ આનંદ. ક્યારેક ચાલમાં પ્રભાતિયાનો લય તો ક્યારેક દયારામની ગરબીની ગતિ. ચહેરા પર ઊગતા સૂરજનું સ્મિત. એમના વિષે વાત કરવા જઈએ તોય હરખ ઊભરાય. આવું હળવું ને આટલું સમૃદ્ધ વ્યક્તિત્વ એમની પેઢીના કવિઓમાં બીજા કોનું? મકરન્દભાઈને હજી હું મળી શક્યો નથી. અર્થશૂન્યતાની વાતો કરતા પણ અનેક યુક્તિપ્રયુક્તિઓમાં રાચતા, અંગત હેતુઓને ઢાંકી રાખીબીજાઓને ઉતારી પાડવા કલાશુદ્ધિના દાવા કરતા, આત્મગૌરવની સતત એકપક્ષીય અપેક્ષા રાખતા સંખ્યાતીત ગુજરાતી લેખકોમાંથીરાજેન્દ્રભાઈના સમોવડિયા શોધવા માટે એમને ટચલી આંગળીએ મૂકીએ તો અનામિકા ફરી એકવાર સાર્થવતી બને.

કવિ આદિલ કોઈની પણ મજાક કરી શકે પણ રાજુભાઈને સદા માન આપે. એમને 1964નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારેઅભિનંદનરૂપે એણે પત્રમાં નિશાન કરી પાંચ હજાર અગૂંઠા મોકલી આપ્યા હતા. કશુંય નકારે તો રાજુભાઈ શેના? સહજ મળ્યું તે માથે. હું યોગ્ય ન કહેવાઉં એવી નમ્રતા નહીં. નમ્રતાનું અભિમાન તો કદાપિ નહીં. માત્ર પ્રસન્નતા! ખીલેલ પદ્મ ‘નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ!’