સહરાની ભવ્યતા/રાવજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાવજી


ડાકોરથી એક કાચી સડક જાય છે. પહેલાં સુઈ ગામ આવે અને પછી રાવજીનું વતન — વલ્લવપુરા. નાનું સરખું ગામ છે, એક નજરે જોઈલેવાય એવું. દૂર રહીને પણ રાવજી વલ્લવપુરાને જોતો રહેલો, પોતાના બદલાતા ચિત્તમાં એની એક છબી સતત સાચવી રહેલો. ડાકોરનીગુજરાતી નિશાળમાં એને ભણવા મૂકેલો. દર ચોમાસે પડખું બદલતા રસ્તે ચાલતાં ચાલતાં ડાકોર પહોંચવાનું. વળતાં સુઈ ગામનાં એકડોશીનો ઘણીવાર સંગાથ થતો. એમની પોટલી નાનો રાવજી ઉપાડી લે અને એનું દફતર ડોશીને આપે. ત્યારે એ કોઈક બાળકીને પણઓળખતો, એની યાદ છેક ગયા મે માસની 27મી તારીખ સુધી ડાકોરની સંગીતશાળા ભેગી એ સાચવી રહેલો. થોડી વાર પહેલાં એણેએનું છેલ્લું ગીત ગાઈ ગાઈને લખાવ્યું હતું. ટૂંકા ટૂંકા શ્વાસથી જીવવાનું હતું એવી ક્ષણોમાં પણ એ ગાઈ શકેલો. પછી બાળપણની યાદમાંરડી પડેલો.

માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. કાકાને ઘેર રહેતો. મિલમાં કારકુનની નોકરી મળી. કૉલેજમાં પણ કંઈક જતો અને આર્ટ્સની પહેલાઅને બીજા વર્ષની પરીક્ષાઓ પાસ કરેલી. એવામાં જ પોતાનાથીય છુપાવી રહ્યો હતો એ તબિયતની વાત જાહેર થઈ ગઈ. પહેલા મળ્યાએ ડૉક્ટરે તપાસ કરીને સહેજે સંકોચ રાખ્યા વિના કહી દીધું — ‘છ માસ જીવશો.’ રાવજીથી એ માની શકાય એમ ન હતું. પચીસરૂપિયાના ભાડાની એક ઓરડીમાં ઘરસંસાર શરૂ કરી દીધો હતો. મહાલક્ષ્મીએ પુત્રીને જન્મ આપ્યો હતો અને રાવજીએ એનું નામ પાડ્યુંહતું — ‘અપેક્ષા’. હજી બી. એ. થવું હતું અને કૉલેજમાં પ્રોફેસર થવું હતું. રમણ અને બીજા બે ભાઈઓને ભણાવવાના હતા. વીસવીઘાંમાંથી ગીરો મુકાઈ ગયેલી દસ વીઘાં જમીન છોડાવવાની હતી, ખેતી કરતા પિતાજી (છોટાલાલ)નો ભાર ઓછો કરવો હતો. રાવજીએએ ડૉક્ટરની વાત છેક સુધી સાચી ન જ માની અને એ પછી તો ચાર વર્ષ જીવ્યો. જોકે એવામાં થોડા દિવસ ભારે બેચેન રહેલો. પણ પછીમુંબઈના ડૉક્ટરે કિડની તપાસીને આશ્વાસન આપ્યું. એક ફેફસું આખું સાજું હતું, ઑપરેશન કરાવીને જોખમમાંથી ઊગરી શકાય એમ હતું. આણંદના ક્ષય–ચિકિત્સાલયમાં દાખલ થયો અને જિંદગીમાં પહેલી વાર તાજો થઈને બહાર આવ્યો. આ પહેલાં ત્રણ નોકરીઓ છોડેલી. મિલમાં સાહેબ બીજા કોઈને રાખવા માટે એને છૂટો કરવા માગે છે એવું માની લઈને એણે જાતે જ જવાનું બંધ કરેલું. પછી વિદ્યાપીઠનાપુસ્તકાલયમાં થોડો સમય અને થોડો સમય ‘કુમાર’ કાર્યાલયમાં કામ કરેલું. જેટલા ઉત્સાહથી એ નવી નોકરી સ્વીકારી લેતો એટલા જવૈરાગ્યથી છોડી પણ દેતો અને ભૂલી જતો.

આણંદથી આવ્યા પછી એણે ‘અશ્રુઘર’ લખી. બે વાર લખી. પહેલી વાર લખી તેમાં કથા અડધામાં પૂરી કરી હતી અને લલિતા સાથેસત્યને પરણાવી દઈને બેઉને સુખી કર્યાં હતાં. ફરીથી લખી અને પછી સત્યને છેક અંત સુધી લઈ ગયો. ‘અશ્રુઘર’ને આવકાર મળ્યો. રાધેશ્યામે, ચંદ્રકાન્તે રાજીવમાં પન્નાલાલ પ્રકારની શક્તિ જોઈ. રાવજીએ શરદબાબુ બરોબર વાંચેલા અને લાગણીના નિરૂપણમાં વાચકનેઆગામી ક્ષણથી અજાણ્યો રાખવાની શરદબાબુને જે ફાવટ છે એ રાવજીમાં પણ હતી. પણ વિશેષ તો એ કે ‘અશ્રુઘર’માં વાસનાઓનીસરળ સંધિ નથી. ઇન્દ્રિયાનુભવોની ખેંચતાણ છે, સમાધાન શેને કહેવાય એ ન જાણતાં આળાં અને બરડ સંવેદનોની વિષમ સંધિથીઅનુભવાતી સંકુલતા છે. હજી એને પોતાની આગવી રીતિ મળી નથી અને ક્યાંક ક્યાંક શબ્દો એની ભાષામાંથી છૂટા પડી જાય છે પણસમગ્રપણે કૃતિ રોચક બનેલી છે. ગેરસમજ કે વિરોધ ન હોય તોપણ બે માણસ બે હોય છે એટલા જ કારણે અનુભવાતો સંઘર્ષ અહીંઆસ્વાદ્ય બને છે. પાત્ર રચવાની અને ગૌણ પાત્રોને ઉઠાવ આપવાની રાવજીમાં શક્તિ છે એ વાત આ પહેલી કૃતિથી બહાર આવી.

‘ઝંઝા’ લખી તે પહેલાં બારેક વાર્તાઓ થયેલી, પણ બધી ગ્રંથસ્થ થઈ શકે એવી નહિ. છેલ્લા વર્ષમાં લખાયેલી વાર્તાઓએ ધ્યાન ખેંચ્યું. નાનાં નાનાં અને વ્યક્તિત્વવાળાં પાત્રોના સંબંધની વાત શરૂ થાય છે અને એમાંથી છેક સુધી ટકી રહેતું સંવેદન જાગે છે. જુદી જુદી વયસાથે એ એકસાથે કામ પાડી શકે છે. રાવજીની વાર્તાઓમાં ઉત્તરોત્તર નિરૂપણની સ્વસ્થતા વધી હતી, એનો મર્મ પણ ધ્યાન ખેંચતો.

શરીર અવારનવાર ઢીલું થઈ જતું, પણ લખવાનું સૂઝે પછી છોડતો નહિ. કામ–નોકરી જે કંઈ મળે એ માટે પણ તૈયાર. પરિચય ટ્રસ્ટેઆરામથી થઈ શકે એવું કાર્ડ બનાવવાનું કામ સોંપેલું. તે પછી સંદેશમાં કામ મળ્યું, પછી ગુજરાત સમાચારમાં. એવામાં જ ઘેર ગુસ્સો કર્યોતેમાં હાથ ભાંગ્યો. દોઢેક મહિનો એમાં ગયો. તે પછી થોડા દિવસ કામે ગયો હશે અને ગુજરાત સમાચારે એને છૂટો કર્યો. ‘ઝંઝા’ પ્રેસમાંપહોંચી ગઈ હતી અને ત્રીજી નવલકથાનું નામ પાડી રાખ્યું હતું — ‘વૃત્તિ’. વૃત્તિનાં થોડાંક પાનાં લખ્યાં હશે ત્યાં એક સાંજે વળી ગળફામાંલોહી દેખાયું. સોનગઢ પાસે અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં દાખલ થવા તૈયાર થયો અને જગા મળતાં ઑક્ટોબર ’67માં ગયો તે ’68નામેની 25 તારીખ સુધી ત્યાં રહ્યો.

ક્ષય તો ઘણો જૂનો હતો. ચારેક વર્ષથી ડાયાબિટીસ પણ હતો. શુગરનું પ્રમાણ નજીવું હતું પણ કહે છે કે નાની ઉંમરે થતો ડાયાબિટીસકિડનીને કોરી ખાય છે. વજન વધે અને પાછું ઘટી જાય. ઑપરેશન શક્ય ન બન્યું. બીજા ફેફસાને પણ થોડી અસર થઈ. એ ભાગ સૂકવીશકાયો હતો પણ એક ખતરનાક વસ્તુ ઉમેરાઈ ચૂકી હતી — માનસિક અસ્થિરતા. ચિકિત્સાલયમાં ત્રણેક વાર સંતુલન ગુમાવેલું. છેલ્લેછેલ્લે તો કપડાં વિના વૉર્ડમાં દોડવા લાગતો. દર્દીઓ એનો ખ્યાલ રાખતા. એને પાણી આપતા પણ એ કોગળો કરીને એમના પર થૂંકતો. નર્સ વગેરેને તો એ પહેલેથી જ પોતાનાં સગાંવહાલાં માનતો અને એ નાતે એમની સલાહની અવગણના કર્યા કરતો. છેલ્લી વાર ગાંડપણનુંદેખીતું કારણ કદાચ એણે આખી રાત જાગીને મૃત્યુ વિશે લખ્યા કર્યું એ હોય. એના અક્ષર દાણા જેવા હોય પણ તે રાતે લખ્યું છે એમાંઅક્ષર ડહોળાઈ ગયા છે. માંડ વાંચી શકાય છે:

‘મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે, બળી ગયા પછી તો જગત સાથેના બધા જ કૉન્ટ્રેક્ટ્સ કપાઈ જાય છે. હું હુંનથી રહેતો, તમે તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ. પણ ગાંડા–ડાહ્યામાં માત્ર એક જ ફરક પડવાનો છે. હુંસમજું છું એ (તમે) નથી સમજતા અને હું તમે સમજો છો એ નથી સમજતો.’

અડધા ગાંડા રાવજીને સોનગઢથી પ્રેસનો માણસ અમદાવાદ મૂકી ગયો. બેઠા રહેવાનીય શક્તિ ન હતી પણ રસ્તામાં એક સ્ટેશને ઊતરીનેચાલવા લાગેલો. અઢી વર્ષ પહેલાં સિગારેટ છોડેલી પણ તે દિવસ ગાડીમાં માગીને બે બીડીઓ પીધી. આવ્યો તે રાત્રે પણ ઊંઘ્યો નહિ. બોલ્યા કર્યું — ‘આવતી સાલ કાર લાવું, નૉબેલ પ્રાઈઝ મેળવવું છે, વૃત્તિનાં હજાર પાનાં કરવાં છે, હવે તો જીવવાનો.’

બીજે દિવસે એને વલ્લવપુરા પહોંચાડ્યો. એને આવેલો જાણીને આખું ગામ ભેગું થયું હતું. એ તો છૂટથી બોલ્યે જ જતો હતો. તે રાતેપણ ન ઊંઘ્યો. પણ વળી કળ વળી અને એક મહિનો ત્યાં રહ્યો એમાં ચાલતો પણ થયેલો. વળી, લડીને લાડુ ખાધા અને ડાયાબિટીસનોહુમલો થયો. અમદાવાદ વાડીલાલમાં દસેક દિવસ રાખીને રજા આપી. તે પછી ચોથા દિવસે યુરેમિયા થઈ ગયો. યુરિયાનું પ્રમાણ વધુમાંવધુ ચાલીસ હોય એને બદલે બસો હતું. પાંચ દિવસ બેભાન રહ્યો. 10મી ઑગસ્ટના સવારના સવા ચાર સુધી એ હતો, પછી ભળી ગયો, જુદો ન રહ્યો.

એને સહુની સાથે ફાવતું. લખતો હતો તેથી ગમા–અણગમા તો હોય, પણ એનો અહં ઊપસી ન આવતો. નગરજીવનની ઔપચારિકતાઓવચ્ચેય એનું વર્તન શુદ્ધ જાનપદી હતું. જરા અળવીતરો પણ ખરો. સારી હોટલમાં બેસવાનું પસંદ કરે અને બીજાની રાહ જોવા કોઈત્રીજાના ટેબલ પર જઈને બેસે. અજાણ્યાના ઓશિંગણ થવામાં એને નાનમ ન હતી. સ્નેહનો સહેજ અણસાર જોઈનેય ઝૂકી જાય. જ્યાંહોય ત્યાં ઠરીને બેઠો હોય એમ લાગે. જાગે ત્યારે સ્મરણમાં કંઈ ને કંઈ સંતાડી જાય. ઓરડીમાં એકલા રહેવું જોઈએ એવી સલાહ માને, પણ રહી ન શકે. ક્યારેક લાભશંકરની દવા લઈ આવે પણ ચરી ન પાળે. ખુલ્લામાં ફરવાને બદલે શહેરની ધૂસર સંકડાશમાં આવી ચડે. મારા–તમારા જેવા જોડે મોડે સુધી બેસી રહે. રાત વીતતી હોય, એ થાક્યો હોય. ઉધરસ ખાધા કરતો હોય તોય જવાનું કહીએ તો ખોટુંલગાડે. એને મૂકી આવીએ તોયે સાવ એકલો પડીને રૂમમાં જાય. એને જે સાથ અને સ્નેહની જરૂર હતી એ કોણ કેમ કરીને આપી શકેએની એનેય ખબર ન હતી. એ ચાહતો, આપતો. અમરગઢમાં પોતાને માટેની રકમમાંથી ભાગ કાઢીને એક દર્દીને સાજો કરવામાં એનોથોડો ફાળો હતો.

હસતો, ક્યારેક હસાવતો. સાચું–ખોટું બધું જ બોલતો. અમદાવાદમાં ઓળખાયો ત્યારથી દુ:ખ એ જ એની કથા છે. ’62માં બુધસભાનુંપ્રથમ કાવ્યસત્ર થયેલું એમાં એ આવેલો. પટાવાળો લેંઘો પહેરી તીતીઘોડાની જેમ ઊડ્યા કરતો. અવાજ વિનાનું હસ્યા કરતો. હાઈસ્કૂલમાંજ એક શિક્ષક મળેલા, એમની પાસે કવિતા સમજતો. ‘કુમાર’માં આવતો થયો અને એક વર્ષમાં તો એ સહુથી જુદો તરી આવતો હતો.

બે વર્ષ પછી મુકુન્દ પરીખ સાથે ‘શબ્દ’ નામનું કવિતા સામયિક ચલાવ્યું. જેટલું ચાલ્યું, ઠીક ચાલ્યું.

ત્યારે તો માત્ર પ્રકૃતિ હતી. જુદાઈનો ભાવ પછી ભળ્યો. પ્રેમ, વાસના, મૃત્યુ અને સહુની વચ્ચે અજાણ્યા રહી જવાનો વસવસો — એનીકવિતામાં જે કોઈ ભાવ આવ્યો, તીવ્રતાથી આવ્યો. રોમાન્ટિક મૂડ કવિતાને ઉપકારક નથી એવી માન્યતા રૂઢ થઈ રહી હતી એ સમયમાંરાવજી રોમાન્ટિક મૂડ લઈને બહાર આવ્યો અને એણે પૂરતું ધ્યાન ખેંચ્યું. એની રચનાઓમાં ઘાસ, ગંધ અને ધરતી એક થતાં હતાં અનેજાણ્યે–અજાણ્યે કલ્પન દ્વારા કોઈક કહેવા જેવી વાત ઊતરી આવતી હતી. કુતૂહલ તો બાળકમાં હોય એવું, જે જુએ એને વળગી પડે. પ્રકૃતિથી વિખૂટા પડવું ન હતું, પડછાયાઓનો દેશ છોડીને પરીઓ પાસે પહોંચવાની માયા હતી, ગામ અને નગર વચ્ચે વહેંચાયેલું ઘર એકકરવું હતું, અને એ બધાંને જોડતું એકાંત તોડવું હતું. એની કવિતામાં ક્રિયાનો અનુભવ છે. મુખ્ય રીતિ વર્ણનની લાગશે પણ વર્ણનમાંઇન્દ્રિય–વ્યત્યય સધાતાં કલ્પનો રચાતાં જાય છે અને પૂર્વપરિચિત સૃષ્ટિ જ તાજગીનો અનુભવ કરાવે છે. કાવ્યના આરંભથી અંત વચ્ચેનોઅરૂઢ સંબંધ પણ એની રચનાઓને વ્યક્તિત્વ આપે છે.

ક્યાંક આક્રોશ, ક્યાંક કટાક્ષ પણ કર્યો છે, એ એનામાં પારકાં તત્ત્વોનો પ્રવેશ છે. લવારી જેવી લાગતી પંક્તિઓ લખીને કાવ્ય કરવામાં એએટલો નિષ્ફળ નથી ગયો. કોઈ પણ પ્રકારની રચનામાં ઉપમાએ એનો સાથ નથી છોડ્યો. સ્પર્શ કર્યા વિના સરકી જાય એ ઉપમા રાવજીનીનહિ. એની ઉપમાઓ મોટેભાગે કલ્પન બની જાય છે.

રાવજી પ્રવેશ્યો ત્યારે અદ્યતન કવિતાનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો હતો. શુદ્ધ કવિતાની વિભાવના ફરીફરી વાતાવરણમાં પ્રસારિત થવાલાગી હતી. કલ્પન, પ્રતિક, લય, ઇબારત આદિની અવારનવાર ચર્ચાઓ ઊપડતી; અને રાવજીને જીવવાનું તો એવું મળ્યું કે સંકડાશ, અસંતોષ, એકલતા અને વિષાદ પશ્ચિમનું કશુંક વાંચીને મેળવવાં પડે એમ ન હતાં. એવા વાચનની એને સગવડ પણ ઝાઝી ન હતી. એનીરચનામાં વરતાતી આધુનિક સંવેદના યુગ વિશેની એની સંપ્રજ્ઞતામાંથી જન્મી હશે એમ કહેવાનું રહેતું નથી. છતાં એના અવાજમાંવર્તમાનની બધી મૂંઝવણો અને રૂંધામણો ભળેલી છે. લાગે છે કે વેદના જ એક અનોખો અવાજ ઘડતી રહી. મુદતી ભવિષ્ય સાથે જોડાઈગયેલું દર્દ અને જતી–આવતી આર્થિક મુશ્કેલીઓ વચ્ચેય એ આનંદની ક્ષણો વીણતો રહ્યો, સહન કરવા મળ્યું એને સમૃદ્ધિ માનીને વાપરતોરહ્યો. ક્વચિત્ અસ્વસ્થતા અને આવેશ આવ્યાં તે પણ બળ બનીને. એના વ્યક્તિત્વનો સ્પર્શ વરતાતો કલ્પન અને લયને એકરૂપ કરતીએની જાનપદી પદરચનામાં, જ્યાં વિષય અને ભાષાનું સાયુજ્ય થાય અને એનું એ લાગતું સંવેદન રચનાએ રચનાએ અવનવા સ્તરેઊઘડતું જાય. પાંચસાત કલ્પન, બેત્રણ લય અને મહદ્ અંશે એક પરિમાણમાં રહીને કવિ રાવજીએ જે પરિણામ પ્રાપ્ત કર્યું એ એનાસમકાલીનો માટે એક આશ્ચર્ય છે.