સાહિત્યિક સંરસન — ૩/દેવિકા ધ્રુવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



++ દેવિકા ધ્રુવ ++


૧ : દોસ્ત —

તારી સાથે ચાલી નીકળવાની
ન તો કોઈ ઉતાવળ છે;
ન કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ,
સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ,
એની તો ખાત્રી છે જ!
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ ન આવે.
કદાચ એટલે જ તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવાં અધૂરાં કામો
પડતાં મૂકીને પણ આવીશ.
અરે, ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે જા !
પણ દોસ્ત,
એક વિ નંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં !
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.
કોઈ નિશ્ચિત તો નહિ,
પણ થોડી આગાહી આપજે.
જેથી સજધજ થઈ,
તારી રાહ જોવાય.
આરતી ઉતારી,તારું
સન્માન થાય,જન્મની જેમ જ;
દોસ્ત યમરાજ !


૨ : વંટોળ —

ફરે, ઘૂમે,ઊડે, સતત મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે, નીરવ રજનીનાં વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,
ઊંચે નીચે થાતું, સઘળું વલવાતું હૃદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું
કહું,પૂછું ત્યાં તો પરવશપણે ખેંચતું બધું.
મિટાવી ચિંતાઓ, કરકમલ લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,
અહો, કેવી લીલા કવનકણથી એ શમવતું..


૩ : અતિનાજુક —

નાજુકમાં નાજુક,
અતિ નાજુક સંવેદના.
ગર્ભાય છે મનના ઉદરમાં!
ત્યાં જ એનો આકાર બંધાય છે.
સતત શ્વસે છે એ.
એનાં હવા,પાણી ને પ્રકાશ
પીડા,વેદના ને યાતના!
એક જોરદાર ધક્કો
ને પછી પ્રસવે છે,
એક બળુકી કવિતા.
ઊછરે છે, મોટી થાય છે,
ને પછી ફેંકાય છે પ્રકાશનના બજારમાં!
એના અડ્ડાઓમાં અટવાય છે.
સોનાની એ સંવેદનાઓ
તરાશે છે ને તલાશે છે.. એક ખરા ઝવેરીને.
દિવસ ને રાત..અહર્નિશ..
ને…ફરીથી એ જ સિલસિલો..
એ જ હવા..પાણી..પ્રકાશ…
પીડા, વેદના, યાતના..
ને એ જ કવિતા.



તન્ત્રીનૉંધ :

૧ : દોસ્ત — આ દોસ્ત કોણ હશે? એની વાચકને છેલ્લી પંક્તિથી જાણ થાય છે. એ છે, કાવ્યકથકને લઈ જનારો યમરાજ, મૃત્યુ ! એમ અન્તે ચોટ આવે છે તે કાવ્યની રીતે કલા ગણાય, પણ જીવનની ભૂમિકાએ આઘાતક ગણાય, કેમકે સ્વના સંભાવ્ય મૃત્યુને આવો આવકાર તે કોણ આપવાનું હોય? જોકે કાવ્યકથકને હરેક મનુષ્યને હોય એમ તો છે જ, કહે છે : ‘તારી સાથે ચાલી નીકળવાની / ન તો કોઈ ઉતાવળ છે; / ન કોઈ અધીરાઈ’ : છતાં રચનામાં કાવ્યકથકે એ દોસ્તના આગમન માટે, એના સ્વાગત માટે, સજ્જતાપૂર્વકની પૂરી તત્પરતા વિવિધ શબ્દોમાં ઘૂંટી ઘૂંટીને દાખવી છે. કેમકે એને યમરાજની અટળ રીતભાતની જાણ છે, કહે છે : ‘વિધાન પાળવામાં, / તારી તોલે કોઈ ન આવે. / કદાચ એટલે જ તો, / તારું માન છે, સ્વીકાર છે’ : મૃત્યુને દોસ્ત ગણતી આ રચના હળવી રીતે કહેવાઈ છે, એટલું જ ! જોકે કાવ્યકથકની આવી ભરીભરી તૈયારી એના મનોસ્વસ્થ્યને સૂચવે છે, એની એ વિરલતા ધ્યાનપાત્ર છે.

૨ : વંટોળ — એક રૂપકની રીતે કવન અથવા સર્જન માત્રના જન્મ અને અવતરણની પ્રક્રિયા આલેખતું આ કાવ્ય સૉનેટ-પ્રકારે, સૉનેટની બંધારણીય શરતોએ, રચાયું છે, એ નૉંધપાત્ર છે. કારણ કે એક રહસ્યમય પ્રક્રિયાને એક શરતી કાવ્યપ્રકારમાં વિશદ કરવામાં કાવ્યકથકને સફળતા મળી છે. એ સંદર્ભમાં પંક્તિઓમાં ગૂંથાયેલા કેટલાક શબ્દગુચ્છ રસપ્રદ છે એટલા જ અર્થપ્રદ છે : ‘ફરે, ઘૂમે, ઊડે, સતત મનની ખીણ મહીં’, ‘રજકણ વિચારોની ચમકે’, ‘ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું’, ‘કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું’, વગેરે.

૩ : અતિનાજુક — ‘વંટોળ’ રચના, કાવ્ય અથવા સર્જનની પ્રક્રિયાની જે વાત કરે છે એ આ રચનામાં હળવાશથી કહેવાઈ છે. પ્રક્રિયાના પરિણામે, કાવ્યકથક કહે છે એમ, ‘પછી પ્રસવે છે, / એક બળુકી કવિતા’. તે પછી એ કવિતાના શા હાલહવાલ થાય છે તે રચનાના શેષ ભાગમાં કાવ્યકથકના રોષપૂર્વકના પણ કિંચિત્ દુ:ખી અવાજમાં કહેવાયું છે. એ અવાજ આ પંક્તિમાં ગૂંથાયેલા શબ્દગુચ્છમાં તો તીવ્ર વરતાય છે : ‘ફેંકાય છે પ્રકાશનના બજારમાં’, ‘અડ્ડાઓમાં અટવાય છે’, ‘સોનાની એ સંવેદનાઓ / તરાશે છે ને તલાશે છે.. એક ખરા ઝવેરીને’, ‘ને…ફરીથી એ જ સિલસિલો’, ‘ને એ જ કવિતા’.