સાહિત્યિક સંરસન — ૩/પ્રકાશકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકાશકીય


‘એકત્ર’ દ્વારા ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં પ્રશિષ્ટ પુસ્તકોને હાથવગાં કરાવવાનું કામ થઈ રહ્યું છે. સાહિત્યપ્રેમીઓને માટે એકત્ર ફાઉન્ડેશન આ પ્રકાશનો આંગળીનાં ટેરવાંવગા કરી આપવા માટેનું એક નવું સરનામું બની રહ્યું છે.

પરન્તુ, અત્યારના સમયમાં સરજાતા સાહિત્યનું શું તેવો પ્રશ્ન સતત પૂછાતો રહ્યો છે. અને એના જવાબમાં ‘સાહિત્યિક સંરસન Literary Consortium' સામયિક આપણી સામે પ્રગટ થાય છે. આ સામયિક આપણને અત્યારની કૃતિઓ હાથવગી કરી આપે છે.

શ્રી સુમન શાહ આપણા અત્યારના એક નોંધપાત્ર સર્જક છે. પણ એમનું સતત ચાલતું રહેલું આજીવન તંત્રીકાર્ય ઝળહળી ઊઠે તેવું છે. આટઆટલી રચનાઓને વાંચી, વિચારી, વાચકને એમાંથી વિશેષો તારવી આપવાનો એમનો પરિશ્રમ દાદ માગી લે એવો છે. ચાર દીવાલો વચ્ચેના અધ્યાપનકાળ પછી પણ એમની પાઠશાળા અવિરત ચાલુ છે અને માટે જ અહીં રજૂ કરેલાં કાવ્યો અને ટૂંકીવાર્તાઓ વધુ માણવાયોગ્ય બને છે.

પ્રતિભાશાળી લેખકોના શબ્દો, લાગણીઓ અને કલ્પનાઓ આ સામયિકનાં પૃષ્ઠોમાં પથરાઈને પડ્યાં છે એને માણીએ અને માનવઅનુભવના વિશાળ લેન્ડસ્કેપનુ અન્વીક્ષણ કરીએ.

‘સાહિત્યિક સંરસન Literary Consortium’ નો આ ત્રીજો પડાવ સહૃદય ભાવકોમાં સાહિત્યભૂખ જગવશે એવી શ્રદ્ધા છે.

-અતુલ રાવલ
એકત્ર ફાઉન્ડેશન