સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કૃષ્ણને દેવકીની વિદાય.

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. કૃષ્ણને દેવકીની વિદાય

ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;
ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. ધ૰
ધવરાવી હુલરાવશે રે, સાંઈડું દેશે ગાઢું રે;
સુંદર વદન નિહાળતાં રે, હૈડું થાશે ટાઢું રે. ધ૰
આઈ આઈ કહેશે કાલું બોલશે, તે લાગશે મીઠું રે; ૫
મેં તો પાતક પ્રૌઢાં કીધાં જો સુતનું સુખ ન દીઠું રે. ધ૰
પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;
શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. ધ૰
નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;
મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. ધ૰ ૧૦
વિષમ ચરિત્ર એ વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;
પુત્રજન્મનો આનંદ ઓચ્છવ તેને ઘેર જઈ કરિયો રે. ધ૰
તેને ઘેર તોરણ બંધાશે, થાશે અતિ દિવાળી રે;
વેરણ વિધાતાએ શું સરજ્યું, જે હું દુઃખે બાળી રે. ધ૰
પાગે વાગે ઘુઘરડી ને, પગલાં ભરશે લટકે રે; ૧૫
ઉતાવળો આવીને મળશે એને હરિ ત્યાં મટકે રે. ધ૰
તે જણ્યા વિના જનની થઈ, મારો ખોળો ઠાલો રે;
રૂપ દેખાડી અભિનવું, મને મૂકી કિમ ચાલો રે. ધ૰
પુનરપિ કહેવારે દેખીશું, સુંદર મુખ રઢિયાળું રે;
મેં રાંકે કંઈ નવ ચાલે, પછે આંસુડાં ઢાળું રે. ધ૰ ૨૦
એણી પેરે દેવકી ટળવળ્યાં, હરિને હૈયે ચાંપે રે;
પિયુ તણે કર બાલક આપે, ભેથી હૈડું કાંપે રે. ધ૰
ભામણડાં માવડી લઈને, લઈ ચાલ્યા વસુદેવ રે,
ભાલણ પ્રભુ રઘુનાથ મૂક્યા, જશોદા ઘેર તતખેવ રે. ધ૰