સાહિત્ય પલ્લવ – ભાગ ૧/જે કોઈ પ્રેમઅંશ અવતરે
૨. જે કોઈ પ્રેમઅંશ શા અવતરે
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે૰ ટેક
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ૰
સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ૰ ૫
સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ૰
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ૰
એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ફરે; ૧૦
દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ૰