સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
[આ બે કાવ્યોની લંબાઈ સરખી – ૧૪ લીટીની – છે એ સહેજે ધ્યાન ખેંચશે. એવાં કાવ્યોને ‘સૉનેટ’ કહે છે. ગંગાતીરે બેઠેલો કોઈ યોગી વહેલા પરોઢે જુએ છે કે, કોઈ માતા મૃત બાળકને (બાળવા માટે સગવડ ન હોઈ) નદીમાં સરકાવી દઈ તેની ઉપરનું લૂગડું ખેંચી લે છે. (તે પણ તેની ગરીબાઈભરી હાલતને કારણે.) યોગીના હાથમાંથી માળા નીચે પડી જાય છે. જ્યાં આવી કારમી ગરીબી (દૈન્ય) હોય ત્યાં પરિબ્રહ્મનું ચિંતન કેવું? એમ વિચારી તે આ ભૂમિને જગાડવા ખડો થાય છે. એની વાણી આગળ દૈન્ય, હવે પોતાને અહીંથી ભાગવું પડશે, એ ડરથી ધ્રૂજે છે. બીજા સૉનેટમાં નાખુદા–વહાણના સુકાની-નું ચિત્ર છે. શાંત સમુદ્રમાં તો સૌ કોઈ નાવ ચલાવે. પણ આ નાખુદા તો, આસપાસ મોજાં તાંડવનૃત્ય – પ્રલયનું નૃત્ય કરે છે, નાવ ડામાડોળ છે, ત્યારે પણ અડગ સુકાન પકડીને ઊભો છે. રાત ને દિવસ તેને મન એક જ છે. એ તો ધ્રુવ ઉપર-ધ્યેય ઉપર-દૃષ્ટિ સ્થિર રાખીને દૃઢપણે સુકાન પકડી રાખી નાવ આગળ ધપાવ્યે જ જાય છે. પહેલા કાવ્યની હકીકત મહર્ષિ દયાનન્દ સરસ્વતીના જીવન પ્રસંગોમાંથી ઉપાડેલી છે. બીજું નાખુદાનું ચિત્ર બરોબર સમજવું હોય તો દેશની ડામાડોળ સ્થિતિમાં પણ ધ્યેય પર સતત નજર રાખી આગળ વધનાર કોઈ દેશનેતાને ખ્યાલમાં લેવાથી તે સ્પષ્ટ થશે.]