સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બાની ચીમટી
Jump to navigation
Jump to search
બાની ચીમટી
(ખંડ શિખારિણી)
‘હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદી કદી મને ખૂબ પજવી,
અને મેંયે રીસે ઘણી ઘણી તને ચૂંટીય ખણી.
સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.
અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પ્હેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો.
ફરી મારો ખોળો ભરી હૃદય મારું ભરી જતો.’
×
‘મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટથી,
ન શું પાયાં મોંઘાં અમૃત અધિકાં દૂધ દિલનાં?
ન શું છતાં હેતે નયન ઉર ઉદ્દીપિત કર્યાં?
ન શું નિચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા?
‘તું તો મારી બા,’ એટલું બસ મને નિત્ય સ્મરવા :
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વીસરી જા, બા, તું ચીમટી.’
[ઇન્દ્રધનુમાંથી]
સ્વાધ્યાય
૧. તમને પરિચિત હોય એવાં માતૃપ્રેમનાં કેટલાંક કાવ્યોની યાદી કરી તેમાંથી તમને ઘણું ગમતું હોય એવા એક કાવ્યનો પરિચય આપો.
૨. આ કાવ્યમાંથી કેટલીક સુન્દર પંક્તિઓ બતાવો. કાવ્યમાં સુન્દરતા અનેક કારણે આવે છે; જેમ કે, કેટલીક વાર અક્ષરો કે શબ્દોના માધુર્યને કારણે, કેટલીક વાર અર્થને કારણે, કેટલીક વાર કલ્પનાને કારણે, કેટલીક વાર તેમાં વણાયેલાં સુરેખ સચોટ ચિત્રોને કારણે, તો કેટલીક વાર તે દ્વારા આપણી લાગણીઓ ઉપર થતી અસરને કારણે કે એવાં એવાં બીજાં અનેક કારણોએ. આ કાવ્યમાં તમને જે પંક્તિઓ સુન્દર લાગી છે તે કયાં કારણોથી તે તમે કહી શકશો?
૩. માના બાળક ઉપરના ઉપકાર તો વાતવાતમાં પણ સહુ કોઈ વર્ણવે છે, પણ આ કાવ્યમાં મા પોતાના બાળક તરફની પોતાની આભારની લાગણી દર્શાવતાં જાણે કે એક નવું જ દિશાસૂચન કરે છે. બાળકનો એ કયો ઉપકાર?