સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણ કેણે મોકલ્યું

૮. ઘડપણ કેણે મોકલ્યું

નરસિંહ મહેતા

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ટેક
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તે ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડ૦
નહોતું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ;
ઘરમાંથી હળવા થયા રે: એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડ૦
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે શેવ;
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડ૦
પ્રાતઃકાળે પ્રાણ મારા રે, અન્ન વિના અકળાય;
ઘરના કહે, ‘મરતો નથી રે તને બેસી રહેતાં શું થાય?’ ઘડ૦
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ; ૧૦
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડ૦
નવ નાડો જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં છોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડ૦
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બાર. ઘડ૦
એવું સાંભળી પ્રભુ ભજો રે, સંભારજો જગનાથ;
પરઉપકાર કીધે પામશો રે, ગુણ ગાયે નરસૈંયો દાસ. ઘડ૦

સ્વાધ્યાય

૧. કૃષ્ણ અને ગોપીનું વર્ણન આપો.
૨. મટુકીમાં ગોપીએ શું જોયું?
૩. રાસનું વર્ણન કરો.
૪. કૃષ્ણ કેમ આવતા નથી તે વિષે બે ભરવાડો વચ્ચે સંવાદ રચો.
૫. ઘડપણ વિષે નરસિંહ મહેતો શું કહે છે?
૬. આ ગીતોમાંથી કોઈ પણ એક ગીત તમને શા માટે ગમ્યું, એમાંનાં ક્યાં ચિત્ર, કઈ લીટીઓ, કયા શબ્દ, ઢાળ, વગેરે ગમી ગયાં તે કહો.
૭. છેલ્લું અને બીજાં કોઈ પણ બે કાવ્ય કંઠસ્થ કરો.