સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નંગા શિખર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. નંગા શિખર

ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’

[હિમાલયના નંગા શિખરની ઉપર પહોંચી જવા દેશદેશાવરથી અનેક ટુકડીઓ આવે છે ને અરધે રસ્તે હાલહવાલ થઈને પાછી ફરે છે. મરતાં તો ત્યાં મુશ્કેલી જ પડતી નથી. બરફ ધસી આવે ને અંદર આપણને પણ લપેટીને ચાલ્યો જાય. છતાં એની ટોચ પર પહોંચવા દૂર દૂરથી સાહસિકો આવે છે. આમાં કાંઈ દુનિયાની દૃષ્ટિએ ફાયદો તો છે જ નહિ. પણ નંગા પર્વતના શિખર પર છાતી કાઢીને ટટાર ઊભા રહેવું, એને જીવનનો પરમ આનંદ માનનારા કેટલાક ‘મૂખ’ માણસો પડ્યા છે! જીવનની પરવા ન કરનારા, મહત્ત્વાકાંક્ષાની ખુમારીવાળા, આવા સાહસિકના ઉદ્ગારો આ કાવ્યમાં છે. આવો માણસ નંગા પર્વતની મશ્કરી ન કરે. પોતાને પાછા ફરવું પડે છે, પોતે હારે છે, છતાં પર્વતને-દુશ્મનને-તે ધન્યવાદ જ આપે છે. માત્ર એટલું કહી રાખે છે કે, આજે તું ભલે મને તારા શરીર પરથી ખંખેરીને ફેંકી દેતો, પણ એક દિવસ તો આ નાનકડો માણસ જેણે અનેક ભારે કાર્યો સિદ્ધ કર્યાં છે તે તારા મસ્તક પર પગ દઈને ઊભો રહેવાનો જ. પણ ત્યાં સુધી? જ્યાં સુધી તું જિતાય નહિ, એટલે કે વામન માનવી આગળ હિમાલયને પોતાનું મસ્તક નમાવીને ઊભા રહેવાનો વખત આવે નહિ, ત્યાં સુધી તો તું અમારી સંકલ્પશક્તિ (will-power)ના આદર્શ રૂપે રહીશ. બીજા શબ્દોમાં, અમારી સંકલ્પશક્તિ અમે તારી મદદથી જ કસીશું અને હિમાલયને પણ આખરે નમાવીશું. ૨. કૂટ - શિખર. ૪. દુર્ધર્ષ્ય—જેની સામે ન થઈ શકાય એવો. ૫. ઉન્નત (ઊંચું) છે શૃંગ (શિખર) જેનું. ૮. મનુષ્યો તો ઠીક પણ પંખી પણ ત્યાં ન હોઈ ‘સહરા’રૂપે ત્યાંના સૌન્દર્યના વિસ્તારને ઓળખાવ્યા. ૧૦. જેને તલ (તળિયું) અને અંત નથી તે. ૧૧. નિહારિકા — આકાશમાં તેજનાં વાદળાં જેવી દેખાય છે તે. ૧૩. મહત્ત્વની કાંક્ષા (ઇચ્છા). ૧૫. નિર્ભીક – ભય વગરનો. ૨૧. અજય્ય — ન જીતી શકાય એવો. ૨૪ અધૃષ્ય - જેને સામનો ન કરી શકાય એવું. ૩૨. દુર્જેય — દુઃખથી જીતી શકાય એવો. (પણ જીતી શકાય એવો તો ખરો જ. લીટી ૨૧-૨૨ માં કહ્યા પ્રમાણે ‘અજય્ય’ નહિ.) ૩૩. પ્રતીક - નિશાની, ચિહ્ન. ૩૬. દુર્દાન્ત – જેનું દમન ન કરી શકાય, દાબી ન શકાય એવો. ૩૯. ઊર્ધ્વ ઊંચું છે મૂર્ધા (માથું) જેનું. ૪૦. નત (નમેલું) છે શૃંગ (શિખર) જેનું. લીટી પ માંના ‘ઉન્નતશૃંગ’થી વિરુદ્ધનો અર્થ.]

(મિશ્ર)
ઉત્તુંગ નંગા!
હિમાદ્રિકૂટોની કતાર મધ્ય
ઊભેલ કો કટ્ટર કાળમીંઢ
દુર્ધર્ષ્ય યોદ્ધા સરખો કરાલ,
રે ધન્ય ઓ ઉન્નતશ્રૃંગ નંગા!
નિષ્કંપ નંગા!
સીમાન્ત ચોમેર સુવિસ્તરન્ત
સૌન્દર્યનાં તેં સહરા નિહાળ્યાં,
દીઠા મહાતાંડવખેલ મેઘના.
જોયાં કર્યાં, ને, અતલાન્ત આભ
નિહારિકાનાં વમળે ભરેલ.
દીઠી પરંતુ હતી તેં કદીયે
મહત્ત્વ-કાંક્ષા ન મનુષ્ય કેરી.
ચાખેલ ના એની કદી જયેષણા.
નિર્ભીક નંગા!
આવ્યો જ આવ્યો તવ જો તળેટીએ,
ચઢ્યો ઊભો માનવ સ્કંધ તારે,
ખંખેરી ડિલેથી ફગાવતો ભલે,
ભલે ધુણાવે તવ શીર્ષ ચંડ.
એ ઊભશે એક દી મસ્તકે તવ,
હિમાદ્રિના ધન્ય અજય્ય શૃંગ!
અજય્ય નંગા?
ના, ના, ન કૈં માનવને અજય્ય,
ન વા કંઈ માનવને અધૃષ્ય.
જાણે ન તું ગૌરવ માનવોનું,
જેણે નવે અર્ણવને વલોવ્યા,
મઢ્યાં રણોને નવપલ્લવો વડે,
ખણ્યાં ધરા ભીતર તાગ લીધા,
વીંધ્યા ગિરિ, બાગ ગણ્યાં અરણ્યો,
નાથ્યા નદો ને પવનો પલાણ્યા.
શો ગર્વ એ માનવ પાસ રે તવ!
દુર્જેય નંગા!
પ્રતીક તું કિંતુ જયેષણાનું,
મહત્ત્વ-કાંક્ષા તણું માપ ભવ્ય.
સોહીશ આદર્શ તું માનવોના
દુર્દાન્ત સંકલ્પ પ્રભાવ કેરો
દુજેય તું જ્યાં લગી ના જિતાશે,
ના જ્યાં લગી વામન માનવી કને
યુગાન્તરોથી દૃઢ ઊર્ધ્વમૂર્ધા
હિમાદ્રિયે તે નતશૃંગ ઊભશે.

નિશીથ’માંથી

સ્વાધ્યાય

૧. નંગાપર્વતનું માહાત્મ્ય સમજાવો.
૨. તેની ઉપર ચડવા માગતા સાહસિકો વિષે તમે શું ધારે છો?
૩. માણસ નંગાપર્વતને શું સંભળાવે છે?
૪. હિમાલયથી પણ ઊંચો થઈને માનવ ઊભો રહે ત્યાં સુધી એ નંગાશિખર તરફ કઈ દૃષ્ટિએ જુએ છે?
૫. નંગાશિખરને જે જુદાં જુદાં સંબોધનો (ઉત્તુંગ, નિષ્કંપ, વગેરે) છે તે સમજાવો.
૬. મહત્ત્વાકાંક્ષા અને સાહસ ઉપર નિબંધ લખો.