સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જઠરાગ્નિ
ઉમાશંકર જોષી
[‘કુતૂહળ’માં વપરાય છે તે જ છંદ, અને તે જ કાવ્યતત્ત્વનાં પોષક અંગો વડે પ્રાણવાન બનેલું આ કાવ્ય સૉનેટ જાતિનું છે. ‘કુતૂહળ’માં કવિએ પ્રાસની દરકાર નથી રાખી, જ્યારે આમાં મોટે ભાગે પ્રાસ મેળવ્યા છે. ગરીબ લોકોનાં જીવન પ્રત્યે બેદરકાર રહી પોતાના ધનવૈભવમાં મશગૂલ એવા દ્રવ્યાન્ધ લોકોને સંબોધાયેલું આ કાવ્ય જાણે શરૂઆતથી જ ધનિકોની એ લીલાની ઠેકડી કરવું હોય તેમ કહે છે; ‘રચો, રચે, ભલે આજે એ તમારા મહેલ મિનારા રચો! પણ . .’ અને એમ ‘પણ’ કહેતાંની સાથે જાણે ક્રોધથી તર્જની ઊંચી કરી કવિ રૌદ્ર વાણીમાં કહે છે : ‘પણ યાદ રાખજો, એક દિવસે એ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’—અને ત્યારે? એ જઠરાગ્નિનું રૌદ્ર સ્વરૂપ અને તેની સંહારલીલા એ આ કાવ્યનું હાર્દ છે. કવિતામાં એટલા ઓછા શબ્દોમાં અને એટલું તો અસરકારક રીતે એ ગૂંથાયું છે કે એને બીજા શબ્દોમાં મૂકતાં એના અર્થને હાનિ જ પહોંચે. એટલે હૃદયશૂન્ય ધનઘેલછાને અપાયેલો એ શાપ તો કવિના શબ્દોમાં જ આપણે જોવો જોઈએ. આ કાવ્યની ત્રીજી પંક્તિમાં ‘લટકાઓ’–માંના ‘ઓ’નું ઉચ્ચારણ લઘુ કરવાનું છે. એટલે ‘લટકાવ’ જેવો ઉચ્ચાર કરવાથી એ પંક્તિ સારી રીતે વાંચી શકાશે.]
(મિશ્રોપજાતિ)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાઓ ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદન-વાટિકાઓ,
રાચો રચી કંચન સ્થંભમાળા!
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અન્તર રુંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે!
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
’ગંગોત્રી’માંથી
સ્વાધ્યાય