સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રયાણ-ઘડી

૩. પ્રયાણ-ઘડી

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

જો પશ્ચિમ કેરે દ્વાર નમણી સાન્ધ્ય પ્રભા,
વિલસે ત્યાં ઊંડે આભ રંગની સૌમ્ય છટા.
સંધ્યાના ઘેરા બોલ પડે તુજ કાને કે?
નભ તારકના સંદેશ નયન તુજ વાંચે કે?
તુજ ધામ હજી અતિ દૂર હજી પથ આધે રે!
વચમાં તો ગંભીર-નીર સાગર ગાજે રે!
હોડી જો છેલ્લી એક ઊભી તુજ માટે રે,
વહે આતુર સૌમ્ય સમીર સંધ્યા ઘાટે રે!
જો ક્ષિતિજની રેખા દૂર દીસે ત્યાં ઝાંખી રે,
છે જવાનું તેની પાર રાત વટાવી રે!
ઊગે ત્યાં ઊંડે આભ ઝાંખો તારો રે,
કરી દૃષ્ટિ તે પર થીર પથ જો તારો રે!
હવે જુદા આપણ પંથ સીમા આવી રે,
ઘડી નીરખી લે આ ભોમ દીન અમારી રે!
રે! સૂનાં આ અમ ફૂલ, સૂનો આરો રે,
નહિ ડગવો સૂની ભોમ આત્મા તારે રે!
ભરશે પ્રભુ પ્રેમની જ્યોત પંથ પ્રકાશે રે,
રે! વિરાટ કેરા ઘાટ સ્વાગત ગાશે રે!
નહિ રજની આંસુ સાર, દિશાઓ રોશો મા —
આ પ્રયાણ-ઘડી અભિરામ! પાછું જોશો મા!

સ્વાધ્યાય

૧. પહેલા ગીતમાં નાવની મુશ્કેલીઓ વર્ણવો.
૨. એ નાવમાં શું છે?
૩. બીજા ગીતનો ભાવાર્થ સમજાવો.
૪. પ્રયાણ-ઘડીનું વર્ણન કોણ કરે છે? વિદાય થતો આત્મા વર્ણન કરતો હોય તેમ લખો.
૫. પ્રયાણ-ઘડીને ‘અભિરામ’ શા માટે કહી છે?
૬. કોઈ પણ બે ગીત મોઢે કરો. પસંદગીનું કારણ આપી શકશો?

‘અર્ધ્ય’માંથી