સાહિત્ય પલ્લવ – ભાગ ૨/માતા
૧. માતા
હરિશ્ચંદ્ર ભટ્ટ
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં,
ફરી ફરી જન્મ લઈ કરું પૂરાં.