સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જક્ષણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જક્ષણી

રામનારાયણ વિ. પાઠક

હું ભાતું કરતી હતી, ત્યાં એમનાં પગલાં સંભળાયાં. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે: ‘કેમ?’ પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા, ‘કેમ, આ શું આદર્યું છે? મેં કહ્યું : ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’ ‘પણ ક્યાં? શા માટે જાય છે?’ ‘મારા અક્ષર સુધારવા અને તમારો અભ્યાસ વધારવા.’ એક વખત હું લાંબે વખત મળી, મારા મનમાં એમ કે એ શું શું કહેશે, ત્યારે ધીમે રહીને કહે કે, ‘જુદાં રહેવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના અક્ષરો સુધરે છે; કારણ કે સ્ત્રીઓ તે દરમિયાન કાગળો લખે છે. તે સિવાય તેમને લખવાનો મહાવરો થતો જ નથી.’ અને હું ભેગી હોઉં ત્યારે લગભગ હમેશાં જ ફરિયાદ કરે કે મારે લીધે પોતાનો અભ્યાસ આગળ ચાલી શકતો નથી. ‘પણ મારા ખાવા કરવાનો કાંઈ વિચાર કર્યો? આ મોતી શું કરશે?’ મોતી અમારી કૂતરી હતી. મોતી જેવી સફેદ, સુંદર, સુંવાળી. મેં કહ્યું: ‘હિંદુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહિ કરનારને મળી રહે છે. માણસને નથી મળતું પણ કૂતરાં, કીડીઓ, મંકોડા, માછલાં, એમને મળી રહે છે. તો મને તમારી કોઈની ચિંતા થતી નથી.’ ‘ભલે, જવાની ના નથી. પણ ક્યાં જવું છે?’ પૂરીઓ વણતાં વણતાં મેં કહ્યું: ‘છૂપી પોલીસો અને ગુના પકડ્યાની વાતો લખો છો ત્યારે એટલું તમારી મેળે જ શોધી લેજો.’ કદાચ એમના આવ્યા પહેલાં મારે નીકળવું પડે, માટે મેં ચિઠ્ઠી લખીને, તેમના જોવામાં આવે તેમ, એમની અધૂરી લખેલી વારતા ઉપર, દબાવીને મૂકી હતી. ‘તમારી આંખમાંથી તો કાંઈ એક્સ-’ ‘ગુજરાતીમાં બોલો.’ ‘ક્ષ-કિરણો નીકળે છે!’ મેં પૂરીઓ તળતાં જવાબ આપ્યો : ‘ક્ષ નહિ, એથી જરા આગળ, જ્ઞ-કિરણો નીકળે છે.’ ‘ત્યારે એ જ્ઞ-કિરણો વડે જરા પ્રેમાનંદનાં નાટકો કોનાં છે તે કહોને, મારાં સર્વજ્ઞા બાઈ! બિચારા ‘જ્ઞ’ ઘણા વખતથી મહેનત કરે છે તેમને મદદ થશે. તે દહાડે આપ્યાં, પણ વાંચ્યાં કેમ નહિ?’ ‘ચાલો, મેં પીરસ્યું. જમતાં જમતાં વાત કરો. તમે કહેતા હતા કે પ્રેમાનન્દની કૃતિઓ સ્ત્રીબાલવૃદ્ધ સર્વને ગમે તેવી છે. આ નાટકો અમને ગમતાં નથી, તો એ પ્રેમાનન્દનાં નથી એમ સાબિત થયું કે નહિ? હવે તમે ખુશીથી કહી શકો કે એ નાટકો પ્રેમાનન્દનાં નથી.’ ‘હું એમ પ્રસિદ્ધ કરું કે મારી પત્નીને એ નાટકો ગમતાં નથી માટે એ પ્રેમાનન્દનાં નથી! વાહ!’ મેં કહ્યું : ‘વાહ, કેમ? મારો અભિપ્રાય પ્રસિદ્ધ કરતાં શરમાશો? તમે તો એવા ને એવા રહ્યા, અને પેલા ભાઈએ ગાંધીજીનું મોઢું ગમે કે નહિ એ પોતાની બૈરીને પૂછીયે લીધું, અને પ્રસિદ્ધ પણ કર્યું! તમે તો કોઈ મહાજન વિષે મને પૂછ્યું પણ નહિ!’ ‘લે હું પણ એક અગત્યના મોઢા વિષે પૂછું.’ ‘પૂછો.’ ‘મારું મોઢું તને ગમે છે?’ ‘પણ તમે મહાજન છો?’ મેં કહ્યું. ‘એક અંગ્રેજ લેખક એક સ્ત્રીપાત્ર પાસે કહેવડાવે છે કે ઇંગ્લંડનો પ્રધાન કોણ છે એ કરતાં મારા ધણી કોણ છે એ મારે અગત્યનો પ્રશ્ન છે. તો મોઢાની બાબતમાં તો કોઈ બીજાના મોઢા કરતાં મારા મોઢાનો પ્રશ્ન વધારે અગત્યનો ખરો કે નહિ?’ મેં કહ્યું : ‘અને ના પાડીશ તો શું કરશો?’ ‘તું જે કહીશ તે.’ ‘ત્યારે તમારું મોઢું આ પંદર દિવસ નહિ ગમે; અને કહું છું આગ્રાની ટિકિટ લઈ આપો.’ એકદમ ગંભીર થઈ પૂછ્યું : ‘કેમ, કમળાને ઠીક નથી?’ મેં કહ્યું : ‘કંઈ ગંભીર નથી, પણ ઑપરેશન કરાવવું પડશે એવો તાર છે. ઝનાના ઇસ્પિતાલ એટલે ઓઝાથી મળી પણ નહિ શકાય. હું એટલા દિવસ કમળા સાથે રહીશ.’ ઓઝા દંપતી અમારાં સ્નેહી હતાં.

જગતમાં પત્ની વિનાના સ-ધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર કે તેને માટે શબ્દ પણ નથી જડતો. સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તૃકા, મરી ગયો હોય તો વિધવા. કુમારિકા એ સુખ સૌભાગ્યશૃંગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રેાષિતભર્તૃકા વિયોગના શૃંગારનું, વિધવા કરુણનું. પુરુષ પરણ્યો ન હોય તો? વાંઢો. પરણ્યા પછી? વળી પછી શું? પરણેલો, ધણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો? તેનું નામ જ નહિ. રાંડ્યા પછી? વિધુર. બિચારો કોઈ પણ રસનું આલંબન નહિ! વાંઢો એટલે જગત બહારનો. પરણ્યા પછી જો સ્ત્રી તરફ આસક્ત હોય તો પોમલો, એમ ન હોય તો લાગણી વિનાનો, નિર્દય, અને સદાને માટે સ્ત્રીનું સૌન્દર્ય, સ્વાતંત્ર્ય હરી લેનારો. વિધુર એટલે બીજી વાર પરણવાનો ઉમેદવાર, ફાંફાં મારનાર; સ્ત્રી મળે તો પાછો ધણી અને ન મળે તો વાંઢો. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તો ‘શું કંઈ એક દિવસનું છે, કોને ઘેર જવાય? અથવા થોડા દિવસ ગમે ત્યાં કાઢી નાંખશે.’ પણ કોઈ દિલસોજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઈએ, પણ કોઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ! ‘સ્ત્રી ન હોય તો થઈ શું ગયું? શું તમને ખાવા નથી મળતું? પહેરવા નથી મળતું? પૈસા નથી મળતા? શું નિરાધાર થઈ ગયા? તમને શી ખોટ છે? ઊલટું વિ-ધુર એટલે થોડો વખત ધુરા - ધોંસરી નીકળી ગઈ!’ મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ઘોંસરીના વિના તેને અડવું લાગે છે. હું એક વાર ગાડામાં મુસાફરી કરતો હતો ત્યારે એક મકરાણી અધમણની જામગરીવાળી દેશી બંદૂક લઈ સાથે આવતો હતો. મેં કહ્યું : ‘જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઈ ભો જેવું નથી.’ જમાદાર કહે : ‘એ બોજસે ઠીક ચલા જાતા હૈ.’ પ્રેમાનંદ કહે છે તેમ, ધણી સુરભિસુત છે. તેને ધોંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી. મંદવાડમાંથી ઊઠ્યા પછી ઓઝાનો છોકરો એક દિવસ જમવા બેઠો હતો. જમી રહ્યો, કમળા કહે : ‘ઊઠ, મોં ઘોઉં.’ કીક ઊભો થયો અને રડવા લાગ્યો. કહે: ‘ચલાતું નથી, પગમાં કંઈક થાય છે, કાંટા વાગે છે.’ બેઠેલાં બધાં હસી પડ્યાં. તેને પગે ખાલી ચડી હતી. સ્ત્રી જાય છે તેથી બીજું કાંઈ થતું નથી; હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તો લોકો હસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે! બધા સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે વિકટ બનતો જાય છે. હવે કરવું શું? શાસ્ત્રકારોએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રોષિતભર્તૃકા, વિધવા, સર્વનાં કાર્યોનો વિધિ રસના સિદ્ધાન્ત ઉપર ઠરાવેલો છે. પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રોષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું ને શું ન કરવું? નાહવું નહિ? પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું? ચા ન પીવી? ખરાબ કરીને પીવી? બહાર ખાવું? ઘેર ખાવું? હજામત ન કરવી? વાળ ન ઓળવા? ઑફિસમાં વખતસર ન જવું? રાતે દીવો ન કરવો? ખુરશીમાં ઊંઘવું? રાતે જાગી દિવસે ઊંઘવું? શું કરવું ને શું ન કરવું? ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે. અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં, ઊઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યારે ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે. મને નીચેનું કાવ્ય સ્ફુર્યું :

कञ्चिद् भर्थ्याः स्मरसि रसिके त्वं हि तस्याः प्रियेति ।

તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો:

ધણિયાણીને સ્મર છ કનિ, તું વ્હાલી તેની હતી તે?

તમને આમાં દોષો લાગશે. પણ મોતી તો આ સમજી ગઈ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું. પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયો. મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહે : ‘અહો! સાહેબ, ઘણે દિવસે આવ્યા! આવા દૂબળા કેમ પડી ગયા? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે!’ હું તેની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું. મેં કહ્યું : ‘હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસો.’ જે દી ‘નવરો દીનાનાથ’ તે દી મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાને બાફીને છાલ કાઢી નાખીએ એવો ધોળો, અને તેની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. તેનાં લથડબથડ અંગો જાણે ધસી ન પડે એટલા માટે, કાછિયો સૂરણબટાટા ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી પોતડીથી બંધ બાંધેલાં હતાં. પેટ મોટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા અને ઉપલા ભાગ ઉપર કાળું જનોઈ પરસેવાથી ચોંટી ગયું હતું. ઊભો રહે ત્યારે વચ્ચેથી પગ જરા વધારે પહોળા, ગોળાકાર રહેતા અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. મોંમાં જાણે નીચલા જડબામાં એક નહિ પણ દાંતની બે હારો જેવું, અથવા આખા જડબામાં જાણે દાઢો જ હોય તેવું જણાતું હતું અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઈ ગયેલા હશે કે માટી કાચી હશે એટલામા જ તેને કપાળે અને બરડે થાબડ્યો હશે,— કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસો એવો બહાર નીકળેલો હતો. મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા બેઠેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહે, ‘મહારાજનો સ્વભાવ બહુ સારો.’ મહારાજ પીરસી રહ્યા હતા પણ રસોડામાં ગયા, ઘીની વાડકી લઈ આવ્યા અને કાંઈ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું, અને પછી અમારી બેની સામે પગ પર પગ ચડાવી બેસીને, પગનાં તળિયાં પર ડોલતા ડોલતા હાથ ફેરવતા ફેરવતા બોલવા લાગ્યા : ‘મારો તો જીવ મોટો. અમે તરવાડી કોઈ દી લોભ ન કરીએ. આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા, એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અરધા ભાર ઓછા લોટાનું લહાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે; ભલેને અહીં નોકર હોઈએ, પણ નાતમાં સૌ સરખા, અમે કોઈની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચોવચ્ચ સંભળાવી દઈએ. હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી લઈ માગી ખાતાં કાંઈ શરમ ઓછી જ લાગવાની હતી? કેમ હેં?’ મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાંખ્યો : ‘આ પંડ્યા તમારી નાતના છે?’ ‘હા સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગે હાથે ચાંદલો કર્યો છે પણ મારા લગ્ન માટે તેણે બે વેણેય કોઈને કહ્યાં નથી.’ મેં રેવાશંકર સામું જોઈને કહ્યું : ‘બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે! એમને જક્ષણીની વાત કહું?’ રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠ્યા : ‘જક્ષણી કોણ?’ મેં કહ્યું : ‘મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત્ મહામાયા જોઈ લો. રાતે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જે માનતા માનીએ તે ફળે એવાં છે!’ ‘ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓને!’ મેં કહ્યું : ‘અરે! અરે! એ શું બોલ્યા! એ તો કોઈને મળતાં જ નથી. બસ દિવસ આખો ઘરમાં બેસી રહે અને ધ્યાન ધર્યાં કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે? અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહિ ને માગ્યો તે આંધળો છોકરો આપ્યો. બોલો!’ હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિન્તા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કંઈક હેઠો બેઠો અને બોલ્યા : ‘પણ મારા નસીબમાં તો છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે. પણ કન્યા જરા નાની છે. પણ નાની છે પણ રૂપાળી બહુ છે હાં! અને નાની છે પણ મૂઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે, મારા સારુ શું લાવ્યા? અને પાણી મગાવું તો ધમધમ કરતી લાજ કાઢીને ચાલે!’ છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેનાં શીકરો ઊડવાની ભીતિ હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા અને મને અને રેવાશંકર બંનેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે. મેં કહ્યું : ‘ત્યારે તો તમારે જક્ષણીમાતાનું કાંઈ કામ નથી.’ મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યા : ‘તમે વૈદું જાણો છો?’ ‘ના.’ ‘હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા, તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ.’ – નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ઘદૃષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાત ‘ડેપ્યુટી’ તરફ મને ઘણું માન થયું. ‘બૈરી નાની તે વૈદને પૂછીને તેમણે ટોપરું ખવરાવ્યું, તે બૈરી તો મોટી આવડી થઈ! ’ મહારાજે ડાબા હાથનો પંજો પોતાને ડાબે ખભે અંગૂઠાને આધારે ટેકવ્યો. ‘હું એક વાર સાંભળું તો ભૂલું નહિ. મેંય ખવરાવવા માંડ્યું છે. પણ હજી ઊંચી નથી થઈ. ઓંમ કાઠું કર્યું છે, પણ હજી દીઠે નીચી લાગે.’ મેં કહ્યું : ‘ત્યારે બીજી બાયડી જોઈએ છે? ‘ના, ના, બીજી આવી ન મળે. જક્ષણીમાતાને કહીને ઝટ મોટી થાય એમ કરો. અને મારે ઘેર બૈરી સુખી થાય હાં. જુઓ કશું કામ છે? રાંધું પણ હું. તેને દાળચોખા વીણવા પડે. અને હું રસોઈયો ખરો, પણ બાર વાગ્યે છુટ્ટો. ગામમાં નીકળું તો મને કોઈ રસોઇયો ન જાણે. હજામત તો હેરકટિંગમાં જ કરાવવાનો. આઠ આના તો લે આઠ આના. ને માથામાં તેલ અત્તર પોમેટમ. મહિનામાં એકબે વાર નાટકસિનેમા તો ખરાં જ. બૈરી દુ:ખી ન થાય હાં.’ મહારાજે ધણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું, ‘ત્યારે હું જક્ષણીમાતાનાં દર્શન કરવા આવું?’ મેં કહ્યું : ‘ના, એમ તો નહિ. એ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઈને વળગે. તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ.’ મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું : ‘એ રાત્રે તો જમતાં નથી. સવારે છોકરો મોકલીશ એટલે પહેલાં તેની સાથે મોકલજો. સાંભળો : ફક્ત ચાર રોટલી, ભાતદાળ, શાક નહિ. ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ, એ મફત ખાતાં નથી. પણ વખતસર કરવું.’ મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલ્યું.

હું પાછી આવી. ધાર્યા કરતાં એક દિવસ વહેલી નીકળી શકી. ઘર ઉઘાડ્યું. સ્ત્રીપુરુષના સમાન હક હોવાથી ઘરની કૂંચીઓ અમો બંને પાસે રહે છે. ઘરમાં ગઈ. મોતી પૂંછડી હલાવતી હલાવતી સામી આવી. પણ આખા ઘરમાં માત્ર એ જ બરાબર હતી. બાકી જ્યાં જોઉં ત્યાં ધૂળ. ખુરશીઓ સિવાયની બધી વસ્તુઓ, ચોપડીઓ, પણ એમ ને એમ પડેલી. ટેબલ પર પણ ધૂળ અને કાગળદાબણિયા નીચે મેં ચિઠ્ઠી મૂકેલી તે એમની એમ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડ્યા હશે! મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ પર જઈ કાચમાં જોયું. રસ્તાનો થાક અને આ ધૂળ! મનમાં થયું: લાવ માથે નાહી લઉં. માથું છોડ્યું. ત્યાં કમાડ ખખડ્યું. મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઈ કમાડ ઉઘાડ્યું. આ કોણ! એક ઘણો જ કદરૂપો માણસ, કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું ખસી ગઈ. મેં કહ્યું : ‘અલ્યા કોણ છે? કેમ આવ્યો છે?’ ‘જક્ષણીમાતા! ખમા કરો! સેવકના ઉપર મહેર કરો.’ મેં કહ્યું : ‘પણ હું જક્ષણી કે દા’ડાની?’ ‘હંમેશ નીકળતો પણ ઘર બહારથી બંધ; આજ તાળું નથી એટલે દર્શન કરવા આવ્યો છું. મારા મનના મનોરથ એક વાર પાર પાડો. તમે કહેશો એ માનતા માનીશ.’ ‘ભાઈ, તને કોઈકે ભરમાવ્યો છે. હું જક્ષણી નથી,’ કહી મેં કમાડ બંધ કરવા માંડ્યું તો અંદર આવવા લાગ્યો અને કહે : ‘માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું તે સામું તો જુઓ!’ હું ચિડાઈ ગઈ. વળી તું ખાવાનું મોકલનાર કોણ? જાય છે કે નહિ? આ ઘોકણું લગાવું?’ અને અંદરથી મોતી ઘૂરકી. મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઈ પાછું મૂક્યું. તે વળી બક્યો; ‘માતાજી, મારા નસીબમાં બૈરી છે. મારે નવી નથી જોઈતી. તે ઝટ મોટી થાય એટલું કરો.’ હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધોકણું લીધું. ‘હરામખોર’ કહી મારવા જતી હતી ત્યાં ‘ચંડી, કોપ ન કરો’ કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી, એ અંદર પેઠા; મને ફરીથી કહ્યું : ‘ચંડી, પ્રસન્ન થાઓ!’

સ્વાધ્યાય

૧. આ વાર્તામાં મુખ્ય પ્રસંગ ક્યો?
૨. ‘જક્ષણી’ શીર્ષકની યથાર્થતા વિષે ચર્ચા કરો.
૩. હાસ્ય અને કટાક્ષના પ્રસંગો આમાં કયા કયા આવે છે તેનો ઉલ્લેખ કરો.
૪. લેખકનો અતિ નિર્દય કટાક્ષ કોના તરફ છે - કોઈ વ્યક્તિ તરફ કે મનુષ્યસ્વભાવની કોઈ નબળાઈ તરફ? ઉત્તર વિગતે અને સ્પષ્ટતાથી આપજો.
૫. ‘પ્રસન્ન દામ્પત્ય’ના ચિત્ર તરીકે આ વાર્તાને ઓળખાવવામાં આવે તો તે સાથે તમે કેટલે અંશે સંમત થશો?