સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં

૧. ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં

નરસિંહ

ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,
નિત્ય વલોણાં વલોવતાં રે લોલ.
લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,

મેરુ રવૈયો ઘાલી રે લોલ.
ભલે૦


એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં,

એકી પા કાનજી કાળા રે લોલ.
ભલે૦


હળવા હળવા ઘૂમજે રે કાનજી,

ગોળી નંદાશે મારી રે લોલ.
ભલે૦


ગોળી નંદાશે ને ચોળી છંટાશે,

તૂટશે મોતીની માળા રે લોલ.
ભલે૦


કાળીનાગનાં નેતરાં રે કીધાં,

મેરુ કીધો રવૈયો રે લોલ.
ભલે૦


સાત સાહેરની ગોળી રે કીધી,

ને ચંદો સૂરજ બે સાખી રે લોલ.
ભલે૦


ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,

સાત સાહેર વલોવતાં રે લોલ.
ભલે૦