સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મનસુખલાલ ઝવેરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મનસુખલાલ ઝવેરી

[જીવનની કોઈ મહદ્ ઘડી ક્યારે અને કેમ આવીને ચાલી જાય છે તેની પણ આપણને ખબર નથી પડતી, અને કેટલીક વાર એ ગયા પછી આપણે હાથ ઘસતા રહી જઈએ છીએ એવો અનુભવ કોને નથી હોતો? અને એ વિરલ ઘડી એટલે શું? આપણા મનની કોઈ અદમ્ય ઝંખનાની સિદ્ધિ? ચિત્રકારની ઝંખના કોઈ શ્રેષ્ઠ ક્લાકૃતિ માટે હોય, કવિની કોઈ મહાકાવ્ય માટે, સેનાપતિની વિશ્વવિજય માટે — પણ બધીય ઝંખનાના સારરૂપ ઝંખના તો ઈશ્વર માટેની જ ને? એટલે આ કાવ્યમાંના ‘તું’ને ઈશ્વર લેખી કાવ્ય વાંચતાં આનંદ આવશે, કવિએ એમાં વર્ણનો છટાભર્યાં કર્યાં છે; અને તેમાં વૈવિધ્ય પણ સારું આણ્યું છે. વીજળીનું જ વર્ણન લો. કવિએ એકથી વધુ વાર વીજળીનો ઉલ્લેખ કર્યો છે, પણ તે દરેક વખત તેના વર્ણનમાં તે ચમત્કૃતિ લાવી શક્યા છે; અને છેલ્લો જ્યાં એનો ઉલ્લેખ આવે છે ત્યાં તો કવિએ વર્ણન-શક્તિનો પણ જાણે ચમકારો જ કરી મૂક્યો છે, આ રહી એ પંક્તિઓ -

ને વીજળીયે નિજ અંગ તેજને
વેરી રહે અંદર બ્હાર ને બધે.

કેવું સુરેખ ચિત્ર આ પંક્તિઓમાં ચીતરાઈ રહ્યું છે. બીજી પંક્તિમાંનાં ‘ર’નાં આવર્તનો એ વેરાવાની-વરસવાની ક્રિયાને જાણે પ્રત્યક્ષ ન બનાવી મૂકતાં હોય એવાં લાગે છે, અને ‘અંદર’માંના અનુનાસિકનો થડકારો ‘બહાર’માંના ‘આ’ના ઉચ્ચારણથી થતો સીમા-વિસ્તાર ને ‘બધે’ માંના ‘ધે’ના ઉચ્ચારણમાં રહેલી પ્રવાહિતા વીજળીના પ્રકાશની ગતિ અને વિસ્તારનો આપણને કેટલો બધો સરસ ખ્યાલ આપે છે! પ્રદોષે –સંધ્યાકાળે. રજોટવાને પદપદ્મ-ચરણરૂપી કમળને રજથી ખરડવા. વંચના- છેતરપિંડી. પ્રથવી-આ શબ્દને ખોટો કે છાપ-ભૂલવાળો નહિ લેખવો. પૃથિવી-પૃથ્વીમાંથી તદ્ભવ – જેમ અમૃતમાંથી અમ્રત.]