સુરેશ જોશી/૨. કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨. કવિતા

કાવ્યસ્વરૂપ પરત્વે અંગત રીતે વધુમાં વધુ પક્ષપાત હોવા છતાં સુરેશ જોષીનું કાવ્યસર્જન સંખ્યામાં સ્વલ્પ અને પરિણામમાં ઓછું પ્રભાવશાળી રહ્યું એના મૂળમાં મુખ્ય બે અવરોધો છે. પહેલો અવરોધ તે એમનું મોટા ભાગનું કાવ્યબલ અર્વાચીનતાના સ્તરથી કવિતાને આધુનિક સ્ત૨ ૫૨ ઉઠાવવામાં ખર્ચાઈ ગયું. અલબત્ત, એથી એક આબોહવા જન્મી. આધુનિક કવિતા માટે એક ક્રિયાશીલતા ઊભી થઈ. નવા કવિઓના આગમનની તક ઊભી થઈ. કવિતાનો બૃહદ્ ફલક સાથે સંબંધ જોડાયો. મલાર્મે, વાલેરી, રેમ્બોથી માંડીને રિલ્કે–લોર્કાની ચેતના ગુજરાતી કવિતાની ભોંયમાં રોપાઈ. સુરેશ જોષીને કવિ નહિ, કવિઓના કવિ (Poet's Poet) થવાનું આવ્યું. બીજો અવરોધ તે કાવ્યના સ્વરૂપ પરત્વેના પક્ષપાતને કારણે કાવ્યસ્વરૂપને અન્ય સાહિત્યસ્વરૂપોમાં પ્રસરાવવા જતાં કાવ્યસ્વરૂપ પરત્વેનું એમનું ધ્યાન વિકેન્દ્રિત થયું. કાવ્યને પ્રસરાવવા જતાં કાવ્ય પ્રસ્થાપિત ન થઈ શક્યું, આધુનિક પ્રયોગશીલતાની અને સાહિત્યશુદ્ધિની ભૂમિકાને વિકસાવવામાં એમને ભાગે આ વિરોધાભાસ આવ્યો. આમ છતાં, ‘ઉપજાતિ’ (૧૯૫૬)માં પરંપરાની ભોંય પર ઈયળની જેમ વળગીને ચાલતો આ કવિ ‘પ્રત્યંચા’ (૧૯૬૧), ‘ઈતરા’ (૧૯૭૩)ના કોશેટામાંથી બહાર નીકળી ‘તથાપિ’ (૧૯૮૦)માં પતંગિયાની જેમ ગતિ કેવી રીતે કરી શક્યો એની મથામણનો આલેખ જોવો રસપ્રદ નીવડશે. ‘ઉપજાતિ’ ઉપજાતિ છંદમાં રચાયેલી કૃતિઓનો એમનો પ્રથમ સંગ્રહ છે. પરંપરાના કાંપનો ભાર એમાં એટલો બધો છે કે કવિએ પોતે જ એ સંગ્રહ રદ જાહેર કર્યો. પરંતુ પછીથી આધુનિક કવિ તરીકે વિકસનારી બલસંપત્તિની ઉપેક્ષા કરવા જેવી નથી. એમાંનો તરંગબુટ્ટો સઘન છે :

‘ફુગ્ગો રૂપે શશીનો ફૂલ્યો આ
તેમાં જરા નાનું શું છિદ્ર પાડી
હવા બધી રોફની કાઢી નાખું.’
તો
‘ઉદ્દંડ આ તાડની દર્પમુદ્રા
ને થોરની ધાર સજેલ તીક્ષ્ણતા
ચમેલી ને જાઈની ઉગ્ર સ્પર્ધા
મને કરે વિસ્મિત એ અનેકધા.’

જેવી પંક્તિઓ નાદનું સંમોહન રચી શકી છે. ચુસ્ત પ્રાસ, છાંદસ-સીમાઓ, ચપોચપ શ્લોકબંધ, પારંપરિક કાવ્યબાની - આ બધાથી જકડાયેલો કવિ ‘પ્રત્યંચા’ પર આવતાં થોડી મોકળાશ અનુભવે છે. શ્લોકબંધ છૂટી ગયો. ઉપજાતિની ચુસ્ત સીમાઓ છૂટી ગઈ, અલબત્ત, પ્રાસબંધ રહ્યો. પરંતુ હરિગીતની લાંબીટૂંકી થતી પંક્તિઓની અનુનેયતાનો કવિને થોડો લાભ મળ્યો. ‘પ્રત્યંચા’માં હરિગીતનો મહિમા છે. એમાં અડધા ઉપરાંતની રચનાઓ પરંપરિત હરિગીતમાં છે. સ્પષ્ટ પ્રતીકકેન્દ્રી પુરોગામી કવિતાને કલ્પનકેન્દ્રી સંદિગ્ધતામાં ખેંચવાનો આયાસ દેખાઈ આવે છે. પ્રકૃતિ અને પ્રણયનિમિત્તનાં રોમેન્ટિક તત્ત્વો સાથે ક્વચિત આધુનિક સંવેદનાઓને સાંકળવાનો પુરુષાર્થ પણ કળાય છે :

‘સોનેરી આ હરણું દોડે
લંકાનગરી ફરી ભડભડે ?’

*
સૂર્યઘુવડના અવાજે ચોંકતી

મધરાતનાં રે થરકતાં ગાન

પણ હરિગીતમાં અને અન્ય છંદોમાં ગોઠવાયેલા તત્સમ શબ્દોને લઘુગુરુમાં મરડી નાખતા લયની અપક્વતા ઠેર ઠેર કાને પડે છે :

‘મધુમાલતી
પુષ્પમુખે તું હજુ મુજ બાળપણની વાણીને ઉચ્ચારતી’

*
‘કપોલની મસૃણ રક્તિમા પરે’
*
‘એને તમારી હિમદૃષ્ટિ પાસ મૂકું છું તદા’
*
‘તૃણાંકુરોના દીપ લાખ્ખોની રચાઈ આરતી

ને મેઘને મુખે સુણું આદિકવિની ભારતી’

*

આ ઉપરાંત ‘કપોલકલ્પિત' જેવી રચનામાં સંસ્કૃત પરિવેશ વચ્ચે અપરિચિત જેમ, પંક્તિને અંતે અણઘડ રીતે ગોઠવાયેલો ‘આહ’ શબ્દ;

‘ત્રિજ્યા’માં પહેલી કડીની પ્રતિજ્ઞાને પ્રતિપાદિત કરતી કડીઓનો ગાણિતિક વિસ્તાર; ‘ચાર અંધકાર'માં ઘટનાનિરૂપણની નવી ભોંય પર અતિપ્રગટ થઈ જતાં સમીકરણો – આ સર્વ, રોમેન્ટિક અને આધુનિકતાની અકારણ અથડામણના પણ પ્રદેશો છે. અહીં ‘પ્રત્યંચા’ આકર્ણ ખેંચાયેલી તંગ નથી, તેમ પોતીકું કોઈ તીર એના પર ગોઠવાયેલું પણ નથી. હજી તો લક્ષ્યસ્થાન જ શોધવું કવિને માટે બાકી રહ્યું છે. એમના લક્ષ્યની દિશાનો અણસાર કરતી ‘પ્રત્યંચા’ની એકમાત્ર કૃતિ, તે ‘સૂર્યા’. કવિની આ પહેલી અછાંદસ રચના છે. પ્રજ્ઞાનિષ્ઠ રંગદર્શિતા કવિનો હવે પછી ઊઘડનારો વિશેષ છે અને એનું પગેરું અહીં મળે છે. ત્રણ પંક્તિના એક, એવા પાંચ પરિચ્છેદમાંથી પસાર થતો સૂર્યનો તંતુ ‘લાવ તને...'ની સમાન્તરતા, કલ્પનયુક્ત વિધાનોની આધુનિક સંવેદનાઓ, અંધકાર, પડછાયો, આદિકાળ, શૂન્યતાના વિરોધે સૂર્યનો પોતીકો અર્થ નીપજાવી લેતું રચનાકૌશલ, ‘તું’ અને ‘હું'નું સાર્થક રીતે દાખલ થયેલું સંવાદતત્ત્વ - આ સર્વ કવિને ‘ઈતરા’ તરફ દોરતા જોવાય છે. સાથે સાથે કવિતા કવિને માટે ‘ઈતરા’ મટતી પણ જોવાય છે. ‘ઈતરા’ કાવ્યસંગ્રહમાં કવિતા હજી કવિની સ્વકીય નથી બની પરંતુ ઈતરા કઈ રીતે મટતી આવે છે એની પ્રબળ પ્રક્રિયા સ્ફુટ છે. ‘ઈતરા'માં કવિના પૂર્વ અને પશ્ચિમના બે વારસાઓ પહેલી વાર બરાબર મુકાબલામાં મુકાયા છે. એક બાજુ કાલિદાસ રવીન્દ્રનાથની પદાવલી અને બીજી બાજુ પશ્ચિમી ચેતનાસ્પર્શે ખેંચાઈ આવેલાં આધુનિક કલ્પન અને પ્રતીકોની શ્રેણી. ‘ઈતરા’માં નિબંધકાર-વાર્તાકારનો ઘટનાકસબ અને કવિની નિરૂપણરીતિનો સમન્વય તેમજ કપોલકલ્પિતની ઉપસ્થિતિમાં થતું બાહ્ય વાસ્તવ અને આંત૨વાસ્તવનું પ્રાણપ્રદ સંયોજન સક્રિય થયાં છે. પ્રણય અને પ્રકૃતિના અભિન્ન સ્તરે તું અને હુંની ભિન્નતાની તાણ, મરણના સંવેદન સાથે અતિવિષાદની કવિતા (melo poetry) તરફ ઢળતા સુધી જાય છે ખરી, પરંતુ ૧૮મી અપૂર્વ અને સંસિદ્ધ ‘મૃણાલ’ રચનામાં કવિની અંગત સંડોવણીમાંથી ઉગારી લેતો કવિનો બીજો અવાજ (Second Self) કારગત નીવડ્યો છે. ‘ઈતરા’ની અન્ય રચનાઓનો પુરુષાર્થ જાણે કે ‘મૃણાલ' જેવી રચનાના ઓરણરૂપે - કાચી સામગ્રીરૂપે આવ્યો છે. શરૂની પહેલી રચનાના પાંચે ખંડમાં ચુસ્ત પ્રાસબદ્ધ ૨વીન્દ્રી બાની પરોપજીવી છે પણ બીજી રચનાથી શરૂ થતો અછાંદસ પટ એક તદ્દન નવો વિસ્તાર છે. સમાંતર પંક્તિઓનાં આવર્તનોને લગભગ અંતમાં સંકેલી લેતો કસબ દાખવતી આ રચનાઓની એકવિધતા પોતીકી છે. પણ આ અછાંદસ રચનાઓને ધારનારું કલ્પનપરક વિધાનોનું ક્યાંક ને ક્યાંક સ્થાપત્ય છે. લાગણી અને પ્રજ્ઞા, તર્ક અને કલ્પન, પરંપરા અને પ્રયોગ, રંગદર્શી સામગ્રી અને આધુનિક સંવેદનો અહીં પાસપાસે ગોઠવાયેલાં છે. એમાંથી પસાર થાય છે વિફલ પ્રેમની પરિસ્થિતિઓની વિવિધ ભાવમુદ્રાની વિશ્રંભવાર્તા. વિશ્રંભવાર્તાની આ રચનાઓ, આપણે આગળ જોયું તેમ ૧૮મી મૃણાલરચનાના પ્રાસ્તાવિકો છે. ‘કોઈ ઘૂંટે છે ગરલ ચન્દ્રના ખરલમાં' ૮મી રચના જેવાં બિનંગત કલ્પનોનું બળ વધુ નાટ્યાત્મક અંગતતામાં ઘૂંટાઈને પ્રગટે છે : ‘તારા શ્વાસના ખરલમાં કોણ ઘૂંટી રહ્યું ગરલ ?’ આ નાટ્યાત્મકતા, તું અને હુંની મનુષ્યોમાંથી પાત્રો બનવાની ક્ષમતા, મૃણાલની તો મિથ સુધી પહોંચવાની પહોંચ, અંગત વિષાદના આવિષ્કારોને બૃહદ્ વેદનાનો મળતો આધાર, આ દૂરત્વ (distance) મૃણાલરચનાને ભાષા અને અભિવ્યક્તિના, વિરોધ અને સાતત્યના તેમજ વાસ્તવના ભિન્ન ભિન્ન સ્તરેથી ઊંચકીને સમગ્રપણે સુગ્રથિત કરી સૌંદર્યનિષ્ઠ ભોંય પર મૂકે છે. કવિતા તરફના પક્ષપાતથી કવિતાને અન્ય સાહિત્યસ્વરૂપોમાં પ્રસરાવવા ગયેલો કવિ ફરી કવિતાસ્વરૂપ પરત્વે એકાગ્ર બની નિબંધકાર-વાર્તાકારને એકાકાર કરીને આ રચનામાં કવિતાને સ્થાપિત કરે છે. ‘ઈતરા'નો આ છેલ્લી રચનામાં ઊઘડેલો દૂરત્વને અને વસ્તુતા (Objectivity)ને લક્ષ્ય કરતો માર્ગ ‘તથાપિ’માં દૃઢપણે ઈશ્વર અને અસ્તિત્વનાં નવાં પરિપ્રેક્ષ્ય દ્વારા બીજા અવાજ (Second Self)ને જગા આપતો રાજમાર્ગ બન્યો છે. અહીં તું અને હુંનો સંવાદ કવિ કરતો નથી પણ બેનો સંવાદ કવિ સાંભળે છે. એક તટસ્થ, અતિસભાન કવિના અન્ય સ્વરૂપની ઉપસ્થિતિથી નાના વિવાદો મોટા વિવાદ સાથે, અંગત વિષાદ (Grief) બૃહદ્ વેદના (Tragedy) સાથે સંકળાયેલા છે. હવે કવિતા ‘ઈતરા’ નથી, સ્વકીયા છે. અસ્તિત્વ, ઈશ્વર અને મૃત્યુની સમસ્યાઓને આત્મનિવેદનના પ્રકાશમાં મૂકેલા છે. સમય અને સ્થળની અનવરોધ ગતિને બહુપરિમાણી પરિપ્રેક્ષ્યો હાથ ચડ્યાં છે. આ બહુપરિમાણી પરિપ્રેક્ષ્યો બહુપરિમાણી ગદ્યથી અભિન્ન છે. અહીં બોલચાલની નજીક ખેંચી જતી વાગ્મિતાના અતિરેક વગરની, ક્યારેક તો નિરલંકૃત એવી ગદ્યની ઈબારત પક્વ છે. ચારે ય રચનાઓ, ‘પાંચ અંકનું નાટક’ ‘ડુમ્મસ : સમુદ્રદર્શન’ ‘થાક’ ‘કોઈક વાર’ પરિણત રચનાઓ છે. ઈશ્વર અને અસ્તિત્વની આધુનિક સંવેદના તટસ્થપ્રજ્ઞાની ઐન્દ્રિક અભિવ્યક્તિઓમાંથી પ્રગટી છે :

‘કોઈક વાર અથડાઈ ગયો છું
ઈશ્વર સાથે
ને સાંભળ્યો છે ઈશ્વરને રણકી ઊઠતો’

*
‘તમે નથી જોયું તે મેં જોયું છે

ભયને અનુભવવાની
મારામાં એક નવી ઇન્દ્રિય ખીલી છે’

*
‘રમતમાં ટાંકણીથી કાગળમાં કાણું પાડું છું

તો એકાએક એમાંથી ગ્રહનક્ષત્રહીન
સાત સાત આકાશ ધો ધો વહી જાય છે’

*
‘પ્રદક્ષિણા ફરતી પૃથ્વી ઠેબે ચડી

હું સહેજ હડસેલાઈ ગયો,
હડસેલાતાં મારામાંથી હું છલકાઈ ગયો.
બહાર રેલાઈ ગયો.'

‘પાંચ અંકનું નાટક’માં સર્વસામાન્ય આત્મવૃત્તાન્તની નિરાળી નાટ્યાત્મકતા, ‘ડુમ્મસ : સમદ્રદર્શન'માં સમુદ્રને વારંવાર આંતરચેતનાની ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં રૂપાંતરિત કરતું સાક્ષીકર્તૃત્વ, ‘થાક’ની ઉદ્ગારોમાં પ્રગટતી અથાક તાજગી અને ‘કોઈક’ વારમાં વિવિધ ભંગીઓ સાથે પુનરાવૃત્ત થતી રિક્તની આસક્તિ - પરિણતિનો આસ્વાદ આપે છે, ‘તથાપિ’ કવિની વિકાસોન્મુખ ગતિનો અંતિમ પરિપાક છે.

**