સોરઠિયા દુહા/59

From Ekatra Wiki
Jump to navigation Jump to search


59

પાંચ કોસે પાળો વસે, દસ કોસે અસવાર;
કાં તો નાર કુભારજા, કાં નાહોલિયો ગમાર.

પુરુષ ગામતરેથી ઘર ભણી આવતો હોય. રસ્તે રાત પડી ગઈ હોય, અને તે ટાણે ઘેર પહોંચી જવાને બદલે કોઈક પારકે ગામ રાતવાસો કરીને પડ્યો રહે, એવો પુરુષ જો પગપાળો હોય ને ઘર પાંચ કે છ ગાઉ છેટું હોય, અગર ઘોડેસવાર હોય ને ઘર દસ ગાઉ દૂર રહ્યું હોય, તો સમજવું કે કાં તો ઘેર કુભારજા સ્ત્રી હોવી જોઈએ, અને કાં પછી પુરુષ પોતે જ ગમાર હોવો જોઈએ. નહિ તો કાંઈ ઘેર પહોંચ્યા વિના રહે?