સોરઠી બહારવટિયા ભાગ-2/બીજી વિષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બીજી વિષ્ટિ

આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટિયા જૂના કોઠાનું સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડિયારાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાંયે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે. એવા ગુલતાનને એક સમે ચોકીદારે જોધાની પાસે આવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.” “કોણ કોણ?” “દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો ને બે સૈયદ છે.” “સૈયદ ભેળા છે? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે’વાય. ગા’ ગણાય. એને આવવા દેજો, ભા!” એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારેય મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થતા થતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મૂળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધા ભા! વેર ગાયકવાડ સામે, અને શીદ જૂનાગઢ-જામનગરને સંતાપો છો? અમે તમારું શું બગાડ્યું છે” “ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે?” “પણ કોઈ રીતે હથિયાર મેલી દ્યો? સરકાર ગઈગુજરી ભૂલી જવા તૈયાર છે.” “ખબરદાર, વાઘેર બચ્ચાઓ!” વીઘો સુમણિયો ખૂણામાંથી વીજળીને વેગે ઊભો થયો, “હથિયાર મેલશો મા, નીકર મારી માફક કાળાં પાણીની સજા સમજજો. વાઘેર પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે.” જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મૉતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો મનખ્યો નહિ બગાડું.” પહાડ ઉપર જે કાંઈ આછીપાતળી રાબડી હતી તે પીરસીને મહેમાનોને જમાડ્યા. હાથ જોડી બોલ્યો કે “ભાઈયું! આપ તો ઘણા જોગ, પણ અસાંજી સંપત એતરી!” છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાઘેરો મૂકી આવ્યા.