સોરઠી બહારવટિયા ભાગ-2/બાનને માર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાનને માર્યો

તરવારનો ફટકો બોલ્યો, કે તુરત જોગીદાસે ઘોડી થંભાવી. પાછળ જોયું, પૂછ્યું : “શું થયું? ફટકો શેનો સંભળાણો?” માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં, કોઈએ જવાબ ન દીધો. “નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે.” જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મરતો, તરફડતો દીઠો. “આ કોણ, ભાઈ?” “આપા! આ મૂળા પટેલનો દીકરો : જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી’તી. અરે, જેના ચાળીસ ઢાંઢા ઈ તોપખાનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું ઈ કમતિયાનો છોકરો.” “બાન પકડ્યો’તો ને?” “હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી : આખે માર્ગે ગાળ્યું કાઢી, આપા! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફૂલ ઝરતાં’તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.” “બાનને માર્યો! બૂરું કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રિયા. બાનને માર્યો! શું કહેવું, ભાઈ! આ પાપનો તો સાત જન્મેય આરોવારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.” ડુંગરાના ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટિયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળિયે અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારું ખાવાપીવાનું ને સૂવા-બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા. અંગારા તૈયાર થયા, લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રોતો દેખીને નાનો નરસી બોલ્યો, “હેઠ્ય કાયર! રોવા બેઠો છો! આપણે તો ખુમાણ ખોરડું! સાવરિયાઓને ખોટ્ય બેસે. બચાડા બા’રવટિયા વળી અંગારા શું ચાંપશે? આમ જો! આમ આપણી જાતે ચાંપી લેવાય!” એટલું કહેતો નરસી ઊભો થયો, ઝગમગતા અંગારા ઉપર સબ! સબ! સબ! પગ માંડીને ચાલ્યો ગયો, પગતળિયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા. બહારવટિયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિંમત સામે જોઈ રહ્યો, એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને ‘ખુમાણ ખોરડું’ કેમ કહ્યો?” “આપા! એનો કાકો ધરમશી પટેલ પાંચસે ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને? કુંડલા પંથકના કણબી તો કરાત છે, આપા!”