સોરઠી બહારવટિયા ભાગ-2/રોયા રણછોડરાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રોયા રણછોડરાય

પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગિસ્ત ઊભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથું : કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે. નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાંયે મોં રૂડપ મેલતું નથી. હમણાં જાણે હોઠ ફફડાવીને હોંકારો દેશે! એવા માથા ઉપર ગિસ્તના માણસો દારૂ છંટાવતા હતા. પાસે ઊભેલા એક નાગર જુવાને એ વાઢેલ માથાની મુખમુદ્રા ઓળખી. એના મોંમાંથી વેણ નીકળી પડ્યું કે “આ તો મૂળુ માણેકનું માથું!” પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મિયાં અલવીનો એક જાસૂસ પડખે ઊભો હતો. તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું, “તમે કેમ કરીને જાણ્યું, ભાઈ?” એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારે વારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયાસરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું. વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઊગરી ગયો. અને એ રૂપાળા માથાને કપાયેલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો. ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય, મોતી હૂતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય. [ગોમતીએ શોકથી મોં પર ઘૂમટો ઢાંક્યો. રણછોડરાય પણ રડ્યા, કેમ કે માણેકરૂપી મહામોલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.]

ઐતિહાસિક માહિતી

1 વૉટ્સનકૃત ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ : પાનાં 116-117, 313-318 : વૉટ્સનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાયેલું છે. 2 ‘ઓખામંડળના વાઘેરોની માહિતી’ : રચનાર દૂ. જ. મંકોડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા. મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે. 3 મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે. 4 આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.

કીર્તિલેખ કોના રચાય છે?
[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]

મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છે: “દ્વારકા: કબર: કિલ્લા પાસે. કબર છે એક ગોરાની. કબરના પથ્થર પર લેખ કોતર્યો છે — William Henry Mariot. Lieutenant in H. M. 67 Regiment and A. D. C. to Elphinstone, Governor of Bombay, 26 years ago, died Dec. 1820; first to ascend on the ladder to the Fort.” ફૉર્ટ : કોનો કિલ્લો? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો. કોની ગોળીએ મૂઓ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની ગોળીએ. એક ભાડૂતી ફોજના એક ભાડૂતી ગોરાનો કીર્તિલેખ છે, કબરની સામે ઊભો ઊભો મારી પોથીમાં હું આ ‘કીર્તિલેખ’ ટપકાવતો હતો ત્યારે 1857ની સાલના એક કાળ-નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દોનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો. સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એ જ ગાયકવાડી કિલ્લાને માથે 1858ના ડિસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નિસરણી માંડી, તેનો કીર્તિલેખ ક્યાં છે? જનતાનાં કલેજામાં. ઓખામંડળમાં હું 1928માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યા : બળવો મુકરર થયો છે. જસરાજ માણેકના પાળિયા પાસે સમસ્ત વાઘેર જવાંમર્દો મુકરર સમયે જમા થયા છે. કિલ્લો તોડવો છે. શુકનાવળીએ શુકન જોયાં, બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે. એને ઘરમાં પૂરીને નીકળ્યા. પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું દીધું : ‘અસાંજાં લૂગડાં પેરી ગીનો!’ ‘અમારાં લૂગડાં પહેરી લ્યો.’ ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપ્પન પગથિયાંવાળી સરગદુવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી શત્રુ-ગોળીએ પુંજો પડ્યો. એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે? ‘નિસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે —’ ‘કીનજી મા શેર સૂંઠ ખાધી આય!’ એના જવાબમાં, મોંમાં તરવાર પકડી નિસરણી માથેથી ગઢ માથે ઠેક મારીને પહોંચનાર વાઘેર પતરામલ મિંયાણીનો કીર્તિલેખ ક્યાં છે? પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે.

*

હું બેટ શંખોદ્ધાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટિયા રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પાટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી-ટોપી : પાતળી ઊંચી દેહકાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસર-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઊછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણેય એ કાળ-નાટકનાં પાત્રો હતાં. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેર-બળવાની વિગતો સંઘરીને સિત્તેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણશક્તિ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું.

ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી, થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાંખળાં વીણ્યાં. પંજા પીર, સૂણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમૂરૂ, પારેવો ને ઢેઢમૂરૂ નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદ્ધારની એ છેલ્લામાં છેલ્લી અણી : ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મૂકવાની મનાઈ હતી — મંદિરોના માલિક તરફથી! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટિયા બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે છે.