સોરઠી બહારવટિયા ભાગ-2/સાદ વરત્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાદ વરત્યો

“બાપુ! ગજબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. “શું થયું, આપા?” “મહારાજ વજેસંગના કુંવર દાદભા[1] ગુજરી ગયા.” “અ ર ર ર ર! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો? શું થયું? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો?” “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.” “કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું, આપા!” “વીજળી પડવાની તો શું વાત કરું, બાપુ! શિહોર ને ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે, વસ્તીના ઘરોઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કકળાટ થાય છે.” “આપા! બાપ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણનેય આવ્યું કે’વાય. આપણે નાવું જોવે.” સહુ બહારવટિયાઓએ ફાળિયાંમાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી : “બાપુ! એક વાત પૂછું!” “ભલે બાપ!” “આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોવે?” હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યા : ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે એની રૂબરૂ ખરખરે જવું? જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે? જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઊપડે છે. એને મનભંગ ન કરાય. “જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું, આપા! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાનો જ મેળ થાય. કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લોકિક કરવા આવ્યા છીએ.” “ત્યારે, બાપુ!” “કુંડલાનો સહુ કાઠી-કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકીને છાનોમૂનો ગૂડો વાળી આવજે. બીજું તો શું થાય?” કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી, કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટિયો જોગીદાસ પણ પેસી ગયો. માથા ઉપર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં પોતે કોણ છે તે ઓળખાવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાના રો’, જોગીદાસ ખુમાણ, છાના રો’.” જોગીદાસ ખુમાણ! નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળાફાંફળા બનીને તમામ મહેમાનો આમતેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહીં બહારવટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બહારવટિયો એટલું જ બોલ્યો કે “ભલે વરત્યો, રાજ!” “વરતું કેમ નહિ, જોગીદાસ ખુમાણ! તારું ગળું ક્યાં અજાણ્યું છે? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વરતાય?” ‘બહારવટિયો! બહારવટિયો! બહારવટિયો!’ એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તરવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એણે સાદ દીધો કે “રજપૂતો! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ દુઃખમાં ભાગ લેવા આવ્યા છે.” મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ ઝળઝળિયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તરવારો મ્યાન કરતાં કરતાં અગાઉ કદી ન જોયેલું ને ન સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, “જોગીદાસ, બીશો મા!” “બીતો હોત તો આવત શા માટે, રાજ?” સહુ દાયરાની સાથે ખાઈ-પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટિયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકથોક માણસ હલક્યું હતું. બહારવટિયાના ચહેરામોરા જેણે કદી દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્યો જ કલ્પેલા હતા! પણ તે ટાણે લોકે એ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવો તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ઘીસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી. ઘટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટિયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો. અનેક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું. કે “લખમણજતિનો અવતાર!”



  1. તારીખો મેળવતાં જણાય છે કે આ મૃત્યુપ્રસંગ કુંવર દાદભાનો નહિ પણ એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ.