સોરઠી બહારવટિયા ભાગ-2/મગિયા જાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મગિયા જાળ

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે, “ઓહોહો! ખુમાણોએ મારું ઢીમ ઢાળી દીધું : આણંદજીના દીવાનને મારી પાડ્યા : આવો નાગર ફરી નહિ મળે.” “ફિકર નહિ, બાપુ. આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી’તી ને? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જોવે ને?” “શી રીતે વાત બની?” “બાપુ, આણંદજીભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મે’માનોનું જૂથ ક્યાંય માતું નો’તું. એમાં વાવડ સાંભળ્યા કે બહારવટિયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઊઠ્યા. ભાણગાળેથી બહારવટિયાને ભગાડીને આણંદજીભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજીભાઈ ને બીજો સૈયદ બાગો : એક નાગર ને બીજો આરબ : બેય જણા નિમકની રમત રમી જાણ્યા, બાપુ! આણંદજીભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે, ચાંપે ખુમાણે આણંદજીભાઈને બરછીએ પરોવી દીધા. સૈયદ બાગાને ડિલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.” “ઠીક. જેવી મા ખોડિયારની મરજી! રાજ તરફથી આણંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી ‘જાવચ્ચંદર દિવાકરૌ’ માંડી આપું છું : વીસળિયું, વડલી ને લુવારા.” આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપર ઓળઘોળ થઈ જવાના ઉમળકા આવ્યા. “અને સૈયદ બાગાનું શું થયું?” ઠાકોરે સવાલ કર્યો. “સૈયદ બાગો તો અટાણે પડદે પડ્યો છે, બાપુ! સૈયદ બાગાના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો, બાપુ, હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબૂત ટેભા લિયો. આખું અંગ વેતરાઈ ગયું’તું તોપણ એક ચૂંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દીવાનની લાશ પડી’તી.” “રંગ છે આરબની જનેતાને. એને ધાવેલા તો જરૂર પડ્યે ઊભા ને ઊભા કરવતે પણ વે’રાઈ જાય ને!” કચારીમાં આરબ, અમીર, ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા. એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઊપડી આવી. નિમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદર ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડીને ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું : “બાપુ! જીભાઈ રાઘવજી દીવાન પધારેલ છે.” તુરત જ નાગર જોદ્ધો જીભાઈ રાઘવજી દેખાયો. કમ્મર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધ્રબેલા છે; ગળે ઢાલ, કાખમાં શિરોહીની તરવાર ને હાથમાં ભાલો લીધો છે, પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા. “જીભાઈ! આવી પોગ્યા? બંદોબસ્ત બરાબર કર્યો છે ને?” “મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગિયા જાળ પાથરીને ચાલ્યો આવું છું. મગ જેવડુંયે માછલું — ખુમાણનું નાનકડું છોકરું — પણ ક્યાંય આઘુંપાછું ન થઈ શકે એવા સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે. પાકેપાકી મગિયા જાળ પાથરી દીધી છે, બાપા!” “રંગ તમને, જીભાઈ! બાકી તો બહારવટિયાએ આણંદજીને માર્યા ત્યારથી મારું રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ?” “જ્યાં હશે ત્યાંથી મારી મગિયા જાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર નથી. જોગીદાસ બાપડો હવે કેટલા દી?” “હા જ તો? ભાવનગરનો ચોર તો ભાગીને કેટલેક જાશે?” એક બીજા અમીરે ટાપસી પૂરી. ત્યાં તો મહારાજને દુઃખ ભૂલવવા, હિંમત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે ક્યાં જઈને રે’શે.” “ક્યાં જઈને રે’શે? દેખ બચ્ચા ઈધર રે’શે.” કચારીના ખૂણામાંથી એવી એક ત્રાડ સંભળાઈ. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર સામે જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા અને ફરી વાર એ ધોળા, વાંકડિયા, ખંભે ઢળકતા વાળવાળા, સફેદ દાઢીમૂછના ભરાવવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઇસમેં રહેગા! યે મેરા ખપ્પરકે નીચું મેં રહેગા!” એટલું કહેતાંની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઊંધું વાળ્યું. “નખ્ખોદ વળ્યું!” ઠાકોરના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યા : “મુરાદશા ઓલિયાએ ખુમાણોને આશરો દીધો!” તુરત જ ચતુર રાજાએ બાજી પલટી નાખી. મુજાવર મુરાદશાનો કોપ હેઠો બેસાડવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં! હાં! હાં! સાંઈ મૌલા! ગુસ્સો શમાવી દ્યો, બાવા! દુઃખ ધોખો ન લગાડો. હોય, એ તો થયા કરે.” “ઠાકોર!” મુરાદશાએ બોખા મોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યો : “મને દુઃખ કેમ ન લાગે? જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને ચોર-લૂંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજાબહાદુર! એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોંટતી.” “સાંઈ મૌલા! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે. મારા દલમાં એવું કાંઈ જ નથી, મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી, સાંઈ! આપનો ગુસ્સો શમાવો.” ભાવનગરમાં ગંગાજળિયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખૂણા પર આજ પણ જે જગ્યા પીર મુરાદશાના તકિયા નામે ઓળખાય છે ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટિયો ઊતરતો, દિવસોના દિવસ સુધી રહેતો ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.