સોરઠી સંતવાણી/દાઝેલ દેહનાં દુઃખિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાઝેલ દેહનાં દુઃખિયાં

છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં
વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. — મોરી.
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. — મોરી.
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. — મોરી.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

[મીરા]